બનાસકાંઠા : પોલીસ સહિત સરકારી કર્મીઓ પર હુમલો થયો એ પાડલિયા ગામ કેવું છે અને લોકો શું કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બનાસકાંઠા, પાડલિયા, આદિવાસી, પોલીસ પર હુમલો, વનવિભાગની ટીમ પર હુમલો,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/Getty Images

"આ ગામના લોકો બિલકુલ હિંસક નથી, ગભરાયેલા છે અને ગભરાટમાં તેમણે આ પગલું ભર્યું હશે."

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પેપોદરા ગામના આદિવાસી આગેવાન ભોજાભાઈ કોદરવી શનિવારે પાડલિયા ગામ ખાતે વનકર્મી, પોલીસકર્મી અને રેવન્યૂ અધિકારીઓ પર ટોળાના હુમલાનું કારણ આપતાં આ વાત કરે છે.

તેઓ કહે છે કે, "આ આખો વિસ્તાર આદિવાસીઓનો છે. અહીં લોકો પેઢીઓથી રહી રહ્યા છે. પરંતુ ઘણી વાર વનવિભાગના લોકો અચાનક આવીને તેમનાં ઘરો, જમીનો ખાલી કરવાનું કહેવા લાગે છે. આ બનાવમાં પણ લોકોને આવી જ બીક હતી."

શનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામ ખાતે વનકર્મી, પોલીસકર્મી અને રેવન્યૂના અધિકારી પર 'જીવલેણ હુમલા'ની ઘટના ઘટી હતી. આ હુમલામાં કુલ 47 જેટલા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

બીબીસી ગુજરાતીએ વનવિભાગ સામે કરાઈ રહેલા આક્ષેપો અંગે તેમનો ખુલાસો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી નહોતી.

તંત્ર દ્વારા અપાયેલી માહિતી મુજબ વનવિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પોતાની માલિકીની જમીન પર વૃક્ષારોપણ અને નર્સરીનું કામ હાથ ધરાયું હતું. જે દરમિયાન લગભગ 500 લોકોના એક ઉશ્કેરાયેલા ટોળાએ 'પ્રાણઘાતક હથિયારો' વડે સરકારી કર્મચારીઓ પર 'જીવલેણ હુમલો' કરવાનો આરોપ લગાવાયો છે.

તમામ ઈજાગ્રસ્તોને નિકટની સ્થાનિક હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે દાંતા તાલુકામાં ગબ્બર પાછળ આવેલા ગામમાં જમીન બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબત હિંસક હુમલામાં પરિણમી હતી. આ પહેલાં પાડલિયા ગામ ખાતે વનવિભાગની જમીન પર વૃક્ષારોપણનો આસપાસના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

આ ઘટના સામે આવ્યા બાદ હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર અને પોલીસ બંદોબસ્તનાં કેટલાંક દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. જેમાં ઘણા પોલીસ સહિતના કેટલાક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ લોહીલુહાણ હાલતમાં પાટાપિંડી કરાવતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક કર્મચારીઓ ઘણા અસ્વસ્થ જણાઈ રહ્યા હતા.

આરોપ છે કે ટોળાએ ગોફણ, પથ્થર અને તીર-કામઠા જેવાં હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ મામલે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 109, 311, 132, 61 (2) તેમજ ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 135 અને ડૅમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટી ઍક્ટની કલમ 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

જોકે, હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની અટકાયત કરાઈ નથી.

પોલીસ સહિતના સરકારી અધિકારીઓ પર આવા કથિત 'ઘાતકી' હુમલા બાદ હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે સમગ્ર મામલો શું હતો, આ ઘટના જ્યાં બની એ વિસ્તાર કેવો છે અને ત્યાંના લોકો કેવા છે?

હુમલો થયો એ વિસ્તાર કેવો છે અને ત્યાંના લોકો કોણ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બનાસકાંઠા, પાડલિયા, આદિવાસી, પોલીસ પર હુમલો, વનવિભાગની ટીમ પર હુમલો,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મી અને વનવિભાગના કર્મીઓને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાડલિયા ગામથી 35-40 કિમી દૂર રહેતા 42 વર્ષીય ભોજાભાઈ કહે છે કે તેમની છ પેઢીથી તેઓ આ જ વિસ્તારમાં રહે છે.

તેઓ પાડલિયા ગામ અને ત્યાંના લોકો વિશે વધુ જાણકારી આપતાં કહે છે કે, "પાડલિયા ગામ પણ આ પટ્ટાનાં બીજાં ગામોની માફક આદિવાસી વસતી ધરાવતું અહીંનું એક મોટું ગામ છે. ત્યાંની વસતી 500 કરતાં વધુ છે."

તેઓ કહે છે કે ગામના મોટા ભાગના લોકો ખેતીકામ અને જંગલપેદાશોનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મોટા ભાગના લોકો પાસે ત્યાં પોતપોતાનાં ઘર છે.

ભોજાભાઈ કહે છે કે પહાડી અને દુર્ગમ ક્ષેત્રમાં પાડલિયા ગામના લોકોએ આ પહેલાં ક્યારેય આવી 'હિંસા'નો આશરો લીધો નથી.

તેઓ ઘટનાનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહે છે કે, "અગાઉ વનવિભાગ દ્વારા સ્થાનિકોનાં ઘરબાર તોડી પાડ્યાંના તેમજ જમીન પરથી હાંકી કાઢ્યા હોવાના ઘણા દાખલા આ વિસ્તારમાં જોવા મળે છે. તેથી આ વિસ્તારના લોકો વનવિભાગની પ્રવૃત્તિઓને શંકાની દૃષ્ટિએ જુએ છે."

તેઓ પાડલિયાના ગ્રામજનોનો પક્ષ મૂકતાં કહે છે કે, "એ ગામના લોકોએ ક્યારેય આવી હિંસા કરી હોવાનું અમે જાણ્યું નથી. તેઓ હિંસક નથી."

ભોજાભાઈ આગળ કહે છે કે, "જો વનવિભાગ આ ગામલોકોની શંકાને સમજ્યો હોત અને એ સમજીને તેના નિકાલ માટે યોગ્ય વાતચીત કે મસલતનો માર્ગ લેવાયો હોત, તો કદાચ આવું ન બન્યું હોત. વચ્ચેનો કોઈ રસ્તો નીકળ્યો હોય અને ગામલોકોને વિશ્વાસમાં લઈ શકાયા હોત."

બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર અને બીબીસીના સહયોગી પરેશ પઢિયારે પણ આ ઘટના પાછળનાં સંભવિત કારણો અંગે કંઈક આવી જ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "પાછલા ઘણા સમયથી જુદાં જુદાં વિકાસનાં કામોને ટાંકીને આસપાસના વિસ્તારના લોકો સામે જમીન ખાલી કરાવવા સહિતની કાર્યવાહી ઘણી વખત થઈ ચૂકી છે. આવી બીક માત્ર એક નહીં, પણ આ વિસ્તારનાં ઘણાં ગામો અને ગામલોકોની છે."

તેઓ કહે છે કે, "આ બધા લોકો આદિવાસી છે, અને તેમને પણ આ ઘટનામાં આવી જ રીતે પોતાની જમીન ગુમાવવાનો અને બેઘર થવાનો ડર લાગ્યો હશે. જે બાદ મામલો વણસ્યો હોઈ શકે."

બીબીસીના સહયોગી પરેશ પઢિયારે આ સમગ્ર પ્રકરણમાં વનવિભાગ સામે લાગી રહેલા આરોપ અંગે વિભાગની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી નહોતી.

હુમલામાં કેવું નુકસાન થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બનાસકાંઠા, પાડલિયા, આદિવાસી, પોલીસ પર હુમલો, વનવિભાગની ટીમ પર હુમલો,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, મીઠાભાઈનું કહેવું છે કે પોલીસના લાઠીચાર્જ બાદ મામલો ગરમાયો હતો

શનિવારની ઘટના અંગે ગામલોકોનો પક્ષ મૂકતાં એક મીઠાભાઈ નામની વ્યક્તિએ કહ્યું હતું કે, "પાડલિયામાં બે દિવસથી કંઈક વિવાદ ચાલી રહ્યો હતો. બનાવના દિવસે ગામના લોકો પોતાની જમીન પર ગ્રામસભાની કંઈક વાતો કરતા બેઠા હતા. એ ટાઇમે વનવિભાગના લોકો ત્યાં જેસીબી સહિતનાં મશીનો લઈને પહોંચ્યા હતા."

"મામલો એવો હતો કે એ દિવસે ત્યાંનાં સ્થાનિક એક વિધવા બહેનનો કૂવો તોડી નખાયો અને તેમનું છાપરું પણ પાડી દેવાયું અને ટોળા પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો, જેણે બાદમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું."

તેઓ કહે છે કે, "એવું જાણવા મળી રહ્યું છે કે ગામના દસ-15 લોકોને પણ ઈજાઓ થઈ છે, પણ એ લોકો ડરના કારણે આ જંગલમાં ક્યાંક સંતાયેલા છે અને દેશી દવા કરી રહ્યા છે."

તેઓ આગળ કહે છે કે ગ્રામજનોનો આક્ષેપ છે કે પહેલાં તેમનાં વાહનોમાં પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને લાઠીચાર્જ પછી આ મામલો ગરમાયો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બનાસકાંઠા, પાડલિયા, આદિવાસી, પોલીસ પર હુમલો, વનવિભાગની ટીમ પર હુમલો,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, દાંતાના ડીવાયએસપી કુણાલસિંહ પરમાર

રવિવારે દાંતાના ડીવાયએસપી કુણાલસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "પોલીસની ટીમએફએસએલ અને ટૅક્નિકલ સર્વેલન્સની ટીમને સાથે રાખીને બનાવના સ્થળે પંચનામું કરવાની છે."

"પ્રાથમિક વિગતો અનુસાર વનવિભાગનાં બે વાહનોને નુકસાન કરાયું છે. આ ઘટનામાં જેટલું નુકસાન થયું છે તેનું પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે."

શું આ છોડ રોપવાના કાર્યક્રમની સામા પક્ષને કોઈ જાણ કરાઈ હતી કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, "વનવિભાગ દ્વારા પહેલાંથી આના માટે આયોજન કરાયું હતું. જે અંતર્ગત વનવિભાગને અગાઉથી પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો. તેમજ રેવન્યૂ વિભાગના કારોબારી મૅજિસ્ટ્રેટ પણ સ્થળ પર હાજર હતા."

પોલીસે આગળ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ આરોપીની આ મામલે અટકાયત કરાઈ નથી, પરંતુ શક્ય તેટલી ઝડપે અટકાયતની કાર્યવાહી કરાશે.

હુમલામાં ઘાયલ ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે.

મોટા ટોળા દ્વારા હુમલો કરાતાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. જ્યારે એક પોલીસ અધિકારીને તીર વાગ્યું હતું.

તંત્રના જણાવ્યા અનુસાર આ હુમલા દરમિયાન વનવિભાગની ગાડીઓ સળગાવી દેવાઈ અને સરકારી ગાડીઓના ટાયરો ફાડી નાખવામાં આવ્યાં. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 20 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, બનાસકાંઠા, પાડલિયા, આદિવાસી, પોલીસ પર હુમલો, વનવિભાગની ટીમ પર હુમલો,

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષક પ્રશાંત સૂંબે

બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષક પ્રશાંત સૂંબેએ મીડિયા સાથેની વાતચીતમાં બનાવ માટે એક સંગઠન સામે આરોપ કરતાં કહ્યું, "રોપાના વાવેતરની કામગીરી દરમિયાન બંધારણ અને સરકારમાં ન માનનારા એસસી ભારત સંગઠનના લોકોએ કામગીરીમાં અવરોધ પેદા કર્યો હતો. બાદમાં આ લોકોએ 500 લોકોનું ટોળું ભેગું કર્યું હતું."

"બનાવસ્થળે પણ હાલ પરિસ્થિતિ સામાન્ય છે. આજે ગામના આગેવાનો અને નિર્દોષ લોકો સાથે વાતચીત કરાઈ છે અને આશ્વાસન અપાયું છે. સ્થળનું પંચનામું પણ પૂરું કરાયું છે. જેમાં પોલીસ અને વનવિભાગની બબ્બે ગાડીઓને નુકસાન થયું હોવાની વાત સામે આવી છે."

પાડલિયા ગામનાં એક મહિલાએ ગામમાં તેમના ઘર, જમીન અને મિલકતને સરકારી કર્મચારીઓની ટીમો દ્વારા કોઈ પણ જાતની નોટિસ વિના શનિવારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ અંગે જવાબ આપતાં તેઓ કહે છે :

"અમારી પાસે રહેલી વિગતો મુજબ સ્થળ પર વનવિભાગ દ્વારા રોપા વાવેતરની કામગીરી કરવાની હતી. એ હેતુ માટે જ પોલીસવિભાગ તરફથી બંદોબસ્ત ફાળવાયો હતો. સ્થાનિક કક્ષાએ થયેલા આક્ષેપો સંદર્ભે પણ જો કોઈ વિગત આગળ બહાર આવશે તો તેની તપાસ કરાશે."

પોલીસે વનવિભાગ અને સ્થાનિકો વચ્ચે ચાલી રહેલી મિટિંગ દરમિયાન 'દબંગગીરી' કર્યાના આરોપો અંગે તેમણે કહ્યું કે, "જીવલેણ હુમલો હોવા છતાં વનવિભાગ અને પોલીસવિભાગે બળનો ખૂબ સંયમિતપણે ઉપયોગ કર્યો છે. આના કારણે જ બંને પક્ષમાંથી કોઈને જાનહાનિ થઈ નથી. આ મામલો ખૂબ સારી રીતે શાંત પડ્યો છે."

"જે પ્રમાણે બળપ્રયોગ કરાયેલ છે, તેની વિગતો પણ તપાસ દરમિયાન સામે આવશે જ."

ગામલોકો પૈકી કોઈને ઈજા થઈ છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અત્યાર સુધી કોઈ ઈજાગ્રસ્ત સામે આવ્યા નથી. તમામ આગેવાનો સાથે વાત થઈ છે. ગઈ કાલે પણ અમે આ બનાવ બાદ જરૂરિયાતમંદોને મેડિકલ અને અન્ય મદદ કરવાની પેશકશ કરી હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન