You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કૉંગ્રેસે વધુ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ બાયડથી ચૂંટણી લડશે

ભાજપમાંથી રાજીનામું આપી કૉંગ્રેસમાં જોડાયેલા દિગ્ગજ નેતા પ્રભાતસિંહને પણ કાલોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે

લાઇવ કવરેજ

  1. સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા માટે જામીનદાર બન્યાં અભિનેત્રી સુહાસિની મૂળે, સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા, ભીમા કોરેગાંવ મામલામાં આરોપી છે.

    મુંબઈની વિશેષ અદાલતમાં સુહાસિની મૂળે ગૌતમ નવલખાને ઘરમાં નજરબંધ કરવા માટે જામીનદાર બન્યાં છે.

    સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા, ભીમા કોરેગાંવ મામલામાં આરોપી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તેમને જેલના સ્થાને ઘરમાં એક મહિના માટે નજરબંધ કરવાનો આદેશ કર્યો હતો.

    70 વર્ષના નવલખાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ ઘણી બીમારીઓથી પીડિત છે અને તેમને જેલના સ્થાને ઘરમાં નજરબંધ રાખવાની અનુમતિ આપવામાં આવે.

    જામીનદાર એ વાતની જવાબદારી લે છે કે એક વ્યક્તિને જેલમાંથી મુક્ત કરાઈ રહ્યા છે, કોર્ટના કહેવા પર તે તેની સામે રજૂ થશે.

    અભિનેત્રી સુહાસિનીએ કહ્યું કે ગૌતમ નવલખાને તેઓ 30 વર્ષ કરતાં વધુ સમયથી ઓળખે છે.

  2. પાકિસ્તાનની ન્યાય વ્યવસ્થા પર નથી વિશ્વાસ, દુબઈ-લંડનમાં કેસ કરીશ : ઇમરાન ખાન

    પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઇમરાન ખાને પાકિસ્તાનની સમાચાર સંસ્થા ઝંગ ગ્રૂપ પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

    ઇમરાન ખાને કહ્યું કે, “મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે કે મને આપણી ન્યાય વ્યવસ્થાથી કોઈ આશા નથી. તેથી મેં જિયો ગ્રૂપ... વિરુદ્ધ લંડનની અદાલતમાં જવાનો નિર્ણય કર્યો છે. હું આ વ્યક્તિ (ફારૂક જહૂર) વિરુદ્ધ દુબઈમાં અને જિયો ગ્રૂપ વિરુદ્ધ પાકિસ્તાનમાં કેસ કરીશ.”

    તેમણે દાવો કર્યો કે ન્યૂઝ આઉટલેટ, પત્રકારત્વ સિવાય પ્રોપેગેન્ડા ફેલાવા માટે પોતાના મંચનો ઉપયોગ કરી રહ્યા છે.

    ઇમરાન ખાને કહ્યું કે કાલે જિયો ટીવી સાતે દુબઈનિવાસી બિઝનેસમૅન ઉમર ફારૂક જહૂરનું ઇન્ટરવ્યૂ એક પ્રોપેગેન્ડા કેમ્પેનનો ભાગ હતો.

    તેમણે આરોપ કર્યો કે જિયો ટીવ, ઝંગ ગ્રૂપ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ સાથે મળીને તેમના વિરુદ્ધ પ્રોપેગેન્ડા કેમ્પેન ચલાવી રહ્યાં છે અને આ કાવતરામાં પાકિસ્તાનના ચીફ ઇલેક્શન કમિશનર પણ સામેલ છે.

  3. ગુજરાત ચૂંટણીએ ભાઈ-ભાઈને સામસામે લાવી દીધા

  4. ગુજરાત કૉંગ્રેસે 37 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી, શંકરસિંહના પુત્રને બાયડથી ટિકિટ મળી, ગુજરાતમાં અનુક્રમે 1 અને 5 ડિસેમ્બરના રોજ, બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

    ગુજરાતમાં ગણતરીના દિવસો બાદ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.

    ભાજપ, આપ અને કૉંગેસે પોતાના મોટા ભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

    આ સિલસિલાને આગળ વધારતાં કૉંગ્રેસે 37 ઉમેદવારોનાં નામોની વધુ એક યાદી બુધવારે સાંજે જાહેર કરી હતી.

    વિધાનસભાની બાયડ બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ છે.

