નરેન્દ્ર મોદી મેરઠમાં : 'જે લોકો સબૂત માગે છે તેઓ દેશના સપૂતને લલકારે છે.'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મિશન શક્તિની ઔપચારિક જાહેરાત કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતા ભાષણ આપ્યું હતું.
ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું, "હું મારો હિસાબ આપીશ અને સાથે-સાથે બીજાનો હિસાબ પણ લઈશ. આ બન્ને કામ સાથેસાથે ચાલશે ત્યારે જ તો હિસાબ બરાબર થશે."
"તમે તો જાણો છો કે હું ચોકીદાર છું અને ચોકીદાર ક્યારેય અન્યાન નહીં કરે."
"આગામી દિવસોમાં દેશની સામે એનડીએ સરકારના પાંચ વર્ષના કામ રાખીશ અને વિરોધીઓને પૂછીશ કે જ્યારે તમે સરકારમાં હતા ત્યારે નાકામ કેમ રહ્યા?"
"આજે એક તરફ વિકાસનો મજબૂત આધાર છે જ્યારે બીજી તરફ નીતિ, વિચાર કે નિયત નથી."
ભાષણ આગળ વધારતા તેમણે કહ્યું, "એક તરફ નવા ભારતના સંસ્કાર છે જ્યારે બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચારની બોલબાલા છે."
"એક તરફ દમદાર ચોકીદાર છે જ્યારે બીજી તરફ દાગદારોની ભરમાર છે. આ દેશે સૂત્રોચ્ચાર કરનારી સરકાર જોઈ છે પરંતુ પ્રથમ વાર નિર્ણય લેનારી સરકાર છે."
ફરીથી સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરતા તેમણે કહ્યું, "જમીન, હવા કે પછી અંતરિક્ષ હોય સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું સાહસ આ ચોકીદારે કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'સબૂત જોઈએ કે સપૂત?'

ઇમેજ સ્રોત, Getty Images
લોકોને સવાલ કરતા મોદીએ કહ્યું "જ્યારે મહામિલાવટી લોકો દિલ્હીમાં બેઠા હતા ત્યારે દેશના અલગઅલગ ખૂણે બૉમ્બ ધમાકા થતા હતા કે નહીં?"
"એક ગંભીર વાત કહીશ કે આ મહામિલાવટી લોકો પાકિસ્તાની મીડિયામાં છવાયેલા છે અને તેમના નામની તાળીઓ પડી રહી છે."
મોદીએ એવું પણ કહ્યું કે સબૂત જોઈએ છે કે સપૂત જોઈએ છે. જે લોકો સબૂત માગે છે તેઓ દેશના સપૂતને લલકારે છે.
મોદીએ કહ્યું જ્યારે હું નાનો હતો ત્યારે સાંભળતો કે ગરીબી હટાવવાની વાત થઈ રહી છે. જ્યારે યુવાન થયો ત્યારે પણ ગરીબી હટાવવાની વાતો થઈ રહી હતી.
મોદીએ કહ્યું કે ગરીબી ત્યારે હટશે જ્યારે કૉંગ્રેસ ખૂણે ખૂણેથી હટશે.

રાહુલ, માયાવતી અને મુલાયમ પર સાધ્યું નિશાન

મોદીએ કહ્યું, "હું દેશ માટે મારું બધું જ દાવ પર લગાવવા તૈયાર છું. કોઈ પણ રાજકીય કે આંતરરાષ્ટ્રીય દબાણ આ ચોકીદારને ડરાવી નહીં શકે."
મોદીએ એવું પણ કહ્યું, "મારી પાસે હતું પણ શું? જે આપ્યું છે તે દેશે આપ્યું છે."
રાહુલ ગાંધીની ટિપ્પણીના જવાબમાં કહ્યું, "જ્યારે કાલે હું એ-સેટની વાત કરી રહ્યો હતો ત્યારે અમુક બુદ્ધિમાન લોકો સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરી રહ્યો છું."
"આપણા વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં પરિક્ષણ કરવાની માગ કરતા હતા પરંતુ તેમની સરકાર આ નિર્ણય ટાળી દીધો હતો."
"આ લોકો હંમેશાં ભારતને કમજોર બનાવી રાખવા માગતા હતા. આ લોકોની રાજનીતિ ત્યારે જ ચાલે છે જ્યારે દેશના લોકો રડતા રહે, સમાજમાં તિરાડ રહે."
કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, "આ લોકો પોતાનો અને પોતાના પરિવારનો સ્વાર્થ જુએ છે. તેમને સૌનો સાથ અને સૌનો વિકાસ પસંદ નથી."
"યૂપીમાં પણ આ લોકો એકઠા થઈ ગયા છે. જે પાર્ટીના નેતાઓ જેલ મોકલવા માટે બહેનજીએ જીવનના બે દાયકા લગાવી દીધા તેની સાથે જ હાથ મિલાવી લીધો."
માયાવતી અને મુલાયમની પાર્ટીના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું, "જે બહેનજીને ગેસ્ટ હાઉસમાં ખતમ કરી દેવા માગતા તેના સાથી બની ગયા."
"આ લોકો ત્રણ તલાકનો વિરોધ કરી રહ્યા હતા."
મોદીએ કહ્યું, "માયાવતીએ મને પત્ર લખીને લોકોની સમસ્યા જણાવી હોત તો મને ખુશી થાત. અખિલેશે મને ફોન કરી ગરીબોની વાત કરી હોત તો ખુશી થાત."
મોદીએ ખેડૂત નેતા સર છોટુરામને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે છોટુરામ કામ કરવા માગતા હતા પરંતુ કૉંગ્રેસે તેમને કામ ન કરવા દીધા.

જમ્મુમાં સભા સંબોધશે
નરેન્દ્ર મોદી પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ બાદ ઉત્તરાખંડના રુદ્રપુર અને જમ્મુ અને કાશ્મીરના જમ્મુમાં જાહેરસભાઓ સંબોધશે.
બુધવારે 10 મિનિટના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન મોદીએ 'મિશન શક્તિ'ની સફળતાની જાહેરાત કરી હતી.
ભારત સિવાય માત્ર અમેરિકા, રશિયા અને ચીન અવકાશમાં તરતા સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહ્યું, "દેશની 7 કરોડથી વધુ બહેનોને ધૂમાડાથી દૂર કરી ગૅસ આપવાનું કામ કર્યું. 10 કરોડ ગરીબ પરિવારોને સૌચાલય આપી મહિલાઓને સન્માન આપવાનું કાર્ય કર્યું."
"દેશના 2.5 કરોડ ગરીબ પરિવારને વીજળી કનેક્શન આપવાનું કામ કર્યું."
"સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ આપવાનો ઐતિહાસિક નિર્ણય અમે કર્યો. સમાજની કોઈ વ્યક્તિ નથી અને દેશનો કોઈ એવો ખૂણો નથી જે વિકાસથી વંચિત રહી ગયો હોય."
"ચોકીદારની સરકારે જે હાંસલ કર્યું છે તે ત્યારે વધુ સાર્થક થશે જ્યારે 2014 પહેલાંના ભારત સાથે તુલના કરશો."

મિશન શક્તિ, બાલાકોટ અને જાહેરસભા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વાયુદળે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં બાલાકોટ ખાતે ઍરસ્ટ્રાઇક કરી, તેના બીજા દિવસે રાજસ્થાનના ચુરુ ખાતે જાહેરસભા સંબોધી હતી.
મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે 'ભારત સલામત હાથમાં છે.' સાથે જ કવિતા રજૂ કરી હતી, 'સૌગંધ મુજે હૈ ઇસ મિટ્ટી કી, મેં દેશ નહીં મિટને દૂંગા.'
ઉપરસ્થિત ભીડે હર્ષનાદ અને નારેબાજીથી મોદીના ભાષણને વધાવી લીધું હતું. રાજસ્થાનના ચુરુમાંથી મોટી સંખ્યામાં જવાનો સૈન્ય તથા અર્ધ-સૈન્ય દળોમાં જોડાતા હોવાથી આ પ્રતિસાદ સ્વાભાવિક પણ હતો.
ડિસેમ્બર-2018માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો કારમો પરાજય થયો હતો, તેના બે માસ બાદ ચુરુમાં આ પ્રકારનો પ્રતિસાદ સ્વાભાવિક રીતે જ ભાજપ માટે ઉત્સાહપ્રેરક હતો.

આ વિશે વધુ વાંચો

બાલાકોટ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
ઍરસ્ટ્રાઇક બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ ભરી હતી અને દાવો કર્યો હતો કે તા. 26મી ફેબ્રુઆરીના 'જૈશ-એ-મોહમ્મદ'ના કથિત ઉગ્રવાદી કૅમ્પમાં અનેક ઉગ્રવાદીઓ આત્મઘાતી હુમલાની તાલીમ લઈ રહ્યા હતા.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 200થી 300 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ ભારતીય વાયુદળે તેની ઔપચારિક પુષ્ટિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ભારતીય વાયુદળના દાવા પ્રમાણે 'ઍરસ્ટ્રાઇકના બીજા જ દિવસે પાકિસ્તાની વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ બનાવી દેવાયો હતોઅને આ કાર્યવાહીમાં પાકિસ્તાનનું એફ-16 (અમેરિકા દ્વારા નિર્મિત) ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું હતું.'
ભારતીય વાયુદળના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદર વર્થમાન પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા, જેને બે દિવસ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.
તા. 14મી ફેબ્રુઆરીના જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ઉપર ઉગ્રવાદી હુમલો કર્યો હતો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












