સૈફ અલી ખાનની 15, 000 કરોડ રૂપિયાની સંપત્તિનું શું થશે, સરકારમાં જતી રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
પટૌડી ખાનદાન અને ભોપાલ રજવાડાના વારસદાર ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને
તેમના પરિવારજનોના હાથમાં 15 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ આવશે કે સરકાર પાસે જતી
રહેશે? છેલ્લા થોડા દિવસોથી આ સવાલ ચર્ચાના કેન્દ્રમાં છે.
ભોપાલનો અહમદાબાદ પૅલેસ, ફ્લૅગ સ્ટાફ હાઉસ, તેની આસપાસની હજારો એકર જમીન અને
ઐતિહાસિક ઇમારતો આજે એક મોટા વિવાદનો હિસ્સો બની ગઈ છે.
સરકારે આ સંપત્તિઓને 'શત્રુ સંપત્તિ' જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફ્લૅગ સ્ટાફ
હાઉસ એ વિસ્તાર છે, જ્યાં સૈફ અલી ખાનનું બાળપણ વીત્યું છે.
હકીકતમાં, કસ્ટોડિયન ઑફ એનિમી પ્રૉપર્ટી ફૉર ઇન્ડિયા (સીઇપીઆઇ)ના ઈ.સ. 2015ના એક
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દસ્તાવેજ અનુસાર, ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનનાં મોટાં પુત્રી આબિદા સુલતાન પાકિસ્તાન જતાં રહ્યાં હતાં.
કેન્દ્ર સરકારનો દાવો છે કે, આબિદા પાકિસ્તાન ચાલ્યાં ગયાં હોવાના કારણે ભોપાલના નવાબની મિલકતો 'શત્રુ સંપત્તિ અધિનિયમ' હેઠળ આવે છે.
આબિદા સુલતાન, સૈફ અલી ખાનનાં દાદી સાઝિદા સુલતાનનાં મોટાં બહેન હતાં.
સરકારના આ દાવા સામે સૈફ અલી ખાન અને તેના પરિવારે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી
હતી.
હાઇકોર્ટે 13 ડિસેમ્બર 2024એ ચુકાદો સંભળાવતાં કહ્યું કે, 'શત્રુ સંપત્તિ' સાથે સંકળાયેલા
વિવાદોનો નિર્ણય કરવા માટે અપીલીય સત્તામંડળની રચના કરવામાં આવી છે. સૈફ અલી ખાન અને તેમનો પરિવાર ભારત સરકારના દાવા વિરુદ્ધ આ સત્તામંડળ સમક્ષ અરજી કરી શકે છે.
કલેક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
બીજી તરફ, આ સમગ્ર મામલે ભોપાલના કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમસિંહે બીબીસીને જણાવ્યું કે,
"મને હમણાં જ હાઇકોર્ટના આદેશની માહિતી મળી છે. તેનો અભ્યાસ કર્યા પછી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે."
અમે જ્યારે ભોપાલમાં 'શત્રુ સંપત્તિ'ની હાલની સ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કલેક્ટરે કહ્યું, "પહેલાં એક સર્વે થયો હતો, જેમાં શત્રુ સંપત્તિઓનું વર્ણન છે. પરંતુ, જો તમે ખાસ આ એક જ મામલાની વાત કરો છો, તો અત્યારે માહિતી નથી. તેના વિશે વિભાગમાં એક વખત તપાસ કરવી પડશે, ત્યારે જ વિસ્તૃત માહિતી આપી શકાશે."
ભોપાલીઓની આન, બાન અને શાન

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના કોહે ફિઝા વિસ્તારના નિવાસી અબ્દુલ્લા ખાન ભોપાલ નવાબ અને ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનની મિલકતોને સરકાર દ્વારા શત્રુ સંપત્તિ જાહેર કરવાના મામલે થોડા મલકાય છે.
તેઓ કહે છે, "મિયાં, ભોપાલીઓની આન, બાન અને શાન પર જ્યારે વાત આવી જાય છે, ત્યારે ભોપાલી પાછા નથી પડતા."
અબ્દુલ્લા ખાન અને તેમનો પરિવાર આજે જે મકાનોમાં રહે છે, તે ક્યારેક ભોપાલ રજવાડાનો ભાગ હતાં અને ભોપાલ નવાબની સંપત્તિઓમાં સામેલ હતાં.
