રાહુલ ગાંધી : શું છે નેશનલ હેરાલ્ડ કેસ જેમાં ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા?

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

એન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટોરેટ (ઈડી) દ્વારા નેશનલ હેરાલ્ડ મામલે યંગ ઇન્ડિયન કંપનીના પરિસરને સીલ માર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે "અમે ડરતા નથી."

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું, "નેશનલ હેરાલ્ડ મામલો એ ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ છે. તેમને લાગે છે કે તેઓ દબાણ ઊભું કરીને અમને શાંત કરી દેશે પણ અમે ડરીશું નહીં. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવું હોય એ કરે."

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, બુધવારે ઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે યંગ ઇન્ડિયન કંપનીનું પરિસર સીલ કર્યું હતું અને દિલ્હી સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા.

યંગ ઇન્ડિયન કંપનીને સીલ માર્યા બાદ ઈડીએ કૉંગ્રેસ મુખ્યાલય અને સોનિયા ગાંધીના નિવાસસ્થાન બહાર પોલીસકાફલો તહેનાત કર્યો હતો.

નેશનલ હેરાલ્ડ મામલે મામલે ઈડી અગાઉ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂક્યું છે.

અગાઉ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રવર્તન નિર્દેશાલય સમક્ષ હાજર થયા હતા.

એ સમયે સેંકડોની સંખ્યામાં કૉંગ્રેસી કાર્યકરો તેમની સાથે હાજર રહ્યા હતા. તેમનાં બહેન પ્રિયંકા પણ વિરોધપ્રદર્શનમાં હાજર રહ્યાં હતાં.

કૉંગ્રેસની વિરોધકૂચને દિલ્હી પોલીસે મંજૂરી આપી ન હતી, એટલે વિરોધપ્રદર્શનમાં ભાગ લેનારા અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી અને તેમને તુઘલક રોડ પોલીસસ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

સોમવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, CONGRESS

ઇમેજ કૅપ્શન, સોમવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી

રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય સુબ્રમણ્યન સ્વામીએ 'નેશનલ હેરાલ્ડ' અખબારને ખરીદવા માટે કૉંગ્રેસ પાર્ટીના ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન અમેઠીની બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવનારાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોરચો સંભાળ્યો હતો.

તેમણે કહ્યું હતું, "જે લોકો જામીન ઉપર બહાર છે, તેમણે જાહેરાત કરી છે કે 'દિલ્હી આવો અને ઘેરાવ કરો', કારણ કે અમારો ભ્રષ્ટાચાર પકડાય ગયો છે. એક તપાસનીશ સંસ્થા ઉપર દબાણ લાવવા માટે કૉંગ્રેસના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે."

ગાંધી પરિવારે આર્થિક ગેરરીતિના આરોપોને નકાર્યા છે. કૉંગ્રેસે ઈડીના પગલાને ભાજપ દ્વારા 'વેરનું રાજકારણ' ઠેરવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં સોનિયા ગાંધી પણ આરોપી છે, પરંતુ તેઓ કોવિડના લક્ષણોને પગલે દિલ્હીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, એટલે પોતે હાજર રહી શક્યાં ન હતાં.

તેમની હાલત 'સ્થિર' જણાવાય રહી છે, તેમને તા. 23મી મેના રોજ હાજર રહેવા નવેસરથી સમન્સ કાઢવામાં આવ્યા છે.

line

નેશનલ હેરાલ્ડ કેસ

જવાહરલાલ નેહરુએ 1938માં નેશનલ હેરાલ્ડની શરૂઆત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નેહરુએ 1938માં નેશનલ હેરાલ્ડની શરૂઆત કરી હતી

આ કેસની આંટીઘૂંટીને સમજવા માટે લગભગ 85 વર્ષ પહેલાંના તેના ઇતિહાસ પર નજર નાખવી પડશે. 1937માં ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડની (એજેએલ) (નામ છે એટલે જર્નલ્સ) સ્થાપના કરવામાં આવી હતી.

જવહારલાલ નહેરુએ 1938માં 'નેશનલ હેરાલ્ડ' અખબારની શરૂઆત કરી, જેમાં પાંચ હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરધારક હતા. 2010માં આ વ્યવહાર થયો, ત્યારે તેમની સંખ્યા એક હજાર કરતાં જરાક વધારે હોવાના અહેવાલ છે.

કંપની દ્વારા 'કોમી આવાજ' (ઉર્દૂ) તથા 'નવજીવન' (હિંદી) અખબારોનું પણ પ્રકાશન કરવામાં આવતું હતું. કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતા તેમાં લખતાં. જોતજોતામાં તેમણે સ્વાતંત્ર્યચળવળ સાથે જોડાયેલા રાષ્ટ્રવાદી અખબાર તરીકેની ખ્યાતિ હાંસલ કરી.

1942માં 'હિંદ છોડો' આંદોલન વખતે, જ્યારે દેશના અન્ય અખબારો ઉપર તત્કાલીન અંગ્રેજ સરકારની તવાઈ ઉતરી, ત્યારે 'નેશનલ હેરાલ્ડ' સમૂહ પણ તેમાંથી બાકાત ન હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ તે ફરીથી ધમધમતું થયું હતું.

1947માં જ્યારે દેશ આઝાદ થયો અને જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે એજેએલનું ચૅરમૅનપદ છોડી દીધું.

સ્વતંત્રતા બાદ તે અખબારનું પ્રકાશનકાર્ય કરતી હોવાથી તેને દિલ્હી સહિત અનેક શહેરોમાં રાહતદરે જમીન મળી હતી. 1956માં 'એજેએલ'ને બિનવ્યવસાયિક કંપની તરીકે સ્થાપવામાં આવી અને કંપની ધારાની કલમ 25 હેઠળ તેને કરમુક્તિ પણ આપવામાં આવી.

છતાં અખબારની વિચારધારા ઘડવામાં કૉંગ્રેસ પાર્ટીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. 1963માં 'નેશનલ હેરાલ્ડ'ની રજત જયંતી સમયે પોતાના સંદેશમાં કહ્યું હતું કે 'અખબારનો મિજાજ સ્વતંત્ર જણાય છે', છતાં તે મહદંશે "કૉંગ્રેસની નીતિનું હિમાયતી" રહ્યું છે.

કૉંગ્રેસ પાર્ટી દ્વારા તેને ફંડ કરવામાં આવતું હતું અને આગામી વર્ષો સુધી તેનું પ્રકાશન ચાલતું રહ્યું.

2008માં આર્થિકતંગીને કારણે અખબારને બંધ કરી દેવામાં આવ્યું, એ સમયે તેની ઉપર રૂ. 90 કરોડનું દેવું હતું. 2016માં તે ડિજિટલ સ્વરૂપે ફરી લૉન્ચ થયું હતું.

line

હેરાફેરીના આરોપ કેમ?

કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને ફંડ આપ્યું હતું

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે નેશનલ હેરાલ્ડને ફંડ આપ્યું હતું

2012માં જનતા પાર્ટીના વડા સુબ્રમણ્યન સ્વામીએ નીચલી અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે માત્ર રૂ. 50 લાખમાં 'યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે' રૂ. 90 કરોડ 25 લાખનું દેવું વસૂલવાનો રસ્તો કાઢ્યો, જે 'નિયમોની વિરુદ્ધ'નું કૃત્ય છે.

તેમણે આરોપ મૂક્યો કે કૉંગ્રેસ પાર્ટીના ભંડોળનો ઉપયોગ કરીને સોનિયા તથા રાહુલ ગાંધીએ 'એજેએલ' ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની સંપત્તિ રૂ. બે હજાર કરોડ કરતાં વધુની હતી.

2010માં કૉંગ્રેસ પાર્ટીએ 'એજેએલ'ને દેવા પેટે રૂ. 90 કરોડ આપ્યા અને તેને 'અધિગ્રહિત' કરી લીધું. પાર્ટીનું કહેવું છે કે તેના માટે નેશનલ હેરાલ્ડનું 'ઐતિહાસિક મહત્ત્વ' હોવાથી તેને ઉગાર્યું હતું.

'એજેએલ'નું તમામ દેવું ઇક્વિટીમાં ફેરવી, તેને 'યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપનીને હસ્તાંતરિત કરી દીધું, જેની સ્થાપના હજુ અમુક મહિના પહેલાં જ કરવામાં આવી હતી. આમ 'એજેએલ' દેવા મુક્ત બની ગઈ હતી.

નવી કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સોનિયા અને રાહુલ ગાંધીને બેસાડવામાં આવ્યા અને બંનેને કંપનીનો 38-38 ટકા હિસ્સો આપવામાં આવ્યો. બાકીનો 24 ટકાનો હિસ્સો કૉંગ્રેસી નેતાઓ પાસે હતો. ઑસ્કાર ફર્નાન્ડિસ, પાર્ટીના પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે તથા મૂળ ગુજરાતી ઉદ્યોગસાહસિક સામ પિત્રોડા આ કંપનીમાં ડાયરેક્ટર હતા.

2015માં તમામ આરોપીઓને જામીન મળ્યા હતા. 2020માં મોતીલાલ વોરાનું તથા 2021માં ઑસ્કાર ફર્નાન્ડિસનું અવસાન થઈ ગયું. હાલમાં આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા સામ પિત્રોડા જામીન પર બહાર છે.

આ રીતે 'એજેએલ'ની દિલ્હી, મુંબઈ, લખનઉ તથા અન્ય શહેરોમાં આવેલી સ્થાવર સંપત્તિઓ પર ગાંધી પરિવારનો કબજો થઈ ગયો હોવાનો આરોપ સ્વામીએ મૂક્યો હતો. સામે પક્ષે કૉંગ્રેસનું કહેવું છે કે 'યંગ ઇન્ડિયા'એ 'નફા માટે કાર્યરત કંપની નથી' તેણે શૅરધારકો કે ડિરેક્ટરોને પણ કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી.

2010માં કૉંગ્રેસ પાર્ટીએ 'એજેએલ'ને દેવા પેટે રૂ. 90 કરોડ આપ્યા અને તેને 'અધિગ્રહિત' કરી લીધું. પાર્ટીનું કહેવું છે કે તેના માટે નેશનલ હેરાલ્ડનું 'ઐતિહાસિક મહત્ત્વ' હોવાથી તેને ઉગાર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2010માં કૉંગ્રેસ પાર્ટીએ 'એજેએલ'ને દેવા પેટે રૂ. 90 કરોડ આપ્યા અને તેને 'અધિગ્રહિત' કરી લીધું. પાર્ટીનું કહેવું છે કે તેના માટે નેશનલ હેરાલ્ડનું 'ઐતિહાસિક મહત્ત્વ' હોવાથી તેને ઉગાર્યું હતું

ઑગસ્ટ-2013માં લોકસભા ચૂંટણી પહેલાં સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જનતા પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. એ પછી તેઓ રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા. તેમણે તાજેતરમાં છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, પરંતુ તેમને પુનઃઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા.

છેલ્લા કેટલાક મહિનાથી સ્વામી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની સામે જે રીતે નિવેદનો કરતા હતા, તેનાથી મનાતું હતું કે તેમને બીજી ટર્મ નહીં મળવાના અણસાર મળી ગયા છે.

line

કૉંગ્રેસનો બચાવ

સુબ્રમણ્યમ સ્વામી: "જો ભ્રષ્ટાચાર થાય તો અવાજ નહીં ઉઠાવવાનો ? અને જો અવાજ ઉઠાવીએ તો તેને દ્વેષપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી કહીશું? અનિયમિતતા આચરવામાં આવી છે"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુબ્રમણ્યમ સ્વામી: "જો ભ્રષ્ટાચાર થાય તો અવાજ નહીં ઉઠાવવાનો ? અને જો અવાજ ઉઠાવીએ તો તેને દ્વેષપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી કહીશું? અનિયમિતતા આચરવામાં આવી છે"

કૉંગ્રેસે આ કેસમાં સોનિયા તથા રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે 'આ મની લૉન્ડ્રિંગ (કાળા નાણાં સફેદ કરવા) એવો વિચિત્ર કેસ છે કે જેમાં નાણાં જ નથી.' પાર્ટીએ ભાજપ ઉપર 'રાજકીય દ્વેષ' રાખવાનો આરોપ પણ મૂક્યો છે અને ઉમેર્યું છે કે પાર્ટી ઝૂકશે નહીં.

પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે 'નેશનલ હેરાલ્ડ' મુદ્દે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને કનડગત કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા તેમણે આપેલા બલિદાનોનું અપમાન કરી રહી છે.

નરેન્દ્ર મોદી સરકાર પર સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ વિભાગ જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓને કનડવાના આરોપ લાગતા રહે છે.

આ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં સ્વામી પોતે 'દ્વેષપૂર્વકના રાજકારણ'ના આરોપોને નકારી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે જેમની પાસે તર્ક કરવાની હિંમત ન હોય તેઓ આવી દલીલો આપતા હોય છે.

તેમણે પૂછ્યું, "જો ભ્રષ્ટાચાર થાય તો અવાજ નહીં ઉઠાવવાનો ? અને જો અવાજ ઉઠાવીએ તો તેને દ્વેષપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી કહીશું? અનિયમિતતા આચરવામાં આવી છે, પાર્ટીના ફંડનો ખોટો ઉપયોગ થયો છે અને ખોટી રીતે પાર્ટીની સંપત્તિને હડપવાનો પ્રયાસ થયો છે, તો અવાજ કેમ ઉઠાવવામાં ન આવે?"

સ્વામી 'દ્વેષપૂર્વકના રાજકારણ'ના આરોપોને નકારી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે જેમની પાસે તર્ક કરવાની હિંમત ન હોય તેઓ આવી દલીલો આપતા હોય છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સ્વામી 'દ્વેષપૂર્વકના રાજકારણ'ના આરોપોને નકારી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે જેમની પાસે તર્ક કરવાની હિંમત ન હોય તેઓ આવી દલીલો આપતા હોય છે

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અદાલતે અવલોક્યું હતું કે "ઐતિહાસિક ધરોહર ધરાવતી રાષ્ટ્રીય રાજકીય પક્ષની પ્રતિષ્ઠા દાવ પર છે." સાથે જ નોંધ્યું હતું કે કૉંગ્રેસના પદાધિકારીઓ 'એજેએલ'માં ડાયરેક્ટર હતા અને 'વાયઆઈએલ'માં મૅજોરિટી શૅરધારક પણ હતા.

પરંતુ 'એજેએલ'ના અન્ય શૅરધારકોને સાંભળ્યા વગર બધા નિર્ણય લેવામાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતિ ભૂષણે આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના પિતા એજેએલના પાંચ શૅર ધરાવતા હતા.

સુબ્રમણ્યન સ્વામી આ કેસમાં પક્ષકાર ન બની શકે, તેવી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની દલીલને અદાલતે કાઢી નાખી હતી.

લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈઓ પ્રમાણે, કોઈપણ રાજકીય પક્ષ 'લૉન' ન આપી શકે, છતાં કૉંગ્રેસ પાર્ટીએ શા માટે 'એજેએલ'ને લૉન આપી? કૉંગ્રેસના તત્કાલીન ખજાનચી વોરા 'એજેએલ'ના એમડી અને ચૅરમૅન હતા. તેઓ 'વાયઆઈએલ' તથા 'એઆઈસીસી' સાથે પણ સંકળાયેલા હતા. આમ 'પરસ્પર હિતસંઘર્ષ'નો મુદ્દો પણ ઉદ્દભવ્યો.

'વાયઆઈએલ'ને અપ્રત્યક્ષ રીતે 'એજેએલ'ના હસ્તાંતરણથી સેંકડો કરોડની સંપત્તિનું સ્વામિત્વ મળી ગયું હતું. આ સિવાય 'એજેએલ' પાસે અનેકગણી સંપત્તિ હોવા છતાં તેમાંથી કૉંગ્રેસ પાર્ટીનું દેવું ચૂકવવા માટે પ્રયાસ કેમ ન કર્યા?

આવકવેરા વિભાગ દ્વારા પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, જેની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન