સદીઓથી આ સમાજના લોકો ગામની બહાર કેમ પડી રહે છે, ઘરનું ઘર કેમ હજુ સપનાં જેવું લાગે છે?
"ડફેરો આવ્યા... આ સાંભળીને જ બધા ભાગે. અમને ગામમાં પણ રહેવા નહોતા દેતા...", આ શબ્દો છે હકીમ ઉસ્માન ડફેરના.
તેમનું કહેવું છે કે સદીઓથી ડફેર સમાજ ગામના સીમાડાની બહાર રહેતો આવ્યો છે.
જો ગામમાં કોઈ ઓળખીતું હોય તો આશરો આપે બાકી કોઈ ગામ આશરો પણ નથી આપતું.
આ માત્ર ડફેર જાતિના લોકોની વેદના નહીં પણ સમગ્ર વિચરતી વિમુક્ત જાતિના લોકોની આપવીતી છે.
ગુજરાતમાં સદીઓથી વિચરતી વિમુક્ત જાતિના લોકોની સ્થિતિ દયનીય છે.
આ સમુદાયની કેટલીક જાતિઓ પર બ્રિટિશ શાસનકાળથી જ ગુનેગારનું ટૅગ લગાવી દેવાયું હોવાથી તેની વેદના એકવીસમી સદીમાં પણ અકબંધ છે.
વિચરતી જાતિઓની વાત કરીએ તો તેમાં બજાણિયા (બાજીગર, નટ બજાણિયા, નટ, નટડા), કાથોડી, વાદી (જોગીવાદી, મદારી), વાંસફોડાનો સમાવેશ થાય છે.
જ્યારે વિમુક્ત જાતિઓમાં ડફેર, બાવરી, મે અને મેયાણાનો સમાવેશ થાય છે. સદીઓથી ચાલ્યા આવતા આ ભેદભાવ અને તિરસ્કારના કારણે આ સમાજ આજ સુધી પોતાના ઘરથી વંચિત રહેતો આવ્યો છે.
તાજેતરમાં જ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ભડવાણા ગામમાં કાયમી રહેઠાણ મળ્યું છે.
તો VSSM સંસ્થાના સહયોગથી ચુડા ગામ પાસે સરાણિયા સમાજના લોકો માટે નવાં ઘરો બની રહ્યાં છે.
ત્યારે આ વીડિયોમાં જુઓ કે સદીઓથી ઘરના ઘરથી વંચિત રહેલા આ સમાજની વેદના અને ઘરનું ઘર જેમને મળ્યું છે એ લોકોની ખુશી.

ઇમેજ સ્રોત, Pavan Jaiswal
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



