પંજાબ : શીખોને ખ્રિસ્તી બનાવવાનો વિવાદ, ધર્મપરિવર્તનને લઈને હોબાળો કેમ થયો?

અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રીતસિંહ (મધ્યમાં)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહ (મધ્યમાં)
    • લેેખક, પ્રિયંકા ધીમાન
    • પદ, બીબીસી પંજાબી
લાઇન
  • અમૃતસર નજીક એક ગામમાં ખ્રિસ્તી મિશનરીઓનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં કેટલાક નિહંગ શીખો પહોંચ્યા અને બંને સમુદાયના કેટલાક લોકો વચ્ચે અથડામણ થઈ. પોલીસે 150 નિહંગો વિરુદ્ધ કેસ દાખલ કર્યો
  • અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહે નિવેદન આપ્યું છે કે પંજાબના શીખો અને હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ બધું સરકારની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે
  • વર્ષ 2014માં પંજાબમાં અહેવાલો પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 8,000 ખ્રિસ્તીઓ શીખ ધર્મમાં પરિવર્તિત કરાવાયા હતા
લાઇન

"પંજાબની આ ધરતી પર આપણને ધાર્મિક રીતે નબળા પાડવા માટે ખ્રિસ્તી ધર્મનો ખૂબ જોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં વિવિધ સ્થળોએ મસ્જિદો અને ચર્ચ બનાવવામાં આવી રહ્યાં છે, જે આપણા માટે ચિંતાનો વિષય છે."

"પંજાબના શીખો અને હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ બધું સરકારની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે."

આ બંને નિવેદનો અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહનાં છે અને બે મહિનાના ગાળામાં આપવામાં આવ્યાં છે.

અકાલ તખ્તના જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહ જે સમુદાય શીખ સમુદાય માટે ખતરારૂપ ગણાવી રહ્યા છે, તેની વસતી પંજાબનીના દોઢ ટકાથી પણ ઓછી છે. 2011 સુધી એ સમુદાયની વસતી 3 લાખ 48 હજાર 230 હતી.

આમ પંજાબમાં ધર્મપરિવર્તનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.

line

વિવાદ કેમ થયો?

અમૃતસરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, RAVINDER SINGH ROBIN/BBC

ઇમેજ કૅપ્શન, અમૃતસરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે

હાલમાં જ અમૃતસરના એક ગામમાં ખ્રિસ્તી મિશનરીઓનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યાં કેટલાક નિહંગ શીખો પહોંચ્યા અને કાર્યક્રમનો વિરોધ કરવા લાગ્યા.

બંને સમુદાયના કેટલાક લોકો વચ્ચે અથડામણ પણ થઈ અને પોલીસે 150 નિહંગો વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

અકાલ તખ્તના જથેદારે તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે નિહંગો બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે ત્યાં ગયા હતા.

એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જથેદાર જ્ઞાની હરપ્રીતસિંહે એમ પણ કહ્યું હતું કે પંજાબની સ્થિતિએ તેમને ધર્મપરિવર્તન વિરુદ્ધ કાયદાની માગ ઉઠાવવાની ફરજ પાડી છે.

ધર્માંતરણ શું છે? ધર્માંતરણ ક્યારે ખતરારૂપ બને છે? ધર્મપરિવર્તન વિશે બંધારણ શું કહે છે? ભારતમાં આ અંગેનો કાયદો શું છે અને જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માંગે છે તો તે અંગેની કાનૂની પ્રક્રિયા શું છે?

ભારતમાં વ્યક્તિને કોઈ પણ ધર્મ અપનાવવાનો અધિકાર છે અને તે કોઈ પણ સમયે તેનો ધર્મ બદલી શકે છે.

ધારો કે કોઈ વ્યક્તિ શીખ છે અને હિંદુ ધર્મ અપનાવવા માગે છે કે ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામમાં જવા માગે છે,તો ચોક્કસ પ્રક્રિયા અને શિષ્ટાચારને અનુસરીને ધર્મ બદલી શકાય, એને ધર્માંતરણ કહેવાય.

line

ધર્મ કઈ રીતે બદલી શકાય?

નોટિસ આપ્યાના 30 થી 60 દિવસમાં ધર્મ પરિવર્તન કરાવી શકાય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોટિસ આપ્યાના 30થી 60 દિવસમાં ધર્મ પરિવર્તન કરાવી શકાય

ધર્મપરિવર્તનની કરવાની બે રીત છે. પ્રથમ કાનૂની પ્રક્રિયાને અનુસરીને અને બીજું ધાર્મિક સ્થળે જઈને તેમના નિર્ધારિત શિષ્ટાચારનું પાલન કરીને.

જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માગતી હોય તો તેણે તેના જિલ્લાના કલેક્ટર અથવા અન્ય કોઈ સંબંધિત અધિકારીને નોટિસ આપવી પડે.

નોટિસ આપ્યાના 30થી 60 દિવસમાં ધર્મપરિવર્તન કરાવી શકાય.

આ માટે, તમારે કોર્ટ અથવા કોઈ પણ વકીલ પાસેથી ઍફિડેવિટ કરાવવું પડે અને તમે કયા ધર્મમાં જઈ રહ્યા છો, નામ અને સરનામું વગેરેની તમારી બધી માહિતી આપવી પડે.

ધર્મ બદલ્યા બાદ ધર્મ ગૅઝેટ ઓફિસમાં પોતાનું નવું નામ અને ધર્મની નોંધણી કરાવવી પડે.

હવે કાયદા વિશે થોડું સમજીએ અને એ પણ જાણીએ કે બંધારણ આ અંગે શું કહે છે.

line

ધર્મપરિવર્તન અંગે કાયદો અને બંધારણ શું કહે છે?

બંધારણની કલમ 25 થી 28 નાગરિકોને તેમનો ધર્મ પસંદ કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણની કલમ 25થી 28 નાગરિકોને તેમનો ધર્મ પસંદ કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.

તેનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી કોઈ પણ ધર્મને સ્વીકારી અને અનુસરી શકે છે.

આઈપીસીની કલમ 295-A અને 298 હેઠળ, જો કોઈ વ્યક્તિ ધાકધમકી, બળજબરી અથવા કપટથી અન્ય કોઈ વ્યક્તિનું ધર્માંતરણ કરે તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે.

2011માં તેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિના ધર્મને બદલવાનો અધિકાર આપતું નથી અને પ્રચારનો અર્થ ધર્માંતરણ ક્યારેય થતો નથી.

હાલમાં કેન્દ્રમાં ધર્માંતરણવિરોધી કે ધર્મપરિવર્તન વિરોધી કોઈ કાયદો નથી. હા, સમયાંતરે આ અંગે કાયદો બનાવવાની માગ ઊઠતી રહે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ફેબ્રુઆરી 2020માં આ મુદ્દે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે કાયદો બનાવવાનો અધિકાર વિધાનસભા કે સંસદનો છે, કોર્ટ કાયદો બનાવવા અંગે કોઈ નિર્દેશ આપી શકે નહીં.

વાસ્તવમાં, કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ સરકારને કાયદો બનાવવાનો નિર્દેશ આપે.

કાયદાની માગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તેને પણ ફગાવી દેવામાં આવી હતી.

line

કેટલાંય રાજ્યોમાં ધર્માંતરણવિરોધી કાયદો

ભારતના 10 રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો અસ્તિત્વમાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનાં 10 રાજ્યોમાં ધર્માંતરણવિરોધી કાયદો અસ્તિત્વમાં છે. આ કાયદો સૌપ્રથમ 1967માં ઓડિશામાં બન્યો હતો.

ત્યારબાદ તેને ગુજરાત, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવ્યો હતો.

હરિયાણા વિધાનસભા દ્વારા ધર્માંતરણવિરોધી બિલ પસાર કરાયું છે, પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે. આ મંજૂરી પછી જ કાયદો બની શકે.

આ તમામ રાજ્યોમાં કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સજા અને દંડની રકમ અલગ-અલગ છે.

પંજાબમાં આવો કોઈ કાયદો નથી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સંજય હેગડેનું કહેવું છે કે ધર્માંતરણની પ્રક્રિયા માટે ધર્માંતરણવિરોધી કાયદો બનાવવામાં આવે છે, પરંતુ આ કાયદાને કારણે ઘણા લોકો ધર્માંતરણ કરી શકતા નથી.

તેઓ કહે છે કે કાયદાની ખ્રિસ્તીઓ પર વધુ અસર થાય છે, કારણ કે તેમના પર બળજબરીથી ધર્માંતરણના વધુ આરોપો લાગતા રહે છે.

હવે સવાલ એ થાય છે કે શું પંજાબમાં આ પહેલાં ક્યારેય આવો મુદ્દો સર્જાયો હતો?

line

પંજાબમાં ધર્માંતરણનો ઇતિહાસ

વર્ષ 2014માં પંજાબમાં અહેવાલો પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 8,000 ખ્રિસ્તીઓ શીખ ધર્મમાં પરિવર્તિત કરાવાયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

પંજાબમાં ધર્મપરિવર્તનનો મુદ્દો નવો નથી. આ મુદ્દો સમયાંતરે ચર્ચાતો જ રહ્યો છે.

રાજકીય વિશ્લેષક ડૉ. પ્રમોદ કુમાર જણાવે છે કે આઝાદી પહેલાં શીખોમાં અમૃતપ્રચાર, આર્યસમાજમાં શુદ્ધિકરણ અને ઇસ્લામમાં તબલીગ અને તનઝીમ આંદોલનો ચલાવાયાં હતાં.

વર્ષ 2014માં, કેટલાક અહેવાલો પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 8,000 ખ્રિસ્તીઓ શીખ ધર્મમાં પરિવર્તિત કરાવાયા હતા.

તે સમયે પંજાબના મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલ હતા, જેમણે કહ્યું હતું કે અમે "અમારા રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ થવા દઈશું નહીં".

પંજાબમાં ધર્મપરિવર્તનનો આ મુદ્દો પંજાબની રાજનીતિ અને લોકો પર કેવી અસર કરી રહ્યો છે?

પ્રશ્નનો જવાબ આપતાં ડૉ.પ્રમોદ કુમાર કહે છે કે પંજાબનાં રાજકીય વર્તુળોમાં ધર્મપરિવર્તનનો મુદ્દો થોડો વધારે ગાજતો રહ્યો છે પરંતુ સમાજના લોકો પર તેની કોઈ અસર થઈ નથી. હા, આ મુદ્દાને લઈને અલગ-અલગ ધર્મોના નેતાઓ ચોક્કસપણે ચિંતિત છે.

line

ખ્રિસ્તી સમુદાયની દલીલ

આ મુદ્દે વાત કરતાં અમૃતસર ક્ષેત્રના બિશપ સામંત રાયે કહ્યું, "ભારતનું બંધારણ દરેક વ્યક્તિને તેની પસંદગીનો કોઈ પણ ધર્મ અપનાવવા અને તેનું પાલન કરવાની છૂટ આપે છે."

તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું, "ભારતમાં ચર્ચ સંપૂર્ણપણે રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત છે. અમે ભારતમાં જન્મેલા કોઈ પણ ભારતીય જેટલા જ ભારતીય છીએ... તેથી અમને અન્ય ભારતીયોની જેમ સ્વતંત્રપણે અમારા ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.""

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન