You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પંજાબ : અમૃતપાલ સિંહના 'સરેન્ડર' વિશે પોલીસે શું કહ્યું?

અમૃતપાલ સિંહના દરબાર સાહિબ જવા અને સરેન્ડર કરવાની અટકળો પર પંજાબ પોલીસના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

લાઇવ કવરેજ

  1. અમૃતપાલ સિંહના 'સરેન્ડર' વિશે પંજાબ પોલીસે શું કહ્યું?

    અમૃતપાલ સિંહના દરબાર સાહિબ જવા અને સરેન્ડર કરવાની અટકળો પર પંજાબ પોલીસના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

    આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે. જ્યારે એવી અટકળો ચાલી રહી હતી કે અમૃતપાલ સિંહ સરેન્ડર કરી શકે છે.

    જોકે, આ પહેલાં અમૃતસરના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે દરબાર સાહિબમાં કહ્યું હતું કે તેમની પાસે અમૃતપાલ સિંહના સરેન્ડર વિશે પર્યાપ્ત માહિતી પ્રાપ્ત નથી.

    બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રોબિન સાથેની વાતચીતમાં નૌનિહાલ સિંહે કહ્યું, "હું અહીં માત્ર માથું ટેકવા આવ્યો છું."

    અમૃતપાલ સિંહના 'સરેન્ડર' વિશે તેમણે કહ્યું. "જો કોઈ આત્મસમર્પણ કરવાનો ઈરાદો રાખતું હોય તો હું આશ્વાસન આપું છું કે તેમની સાથે કોઈ ભેદભાવ કે દુર્વ્યવહાર નહીં કરવામાં આવે. જો કોઈ અટકળ હોય તો હું તેની પુષ્ટિ કરી શકતો નથી પરંતુ અમે કાયદા અનુસાર કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે."

  2. ગૂગલે ચૂકવવી પડશે 1,337.76 કરોડ રૂપિયા પૅનલ્ટી

    ગૂગલ પર કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ લગાવેલી 1,337.76 કરોડ રૂપિયાની પૅનલ્ટીને નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રીબ્યુનલે (એનસીલૅટ) યોગ્ય ઠેરવી છે.

    એનસીલૅટની બે જજોની બૅન્ચે ગૂગલને 30 દિવસમાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

    બૅન્ચે ગૂગલની એ દલીલોને રદિયો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સીસીઆઈનો આદેશ નેચરલ જસ્ટિસના સિદ્ધાંતના વિરોધમાં છે.

    જોકે, તેમણે સીસીઆઈના ઑર્ડરમાં કેટલાક ફેરફાર કર્યા છે.

    એનસીલૅટનું કહેવું છે કે ગૂગલની પ્રતિસ્પર્ધી-વિરોધી નીતિઓ વિશે સીસીઆઈની વાત યોગ્ય છે અને કંપનીએ પૅનલ્ટી ચૂકવવી પડશે.

  3. સુરતમાં આ દંપતીએ 'મની હાઇસ્ટ'ની સ્ટાઇલથી મેળવી બિઝનેસમાં સફળતા

  4. કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની 2017ના કેસની 3 મહિનાની સજા રદ, મહેસાણા કોર્ટનો નિર્ણય

    વડગામથી કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીનાં નેતા રેશ્મા પટેલની 3 મહિનાની સજા મહેસાણાની સેશન્સ કોર્ટે રદ કરી છે.

    વર્ષ 2017ના આઝાદી કૂચમાં ત્રણ મહિનાની જે સજા હતી તેને ખારિજ કરવામાં આવી છે.

    મહેસાણાથી ધાનેરા સુધી વર્ષ 2017માં કરેલી આઝાદી કૂચ મામલે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ, કૌશિક પરમાર સહિતના દોષિતોને સજા કરતી મહેસાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના 3 માસની સજાની સામે સેશન્સ કોર્ટમાં કરેલ અપીલમાં તમામ દોષિતોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

    જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ‘આ ચુકાદાનું હું સ્વાગત કરું છું. જજે ખુદ કોર્ટમાં કહ્યું કે કેસ પાયાવિહોણો છે. આસામના કેસમાં પણ આવું જ છે. આશા છે એમાં પણ મને ન્યાય મળશે.’

    આ વિશે આપ પાર્ટીનાં નેતા રેશ્મા પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી.

  5. કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર, 10મેના રોજ ચૂંટણી, 13 મેએ પરિણામ

    ચૂંટણી પંચે આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ચૂંટણીઓની તારીખની જાહેરાત કરાઈ છે.

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10મેના રોજ યોજાશે અને 13મી મેના રોજ પરિણામ એટલે કે મતગણતરી છે.

    એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી પંચ રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી.

    કર્ણાટક વિધાનસભાનું સત્ર 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે.

    ભાજપે આ ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. અને કૉંગ્રેસે ગત દિવસોમાં પોતાના 124 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

    ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224માંથી 104 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરનારી પાર્ટી બની હતી.

    કૉંગ્રેસે 78 બેઠકો પર અને જેડીએસને 37 બેઠકો પર જીત મળી હતી.

    ત્યારે 2018માં કૉંગ્રેસ અને જનતા દળ સૅક્યુલરની ગઠબંધનની સરકારી બની હતી. પણ 15 ધારાસભ્યોએ પોતાના પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.

    એટલે પછી ભાજપે સરકાર બનાવી લીધી હતી.

  6. ડૉ. ચગ આત્મહત્યા: ગુજરાત હાઈકોર્ટે તપાસ અધિકારીને ખાનગી વકીલ નિયુક્ત કરવા કહ્યું

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત હાઇકોર્ટે મંગળવારે ડૉ. અતુલ ચગની કથિત આત્મહત્યાના મામલામાં તપાસ અધિકારીને આદેશ આપ્યો કે રાજ્યના સરકારી વકીલ દ્વારા પ્રતિનિધિત્વ કરવાના બદલે ખાનગી વકીલને સામેલ કરવામાં આવે.

    આ કેસમાં એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી શરૂ કરવા માટે માગ કરાઈ રહી હતી, ત્યારે કોર્ટ ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.

    અરજીમાં કરવામાં આવેલા પ્રતિવાદી પક્ષોમાં વેરાવળના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ઇરાની, જેઓ કેસના તપાસ અધિકારી (IO) છે, વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર, ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક અને DIG મયંકસિંહ ચાવડાનો સમાવેશ થાય છે.

    હાઇકોર્ટે 15 માર્ચે પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી અને તેને 28 માર્ચે પરત કરવાનું કહેવામાં આવ્યુ હતું.

    જ્યારે પ્રતિવાદીઓએ તેમના જવાબો દાખલ કર્યા ન હતા, ત્યારે સરકારી વકીલ મિતેશ અમીને કોર્ટને તપાસ અધિકારીના તારણો અને અત્યાર સુધીની તપાસની જાણ કરી હતી, જેણે પ્રાથમિક દૃષ્ટિએ તારણ કાઢ્યું હતું કે, IPC કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ "કોઈ નોંધનીય ગુનો" કરવામાં આવ્યો નથી.

    વેરાવળમાં ડૉ. ચગની હૉસ્પિટલ હતી, 12 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

    તેમના ઘરેથી એક કથિત સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર કથિત રૂપે તેમને આ પગલું ભરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

    શું હતો આ સમગ્ર મામલો એ જાણવા અહીં ક્લિક કરો

  7. કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર ઉઠતા સવાલો પર વડા પ્રધાન મોદી શું બોલ્યા?

    ભારતીય જનતા પક્ષના મુખ્ય કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારનું લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ ફરી એકવાર કૉંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, જ્યારે તેમની પર એજન્સીઓ કાર્યવાહી કરે છે, ત્યારે એજન્સીઓ પર હુમલો કરવામાં આવે છે.”

    તાજેતરના દિવસોમાં આવેલા કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યા વિના વડા પ્રધાન મોદીએ આ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જ્યારે કોર્ટ કોઈ નિર્ણય આપે છે, ત્યારે કોર્ટ પર સવાલો ઊભા થાય છે. કેટલાક પક્ષોએ સાથે મળીને ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે.”

    વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “બંધારણીય સંસ્થાઓ આપણા દેશનો પાયો છે. તેથી જ આજકાલ આ સંસ્થાઓ પર પ્રહાર કરવામાં આવે છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની વિશ્વસનીયતા ખતમ કરવાનું કાવતરું રચવામાં આવે છે.”

    વિપક્ષી એકતા પર આરોપ લગાવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “આજે તમામ ભ્રષ્ટાચારી એક મંચ પર આવી રહ્યા છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરેલા અભિયાને આજે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ બંનેના મૂળિયા હલાવી દીધા છે.”

    વડા પ્રધાન મોદીએ કહ્યું, “દુનિયામાં ભારતના વાગી રહેલા ડંકાને કારણે ભારત વિરોધી શક્તિઓનું એકજૂથ થવું સ્વાભાવિક છે. આ શક્તિઓ કોઈક રીતે ભારત પાસેથી વિકાસનો કાળખંડ છીનવી લેવા માગે છે.”

    વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?

    દેશની જનતા જોઈ રહી છે કે અગાઉની સરકારે ભ્રષ્ટાચારના નામે માત્ર ખાનાપૂર્તિ કરી છે.

    કૉંગ્રેસના નેતાઓ એક સમયે કહેતા હતા- તેઓ જનસંઘને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. આજની કૉંગ્રેસ કહે છે- મોદી, તમારી કબર ખોદવામાં આવશે.

    લોકોના આશીર્વાદથી જ આપણે ટકી શક્યા છીએ અને ખીલ્યા છીએ. દેશવાસીઓના પ્રેમથી વધ્યા છીએ. આ આપણી મૂડી છે. દેશવાસીઓના આશીર્વાદથી આપણે પ્રગતિ કરી છે, પ્રગતિ કરી રહ્યા છે અને કરતા જ રહીશું.

    ભાજપ એવો પક્ષ નથી, જે અખબારો અને ટીવી સ્ક્રીનની ચમકથી પેદા થયો હોય. ભાજપ પોતાના કાર્યકરોના બળ પર અને જમીન પર કામ કરીને આગળ વધ્યું છે. તે ગરીબોની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધ્યું છે.

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    28 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.