અબ્દુલ્લા ખાને બીબીસીને કહ્યું, "ભોપાલ રજવાડાનો ભારતમાં વિલય થયો. ત્યાર પછી હમીદુલ્લા ખાનનાં બીજા નંબરનાં જે પુત્રી હતાં, તેમને ભોપાલના નવાબ બનાવાયાં હતાં."
"મોટાં પુત્રી આબિદા સુલતાન પોતાના પિતા જીવતા હતા ત્યારે પાકિસ્તાન જતાં રહ્યાં હતાં. આબિદા સુલતાનના નામે અહીં કોઈ સંપત્તિ નથી."
ભોપાલ રજવાડું અને હમીદુલ્લા ખાનનો વારસો

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભોપાલ રજવાડાના અંતિમ નવાબ હમીદુલ્લા ખાન ઈ.સ. 1926માં ગાદી પર બેઠા હતા. બે મોટા ભાઈઓનાં મૃત્યુ પછી તેમના પર આ જવાબદારી આવી હતી.
હમીદુલ્લા ખાનનો શાસનકાળ રાજકીય અને સામાજિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યો હતો.
તેમને ત્રણ પુત્રી હતાં – આબિદા સુલતાન, સાઝિદા સુલતાન અને રાબિયા સુલતાન.
ઈ.સ. 1947માં ભારતના ભાગલા થયા બાદ નવાબ હમીદુલ્લા ખાને ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેમનાં મોટાં પુત્રી આબિદા સુલતાન તે સમયે તેમનાં ઉત્તરાધિકારી તરીકે નામાંકિત હતાં. પરંતુ, ઈ.સ. 1950માં આબિદા સુલતાન પોતાના પુત્ર શહરયાર ખાન સાથે પાકિસ્તાન જતાં રહ્યાં હતાં.
આ એ જ શહરયાર ખાન છે, જેઓ આગળ જતાં પાકિસ્તાનના વિદેશ સચિવ અને પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ બન્યા હતા. આબિદા સુલતાન પાકિસ્તાન જતાં રહ્યાં પછી, ભારત સરકારે જાન્યુઆરી 1962માં હમીદુલ્લા ખાનનાં બીજાં પુત્રી સાઝિદા સુલતાનને ભોપાલ રજવાડાનાં ઉત્તરાધિકારી જાહેર કર્યાં હતાં.
ભોપાલમાં નવાબોના કાળખંડ પર અભ્યાસ કરનાર ઇતિહાસકાર સિકંદર મલિકે જણાવ્યું, "નવાબ હમીદુલ્લા ખાન ભોપાલના નવાબ બન્યા 1926માં. એ પણ ત્યારે, જ્યારે તેમના બે મોટા ભાઈઓ મૃત્યુ પામ્યાં હતાં. એટલે, ઉત્તરાધિકારી બાબતનો વિવાદ આ પરિવાર માટે નવો નથી."
ભોપાલ નવાબના વારસદારો

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
સાઝિદા સુલતાનનાં લગ્ન પટૌડી રજવાડાના નવાબ ઇફ્તિખાર અલી ખાન સાથે થયાં હતાં. તેમને ત્રણ સંતાન થયાં – મન્સૂર અલી ખાન પટૌડી, સાલેહા સુલતાન અને સબીહા સુલતાન.
ઈ.સ. 1995માં સાઝિદા સુલતાનના અવસાન પછી તેમની મિલકતો મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ
તેમનાં સંતાનોમાં વહેંચી દેવામાં આવી હતી. મન્સૂર અલી ખાન પટૌડીએ પોતાના ભાગે આવેલી સંપત્તિ પોતાનાં સંતાનો સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબા અલી ખાનને વારસામાં આપી દીધી હતી.
આ રીતે સૈફ અને તેમનાં બહેનો ભોપાલ રજવાડાની સંપત્તિનાં વારસદારો બન્યાં.
ભોપાલ નવાબની સંપત્તિઓમાં ભોપાલનાં ફ્લૅગ સ્ટાફ હાઉસ, અહમદાબાદ પૅલેસ, નૂર-ઉસ-
સબા પૅલેસ અને લગભગ 5,800 એકર જમીન સામેલ છે.
આ સંપત્તિઓ ઉપરાંત, સિહોર અને રાયસેન જિલ્લામાં લગભગ 14,00 એકર જમીન પણ છે.
ભોપાલના એક સ્થાનિક નિવાસી છે સુમેર ખાન. તેમના પૂર્વજો ભોપાલ રજવાડા સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું, "ભોપાલ નવાબનાં મોટાં પુત્રી પાકિસ્તાન જતાં રહ્યાં પછી પણ નવાબસાહેબ જીવિત હતા. તેમના મૃત્યુ પછી તેમનાં નાનાં પુત્રી સાઝિદા સુલતાન, તેમના પછી મન્સૂર અલી ખાન અને તેમના મૃત્યુ પછી સૈફ અલી ખાનને ભોપાલ નવાબ જાહેર કરવામાં આવ્યા."
"હવે એ સમજાતું નથી કે, સરકાર કઈ રીતે આને 'શત્રુ સંપત્તિ' જાહેર કરી રહી છે."
'શત્રુ સંપત્તિ' વિવાદની શરૂઆત

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
ઈ.સ. 1968માં ભારત સરકારે 'શત્રુ સંપત્તિ' અધિનિયમ લાગુ કર્યો. તેના અંતર્ગત જે લોકોએ પાકિસ્તાન અથવા ચીનની નાગરિકતા લઈ લીધી હતી, તેમની ભારતમાં રહેલી સંપત્તિઓને શત્રુ સંપત્તિ જાહેર કરી દેવામાં આવી. 'શત્રુ સંપત્તિ'નો વિવાદ ભારતમાં નવો નથી.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મહમૂદાબાદ રજવાડાનો કેસ પણ ચર્ચામાં રહ્યો છે.
ઈ.સ. 1975માં રાજા મોહમ્મદ આમિર અહમદ ખાને પાકિસ્તાનની નાગરિકતા લઈ લીધી હતી.
ત્યાર પછી તેમની સંપત્તિઓને પણ 'શત્રુ સંપત્તિ' જાહેર કરી દેવામાં આવી હતી.
જોકે, ઈ.સ. 2005માં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, 'શત્રુ સંપત્તિ'ની માલિકી પરિવાર પાસે જ રહેશે. ત્યાર પછી, સરકારે એક નવો વટહુકમ બહાર પાડીને આ ચુકાદાને ફેરવી નાખ્યો.
ઈ.સ. 2015માં ભારત સરકારના કસ્ટોડિયન ઑફ એનિમી પ્રૉપર્ટી ફૉર ઇન્ડિયાએ એવો દાવો
કર્યો કે ભોપાલ રજવાડાની બધી સંપત્તિઓ આબિદા સુલતાનની હતી.
જોકે, આબિદા સુલતાન પાકિસ્તાન જતાં રહ્યાં હતાં તેથી, આ સંપત્તિઓ હવે 'શત્રુ સંપત્તિ'ની
વ્યાખ્યામાં આવી જાય છે.
ત્યાર પછી સૈફ અલી ખાન અને તેમના પરિવારે સરકારના આ દાવાને પડકાર્યો. તેમણે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી.
કોર્ટે આ કેસને 'શત્રુ સંપત્તિ'ના કેસના ઉકેલ માટે બનેલા અપીલીય સત્તામંડળ સમક્ષ મોકલવાનો આદેશ આપ્યો.
આબિદા સુલતાનનો પાકિસ્તાન જવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
આબિદા સુલતાનનું જીવન ભોપાલ રજવાડાનાં રાજકારણ અને સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે.
ઇતિહાસકાર જણાવે છે કે, ઈ.સ. 1928 સુધી તેઓ સત્તાવાર ઉત્તરાધિકારી હતાં. એ કારણે જ
તેઓ પોતાના પિતાની સાથે વહીવટી કાર્યોમાં સક્રિય રીતે ભાગ લેતાં હતાં.
ઈ.સ. 1926માં કુરવાઈના નવાબ સરવર અલી ખાન સાથે આબિદા સુલતાનનાં લગ્ન થયાં હતાં.
આબિદા સુલતાનની આત્મકથા અનુસાર 29મી એપ્રિલ,1934એ તેમના એકમાત્ર પુત્ર શહરયાર મોહમ્મદ ખાનનો જન્મ થયો હતો.
જોકે, આબિદા સુલતાન અને નવાબ સરવર અલી ખાનનું લગ્નજીવન વધારે સમય સુધી ટકી
શક્યું નહીં અને તેઓ ભોપાલ પાછાં ફર્યાં.
ઇતિહાસકાર સિકંદર મલિક કહે છે, "દેશના ભાગલા અને આઝાદીના સમયગાળામાં ઘણું બધું
બદલાઈ રહ્યું હતું. રાજકીય પરિવર્તનો ઉપરાંત, નવાબસાહેબ (હમીદુલ્લા ખાન)ના જીવનમાં
પણ ઘણી ઊથલપાથલ થઈ રહી હતી. 1946માં હમીદુલ્લા ખાને બીજાં લગ્ન કર્યાં; તેનાથી
ઘરમાં ક્લેશ-કંકાસ ખૂબ વધી ગયો."
"આ દરમિયાન આબિદા સુલતાને જોયું કે, ભારતની રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.
ઘરની પરિસ્થિતિઓ પણ તેમની તરફેણની નથી. તેથી, તેમને પોતાના 16 વર્ષીય પુત્ર સાથે
પાકિસ્તાન જતાં રહેવાનું યોગ્ય લાગ્યું."
'શત્રુ સંપત્તિ' જાહેર કરવાથી શો પ્રભાવ પડશે?

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
જો ભોપાલ નવાબની મિલકતો 'શત્રુ સંપત્તિ' જાહેર થઈ જાય, તો તેની અસર માત્ર સૈફ અલી ખાનના પરિવાર પર જ નહીં, બલકે, ભોપાલના લાખો નિવાસીઓ પર પણ પડશે.
આ સંપત્તિઓમાંની ઘણીમાં સ્થાનિક લોકો વસે છે. ભોપાલના એક નિવાસી સુમેર ખાનનું કહેવું છે કે, "જો આ સંપત્તિઓને જપ્ત કરી લેવાશે તો દસ-પંદર લાખ લોકોને અસર થશે."
બીજી તરફ, ભોપાલના ખાનુગાંવ વિસ્તારમાં રહેતા મોહમ્મદ નસીમ કહે છે, "અમારા બાપદાદા ભોપાલના નવાબોને ત્યાં નોકરી કરતા હતા. આજે અમે જ્યાં રહીએ છીએ તે સંપત્તિઓ નવાબ હમીદુલ્લા ખાને અમારા પૂર્વજોને રહેવા અને ખેતી માટે આપી હતી."
ભોપાલની રજવાડાકાલીન મિલકતો પર હવે લાખો લોકોની વસાહતો અને ઘણાં બજાર છે.
તેમાં કોહે ફિઝા પ્રૉપર્ટીનો વિસ્તાર, મોટર્સ ગૅરાજ, ન્યૂ કૉલોની ક્વાર્ટર્સ, કૉટેજ નાઇન, ડેરી ફાર્મ ક્વાર્ટર્સ, ફૉરેસ્ટ સ્ટોર, પોલીસ ગાર્ડ રૂમ સહિત અન્ય સંપત્તિઓ સામેલ છે.
હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Amit Maithil/BBC
હવે સૈફ અલી ખાન અને તેમના પરિવારે જાન્યુઆરી 2025માં ગૃહ મંત્રાલયમાં અપીલ દાખલ
કરી છે. પરિવારનો દાવો છે કે, આબિદા સુલતાને પોતાના પિતાના જીવતાં જ ભોપાલ રજવાડા પરનો પોતાનો અધિકાર જતો કર્યો હતો; તેથી, આ સંપત્તિ 'શત્રુ સંપત્તિ'ના દાયરામાં નથી આવતી.
રસપ્રદ વાત એ છે કે, પહેલાં સરકારે ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનનાં બીજાં પુત્રીને નવાબ
માન્યાં હતાં. તેમના પછી તેમના પરિવારના સભ્યોને પણ આ પદવી મળી.
હવે સરકાર ભોપાલના તત્કાલીન નવાબનાં મોટાં પુત્રી આબિદા સુલતાનને સત્તાવાર ઉત્તરાધિકારી માની રહી છે. આ દૃષ્ટિએ ભોપાલ નવાબ સાથે જોડાયેલી સંપત્તિઓને 'શત્રુ સંપત્તિ' માની રહી છે.
હવે જોવાનું એ રહે છે કે, મિલકતોનો નિર્ણય શો આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












