You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારત વિ. શ્રીલંકા : ભારતે શ્રીલંકાને ત્રીજી વનડેમાં 317 રને હરાવ્યું, વનડે ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી મોટી જીત

391 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની સમગ્ર ટીમ 73 રન પર જ આઉટ થઈ ગઈ. ભારતે ત્રણ મૅચોની સિરીઝમાં શ્રીલંકાને વ્હાઇટવૉશ કર્યું હતું.

લાઇવ કવરેજ

  1. ભારત વિ. શ્રીલંકા : ભારતે શ્રીલંકાને ત્રીજી વનડેમાં 317 રને હરાવ્યું, વનડે ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી મોટી જીત

    ભારતે શ્રીલંકા સાથે વનડે સિરીઝની ત્રીજી મૅચ જીતી લીધી છે.

    તિરુવનંતપુરમમાં થયેલ ત્રીજી મૅચમાં ભારતે શ્રીલંકાને 317 રને હરાવી દીધું. આ રનોના અંતરના હિસાબે ભારતની વનડેમાં સૌથી મોટી જીત છે.

    391 રનના લક્ષ્યનો પીછો કરતાં શ્રીલંકાની સમગ્ર ટીમ 73 રન પર જ આઉટ થઈ ગઈ. ભારતે ત્રણ મૅચોની સિરીઝમાં શ્રીલંકાને વ્હાઇટવૉશ કર્યું હતું.

    વનડે ઇતિહાસમાં શ્રીલંકા પ્રથમ એવી ટીમ છે જેણે 300 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ લીધી.

    આ પહેલાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાને 391 રનનું લક્ષ્ય આપ્યું હતું.

  2. તામિલનાડુમાં જલ્લીકટ્ટૂ સ્પર્ધા દરમિયાન 19 લોકો ઈજાગ્રસ્ત થયા

    તામિલનાડુમાં મદુરાઈ જિલ્લા અવનિયાપુરમના જલ્લીકટ્ટૂ સ્પર્ધામાં ગુસ્સે ભરાયેલા બળદોએ 19 લોકોને ઈજાગ્રસ્ત કરી દીધા છે. તેમાંથી 11 લોકો મદુરાઈના રાજાજી ગર્વન્મેન્ટ હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.

    જોકે રવિવારે થયેલ આ અકસ્માત બાદ આયોજન અટકાવાયું નહોતું. રાજ્યના મહેસૂલવિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે સ્પર્ધા ચાલુ રહેશે.

    તામિલનાડુનાં ત્રણ ગામોમાં જલ્લીકટ્ટૂ સ્પર્ધા રવિવારે શરૂ થઈ હતી. જલ્લીકટ્ટૂ સ્પર્ધા રાજ્યમાં પોંગલ ઉત્સવ સમારોહો સાથે જ શરૂ થઈ ગઈ હતી. જલ્લીકટ્ટૂ સ્પર્ધામાં લોકો બળદોને શિંગડાંથી પકડીને તેના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે.

  3. ભારત વિ. શ્રીલંકા : ત્રીજી વનડેમાં કોહલીએ અણનમ 166 રન બનાવ્યા, શ્રીલંકા સામે 391 રનનું લક્ષ્ય

    ભારતે ત્રીજી વનડે મૅચમાં પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાને 391 રનનું લક્ષ્ય આપ્યું છે. વિરાટ કોહલીએ 110 બૉલ પર અણનમ 166 રનની ઇનિંગ રમી છે. ભારતે પાંચ વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા.

    ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચાલી રહેલ આ મૅચમાં શુભમન ગિલે 89 બૉલ પર સદી ફટકારી. તેમણે 116 રનની ઇનિંગ રમી.

    વનડે ઇન્ટરનેશનલમાંઆ તેમની બીજી સદી છે.

    શ્રેયસ અય્યર 32 બૉલમાં 38 રન બનાવીને લાહિરુકમારાના બૉલ પર આઉટ તયા. રોહિત શર્માએ 42 રનની ઇનિંગ રમી.

  4. ચીનની મદદથી બનાવાયું હતું પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ

    નેપાલની યતી ઍરલાઇન્સનું એટીઆર – 72 વિમાન જે પોખરા ઇન્ટરનેશલ ઍરપૉર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું, તેનું ઉદ્ઘાટન બે અડવાડિયાં પહેલાં જ નેપાલના નવા નિમાયેલા વડા પ્રધાન પુષ્પ કમલ દહાલ પ્રચંડે કર્યું હતું.

    પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટનું નિર્માણ ચીનની મદદથી જ કરાયું હતું. અન્નપૂર્ણા પર્વતશૃંખલા પાસે બનેલ આ ઍરપૉર્ટનું વર્ષની પ્રથમ તારીખે ઉદ્ઘાટન કરાયું હતું.

    પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ પ્રોજેક્ટનો ભાગ છે.

    નેપાલી અખબાર ‘કાઠમાંડુ પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, નેપાલ સરકારે વર્ષ 2016ના માર્ચ મહિનામાં ચીન પાસેથી આ ઍરપૉર્ટના નિર્માણ માટે 215.96 મિલિયન અમેરિકન ડૉલરની સૉફ્ટ લૉનની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

  5. સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી, માંડ માંડ બચ્યાં

    રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં નેતા સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી ગઈ. જોકે તેઓ માંડ માંડ બચ્યાં. તેઓ પુણેના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયાં હતાં.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સુપ્રિયા સુલેએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે. બારામતીનાં સાંસદ સુપ્રિયા સુલે રવિવારે હિંજાવાડામાં એક કરાટે સ્પર્ધાના ઉદ્ઘાટનમાં પહોંચ્યાં હતાં.

    જ્યારે તેઓ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માળા પહેરાવી રહ્યાં હતાં ત્યારે તેમની સાડી ત્યાં દીવાથી સળગી ગઈ હતી. જોકે, આગ તરત ઓલવી દેવાઈ.

  6. બિહાર : લિથિયમ, સોનું સહિત ઘણાં ખનીજોનો ભંડાર મળવાની સંભાવના

    બિહારમાં પ્રારંભિક તબક્કાના ખનન દરમિયાન સોનું, લિથિયમ, મૅગ્નાઇટ, કોલસો અને અન્ય દુર્લભ અર્થ મટિરિયલનો ભંડાર હોવાની સંભાવના બાદ સરકારે સંભવિત ક્ષેત્રોમાં વધુ ખોદકામ કરાવાનો નિર્ણય લીધો છે.

    બિહારનાં અધિક મુખ્ય સચિવ સહ ખનીજ આયુક્ત હરજિતકોર બુમરાહે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ગયામાં અજયનગરમાં સોનાની તલાશમાં કરાઈ રહેલ પ્રારંભિક ખનનના આધારે ત્રણ ક્ષેત્ર નિર્ધારિત કરાયાં છે જ્યાં વધુ ખનન થવું જોઈએ.

    તેમણે કહ્યું કે, “જમુઈ જિલ્લાના પરમાનિયા – તેતરિયા વિસ્તારની આસપાસ ‘લિથિયમ’ અને તેની સાથે જોડાયેલ વ્યૂહરચનાત્મક ખનીજોની સંભાવનાની શોધમાં મળેલ નમૂનાનું વિશ્લેષણ થઈ રહ્યું છે.”

    તેમણે કહ્યું, “પ્રારંભિક ખનનના પ્રયાસો બાદ એ સંભાવનનાને બળ મળ્યું છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં સોનું, લિથિયમ, મૅગ્નાઇટ, કોલસો અને અન્ય દુર્લભ મેટલના ભંડાર હોઈ શકે છે.”

  7. નેપાળના પોખરામાં 72 સીટવાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 40 મૃતદેહ મળ્યા

    નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

    સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું છે કે પોખરામાં યતી ઍરલાઇન્સના પ્લેન ક્રૅશમાંથી 40 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

    પ્રવક્તા જગન્નાથ નિરૌલાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 68 મુસાફરો હતા.

    તેમણે કહ્યું કે મુસાફરોમાં 53 નેપાળી અને 5 ભારતીયો હતા.

    તે સિવાય રશિયાના 4 મુસાફરો, કોરિયાના 2 મુસાફરો, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ફ્રાન્સના એક-એક મુસાફરો હતા.

    તેમણે બીબીસીને માહિતી આપી હતી કે બચાવકાર્ય હજુ ચાલુ છે.

    નેપાળી સેનાના સહપ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, "પોખરા ઍરપૉર્ટથી દોઢ કિલોમીટર દૂર સેતી નદીના ઘાટમાં પ્લેન ક્રૅશ થયું છે. બચાવકાર્ય માટે ત્યાં 120 રેન્જર્સ અને 200 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે."

    વિમાને કાઠમંડુથી રાત્રે 10:32 વાગ્યે ઉડાન ભરી હતી. હાલ અકસ્માત સ્થળે 200 જેટલા સૈનિકો તહેનાત હોવાનું કહેવાય છે.

    નેપાળી સૈન્યના પ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રૅશ થયું હતું.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 72 સીટવાળું પેસેન્જર વિમાન ક્રૅશ થયું છે. આ પછી ઍરપૉર્ટને હાલ પૂરતુું બંધ કરી દેવામાં આવ્યું છે.

    એજન્સીએ કાઠમંડુ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 68 મુસાફરો સાથે ચાર ક્રૂ મેમ્બર હતા.

    યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું છે.

  8. નેપાળના પોખરામાં 72 બેઠકો ધરાવતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત

    નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.

    નેપાળી આર્મીના પ્રવક્તા રવિ કૃષ્ણાપ્રસાદ ભંડારીએ જાણકારી આપી કે દુર્ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં 16 મૃતદેહ મળ્યા છે.

    નેપાળના સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તા જગન્નાથ નિરુલાના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

    તેઓ કહે છે, "હવે અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ, બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે."

    ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 72 સીટવાળું પેસેન્જર વિમાન ક્રૅશ થયું છે. આ પછી ઍરપૉર્ટને હાલ પૂરતુું બંધ કરી દેવામાં આવ્યું છે.

    એજન્સીએ કાઠમંડુ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 68 મુસાફરો સાથે ચાર ક્રૂ મેમ્બર હતા.

    યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું છે.

    સમાચાર એજન્સી એએફપીએ જણાવ્યું છે કે વિમાનમાં 72 લોકો સવાર હતા.

    સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના સાથે જોડાયેલો વીડિયો છે.

  9. વડા પ્રધાન મોદીએ સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સથી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે.

    આ સમયે સિકંદરાબાદમાં કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.

    પીએમ મોદીએ આ સમયે કહ્યું કે તહેવારોના આ માહોલમાં તેલંગણા અને આંધ્રપ્રદેશને આજે એક મોટી ભેટ મળી રહી છે.

    તેમણે કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત સંસ્કૃતિ અને વિરાસતને જોડશે.

  10. 'તિરાડો જોઈને ડર લાગે છે', જોશીમઠ બાદ કર્ણપ્રયાગમાં ઘરો ખાલી કરવા જણાવ્યું

  11. મિસ યુનિવર્સઃ અમેરિકાનાં આર'બૉની ગૅબ્રિયલે ખિતાબ જીત્યો

    અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધા અમેરિકાનાં આર'બૉની ગૅબ્રિયલ જીતી ગયાં છે.

    ગૅબ્રિયલની સાથે વેનેઝુએલા અને ડોમિનિન રિપબ્લિકના સ્પર્ધકોએ ટોચની ત્રણ કૅટેગરીમાં સ્થાન મેળવ્યું હતું.

    બીજી તરફ દિવિતા રાયે ભારત તરફથી તેમાં ભાગ લીધો હતો અને તે ટોપ-16માં પણ સ્થાન મેળવી શક્યાં ન હતાં.

    ગયા વર્ષનાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ ગૅબ્રિયલને તાજ પહેરાવ્યો હતો.

  12. પીએમ નેતન્યાહુની નવી સરકાર બન્યા બાદ ઈઝરાયેલમાં સૌથી મોટું વિરોધપ્રદર્શન

    ઇઝરાયેલમાં સરકાર દ્વારા ન્યાયતંત્રમાં લાવવામાં આવી રહેલા સુધારા સામે રાજધાની તેલ અવિવમાં 80 હજારથી વધુ લોકોએ વિરોધપ્રદર્શન કર્યું.

    આ સુધારા પછી સરકાર માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પલટાવવાનું સરળ બનશે.

    આ સિવાય જજોની નિમણૂકમાં રાજનેતાઓનો પ્રભાવ વધશે, કારણ કે પસંદગી સમિતિમાં મોટા ભાગના લોકો સત્તાધારી પક્ષના હશે.

    પ્રદર્શનકારીઓ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા લાવવામાં આવેલા આ ફેરફારોને લોકશાહી વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, જેરુસલેમમાં વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર અને ઉત્તરીય શહેર હાફિયામાં પણ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.

    તેલ અવિવમાં મુખ્ય માર્ગને અવરોધિત કરવાને પગલે દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું.

    પ્રદર્શનકારીઓ પીએમ નેતન્યાહુના નેતૃત્વમાં બનેલી ગઠબંધન સરકારનો પણ વિરોધ કરી રહ્યા હતા.

    આ જોડાણમાં જમણેરી પક્ષો પણ સામેલ છે. ડિસેમ્બરમાં ગઠબંધન સરકારની રચના બાદ આ સૌથી મોટો વિરોધ છે.

    ટીકાકારોનું કહેવું છે કે આ સુધારાઓથી ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતમ થઈ જશે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે, લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન થશે અને ઈઝરાયેલની ન્યાયિક વ્યવસ્થાની વિશ્વસનીયતાને નુકસાન થશે.

  13. સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

    ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે.

    ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.

    લગભગ 200 વર્ષના બ્રિટિશશાસન પછી 15 જાન્યુઆરી, 1949ના દિવસે પ્રથમ વખત કોઈ ભારતીયને ભારતીય સેનાની લગામ સોંપવામાં આવી.

    આ દિવસે ભારતીય સૈનિકોની સિદ્ધિઓ, દેશની સેવા, અપાર યોગદાન અને બલિદાનનું સન્માન કરવામાં આવે છે.

    આ વખતે કર્ણાટકની રાજધાની બૅંગલુરુમાં 15 જાન્યુઆરીએ સેના દિવસનું આયોજન કરવામાં આવશે.

    આમ રાજધાની દિલ્હીની બહાર પહેલી વાર સેના દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    દર વર્ષે દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં સેના દિવસનું આયોજન કરવામાં આવે છે.

    દિલ્હીની બહાર રાષ્ટ્રીય મહત્ત્વના કાર્યક્રમો આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કરીને તેઓ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને તેમાં ભાગીદારી વધી શકે.

    સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, "દક્ષિણ ભારતના લોકોની વીરતા, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાઓને સન્માનિત કરવા માટે બૅંગલુરુમાં આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ તે ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, કારણ કે તેઓ કર્ણાટકના છે."

  14. ભાઈ, બહેન અને મિત્ર ડૅમમાં ડૂબ્યાં

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા શનિવારે 21 વર્ષીય યુવક, તેમની સગીર બહેન અને મિત્ર જૂનાગઢના ભાખરવાડ ડેમમાં ડૂબી ગયા હોવાનું પોલીસ અધિકારીના હવાલે લખે છે.

    સમૂહમાં ચાર જણા માળિયા હાટીના શહેર નજીક ડૅમ પાસે ઉત્તરાયણ ઊજવવા ગયાં હતાં ત્યારે આ ઘટના બની હતી.

    હાલ તેમાંથી બચી ગયેલી ચોથી વ્યક્તિની નજીકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    ઘટનાક્રમ અનુસાર, ચાર પૈકી એકનો પગ લપસતા ડૅમમાં પડી ગયો હતો અને બાકીનાં તેમને બચાવવા ડૅમમાં કૂદી પડ્યા હતાં. ત્યારે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી.

    ત્રણ મૃતકોનાં નામ 21 વર્ષીય જિતેન્દ્ર મેઘનાથી, તેમની બહેન 17 વર્ષીય હેતલ મેઘનાથી અને તેમના મિત્ર 22 વર્ષીય દિનેશ ગોસ્વામી છે એમ માળિયા પોલીસ સ્ટેશનના અધિકારી કહે છે.

  15. યુક્રેનનાં અનેક શહેરો પર ફરી હુમલો, કીએવ પર મિસાઇલનો મારો

    યુક્રેનનાં અલગ-અલગ શહેરો પર મિસાઈલ હુમલાના અહેવાલો છે. તેમાં પશ્ચિમમાં લવીવ, દક્ષિણમાં ઓડેસા અને પૂર્વમાં નીપ્રો જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

    મિસાઈલ હુમલા બાદ નીપ્રો શહેરમાં રહેણાક ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

    પૂર્વ શહેર નીપ્રોમાં એક એપાર્ટમૅન્ટ બ્લૉકમાં થયેલા હુમલામાં 12 લોકોનાં મોત થયાં છે.

    ઈમારત પરના હુમલાની તસવીર યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનના ડૅપ્યુટી હેડ કે. તેમોસેંકોવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    સમાચાર અનુસાર, બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા છે. મધ્ય યુક્રેનનાં શહેરોમાંથી પણ પ્રચંડ વિસ્ફોટોના પડઘા સંભળાય છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, યુક્રેનની મિસાઇલ ડિફેન્સની ટીમ રશિયન મિસાઇલોને હવામાં જ મારવાનો પ્રયાસ કરી રહી છે.

    થોડા કલાકો પહેલાં યુક્રેનના અધિકારીઓએ નાગરિકોને ચેતવણી આપી હતી કે રશિયાનાં 17 યુદ્ધવિમાનો યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યાં છે. આ પછી રશિયન વિમાનોએ રાત્રે રાજધાની કીએવ પર હુમલો કર્યો.

    બીજી તરફ ખારકીવમાં પાવર પ્લાન્ટ પર બે મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇમરજન્સી ટીમ શહેરમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં વ્યસ્ત છે.

  16. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    14 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.