LRD વિવાદ : અનામત અને બિનઅનામત વર્ગની યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?

બિનઅનામત વર્ગના લોકો જે પરિપત્ર રદ થતાં વિરોધ કરે છે.
ઇમેજ કૅપ્શન, બિનઅનામત વર્ગના લોકો જે પરિપત્ર રદ થતાં વિરોધ કરે છે.

ગુજરાતમાં SC, ST, OBCના અનામત મામલે પરિપત્રને લઈને ચાલતા આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે.

છેલ્લા 60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે.

મહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

News image

ગુજરાત સરકારે એ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ બાદ હવે બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારો મેદાને આવ્યાં છે.

તેમનું કહેવું છે કે સરકારે આ પરિપત્ર રદ કરીને અમને અન્યાય કર્યો છે.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે બિનઅનામત જ્ઞાતિના પ્રતિનિધિઓની માગણી સાંભળીશું. આ સમાજની લાગણી અમે મુખ્ય મંત્રી સુધી પહોંચાડીશું.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમની અને પ્રદીપસિંહની હાજરીમાં બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવશે.

line

પરિપત્રની તરફેણ અને વિરોધ

આંદોલન કરતાં એસસી,એસટી, ઓબીસી સમાજના લોકો
ઇમેજ કૅપ્શન, આંદોલન કરતાં એસસી,એસટી, ઓબીસી સમાજના લોકો

એલઆરડીની પરીક્ષા આપનારાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોની ફરિયાદ હતી કે સરકારે બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન આપ્યું નથી.

રાજકોટથી આવેલાં પૂજા સાગઠિયા ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમે છેલ્લા 64 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યાં છીએ અને છેલ્લા 21 દિવસથી સાત બહેનોએ અને સક્સેનાસાહેબે ઉપવાસ શરૂ કર્યા છે."

તેમનું કહેવું છે, "ગુજરાત સરકાર એવું ઇચ્છે છે કે અમે ભણીને આગળ ન વધીએ. જો ભણીએ તો ગુજરાત સરકાર સામે આંદોલન કરી શકે ને, એટલે ગુજરાત સરકારે આ પરિપત્ર દાખલ કર્યો છે."

આંદોલન કરનારાં મહિલા ઉમેદવારો કહે છે કે આ પરિપત્ર ગેરબંધારણીય છે.

તેઓ કહે છે, "શું અમે એસસી, એસટી, ઓબીસીમાં જન્મ લીધો એ અમારો ગુનો છે, મહિલા છીએ એ અમારો ગુનો છે?"

પૂજાબહેન કહે છે કે ડૉક્યુમૅન્ટ વેરિફિકેશન સુધી એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાં ગણવામાં આવી હતી, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાંથી કાઢીને અનામતના ક્વૉટામાં સામેલ કરવામાં આવી હતી. જેને કારણે અમારી બહેનોને અન્યાય થયો છે.

તો અન્ય મહિલા ઉમેદવારો પરિપત્ર રદ કરવાના સરકારના નિર્ણયને એકતરફી ગણાવે છે.

શીતલબા વાઘેલા કહે છે કે આ સરકાર કોઈ પણ નિર્ણય સરખી રીતે લઈ નથી શકતી. સરકાર એવા નિર્ણયો જ શું કામ લે છે કે વિરોધનો સામનો કરવો પડે. સરકારને ખુદને ખબર નથી કે મારે શું નિર્ણય લેવો.

અન્ય મહિલા ઉમેદવારોનું કહેવું છે કે અનામતવાળા અને બિનઅનામતવાળા કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. આથી અમે પણ હવે આંદોલન માટે તૈયાર છીએ. સરકારે બધા સમાજની દીકરીઓને ન્યાય આપવો જોઈએ.

સરકારના પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે જો મેરિટના આધારે અનામતવાળાં મહિલા ઉમેદવારો પસંદગી પામે તો તેઓને અનામતના ક્વૉટામાં ગણવા.

નોંધનીય છે કે ગાંધીનગરમાં 62 દિવસથી વધુ સમયથી ઓબીસી-એસસી, એસટી સમાજનાં મહિલા ઉમેદવારો ધરણાં કરી રહ્યાં હતાં.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ જ નહીં અનામત વર્ગના કેટલાક મંત્રીઓએ પણ અનામત વર્ગનાં મહિલાઓને એલઆરડીની ભરતીમાં અન્યાય અંગે મુખ્ય મંત્રીને પત્ર લખ્યા હતા.

અગાઉ શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "અલગઅલગ સમાજના લોકોની રજૂઆતો ઘણા સમયથી મળી રહી હતી જેના સંદર્ભમાં અમે આજે ઓબીસી અને અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરી હતી."

"આ બેઠકમાં એલઆરડી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે કોઈ પણ સમાજને અન્યાય ન થાય તે પ્રકારે નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે."

line

વિવાદિત પરિપત્રમાં શું હતું?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના મુખ્ય મંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે એક ઑગસ્ટ 2018ના પરિપત્રથી મહિલા અનામત અંગે ઉપસ્થિત થયેલા 13 મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતો સરકારી આદેશો કર્યા હતો.

આ પરિપત્રના મુદ્દા 12 અને 13 સામે અનામતતરફીઓમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો.

અનામત વર્ગનાં મહિલા ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવતાં હોય તો તેમને સામાન્ય વર્ગમાં ગણવાનું તો આ પરિપત્રમાં જણાવ્યું છે, પરંતુ રોસ્ટર ક્રમાંકમાં તેમને અનામત સંવર્ગમાં જ ગણવાનું જણાવીને ઓપન મેરિટના ખ્યાલનો અનર્થ કરી દેવાયો છે.

કેમ કે જો ઑપન મેરિટના ઉમેદવારને અનામતમાં ગણવાના હોય તો અનામત વર્ગના નીચા મેરિટના ઉમેદવારને તેનો કશો લાભ મળતો નથી.

હાલની લોકરક્ષકદળની ભરતીમાં અનુસૂચિત જાતિ અને ઓબીસીનાં ઘણાં મહિલા ઉમેદવારો ઑપન મેરિટમાં આવતાં હોવા છતાં તેમને ઑપનમાં ગણવામાં આવ્યા નથી.

જ્યારે અનામત વર્ગનાં મહિલાઓ એક ઑગસ્ટ 2018ના પરિપત્રની અન્યાયી જોગવાઈઓને કારણે આ સમગ્ર પરિપત્ર જ રદ કરવા આંદોલન કરી રહ્યાં છે, ત્યારે બિનઅનામત વર્ગનાં મહિલાઓ પણ તેમનો હક ડૂબી રહ્યાની રજૂઆતો કરી રહ્યાં છે.

મહિલા પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કૅડર વર્ગ-ત્રણ (બિનહથિયારધારી અને હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ અને જેલસિપાહી)ની 6,189 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા 15 ઑગસ્ટ, 2018ના રોજ જાહેરાત આપવામાં આવી હતી.

તેમાં બીજી 3,524 જગ્યાઓ ઉમેરાતાં કુલ 9,613 જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને અન્ય વધારાના ગુણ સાથે ખાલી જગ્યાના દોઢગણા એટલે કે 14,891 ઉમેદવારોને શૈક્ષણિક અને અન્ય લાયકાતનાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા.

જાહેરાત મુજબ બિનઅનામત વર્ગના પુરુષોની 3,554 અને મહિલાઓની 1,578, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પુરુષોની 1,657 અને મહિલાઓની 823, અનુસૂચિત જનજાતિની પુરુષો માટેની 996 અને મહિલાઓની 462 અને અનુસૂચિત જાતિના પુરુષોની 429 અને મહિલાઓની 214 મળી કુલ 6,636 પુરુષ અને 3,077 મહિલા લોકરક્ષકદળની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

30 નવેમ્બર, 2019ના કુલ 9,713 ઉમેદવારોમાંથી 8,135 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો