ભારતમાં 100 અબજ ડૉલરનું રોકાણ કરવાનો ચાર યુરોપિયન દેશો સાથેનો કરાર કેમ ઐતિહાસિક ગણાવાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, PIYUSHGOYAL/X
ભારતે યુરોપિયન સમૂહના ચાર દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) કર્યો છે. આ એવા દેશો છે જેઓ યુરોપિયન યુનિયનના સભ્યો નથી.
વાણિજ્ય અને વેપાર મંત્રીના કહેવા પ્રમાણે યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિયેશન (ઇએફટીએ) સાથે થયેલા આ કરારને કારણે ભારતમાં 100 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ઇએફટીએ નૉર્વે, સ્વિટ્ઝરલૅન્ડ, આઇસલૅન્ડ અને લિટનસ્ટેઇન જેવા દેશોનું બનેલું છે.
આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને બ્રિટન વચ્ચે એફટીએને લઈને છેલ્લાં બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "આ કરાર લૅન્ડમાર્ક તરીકે જોવા જોઈએ અને તે અમારી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની અને યુવાનો માટે નવી તકો ઊભી કરવાની નીતિને દર્શાવે છે."
તેઓ ઉમેરે છે, "આવનારા સમયમાં વધુ સમૃદ્ધિ અને પરસ્પર વિકાસને કારણે ઇએફટીએ દેશો સાથે આપણું જોડાણ વધુ મજબૂત થશે."
અનેક વર્ષોની વાટાઘાટો પછી થયા કરાર

ઇમેજ સ્રોત, PIYUSHGOYAL/X
લગભગ 16 વર્ષ થયેલી વાટાઘાટો પછી આ કરાર થયા છે. આ કરાર હેઠળ ભારત આ ચાર દેશોમાંથી આવતા ઔદ્યોગિક પુરવઠા પરનો આયાત કર હઠાવી દેશે. આ દેશો ભારતમાં રોકાણ કરશે તેના બદલામાં ભારત આવો નિર્ણય લેશે.
આ રોકાણ કોઈ એક ક્ષેત્રમાં નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં થશે જેમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી અને ઉત્પાદનક્ષેત્ર પણ સામેલ હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇએફટીએએ તેના નિવેદનમાં કહ્યું છે કે, "આ કરારને કારણે બજારોની સુગમતા વધશે અને કસ્ટમમાં થતી લાંબી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. જેના કારણે ભારત અને ઇએફટીએ હેઠળ આવતા વેપારધંધા તેમનો વધુ ફેલાવો આ બજારોમાં કરી શકશે અથવા તો એમ કહી શકાય કે તેમને મોટું બજાર મળશે."
જોકે, ભારત અને ચાર ઇએફટીએ રાષ્ટ્રોએ હવે આ કરારને અમલમાં મૂકતા પહેલાં તેને બહાલી આપવાની જરૂર છે કારણ કે સ્વિટ્ઝર્લૅન્ડ પણ આગામી વર્ષ સુધીમાં આવું કરવાની યોજના ધરાવે છે.
ભારતમાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ચૂંટાવા માટે લડી રહ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં ભારતે ઑસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે પણ વેપાર સોદા કર્યા છે.
ગત અઠવાડિયે, યુકેના વેપાર મામલાના પ્રધાન કૅમી બેડેનોચે સૂચવ્યું હતું કે ભારતમાં ચૂંટણી યોજાય તે પહેલાં બ્રિટન મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે તે શક્ય છે પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તે પડકારરૂપ છે.
તેઓ કહે "આમ તો ઉતાવળ જરૂરી નથી કારણ કે હું કોઈ ચૂંટણીનો સમયમર્યાદા તરીકે ઉપયોગ કરવા માંગતી નથી."
નૉર્વેના વેપાર મામલાના પ્રધાન જાન ક્રિશ્ચિયન વાસ્ત્રેએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે" – તેમણે આ હિન્દીમાં કહ્યું હતું.
"આ ખરેખર ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધાય તેવો દિવસ છે. આ ટકાઉ વેપારની કરવાની આ એક નવી રીત છે. રોકાણ વધારવા અને નોકરીઓનું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતા છે જેથી કરીને અમે આ કરારમાં નિર્ધારિત ઉદ્દેશ્યો હાંસલ કરી શકીએ."
ભારતને આ કરારથી શું ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
જે ચાર દેશો સાથે કરાર થયા છે તેમાં સ્વિટ્ઝર્લૅન્ડ ભારતનો સૌથી મોટો સાથીદાર દેશ છે.
વર્ષ 2022-23માં બંને દેશો વચ્ચે થયેલો દ્વિપક્ષીય વેપાર 17.14 અબજ ડૉલરનો રહ્યો છે જ્યારે આ ચાર દેશો સાથે મળીને વેપાર 18.66 અબજ ડૉલરનો હતો.
સ્વિટ્ઝર્લૅન્ડની સરકારે આ કરારને ખૂબ અગત્યનો ગણાવ્યો છે.
આ કરાર બાદ ભારત સ્વિસ ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી સ્વિસ પ્રૉડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી થોડા સમય માટે હઠાવી દેશે.
કરાર મુજબ ભારત સોના સિવાય સ્વિટ્ઝર્લેન્ડમાંથી લગભગ 95 ટકા ઔદ્યોગિક આયાત પર તરત જ અથવા તો થોડા સમય બાદ કસ્ટમ ડ્યુટી દૂર કરશે.
આ સાથે ભારતમાં ટૂના, સૅલ્મોન જેવા સીફૂડ, કૉફી, વિવિધ પ્રકારનાં તેલ, અનેક પ્રકારની મિઠાઈઓ અને પ્રૉસેસ્ડ ફૂડની કિંમતમાં ઘટાડો થશે.
આ સિવાય સ્માર્ટફોન, સાયકલ એસેસરીઝ, મેડિકલ ઇક્વિપમેન્ટ, રંગ, કાપડ, સ્ટીલનો સામાન અને મશીનરી પણ સસ્તી થશે.
ગ્લૉબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના વડા અજય શ્રીવાસ્તવે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે, "ભારતમાં સ્વિસ માલસામાનની કિંમત સસ્તી થવા જઈ રહી છે કારણ કે તેના પર લાદવામાં આવેલા કરને દૂર કરવામાં આવશે. પાંચ ડૉલરથી લઈને 15 ડૉલર સુધીની કિંમતની વાઇન પરની ડ્યુટી લગભગ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવશે."
શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર આગામી વર્ષોમાં કટ-પોલિશ હીરા પર પાંચ ટકા ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવશે.
રોકાણ સાથે નોકરીઓની વિપુલ તકો

ઇમેજ સ્રોત, PIYUSHGOYAL/X
આ કરારને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યો છે કારણ કે આવનારાં 15 વર્ષોમાં આ ચાર દેશો ભારતમાં 100 અબજ ડૉલરનું રોકાણ કરશે અને સાથેસાથે 10 લાખ નોકરીઓનું સર્જન થશે. આ દેશોએ આ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં, સ્વિટ્ઝર્લૅન્ડના આર્થિક બાબતોનાં પ્રધાન હૅલેન બડલિગર આર્ટિડાએ જણાવ્યું હતું કે, "હું તમને કહી શકું છું કે સ્વિસ કંપનીઓ અને અન્ય કંપનીઓને ભારતમાં વ્યાપક રુચિ છે, તેમણે અમારી સાથે વાત કરી છે. "
"અમે એક અંદાજ પ્રમાણે 100 અબજ ડૉલરના આંકડા પર પહોંચ્યા છીએ. તેના માટે અમે 2022માં એફડીઆઈનો આંકડો ધ્યાનમાં રાખ્યો છે, જે 10.7 અબજ અમેરિકી ડૉલર છે. ભારતના જીડીપી અંદાજો અને અહીંના વિશાળ બજારને આધાર બનાવીને અમે આ રોકાણની રકમ નક્કી કરી છે."
"ઈએફટીએ બ્લૉક અમારા યુરોપિયન પાડોશી (ઇયૂ) પહેલાં જ આ સોદાને પાર પાડવામાં સફળ થયો છે. જેના કારણે ભારતમાં બાકીના દેશોની રુચિ ખૂબ વધી ગઈ છે. પરંતુ હું એ વાતને સ્પષ્ટ કરવા માંગું છું કે આ રોકાણ સ્વિસ સરકાર નહીં પણ ખાનગી કંપનીઓ કરશે."
"જો કોઈ કારણોસર અમે 100 અબજ ડૉલરનું રોકાણ નહીં કરી શકીએ, તો અમે પાછા જતા રહીશું."












