You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડકપ જીત્યો, દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું

યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન રમાઈ રહેલી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી.

લાઇવ કવરેજ

  1. મહિલા ટી20 વર્લ્ડકપ ફાઇનલ: ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચૅમ્પિયન, દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું

    આ સાથે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. આ પૂર્વે ઑસ્ટ્રેલિયાએ 6 ફાઈનલ પૈકી પાંચમાં જીત મેળવી હતી.

    જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકા માટે પુરુષ અને મહિલા ક્રિકેટ બંનેના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલ રમવાનો અવસર હતો.

    યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન રમાયેલી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી.

    ઑસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.

    ઑસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકાને જીત માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 6 વિકેટે માત્ર 137 રન બનાવી શક્યું હતું.

    દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની નિયમિત અંતરે વિકેટ ખેરવી હતી. જોકે બેથ મૂની પોતાની વિકેટ બચાવામાં સફળ રહ્યાં હતાં. મૂનીએ 53 બૉલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા.

    ઑસ્ટ્રેલિયા તરફથી ઑપનર એલિસા હેલીએ 20 બૉલમાં 18 રન, આક્રમક બૅટર અને ઊંચા શૉટ મારવા માટે જાણીતાં ગાર્ડનરે 21 બૉલમાં 29 રન, ગ્રેસ હૅરિસે 9 બૉલમાં 10 રન બનાવ્યા હતા.

    દક્ષિણ આફ્રિકા તરફથી બૉલર શબનીમે અને મેરીઝાનેએ 2-2 વિકેટ ઝડપી હતી.

    દક્ષિણ આફ્રિકા તરફથી તઝમીને 17 બૉલમાં 10 રન, મેરીઝાને 11 બૉલમાં 11 રન કર્યાં હતાં. જ્યારે કપ્તાન સુને લૂસ 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને રન આઉટ થયાં હતાં.

    એક તબક્કે આફ્રિકાએ 10.4 ઓવરમાં માત્ર 54 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી. લૉરા વુલવર્ટે એક છેડો સાચવીને 43 બૉલમાં અર્ધશતક પૂરૂ કર્યું હતું અને મૅચનો રોમાંચ જાળવી રાખ્યો હતો.

    પરંતુ તેઓ 48 બૉલમાં 61 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

    ક્લૉ ટ્રિયોને 23 બૉલમાં 25 રન કર્યા હતા. અન્ય કોઈ દક્ષિણ આફ્રિકી બૅટર ઑસ્ટ્રેલિયન બૉલરનો સામનો કરીને ઝડપી રન બનાવવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.

    ઑસ્ટ્રેલિયાએ ચુસ્ત ફિલ્ડિંગનો પણ પરિચય આપ્યો હતો.

  2. મનીષ સિસોદિયાની ધરપકડ પર કેજરીવાલ શું બોલ્યા?

    દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોમાં 'બહુ ગુસ્સો' છે અને તેઓ બધું જોઈ રહ્યા છે.

    સિસોદિયાની ધરપકડ બાદ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષથી ધરપકડથી લોકોમાં બહુ રોષ છે અને તેઓ બધું જોઈ રહ્યા છે. લોકોને બધું સમજાઈ રહ્યુ છે. લોકો તેનો જવાબ આપશે. તેનાથી અમારો ઉત્સાહ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત થશે."

  3. મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકાને જીત માટે 157 રનનો ટાર્ગેટ

    યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન રમાઈ રહેલી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી.

    ઑસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકાને જીત માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ઑસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.

    દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની નિયમિત અંતરે વિકેટ ખેરવી હતી. જોકે બેથ મૂની પોતાની વિકેટ બચાવામાં સફળ રહ્યાં હતાં. મૂનીએ 53 બૉલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા.

    ઑસ્ટ્રેલિયા તરફથી ઑપનર એલિસા હેલીએ 20 બૉલમાં 18 રન, આક્રમક બૅટર અને ઊંચા શૉટ મારવા માટે જાણીતાં ગાર્ડનરે 21 બૉલમાં 29 રન, ગ્રેસ હૅરિસે 9 બૉલમાં 10 રન બનાવ્યા હતા.

    દક્ષિણ આફ્રિકા તરફથી બૉલર શબનીમે અને મેરીઝાનેએ 2-2 વિકેટ ઝડપી હતી.

  4. સિસોદિયાની ધરપકડ: આપ અને ભાજપે શું કહ્યું?

    સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

    સીબીઆઈ દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડના આરોપોની તપાસ કરી રહી છે.

    મનીષ સિસોદિયા વિરુદ્ધ ઘણા મહિનાઓથી તપાસ ચાલી રહી હતી. રવિવારે સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

    સીબીઆઈ ઑફિસ જતા પહેલાં જ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આજે તેમની ધરપકડ થઈ શકે છે.

    લાઈવ લૉના ટ્વીટ અનુસાર દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે મનીષ સિસોદિયાની ધરપકડને તાનાશાહીની ટોચ ગણાવી છે.

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ટ્વિટર પર લખ્યું, "સિસોદિયાની ધરપકડ તાનાશાહીની ટોચ છે. મોદીજી, તમે એક સારા વ્યક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણમંત્રીની ધરપકડ કરીને સારું કર્યું નથી, ભગવાન પણ તમને માફ નહીં કરે. મોદીજી, એક દિવસ તમારી તાનાશાહી ચોક્કસ ખતમ થશે."

    ભાજપ કાર્યકર્તા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા લખ્યું છે, 'મનીષ સિસોદિયાને દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે.'

    'હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે તો જેલમાં જઈ ચૂક્યા છે, હવે નંબર કેજરીવાલનો છે.'

    બીજી તરફ આમ આદમી પાર્ટીએ સિસોદિયાની ધરપકડને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે.

    એક ટ્વિટમાં 'આપ' પાર્ટીએ કહ્યું, "લોકશાહી માટે કાળો દિવસ! કરોડો બાળકોના ભવિષ્યને ઘડનાર વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ભાજપની સીબીઆઈએ એક નકલી કેસમાં ધરપકડ કરી છે. રાજકીય દુશ્મનાવટના કારણે ભાજપે આ ધરપકડ કરી છે."

    આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાઘવ ચડ્ઢાએ ટ્વીટ કરીને લખ્યું છે, 'જેલનાં તાળાં તૂટશે, મનીષ સિસોદિયા છૂટશે'.

  5. બ્રેકિંગ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ

    દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    સીબીઆઈ દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડના આરોપોની તપાસ કરી રહી છે.

    મનીષ સિસોદિયા વિરુદ્ધ ઘણા મહિનાઓથી તપાસ ચાલી રહી હતી.

    રવિવારે સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સીબીઆઈ ઑફિસ જતા પહેલા જ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આજે તેમની ધરપકડ થઈ શકે છે.

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે મનીષ સિસોદિયાની ધરપકડને તાનાશાહીની ટોચ ગણાવી છે.

  6. મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલ : ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી

    મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે.

    યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન પર 5 વખતનું ટી-20 ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા આજે રવિવારે તેમની સાતમી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં રમી રહ્યું છે.

    આ પૂર્વે ઑસ્ટ્રેલિયાએ 6 ફાઈનલ પૈકી પાંચમાં જીત મેળવી છે.

    જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકા માટે પુરુષ અને મહિલા ક્રિકેટ બંનેના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલ રમવાનો અવસર આવ્યો છે.

    11 વખત સેમિફાઇનલ રમ્યા પછી દક્ષિણ આફ્રિકાના કપ્તાન સુને લુસે ફાઈનલમાં પ્રવેશી નહીં શકવાનું મેણું ભાંગ્યું છે.

    ઑસ્ટ્રેલિયા ભારત સામે સેમિફાઇનલમાં સહેજ માટે હારતા બચી ગયું હતું, જ્યારે સારી રનરેટના સહારે માંડ સેમિફાઇનલમાં પ્રવેશેલી દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લૅન્ડ સામેની મૅચ છેલ્લી ઓવરમાં જીતી હતી.

    ઑસ્ટ્રેલિયાનો પક્ષ મજબૂત મનાઈ રહ્યો છે. તેમની પાસે ડઝન જેટલી વર્લ્ડકપ ફાઇનલ રમવાનો અનુભવ છે અને મજબૂત બૅટર-બૉલર છે.

    દક્ષિણ આફ્રિકાની ટીમે અપેક્ષા કરતાં વધારે સારું પ્રદર્શન કર્યું હોવાથી તેની ઉપર ભારણ નથી. ટીમ મુક્તમને રમી શકે છે.

    દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં ઈંગ્લૅન્ડને પછાડીને અપસેટ સર્જી ચૂક્યું છે. વધુ એક અપસેટ સર્જે તો નવાઈ નહીં.

    ઑસ્ટ્રેલિયાએ ગ્રૂપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકાને આરામથી હરાવી દીધું હતું. જોકે લુસ કહે છે કે તેમની ટીમે હારમાંથી શીખ મેળવી છે.

    દક્ષિણ આફ્રિકાનું મજબૂત પાસું એ છે કે તેમની પાસે મેરિઝેન કેપ, શબનિમ ઈસ્માઈલ અને અયાબોંગા ખાકા જેવાં વિશ્વ શ્રેષ્ઠ ફાસ્ટ બૉલર છે.

    જ્યારે ઑસ્ટ્રેલિયાનું સૌથી મોટું જમા પાસું એ છે કે ઑસ્ટ્રેલિયાએ તેમની છેલ્લી 20 ટી-20માંથી 19 જીતી છે.

    ચપળ ફિલ્ડિંગ પણ ઑસ્ટ્રેલિયાનું જમા પાસું છે, તેઓ બાઉન્ડરી બચાવે છે, એક-એક રન બચાવી જાણે છે.

  7. ભારતનું એક એવું શહેર, જ્યાં ગટરમાંથી 'સોનું' નીકળે છે

  8. ઇટાલીમાં પ્રવાસી મજૂરોને લઈ જતી નાવ ડૂબી, કમસે કમ 27નાં મોત

    ઇટાલીના દક્ષિણ વિસ્તારમાં પ્રવાસી મજૂરોને લઈને જતી એક નાવ ડૂબી ગઈ છે, જેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોતની આશંકા છે.

    ઇટાલીના મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના કમસે કમ 27 મૃતદેહ મળ્યા છે.

    આ મૃતદેહોમાં એ પણ સામેલ છે, જે કાલાબ્રિયાના ક્રોટોન શહેરના સાગરતટથી મળ્યા છે.

    પ્રશાસન દ્વારા ત્યાં શોધ અને બચાવકાર્ય ચાલુ છે.

    એક સ્થાનિક ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે પ્રવાસી મજૂરોથી ભરેલી નાવના સાગરની મધ્યમાં બે ટુકડા થઈ ગયા હતા.

    ઘટના અંગે વધુ જાણકારી મળી રહી છે.

  9. એ બીમારી જેમાં ચામડી પોતાનો રંગ ખોઈ દે છે તે વિટીલાઇગો શું છે?

  10. કલોલ : બ્રિજકુમાર યાદવને યુએસમાં ગેરકાયદેસર ઘૂસાડવાના કેસમાં બેની ધરપકડ

    કલોલના યુવાન બ્રિજકુમાર યાદવના મૅક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા દિવાલ કૂદતા થયેલા મોતના મામલે ગુજરાત પોલીસે માનવ તસ્કરીના ગુના હેઠળ બે એજન્ટની ધરપકડ કરી છે.

    ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ટાંકવામાં આવેલા સમાચાર સંસ્થા પીટીઆઈના એક અહેવાલ અનુસાર આ મામલે સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી એક અમદાવાદની વ્યક્તિ છે જ્યારે બાકીના આરોપીઓ ગાંધીનગરથી હોવાનું પોલીસે શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું.

    આ સાત આરોપીઓમાંથી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

    પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સાત લોકોએ બ્રિજકુમાર યાદવ અને તેમના પરિવાર પાસેથી નાણાં પડાવવા માટે તેમને, તેમનાં પત્ની પુજા, અને પુત્ર તન્મયને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે યાદવને આ રીતે અમેરિકામાં પ્રવેશ કરવામાં જોડાયેલાં જોખમો વિશે જાણ કરી નહોતી.”

    બ્રિજકુમાર યાદવ અને તેમના પરિવારને 11 નવેમ્બર, 2022ના રોજ મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેઓ ઇસ્તંબુલ ગયા હતાં અને ત્યાંથી તેમને કોઈક રીતે મૅક્સિકો પહોંચાડવામાં આવ્યાં હતાં.

    આ ઘટના શું હતી તે વાંચવા અહીં ક્લિક કરો

    મૅક્સિકો-અમેરિકાની સરહદે ટ્રમ્પ વૉલ તરીકે ઓળખાતી દિવાલ પર ચઢીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના પ્રયાસમાં 21 ડિસેમ્બર, 2022ના રોજ દિવાલ નીચે પટકાતા બ્રિજકુમાર યાદવનું મૃત્યુ થયું હતું.

    તેમના પત્ની અને ત્રણ વર્ષના પુત્રને આ ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી હતી.

    મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યાદવ તેમના પરિવાર સાથે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં રહેતા હતા.

    અમેરિકાના મીડિયા પ્રમાણે ત્રણેય સભ્યો ઘણી ઊંચાઈ પરથી નીચે પટકાયાં હતાં. યાદવનાં પત્ની દિવાલ પરથી અમેરિકા તરફ પટકાયાં હતાં, જ્યારે તેમનો પુત્ર મૅક્સિકો તરફ પટકાયો હતો.

    યાદવના મૃત્યુ બાદ કલોલ તાલુકા પોલીસે માનવ તસ્કરીનો ગુનો નોંધ્યો હતો.

  11. આ દેશની નવી જેલમાં ટૅટૂવાળા સેંકડો કેદીઓને કેમ પૂરવામાં આવ્યા છે?

  12. અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'?

    અમદાવાદના સ્થાપના દિવસે જાણો શહેરના ઇતિહાસની કહાણી

  13. મનીષ સિસોદિયા પૂછપરછ માટે પહોંચ્યા, સીબીઆઈ ઓફિસ બહાર 144ની કલમ લાગુ

    દિલ્હી ઍક્સાઇઝ પૉલિસી કેસમાં પૂછપરછ માટે નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા સીબીઆઈની ઓફિસે પહોંચ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે આસપાસના વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી છે.

    અગાઉ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદિયાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી.

    સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થતા પહેલાં મનીષ સિસોદિયા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજઘાટ પહોંચ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ રસ્તા પર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

    આપના કાર્યકર્તાઓએ 'શિક્ષા મંત્રી તુઝે સલામ' જેવા સૂત્રો લખેલાં પોસ્ટરો હાથમાં પકડ્યાં હતાં.

    આપનાં નેતા આતિશીએ કહ્યું, "અમે આજે રાજઘાટ આવ્યા છીએ કારણકે ગાંધીજી સત્ય અને સંઘર્ષનું પ્રતીક છે અને તેઓ સચ્ચાઈ માટે સંઘર્ષ કરતા રહેશે."

    અરવિંદ કેજરીવાલે ભય વ્યક્ત કર્યો છે કે, સીબીઆઈ, મનીષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું, "ભગવાન તમારી સાથે છે મનીષ. લાખો બાળકો અને તેમના માતાપિતાની દુઆઓ તમારી સાથે છે. જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાવ છો તો જેલમાં જવું દૂષણ નહીં, ભૂષણ હોય છે."

    "પ્રભુને પ્રાર્થના કરું છું કે તમે જલદી જેલથી પરત ફરશો. દિલ્હીના બાળકો, માતાપિતા અને અમે સહુ તમારી રાહ જોઈશું."

    ત્યાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યું, "આજે ફરી વખત સીબીઆઈમાં જઈ રહ્યો છું, તમામ તપાસમાં પૂરો સહકાર આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે છે. થોડા મહિના જેલમાં પણ રહેવું પડે તો પરવા નથી."

    "ભગતસિંહના અનુયાયી છીએ, દેશ માટે ભગતસિંહ ફાંસી પર ચઢી ગયા હતા. આવા જુઠ્ઠા આરોપોને કારણે જેલ જવું તો નાની વાત છે."

    આ અગાઉ સીબીઆઈએ તેમને 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તે સમયે તેઓ દિલ્હીનું બજેટ બનાવવામાં વ્યસ્ત હતા, કારણકે દિલ્હી સરકારમાં નાણાં વિભાગ પણ મનીષ સિસોદિયા પાસે જ છે.

    સિસોદિયાની ગત વર્ષે 17 ઑક્ટોબરે પણ પૂછપરછ કરવામાં આવી હતી. એ પૂછપરછ લગભગ નવ કલાક સુધી ચાલી હતી.

    મનીષ સિસોદિયા પર આરોપ

    તપાસ એજન્સીએ ગત 19 ઑગસ્ટે મનીષ સિસોદિયા અને 14 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    તપાસ એજન્સીનો આરોપ છે કે નવી આબકારી નીતિ લાગૂ થયાં બાદ સરકારી તિજોરીને નુકસાન થયું. એ જ રીતે આરોપીઓએ લાઇસન્સ ધરાવતા શરાબના વેપારીઓને અયોગ્ય લાભ અપાવવાના ઇરાદાથી નવી શરાબ નીતિમાં આપખુદીથી ફેરફાર કરવામાં આવ્યા છે.

    એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના નજીકના સહયોગી બડ્ડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના નિદેશક અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જુન પાંડે, લાયસન્સ ધારકો પાસેથી નાણાં લઈ આરોપીઓ અને સરકારી કર્મચારીઓ સુધી પહોંચાડતા હતા.

  14. “મોદીસાહેબ એવું કહે છે કે ખેડૂતોને ડબલ ભાવ મળ્યા, તો આમાં...” ગુજરાતના ડુંગળી વાવનારા ખેડૂતોની ફરિયાદ

  15. ભાજપ લલિત મોદીને બરોડા ક્રિકેટ ઍસોસિયેશનમાંથી કેમ હાંકી કાઢવા માગે છે?

    આઈપીએલના સ્થાપક અને પૂર્વ ક્રિકેટ ઍડમિનિસ્ટ્રેટર લલિત મોદીનું નામ એ 23 લોકોની યાદીમાં છે, જેમનું બરોડા ક્રિકેટ ઍસોસિયેશન(બીસીએ) નું સભ્યપદ રદ કરવાની વડોદરા શહેર ભાજપની માગ છે.

    ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2001થી વડોદરાના સ્થાનિક લોકોને બીસીએનું સભ્યપદ મળતું નથી. જ્યારે હાલમાં એવાં ઘણા લોકો છે, જે વડોદરામાં રહેતા નથી અને કેટલાકને ક્રિકેટ વિશે સમજણ સુદ્ધા નથી.

    ભાજપનો દાવો છે કે બીસીએમાં 49 સભ્યો છે, જે વડોદરામાં રહેતા નથી. જોકે, ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલી યાદીમાં માત્ર 23 નામો છે.

    આ 23 નામોમાંનું એક છે લલિત મોદીનું. ભારતમાં આઈપીએલ શરૂ કરાવનારા લલિત મોદી પણ બરોડા ક્રિકેટ ઍસોસિયેશનનું સભ્યપદ ધરાવે છે.

    વડોદરા ભાજપના પ્રમુખ ડૉ. વિજય શાહે પત્રકારપરિષદમાં જણાવ્યું કે "અમારા ધ્યાને આવ્યું છે કે 'ચોક્કસ પરિવાર અને ઉદ્યોગો'માંથી બીસીએના સભ્યો બનતા હતા. વર્ષ 2001-02થી બીસીએમાં કોઈ નવા સભ્ય ઉમેરાયા નથી. તેના 2367 સભ્યોમાંથી મોટા ભાગના માત્ર એક કંપની, એક સહકારી બૅન્ક અને ચોક્કસ પરિવાર અને સમુદાયમાંથી જ આવે છે."

    તેમણે આગળ કહ્યું, "આ લોકોમાંથી ઘણાને તો ક્રિકેટ વિશે જરા પણ સમજણ નથી. તેઓ ક્યારેય ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ ગયા હોતા નથી." આ સાથે તેમણે સભ્યપદનો મુદ્દો આગામી વાર્ષિક સામાન્ય સભામાં મૂકવાની માગ કરી હતી.

  16. ગુજરાત સરકારનો વિધાનસભામાં ખુલાસો, 'છેલ્લા બે વર્ષમાં પેપરલીકની પાંચ ઘટનામાં 121 લોકો સામે ગુનો નોંધાયો'

    ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ભરતી પ્રક્રિયાની લેખિત પરીક્ષાના પેપરલીક થવાની કુલ પાંચ ઘટનાઓ બની છે, જેમાં કુલ 121 લોકો સામે ગુનો નોંધાયો છે.

    ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં આ પ્રશ્ન પૂછ્યો હતો. લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું એ પાછલા બે વર્ષમાં તેમણે પેપરલીકને લગતા જુદાજુદા પાંચ કેસો નોંધ્યા છે.

    આ કેસો આઠ ઑક્ટોબર 2021, 12 અને 17 ડિસેમ્બર 2021, 27 માર્ચ 2022 અને 29 જાન્યુઆરી 2023ના રોજ નોંધવામાં આવ્યા છે.

    સરકારના કહેવા પ્રમાણે આ પાંચ કેસોમાં કુલ 121 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી 101ની ધરપકડ કરી લેવાઈ છે.

  17. વિરાટ કોહલીનું છલકાયું દર્દ, કહ્યું - 'લોકોએ મને નિષ્ફળ કૅપ્ટન સમજ્યો'

    રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોરના એક પૉડકાસ્ટમાં પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત આઈસીસી ટ્રૉફી વિશે વાત કરી.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે "શું ક્યારેય તમને દુખ થાય છે કે તમે આઈસીસી ટ્રૉફી જીતી ન શક્યા?"

    જવાબમાં કોહલીએ કહ્યું, "તમે ટુર્નામેન્ટ જીતવા માટે રમો છો. 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફી, 2019માં વર્લ્ડકપ, ટેસ્ટ ચૅમ્પિયનશીપ અને ટી20 વર્લ્ડકપમાં કૅપ્ટનશીપ હતી. અમે છેલ્લો ટી20 વર્લ્ડકપ હારી ગયા. ક્વૉલિફાય ન કરી શક્યા."

    "અમે 2017 ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં, વર્લ્ડકપના સૅમિફાઇનલમાં અને ટેસ્ટ ચૅમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચ્યા. ત્યાર બાદ મને એક નિષ્ફળ કૅપ્ટન માનવામાં આવ્યો."

    તેમણે કહ્યું, "હું એક ખેલાડી તરીકે વર્લ્ડકપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યો છે. હું એ ટેસ્ટ ટીમનો ભાગ હતો, જે સતત પાંચ વખત જીતી હતી. જો આપ જુઓ તો એવા ઘણા ખેલાડીઓ છે, જે ક્યારેય વર્લ્ડકપ જીતી શક્યા નથી."

    સચિન તેંડુલકરનું ઉદાહરણ આપતા કહ્યું, "હું ઘણો નસીબદાર હતો કે એ ટીમનો ભાગ બનવાની તક મળી. મેં ઘણા રન બનાવ્યા હતા અને તેના કારણે જ મારું એ ટીમમાં સિલેક્શન થયું હતું."

    "મને ક્યારેય આશા નહોતી કે એમ થશે. જે વસ્તુ જ્યારે થવાની હોય છે, ત્યારે થતી જ હોય છે. જો હું ખોટો ન હોઉં તો સચિન તેંડુલકર પોતાનો છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા હતા અને હું મારો પ્રથમ. અને અમે બંને સાથે પોતાનો પ્રથમ વર્લ્ડકપ જીત્યો છે."

  18. સમાચાર સારાંશ

    • સારાંશ રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ પ્રમુખ અમરજીતસિંહ દુલતનું માનવું છે કે વડા પ્રધાન મોદી આ વર્ષના અંત સુધીમાં કોઈ પણ રીતે પાકિસ્તાન તરફ મદદનો હાથ લંબાવી શકે છે
    • સોનિયા ગાંધીએ છત્તીસગઢના રાયપુરમાં આયોજિત કૉંગ્રેસ અધિવેશનમાં પોતાની રાજકીય કારકિર્દીને લઈને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે 'મારી રાજકીય કારકિર્દી ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ.'
    • નાઇજિરિયામાં 1999 બાદ અત્યાર સુધી સૌથી આકરી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણતરી શરૂ
    • રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર યુક્રેને જાહેર કર્યા નવા પોસ્ટલ સ્ટૅમ્પ, તેમાં છપાયેલી તસવીરમાં એક બાળક રશિયન રાષ્ટ્રપતિ પુતિનને થપ્પડ મારતો જોવા મળે છે.

    ----------------------

    નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે.

    અહીં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો સતત મળતા રહેશે.

    આપ અમારી સાથે જોડાયેલા રહો.

    25 ફેબ્રુઆરીની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો