સોમનાથ ડિમોલિશન : 'તંત્રએ ખોટું આશ્વાસન આપી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી', કલેક્ટરે શું જવાબ આપ્યો?
સોમનાથ મંદિર પાસે ધાર્મિકસ્થળો સહિત 45 જેટલાં બાંધકામોના ડિમોલિશન કરવાના મામલામાં અત્યાર સુધી શું-શું થયું?
રવિવારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તેમાં દરગાહ, મસ્જિદ, નાનાં-નાનાં મુસાફરખાનાં અને મકાનોનાં દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
ત્રણ પેઢીઓથી પ્રભાસ પાટણમાં રહેતા ઇસ્માઈલ મન્સૂરીએ બીબીસીને જણાવ્યું, "અહીં 35 જેટલી નાની દરગાહ તોડી પાડવામાં આવી છે, જેમાં 7 મોટી દરગાહ છે."
''બાબા હાજી મંગરોલીશાહ દરગાહ તો વર્ષો જૂની છે અને એએસઆઈ (આર્કિયોલૉજિક સર્વે ઑફ ઇન્ડિયા)એ પણ માન્યતા આપી હતી. અહીં દર વર્ષે ઉર્સનું આયોજન કરવામાં આવતું હતું જેમાં બંને કોમના લોકો હજારોની સંખ્યામાં ભાગ લેતા હતા.''
તેઓ વધુમાં જણાવે છે કે માત્ર દરગાહ જ નહીં પરંતુ કબ્રસ્તાનની જગ્યામાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. દરગાહમાં બનાવવામાં આવેલાં 40-45 મુસાફરખાનાં (મુલાકાતીઓના રહેવા માટેની નાની ઓરડીઓ) અને દરગાહ અને મસ્જિદની રખેવાળી કરતા લોકોનાં ઘરો પણ તોડી પાડવામાં આવ્યાં છે.
જોકે, પ્રશાસનનું કહેવું છે કે આ કાર્યવાહીમાં બે કિલોમીટરની રૅન્જમાં આવેલ મસ્જિદો સહિતનાંં 9 જેટલાં મોટાં ધાર્મિકસ્થળો અને ત્રણ જેટલાં નાનાં ધાર્મિકસ્થળોનાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં. સાથે 45 પાકાં મકાનોનાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યાં છે.
સ્થાનિકો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં ત્રીજી વખત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને દરેક વખતે લઘુમતિ સમાજના લોકોની મિલ્કતોને ગેરકાયદેસર ઠેરવીને તોડી પાડવામાં આવી છે.

ઇમેજ સ્રોત, DILIP MORI
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