    નોંધનીય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને માત્ર ત્રણ જ મહિના બાદ તેમણે ભાજપમાંથી રાજૂનામું આપી દિધું હતું.

    મહેન્દ્રસિંહ થોડા સમય અગાઉ ફરીથી એક વખત કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

    આ સિવાય તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપી કૉંગ્રેસમાં જોડાયેલા દિગ્ગજ નેતા પ્રભાતસિંહને પણ કાલોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

    પ્રભાતસિંહને ભાજપે ટિકિટ ન આપતાં તેમણે અમુક દિવસ પહેલાં જ ભાજપ સાથે છેડો ફાડી કૉંગ્રેસનો હાથ ઝાલ્યો હતો.

  5. 'અમારે કંઈ સાબિત કરવાની જરૂર નથી', હાર્દિક પંડ્યાએ ભારતની ટીકા કરનાર પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટરને શું કહ્યું?

    ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ટીમ ઇન્ડિયા પર કરેલી ટિપ્પણીની હાલ ક્રિકેટજગતમાં ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનને હરાવીને ઇંગ્લૅન્ડે વર્લ્ડકપ જીતી લીધો છે અને એ બાદ ઇંગ્લૅન્ડની ટીમનો આત્મવિશ્વાસ બુલંદી પર અને એવા એવામાં પૂર્વ ક‌ૅપ્ટને કહ્યું છે,"ટી20 વર્લ્ડકપ બાદ હવે વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમને ફેવરિટ તરીકે જોવી બિલકુલ બકવાસ વાત હશે. પછી એ વર્લ્ડકપ એમના ઘરે જ કેમ ના રમાઈ રહ્યો હોય. "

    'ડેઇલી ટેલિગ્રાફ'માં લખેલા પોતાના લેખમાં વૉને લખ્યું કે ભારત પાસે સારા સ્પિનરો છે. ભારતીય ટીમના ઘરમાં વર્લ્ડકપ છે તો એને ફૅવરિટ ગણવામાં આવશે પણ એ બકવાસ માત્ર છે. વર્લ્ડકપમાં પણ ઇંગ્લૅન્ડ જ એવી ટીમ હશે જેને બધા જ હરાવવા માગશે અને થોડો સમય આવું જ રહેશે.

    વૉનની આ ટિપ્પણીની હાલ ચોતરફ ચર્ચા રહી છે અને એવામાં હાર્દિક પંડ્યાએ વૉનને જવાબ આપ્યો છે.હાર્દિક પંડ્યાએ કહ્યું છે,"મને નથી લાગતું કે અમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર છે."

    "સ્વાભાવિક છે કે જ્યારે તમે કંઈ સારું ના કરો ત્યારે લોકો પોતાનો અભિપ્રાય આપે છે અને અમે એનો આદર કરીએ છીએ.હું સમજું છું કે લોકોને પોતાનો અલગ મત હોઈ શકે."

    "આંતરરાષ્ટ્રીય સ્તરે મને નથી લાગતું કે અમારે કંઈ સાબિત કરવાની જરૂર હોય. આ તો રમત છે. તમે શ્રેષ્ઠ બનવા માટે પ્રાયસ કરતા રહો અને અંતે જે પરિણામ આવવાનું હોય એ તો આવશે જ.એવી કેટલીક વસ્તુઓ છે જેના પર અમારે કામ કરવાની જરૂર છે.આશા રાખું છું કે અમે એના પર કામ કરીશું અને એને સુધારી લઈશું."

    નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો હતો.એ બાદ ક્રિકેટજગતની નજર હવે આવતા વર્ષે રમાઈ રહેલા વનડે વર્લ્ડકપ પર મંડાયેલી છે.

    મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.

  6. પોલૅન્ડમાં 'જાણીજોઈને' મિસાઇલ નહોતી છોડવામાં આવી - પોલૅન્ડના રાષ્ટ્રપતિ

    પોલૅન્ડમાં મિસાઇલ પડવાની ઘટના બાબતે પોલૅન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું કે પોલૅન્ડનાં ગામમાં પડેલી એ મિસાઇલથી એવો કોઈ સંકેત નથી મળતો કે તે જાણીજોઈને કરવામાં આવેલો હુમલો હતો, પરંતુ આ ઘટના 'દુર્ભાગ્યપૂર્ણ' છે.

    પત્રકારો સાથે વાત કરી વખતે તેમણે કહ્યું કે એવી પ્રબળ સંભાવના છે કે મિસાઇલ યૂક્રેન બાજુથી પોલૅન્ડમાં પડી હતી.

    આ પહેલાં એસોસિટેડ પ્રેસ એજન્સીના એક અહેવાલમાં ત્રણ અમેરિકન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે મંગળવારે પોલૅન્ડમાં પડેલી રશિયન મિસાઇલને યૂક્રેન તરફથી છોડવામાં આવી હતી.

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે એ વાતની 'સંભાવના' નથી કે પોલૅન્ડમાં પડનારી મિસાઇલ રશિયાએ લૉન્ચ કરી હોય.

    બેલ્જિયમનાં રક્ષા મંત્રી લુડિવાઇન ડેડોનડરે પણ પોલૅન્ડમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા વિસ્ફોટ માટે યૂક્રેનની સેના તરફ ઇશારો કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે, તેની પુષ્ટિ કરવાની બાકી છે.

  7. તામિલનાડુ : ફૂટબૉલરના મૃત્યુને પગલે રાજ્યભરમાં પ્રદર્શનો કેમ થઈ રહ્યા છે?

    તામિલનાડુમાં એક ફૂટબૉલરનું કથિત રીતે ઘૂંટણની સર્જરીને લીધે મૃત્યુ થવાની ઘટના ઘટી છે, જેને પગલે રાજ્યભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.17 વર્ષની પ્રિયાને જમણા ઘૂંટણમાં લિગામૅન્ટ ફાટતાં સર્જરી કરાવવી પડી હતી. જે બાદ મંગળવારે તેમનું મૃત્યુ થઈ ગયું.

    અધિકારીઓનું કહેવું છે કે સર્જરી બાદ મલ્ટી ઑર્ગન ફેલ થવાને લીધે તેમનું મૃત્યુ થયું. તપાસ બાદ સર્જરી કરનારા બે ડૉક્ટરો મેડિકલ લાપરવાઈ દાખવવાના દોષી જણાયા છે અને તેમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબાર અનુસાર પોલીસે આ ઘટનાના સંદર્ભમાં 'અપ્રાકૃતિ મૃત્યુ'નો કેસ નોંધ્યો છે. પ્રિયાના પરિવારજનોએ ડૉક્ટરોની ધરપકડની માગ કરી છે.

    આ ઘટનાને પગલે રાજ્યભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે અને રાજ્ય સરકારને આ મામલે તપાસના આદેશ આપવા પડ્યા છે.

  8. બ્રેકિંગ, અમારા ઉમેદવારનું ભાજપે અપહરણ કર્યું : આપ

    આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સુરત (પૂર્વ) બેઠક પરના તેમના ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર મંગળવારથી ગાયબ છે.આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું છે, "ભાજપે કંચન જરીવાલાનું અપહરણ કરી લીધું છે."

    સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ગુજરાતમાં હારી રહ્યો હોવાથી 'ડરી ગયો' છે અને એટલે આપના ઉમેદવારનું અપહરણ કરી લીધું છે.

    તેમણે જણાવ્યું છે,"કંચન અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે.તેઓ તેમના દસ્તાવેજની ચકાસણી માટે ગયા હતા.જે ક્ષણે તેઓ કાર્યાલયની બહાર નીકળ્યા ભાજપના બદમાશો તેમને લઈ ગયા. હાલ તેઓ ક્યાં છે એની કોઈ જાણકારી નથી."

    દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને ભાજપ પર આ મામલે આરોપ લગાવ્યો છે.

    કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, "સુરત (પૂર્વ)થી કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગાયબ છે. પહેલાં ભાજપે તેમની ઉમેદવારી રદ કરાવવા પ્રયાસ કર્યો અને જ્યારે તેમની ઉમેદવારી સ્વીકારી લેવાઈ, તેમને ઉમેદવારી પાછી લઈ લેવા માટે દબાણ કર્યું."

    "શું એમનું અપહરણ કરી લેવાયું છે?

  9. બ્રેકિંગ, રેશમા પટેલ એનસીપી છોડીને આપમાં જોડાયાં

    પાટીદાર આંદોલનનો મહિલા ચહેરો અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.

    આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ રેશમાને આપની ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત્ સામેલ કર્યાં હતાં.

    આપમાં જોડાતી વખતે રેશમા પટેલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સામાન્ય માણસની વેદના સમજે છે અને એટલે તેઓ આપમાં જોડાઈ રહ્યાં છે.તો રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે " રેશમા પટેલ એક મજબૂત નેતાનું નામ છે અને પક્ષમાં જોડાવાથી સગ્રમ ગુજરાતમાં આપ મજબૂત થશે."

  10. ભારતમાં રહેતી દરેક વ્યક્તિ હિંદુ છે- મોહન ભાગવત

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ 'હિંદુ' છે અને તમામ ભારતીયોનો ડીએનએ એકસમાન છે.

    તેમણે કહ્યું કે કોઈને પણ ભગવાનને પ્રાર્થના કરવાની રીત બદલવાની જરૂર નથી, કેમ કે તમામ રસ્તાઓ એક જ દિશામાં જાય છે.

    મોહન ભાગવતે અગાઉ પણ આ જ વાત કહી છે. ફરી એક વાર છત્તીસગઢના અંબિકાપુરમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે તેમની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

    તેમણે કહ્યું કે "વિવિધતામાં એકતા ભારતની વર્ષો જૂની વિશેષતા છે. એકમાત્ર હિન્દુત્વ નામનો વિચાર વિશ્વમાં એવો છે, જે બધાને સાથે લાવવામાં વિશ્વાસ રાખે છે."

    મોહન ભાગવતે કહ્યું, "અમે 1925 (જ્યારથી આરએસએસની સ્થાપના થઈ)થી કહીએ છીએ કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. જે લોકો ભારતને પોતાની 'માતૃભૂમિ' માને છે અને વિવિધતામાં એકતાની સંસ્કૃતિ સાથે રહેવા માગે છે અને આ માટે પ્રયાસરત છે, પછી તે કોઈ પણ ધર્મ, સંસ્કૃતિ,ભાષા અને વિચારધારાને અનુસરતો હોય, તે હિન્દુ છે."

    તેમણે કહ્યું કે "દરેક ભારતીય જે 40,000 વર્ષ જૂના 'અખંડ ભારત'નો એક ભાગ છે, તેનો ડીએનએ એકસમાન છે. આપણા વડવાએ શીખવ્યું કે દરેક વ્યક્તિએ પોતાનાં આસ્થા અને રીતરિવાજોને વળગી રહેવું જોઈએ અને અન્યની આસ્થાને બદલવાનો પ્રયાસ ન કરવો જોઈએ."

    ભાગવતે કહ્યું કે આખો દેશ એક થઈને કોરોના મહામારી સામે લડ્યો. આપણી સંસ્કૃતિ આપણને જોડે છે.

    "આપણે અંદરોઅંદર ગમે તેટલી લડાઈ કરીએ, સંકટ સમયે આપણે એક થઈએ છીએ. જ્યારે દેશને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આપણે સાથે મળીને લડીએ છીએ."

  11. પોલૅન્ડમાં રશિયન મિસાઇલ પડ્યા બાદ G7 દેશના નેતાઓની ઇમરજન્સી બેઠક

    ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી G20 બેઠકનો આજે અંતિમ દિવસ છે. આ બેઠક દરમિયાન આજે G7 દેશના નેતાઓએ પોલૅન્ડમાં પડેલી રશિયન મિસાઇલ અંગે ચર્ચા કરી હતી.

    આ વાતચીતની તસવીરો સામે આવી છે જેમાં અમેરિકા, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, સ્પેન અને નેધરલૅન્ડના નેતાઓ હાજર છે.

    તેમજ આ બેઠકમાં યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ચાર્લ્સ મિચેલ અને યુરોપિયન સંઘના કમિશનર પણ હાજર રહ્યા હતા.

    રશિયન મિસાઇલના પોલૅન્ડમાં પડવાના ખતરનાક પરિણામ આવી શકે છે. પોલૅન્ડ નાટો મિલિટરી એલાયન્સનું સભ્ય છે અને તેના પર હુમલો એટલે નાટો પર હુમલો ગણી શકાય.

    હવે બધાની નજર એ વાત પર છે કે શું આ હુમલો બાદ નાટો સેના પોલૅન્ડમાં આવશે?

    બીબીસી સંવાદદાતા ક્રિસ મેસનના જણાવ્યા અનુસાર, “પોલૅન્ડની ઘટના બાદ G-20માં તમામ દેશોની યોજનાઓ ખોરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.”

    પશ્ચિમી દેશોના નેતાઓ સંરક્ષણ અને વિદેશમંત્રીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત થઈ ગયા છે અને પોલૅન્ડને પણ ફોન કરી રહ્યા છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક પોલૅન્ડના સંપર્કમાં છે.

    જો બાઇડને નાટોના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે પણ વાતચીત કરી છે.

  12. યુક્રેન યુદ્ધ: રશિયાની મિસાઇલ પોલૅન્ડમાં પડી, બે લોકોનાં મોત

    પોલૅન્ડના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "મંગળવારે બપોરે 3 વાગ્યા ને 40 મિનિટ પર તેમના વિસ્તારમાં એક ‘રશિયન મિસાઇલ’ પડી, જેના કારણે સેરેવોડો ગામમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે."

    પોલૅન્ડનું કહેવું છે કે તેમની પાસે કોઇ "ચોક્કસ પુરાવા" નથી કે કોણે મિસાઇલ લૉન્ચ કરી.

    પોલૅન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુકાઝ જેસીનાએ જણાવ્યું હતું કે, "પોલૅન્ડમાં રશિયન રાજદૂતને આ ઘટના અંગે ‘તાત્કાલિક વિગતવાર સ્પષ્ટતા’ આપવા માટે બોલાવાયા છે."

    જોકે, તેમણે નિવેદનમાં એ જણાવ્યું નથી કે મિસાઇલ કોણે છોડી છે. યુદ્ધમાં બન્ને પક્ષોએ રશિયાની યુદ્ધસામગ્રીનો ઉપયોગ કર્યો છે.

    સેરેવોડો ગામ યુક્રેન અને પોલૅન્ડની સરહદ પર આવેલું છે અને આ ગામ લિએવ શહેરની ઉત્તરે છે.

    રશિયાનો હુમલાનો ઇનકાર

    રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, "યુક્રેનિયન-પોલિશ રાજ્ય સરહદ પાસેના સ્થળ પર કોઈ હુમલો રશિયા દ્વારા કરવામાં આવ્યો નથી."

    રશિયાએ કહ્યું કે આ અહેવાલો ‘સ્થિતિને વધુ બગાડવાના હેતુથી લીધેલું ઉશ્કેરણીજનક પગલું છે.’

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોલૅન્ડના રાષ્ટ્રપતિ ડૂડા સાથે ફોન પર વાત કરી હતી.

    ઝેલેન્સ્કીએ ટ્વીટ કર્યું કે, "મેં પોલૅન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડૂડા સાથે ફોન પર વાત કરી અને રશિયાના આતંકમાં માર્યા ગયેલા બે પોલિશ લોકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો."

    "અમે ઉપલબ્ધ માહિતીની આપ-લે કરી છે અને તમામ તથ્યોની સ્પષ્ટતા કરી રહ્યા છીએ."

    નાટો શું કરશે?

    પોલૅન્ડ નાટો જૂથનો સભ્યદેશ છે. નાટો એક રક્ષાત્મક સૈન્ય ગઠબંધન છે જે યુક્રેનના આ યુદ્ધમાં સમર્થન કરતું રહે છે અને તેમાં બ્રિટન, જર્મની અને અમેરિકા જેવા દેશો પણ સામેલ છે.

    નાટોના સભ્ય હોવાનો અર્થ એ છે કે જો કોઈ સભ્યદેશ પર સશસ્ત્ર હુમલો થાય તો અન્ય સભ્યદેશો મદદ માટે આગળ આવશે અને જે દેશ પર હુમલા થયા છે અથવા થઈ રહ્યા છે ત્યાં નાટોની સેના મોકલી શકે છે. તેથી જો મિસાઇલ રશિયાની હોવાની પુષ્ટિ કરવામાં આવે તો તેનાથી (સૈદ્ધાંતિક રીતે) સંઘર્ષ વધવાનું જોખમ વધી શકે છે.

    જોકે સૈન્ય વિશ્લેષકનું માનવું છે કે સંઘર્ષ વધવાની શક્યતા ઓછી છે.

    --------------------------------------

    નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી સાથે જોડાયેલા રહો.

    15 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.