You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કેરળમાં ઓણમ પછી કોરોના કેસોમાં વધારો પણ ભારતમાં ત્રીજી લહેર ક્યારે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથને એક મુલાકાતમાં કહ્યું છે કે ભારતમાં મહામારી ઍન્ડેમિક સ્ટેજ પરપ પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે.

લાઇવ કવરેજ

  1. શું ભારતમાં કોરોના વાઇરસ રોગચાળોની સ્ટેજને પાર કરી ગયો છે? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં વૈજ્ઞાનિકે શું જણાવ્યું?

    એક તરફ ભારતમાં કોરોના વાઇરસની ત્રીજ લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે સંભાવના છે કે ભારતમાં કોરોના વાઇરસ એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યો છે જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ રીતે ફેલાઈ રહ્યું છે.

    એન્ડેમિક સ્ટેજ એટલે કે જ્યારે વસતી વાઇરસની સાથે રહેતા શીખી જાય છે. આ રોગચાળો કરતાં અલગ સ્ટેજ છે. રોગચાળામાં મોટા પ્રમાણમાં વસતી કોઈ રોગથી અસરગ્રસ્ત થાય છે.

    ન્યૂઝ વેબસાઇટ ધ વાયર માટે પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારતની વિશાળ વસતી અને તેની વિવિધતા તથા દેશમાં અલગઅલગ ભાગોમાં લોકોની રોગ પ્રતિકારકશક્તિને જોતાં દેશના વિવિધ ભાગોમાં આ રીતે પરિસ્થિતિ બદલાયા કરશે.

    તેમણે કહ્યું, "આપણે એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યા હોઈએ એવું બની શકે છે જેમાં વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ ગતિએ ફેલાય, આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો નથી જોયો."

    ડૉ સ્વામીનાથને કહ્યું, "જ્યાં સુધી ભારતનો સવાલ છે તેની વસતી અને તેની વિવિધતા તથા અલગઅલગ ભાગોમાં રહેતા લોકોની રોગ પ્રતિકારકશક્તિની સ્થિતિને જોતાં એવું શક્ય છે કે આપણે કોરોના વાઇરસનાં સંક્રમણની પરિસ્થિતિમાં ફેરફારો જોઈએ, ખાસ કરીને દેશના એ ભાગોમાં જ્યાંના લોકો સંક્રમણથી વધારે પ્રભાવિત થયા હોય.”

    “એવા ભાગો જે પ્રથમ અને બીજી લહેરમાં વધારે પ્રભાવિત ન થયા હોય અથવા જ્યાં ઓછા પ્રમાણમાં રસીકરણ થયું હોય ત્યાં કોરોના મહામારીની પીક અથવા તેમાં ઘટાડો જોવા મળી શકે છે.”

    તેમણે કહ્યું કે "વર્ષ 2022ના અંત સુધી આપણે કહી શકીશું કે આપણે 70 ટકા રસીકરણ કરી લીધું છે અને પછી અલગઅલગ દેશો સામાન્ય જીવન તરફ વધી શકે છે."

    કોરોના વાઇરસની ત્રીજી લહેરની બાળકો પર કેવી અસર રહેશે તેને લઈને આંશકાઓ વ્યક્ત કરવામાં આવે છે, તેનું મુખ્ય કારણ છે હજી સુધી બાળકોને કોરોનાની રસી ન મળવી.

    ડૉ સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે બાળકોના વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.

    તેમણે કહ્યું, સીરો સર્વેના તારણો અને અન્ય દેશોના અનુભવોથી સમજી શકાય છે કે બાળકો સંક્રમિત થાય અને અન્યોમાં સંક્રમણ ફેલાવે તેની સંભાવના છે પરંતુ તેઓ કોરોના વાઇરસથી ગંભીર રૂપે બીમાર પડે તેની સંભાવના ઓછી હોય છે, બહુ ઓછા પ્રમાણમાં બાળકો બીમાર પડે છે અને ઇન્ફ્લેમેટરી કૉમ્પલિકેશન અને કોરોના વાઇરસથી તેમનાં મૃત્યુ થાય તેનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. જોકે આપણે તૈયાર રહેવું જોઈએ જેમકે હૉસ્પિટલમાં બાળકોને દાખલ કરવા માટેની તૈયારીઓ, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કૅર યુનિટ્સને તૈયાર કરવાથી અન્ય બીમારીથી પીડિત બાળકોને પણ મદદ મળશે, પરંતુ આપણે એવી ચિંતા ન કરવી જોઈએ કે હજારો બાળકોને આઈસીયુમાં દાખલ કરવાની પરિસ્થિતિ આવશે."

    કોરોનાની ત્રીજી લહેર અંગે તેમણે કહ્યું કે કોઈ આ અંગે ભવિષ્યવાણી ન કરી શકે અને આ અશક્ય છે.

    ડૉ સ્વામીનાથને કહ્યું, "ત્રીજી લહેર ક્યાં અને ક્યારે આવશે એની ભવિષ્યવાણી કરવી અશક્ય છે. જોકે સંક્રમણને અસર કરતા અલગઅલગ પરિબળોના આધારે ધારી શકાય કે શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે."

  2. રાજકોટ : કપાસનો પાક કથિત પ્રદૂષણને કારણે ખરાબ થયો, ખેડૂતે કરી આત્મહત્યા

    રાજકોટ જિલ્લાના વેગડી ગામના એક ખેડૂતે કથિત રીતે પ્રદૂષણના કારણે પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી છે.

    સ્થાનિકોનું કહેવું છે ખેતર નજીક GIDCના પ્રદૂષણને કારણે છેલ્લા બે વર્ષથી ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ રહ્યો છે.

    ખેડૂતની આત્મહત્યા બાદ તેમની ચાર દીકરીઓ નિરાધાર બની ગઈ છે.

    આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

  3. ચીનના વુહાનમાંથી ફેલાયો કોરોના વાઇરસ? - અમેરિકાની એજન્સીની તપાસમાં શું જાણવા મળ્યું?

    મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે અમેરિકાની ઇન્ટેલિજેન્સ એજન્સીની તપાસ કોઈ નિષ્કર્ષ સુધી નથી પહોંચી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે ઇન્ટેલિજેન્સ એજન્સીને તપાસનો નિર્દેશ આપ્યો હતો.

    એજન્સીઝ એ વાતને લઈને એકમત નથી કે વાઇરસ પશુમાંથી પ્રાકૃતિક રૂપે માનવમાં પ્રવેશ્યો કે લૅબોરેટરીમાંથી ભૂલવશ ફેલાયો.

    આ રિપોર્ટનો સારાંશ આવનારા દિવસોમાં પ્રકાશિત થવાની સંભાવના છે.

    ચીનના વિદેશ મંત્રીએ આ રિપોર્ટને ‘વિજ્ઞાનની વિરુદ્ધ’ ગણાવીને ફગાવ્યો હતો.

    વાંગ યીએ કહ્યું કે અમેરિકાએ માત્ર રાજકારણના હિતોને સાધતા એક રિપોર્ટને ખાતર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા રિસર્ચને ન ગણકાર્યો.

    2020ની શરૂઆતમાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના મહામારી ફેલાઈ જેણે દુનિયામાં 40 લાખ જેટલા લોકોનો ભોગ લેવાયો છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ વર્ષની શરૂઆતમાં વુહાનની મુલાકાત લીધી હતી અને પોતાના રિપોર્ટમાં આ ટીમે સંભાવના વ્યક્ત કરી હતી કે આ વાઇરસ સ્થાનિક માર્કેટમાં વેચાતા પશુઓમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો હોઈ શકે છે.

    આ રિપોર્ટને એવી રીતે જોવામાં આવ્યો કે તેમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાંથી ભૂલવશ વાઇરસ ફેલાયા હોવાની આશંકાને ફગાવી દેવાં આવી છે.

    કેટલાક વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટને નકાર્યો હતો.

    મે મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની ઇન્ટેલિજેન્સ એજન્સીઓને 90 દિવસમાં કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    વુહાન લૅબના કેટલાય વૈજ્ઞાનિકો નવેમ્બર 2019 માં હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને લૅબોરેટરીમાંથી વાઇરસ લીક થયા હોવાની થિયરની વિસ્તૃત તપાસમાં ચીનનો અસહયોગ, આ બે કારણ હતા જેનાથી જો બાઇડનને આ તપાસનો નિર્દેશ આપવા માટે પ્રેરાયા હતા.

  4. અફઘાનિસ્તાન પર કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

    કેન્દ્ર સરકારે ગુરુવારે અફઘાનિસ્તાન પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સવારે 11 વાગ્યે આ બેઠક શરૂ થશે.

    સોમવારે વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે વિદેશ મંત્રાલય બધા દળોના નેતાઓની સાથે અફઘાનિસ્તાનના મામલા પર ચર્ચા કરશે અને તેમને વર્તમાન પરિસ્થિતિની જાણકારી આપશે.

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછીથી ભારતનો અભિગમ અસમંજસવાળો રહ્યો છે.

    ગત દિવસોમાં ભારત પોતાના 146 નાગરિકોને સુરક્ષિત સ્વદેશ લાવ્યું છે જેમાં હિંદુ અને શીખ સમુદાયના અફઘાન નાગરિકો પણ સામેલ છે.

  5. કાબુલ ઍરપૉર્ટ પર આતંકવાદી હુમલાની ચેતવણી

    અમેરિકા અને બ્રિટને સુરક્ષા સામે ખતરાને જોતાં પોતાના નાગરિકોને કાબુલ ઍરપૉર્ટ તરફ ન જવાની ચેતવણી આપી છે.

    બંને દેશોના હજારો નાગરિકો કાબુલ ઍરપૉર્ટની બહાર અને અંદર સ્વદેશ પાછા જવા માટે રાહ જોઈ રહ્યા છે. એવામાં બુધવારે બંને દેશોએ આ નાગરિકોને સુરક્ષાને લઈને એલર્ટ કર્યા છે.

    આતંકવાદી હુમલાની આશંકા વચ્ચે આ બંને દેશોએ પોતાના નાગરિકોને ઍરપૉર્ટ તરફ ન જવાની ચેતવણી આપી છે.

    ગત દસ દિવસમાં કાબુલથી 82 હજાર લોકોને સુરક્ષિત બહાર લઈ જવામાં આવ્યા છે, 31 ઑગસ્ટ સુધી આ બંને દેશો અફઘાનિસ્તાન ખાલી કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

    અમેરિકાના વિદેશ સચિવ ઍન્ટની બ્લિંકન મુજબ તાલિબાને દેશ ખાલી કરવાની ડેડલાઇનને લંબાવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમનું કહેવું છે કે 31 ઑગસ્ટ પછી પણ વિદેશી અને અફઘાન નાગરિકો દેશ છોડીને જઈ શકશે.

    પોતાના એલર્ટમાં અમેરિકન વિદેશ વિભાગે કહ્યું છે કે જે લોકો ઍરપૉર્ટથી ઈસ્ટ અને નૉર્થ ગેટ પર દેશ છોડીને જવાની રાહ જોઈ રહ્યા છે તેઓ તરત ત્યાંથી નીકળી જાય.

    આની પહેલાં બ્રિટનના વિદેશ કાર્યાલયનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ 'અસ્થિર' છે અને અહીં આતંકવાદી હુમલાનો ખતરો પણ છે.

    જોકે બંને દેશોએ સુરક્ષાને ખતરા અંગે વિસ્તૃત માહિતી નથી આપી.

  6. નમસ્તે, ગુડ મૉર્નિંગ.

    બીબીસી ગુજરાતીના આ લાઇવ અપડેટ પેજ પર ફરીથી આપનું સ્વાગત છે. અહીં અમે આપને દિવસ દરમિયાન તમામ મહત્ત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો આપીશું. એ ઉપરાંત અગત્યના મુદ્દાઓ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.