માયા કોડનાની કેમ નિર્દોષ છૂટી ગયાં?

કોડનાની અને બજરંગી

ઇમેજ સ્રોત, AFP

નરોડા પાટીયા નરસંહાર કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપતા માયા કોડાનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.

માયા કોડનાનીને આ પહેલાં ટ્રાયલ કોર્ટે આ ઘટનાના મુખ્ય આરોપી ગણાવીને દોષી ગણાવ્યાં હતાં.

હાલ માયા કોડનાની જામીન પર જેલની બહાર હતાં. હવે હાઈ કોર્ટના ચુકાદા બાદ તેઓ છૂટી ગયાં છે.

જોકે, આ જ કેસમાં બીજા આરોપી બાબુ બજરંગીને કોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખતા તેમને દોષીત જાહેર કર્યા છે.

બાબુ બજરંગી માટે રાહતની વાત એટલી છે કે તેમની આજીવન કેદની સજા ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે.

નરોડા પાટીયા નરસંહાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા.

ગુજરાત હાઈ કોર્ટે આ કેસમાં કુલ 32માંથી 13 આરોપીની ટ્રાયલ કોર્ટની સજા યથાવત રાખી છે જ્યારે 18 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થઈ ગયું હતું.

પરંતુ એવું તે શું થયું કે ટ્રાયલ કોર્ટે જેમને મુખ્ય આરોપી ગણાવ્યા તે માયા કોડનાની હાઈ કોર્ટમાંથી નિર્દોષ છુટી ગયાં?

line

માયા કોડનાનીને હાઈ કોર્ટે કેમ નિર્દોષ જાહેર કર્યાં?

માયા કોડનાની

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

હાઈ કોર્ટના ચુકાદા મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર(એસઆઈટી) આર. સી. કોડેકરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.

કોડેકરે માયા કોડનાની મામલે હાઈ કોર્ટે આપેલા ચુકાદા મામલે કહ્યું કે તેમને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ આપવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું, "અગિયાર સાક્ષીઓની જુબાની માયા કોડનાની સામે હતી. આ તમામ સાક્ષીઓએ પોતાનાં નિવેદનો એસઆઈટીની સમક્ષ આપ્યાં હતાં."

"એસઆઈટી સમક્ષ માયા કોડનાનીનું નામ પહેલીવાર 2008માં ખૂલ્યું હતું. 2002થી 2008 સુધી થયેલી તપાસમાં કોડનાનીનું નામ ક્યાંય ન હતું."

"આ કારણે હાઈ કોર્ટે એવું નોંધ્યું કે માત્ર 2008ના એસઆઈટી સમક્ષનાં નિવેદનોને કારણે કોઈ પણ વ્યક્તિને સજા આપી શકાય નહીં. જેથી તેમને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ આપ્યો."

line

કોર્ટે નિર્દોષ જાહેર કરતાં બીજું શું કારણ આપ્યું?

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, kalpit bhachech

કોડેકરે કહ્યું, "કોર્ટે બીજું કારણ આપતાં કહ્યું કે આ સાક્ષીઓના સમર્થનમાં બીજો કોઈ સ્વતંત્ર સાક્ષી આવ્યો ન હતો."

"કોડનાની સામે આરોપ એ હતો કે તેઓ તે દિવસે સવારના 9:30 વાગ્યે પોતાની કારમાંથી ઊતરે છે. એસ. ટી. વર્કશોપની સામે આવે છે અને તહોમતદારો સામે વાત કરે છે."

"એ સમયે મોટા પ્રમાણમાં પોલીસ ત્યાં હાજર હતી. પોલીસના કોઈ પણ અધિકારીએ તેમની સામે જુબાની આપી નથી કે માયા કોડનાની તે સમયે ત્યાં હાજર હતાં. જેથી તેમને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ મળ્યો છે."

કોડેકરે કહ્યું કે હાઈ કોર્ટે બાબુ બજરંગીને દોષિત જાહેર કરતાં નોંધ્યું કે તેમની સામે એવા પૂરાવા છે કે જે નરસંહાર થયો હતો તેમાં બજરંગી સવારથી લઈને સાંજ સુધી ટોળાંની સાથે હતા.

line

આ કારણોએ પણ કરી મદદ

માયા કોડનાની

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે આ મામલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે એસઆઈટીએ આ કેસની તપાસ શરૂ કરી તે પહેલાં માયા કોડનાની પર કોઈ પણ આરોપ ન હતા.

"એસઆઈટી પાસે માયા કોડનાનીના મોબાઈલ ફોન રેકોર્ડ સિવાય નરોડા પાટીયાના રહેવાસીઓનાં નિવેદન પુરાવા તરીકે હતાં."

"જે સૂચવે છે કે એસઆઇટીની તપાસ અનુસાર મોબાઇલનું લોકેશન અને સાક્ષીઓનાં નિવેદન અનુસાર તેમની સામે કેસ ચલાવાયો હતો."

તેમણે કહ્યું," ખરેખર મોબાઇલ લોકેશન એ મોબાઇલ ટાવરનાં લોકેશન હતાં. વળી સાક્ષીઓનું નિવેદન હતું કે તેમણે માયા કોડનાનીને એ વિસ્તારમાં જોયાં હતાં."

"પણ બીજી તરફ માયા કોડનાની તરફથી બચાવમાં એવું કહેવાયું હતું કે તેઓ ઘટના સમયે સોલા સિવિલ હોસ્પિટલમાંથી વિધાનસભા ગયાં હતાં."

"જ્યાં સુધી મોબાઇલ ટાવર લોકેશનની વાત છે તો તેમનું ઘર અને ડિસ્પેન્સરી પણ તે જ વિસ્તારમાં આવેલાં છે.આથી મોબાઇલ ટાવર લોકેશન રેડિયેશનમાં તેઓ હોઈ શકે છે. હાઇકોર્ટે એસઆઈટી સમક્ષ આપેલાં સાક્ષીઓનાં નિવેદનોને ગ્રાહ્ય રાખ્યાં નથી."

line

શું છે સમગ્ર મામલો?

રાઇટ્સની સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images

અયોધ્યાથી કાર સેવકને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 કોચને ગોધરા પાસે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સળગાવી દેવામાં આવ્યો હતો.

જેમાં 57 લોકો જીવતાં સળગી ગયાં હતા. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું.

28 ફેબ્રુઆરીના રોજ ટોળું નરોડા-નારોલ હાઇવે અને નરોડા પાટીયા પાસે પહોંચ્યું હતું.

જે બાદ 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનામાં 33 લોકો ઘાયલ પણ થયા હતા.

જેમાં તત્કાલિન ભાજપ સરકારના મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત કુલ 62 લોકો સામે 2009માં કેસ શરૂ થયો હતો.

કોર્ટે સુનાવણી દરમિયાન 327 લોકોનાં નિવેદનો લીધાં હતાં. આ ગુજરાત રમખાણો સાથે જોડાયેલો એક બહુ ચર્ચિત કેસ છે. જેની તપાસ એસઆઈટીએ કરી હતી.

line

કોણ છે માયા કોડનાની?

માયા કોડનાની

ઇમેજ સ્રોત, Getty Images

માયા કોડનાનીનો પરિવાર ભારતના ભાગલા પહેલાં હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં રહેતો હતો.

ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાતમાં આવીને વસ્યો. વ્યવસાયે માયા કોડનાની ડૉક્ટર હતાં. નરોડામાં તેમની હોસ્પિટલ હતી.

તેઓ આરએસએસ સાથે પણ જોડાયેલાં હતાં. બાદમાં તેઓ રાજકારણમાં સક્રિય થયાં હતાં.

માનવામાં આવે છે કે તેમની વાત કરવાની આવડતને કારણે તેઓ ભાજપમાં ખૂબ લોકપ્રિય બની ગયાં હતાં.

1998માં તેમણે નરોડાથી વિધાનસભાની ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યાં.

તેઓ 2002 અને 2007માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ બન્યાં.

જે બાદ 2009માં નરોડા પાટીયાનો કેસ શરૂ થયો અને તેમાં સુપ્રીમ કોર્ટની વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

જે બાદ માયા કોડનાનીની ધરપકડ કરવામાં આવી અને તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દેવું પડ્યું.

જોકે, ત્યારબાદ તેમને જામીન મળ્યા અને તેઓ વિધાનસભામાં જતા-આવતા રહ્યાં અને તેમના પર કેસ પણ ચાલતો રહ્યો.

29 ઓગસ્ટ 2012ના રોજ ટ્રાયલ કોર્ટે તેમને નરોડા પાટીયાનાં રમખાણોમાં દોષી જાહેર કર્યાં હતાં.

20 એપ્રિલ 2018ના રોજ હાઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો