કાલ્પનિક દેશ કૈલાસાની સ્થાપના કરનાર નિત્યાનંદની કહાણી અને માઇક્રૉનેશન્સની દુનિયામાં ડોકિયું

ઇમેજ સ્રોત, @SriNithyananda
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સ્વયંભૂ સ્વામી નિત્યાનંદ દ્વારા સ્થાપિત ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા’નાં પ્રતિનિધિઓએ ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રોના માનવાધિકાર કાર્યાલય દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ચર્ચામાં યુએસકેના પ્રતિનિધિઓએ આરોપ મૂક્યો હતો કે પુરાતન હિંદુ સંસ્કૃતિના ઉત્થાન કરવાના પ્રયાસ કરવા બદલ નિત્યાનંદને તેમના જન્મના દેશમાં જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે પોતાની ઓળખ આપનારાં એક મહિલા પોતાને 'યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસાના કાયમી પ્રતિનિધિ' જણાવે છે.
માનવ અધિકાર કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે "સામાન્ય ચર્ચાના વિષય સાથે અપ્રસ્તુત" હતી એટલે તેને અહેવાલમાં સામેલ કરવામાં નહીં આવે.
ભારતે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેને ભારતીય મીડિયામાં વ્યાપક સ્થાન મળ્યું છે અને લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યા છે કે બાળકોનાં અપહરણ અને દુષ્કર્મના આરોપી કેવી રીતે એક દેશની સ્થાપના કરી શકે અને કેવી રીતે યુએનની સભા સુધી પહોંચી શકે.
એક દેશની સ્થાપના કેવી રીતે થઈ શકે અને તેને માન્યતા કેવી રીતે મળી શકે? આવા માઇક્રૉનેશન અસ્તિત્વમાં આવવા પાછળ, કળા, આક્રોશની અભિવ્યક્તિ, સ્વતંત્રતાની ઘોષણા વગેરે અલગ-અલગ કારણો જવાબદાર હોઈ શકે છે.

નિત્યાનંદનું અમદાવાદ કનેકશન

ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુનાં માતા-પિતાએ ફરિયાદ કરી હતી કે તેમનાં ચાર સંતાનો નિત્યાનંદના આશ્રમમાં બૅંગ્લુરુ ખાતે અભ્યાસ કરી રહ્યાં હતાં, જ્યાંથી તેમની જાણ બહાર તેમને અમદાવાદ મોકલી દેવામાં આવ્યાં હતાં.
નવેમ્બર-2019માં ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ નિત્યાનંદ દેશમાંથી ફરાર થઈ ગયા હતા. આ પહેલાં એક મહિલા સાથેની કથિત અશ્લીલ વીડિયો ક્લિપ મુદ્દે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2019 પછી નિત્યાનંદ સાર્વજનિક રીતે કોઈ કાર્યક્રમમાં દેખાયા નથી, પરંતુ તેઓ વીડિયોના માધ્યમથી પોતાના સમર્થકોને સંબોધિત કરતા રહે છે.
તેમના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા બ્લૂ કૉર્નર નોટિસ પણ કાઢવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની વાત કહી છે.
ડિસેમ્બર-2019માં નિત્યાનંદે કૈલાસા નામના દેશની સ્થાપનાની જાહેરાત વીડિયો માધ્યમથી કરી હતી. આ દેશની વેબસાઇટ 2018 આસપાસ રજિસ્ટર કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે તેમણે પ્રશાંત મહાસાગરમાં ઇક્વેડોર પાસેથી ટાપુ ખરીદ્યો છે અને ત્યાં પોતાના સમર્થકો સાથે રહે છે.
જોકે, ઇક્વેડોરે નિત્યાનંદ તેમના હદવિસ્તારમાં હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. નિત્યાનંદે પોતાનાં ધ્વજ, વડા પ્રધાન, કૅબિનેટ અને બૅન્કની જાહેરાત કરી હતી અને તે 'હિંદુઓ માટેના સરહદવિહીન દેશ'ની વાત પણ કહી હતી.
એવી ચર્ચા હતી કે અમદાવાદ, કર્ણાટક અને તામિલનાડુના કેટલાક પ્રસિદ્ધ લોકો ભારત છોડીને નિત્યાનંદના યુએસકેમાં સ્થાયી થઈ જશે. નિત્યાનંદના સમર્થકો અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને માન્યતા મેળવવા પ્રયાસરત છે.
યુએનના માનવ અધિકાર કાર્યાલય દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે, જે ચર્ચાઓમાં યુએસકેના કથિત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તે સામાન્ય પ્રકારની ચર્ચાઓ હતી અને રસ ધરાવનારા દરેકને માટે ખુલ્લી હતી.

નવો દેશ કેવી રીતે બનાવી શકાય?

ઇમેજ સ્રોત, Robert Harding/Alamy
કોઈ પણ દેશના અસ્તિત્વ માટે સામાન્ય રીતે મૉન્ટેવીડિયો કન્વેન્શનમાં નિર્ધારિત પરિણામોને ધ્યાને લેવામાં આવે છે. જે મુજબ : દેશની નિર્ધારિત સીમાઓ હોવી જોઈએ, ત્યાં કાયમી રીતે રહેતા લોકો હોવા જોઈએ, તેની પોતાની સરકાર હોવી જોઈએ તથા તે અન્ય દેશો સાથે કૂટનીતિક સંબંધ સ્થાપિત કરવા અને જાળવી રાખવા માટે સક્ષમ હોવી જોઈએ.
તેમાં વિસ્તાર કેટલો હોવો જોઈએ, વસતિ કેટલી હોવી જોઈએ, સરકારની કાર્યદક્ષતા વગેરે બાબતો વિશે કોઈ સ્પષ્ટતા નથી.
આ પછી વધુ એક પરિમાણ સંયુક્ત રાષ્ટ્રનું વર્ષ 1945નું ઘોષણાપત્રક છે. એ સમયે વિશ્વના અનેક દેશો પશ્ચિમી દેશોના સંસ્થાન હતા. એટલે અધીન રહેલા દેશોને પોતાની સ્વશાસનનો નિર્ધાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
તાજેતરનાં વર્ષોમાં એક દેશમાં જ રહેતા લોકો પોતાના સ્વશાસન માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ચીન અને સ્પેન સહિત અનેક દેશમાં આ પ્રકારનાં ઉદાહરણ જોવાં મળે છે.
કોઈ પણ દેશ ગણતંત્ર હોય શકે, જેમાં લોકો પોતાના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને ચૂંટે. તે રાજાશાહી હોય શકે, જેમાં રાજા કે રાણી દ્વારા શાસન ચલાવવામાં આવતું હોય.
એક સમયે બ્રિટનને અધીન દેશો કૉમનવેલ્થ તરીકે ઓળખાય છે, જેમાં વડા પ્રધાનના હાથમાં શાસનની ધુરા હોય.
આ સિવાય પ્રિન્સિપાલિટીમાં રાજકુમાર પાસે શાસન હોય છે, સામાન્ય રીતે નાના કદના હદવિસ્તાર માટે તેનો પ્રયોગ થાય છે. આ સિવાય સામ્રાજ્ય હોય શકે. જેમ કે, મુઘલ, ઝાર, કૈસર અને સિઝર વગેરે.
એક અનુમાન પ્રમાણે હાલમાં લગભગ 100 જેટલા માઇક્રૉનેશન અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ આવેલા છે.
પ્રશાંત મહાસાગરમાં અમુક હજારથી અમુક લાખ ડૉલરમાં ટાપુ મળી રહે, જ્યારે કૅરેબિયન ટાપુઓ આસપાસના દ્વીપો પર કિંમત લાખોથી કરોડો ડૉલર સુધી પહોંચી શકે છે.

કેટલાક બહુચર્ચિત માઇક્રૉનેશન

ઇમેજ સ્રોત, Getty Images
એવું નથી કે માઇક્રૉનેશન આજકાલની વિભાવના છે, દાયકાઓથી તે અસ્તિત્વ ધરાવે છે અને તે ચર્ચામાં રહી છે. મોહમ્મદ બહારેઠ તેમના પુસ્તક "ધ માઇક્રૉનેશન"માં (પેજનંબર 17) લખે છે કે 'આમ તો માઇક્રૉનેશનની વિભાવના બહુ જૂની છે, પરંતુ 1960 અને '70ના દાયકામાં અનેક માઇક્રૉનેશન અસ્તિત્વમાં આવ્યા હતા.' જેમાંથી જૂનું અને બહુચર્ચિત 'પ્રિન્સિપાલિટી ઑફ સિલૅન્ડ' છે. જે યુકેમાં આવેલું છે.
1972માં નવાદાના ધનિક ઉદ્યોગપતિ માઇકલ ઑલિવરે ફિજીની દક્ષિણમાં કૃત્રિમ ટાપુની સ્થાપના કરી હતી અને તેને 'આઇલૅન્ડ ઑફ મિનરવા' નામ આપ્યું હતું.
અમુક સમય પછી પાડોશી દેશ ટોંગાએ તેની ઉપર આક્રમણ કરીને તેમને પોતાનામાં ભેળવી દીધું અને ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સમુદાયનો સાથ મળ્યો ન હતો.'
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના વિમાનોના હવાઈહુમલાથી બચવા માટે બ્રિટન દ્વારા દરિયામાં વિમાનવિરોધી બંદૂકો ગોઠવવામાં આવી હતી.
આવા જ ગનટાવર ઉપર પેડી રૉય બેટ્ટ્સ તેના ઉપર કબજો કરી લીધો અને તેને સંપ્રભુ રાષ્ટ્ર જાહેર કરી દીધું. તે ચાર હજાર વર્ગમીટર સુધી ફેલાયેલો છે. ત્યાં ઊતરવા માટે હિલપેડ પણ છે અને બોટથી પણ પહોંચી શકાય છે.
સિલૅન્ડ પાસપૉર્ટ આપે છે, જેનો કોઈ ઉપયોગ નથી. તેના પોતાના સિક્કા છે, જે સ્મૃતિચિહ્ન તરીકે વેંચવામાં આવે છે. અહીંની મુલાકાત લેવા માટે દરરોજ તેમને સરેરાશ 100 પ્રસ્તાવ મળે છે.
સિલૅન્ડની જીડીપી છ લાખ ડૉલર જેટલી છે.

ઇમેજ સ્રોત, Alamy
1970માં ઑસ્ટ્રેલિયાના ખેડૂત લિયોનાર્ડ કેસલી પ્રિન્સિપાલિટી ઑફ હુટ્ટ રિવરની સ્થાપના કરી અને ખુદને પ્રિન્સ જાહેર કર્યા હતા. તેનો વિસ્તાર 75 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો હતો.
તેનો આ વિસ્તાર વૅટિકન સિટી, મોનેક્કો અને સાન મરિનો જેવા વાસ્તવમાં માન્યતા પ્રાપ્ત સંપ્રભૂ રાષ્ટ્ર કરતા પણ મોટો હતો.
આ ફાર્મમાં દેવળ, અમુક સરકારી કચેરીઓ, અને સ્મૃતિચિહ્ન માટેની દુકાન પણ હતી. પરિવારના સભ્યો જ મોટાભાગના મંત્રાલય સંભાળતા.
1969માં ઑસ્ટ્રેલિયાએ ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો. જેના કારણે લિયોનાર્ડ માટે હજારો એકરમાં ઉત્પાદિત માલનું વેચાણ મુશ્કેલ બન્યું. એટલે તેમણે અંગ્રેજ સમયના કાયદાઓની છટકબારીનો ઉપયોગ કરીને પ્રિન્સિપાલિટીની જાહેરાત કરી દીધી.
ઑસ્ટ્રેલિયાની સર્વોચ્ચ અદાલતે અલગ દેશ તરીકેની માન્યતાની દલીલને નકારી કાઢી અને કર ભરવા માટે કહેવામાં આવ્યું. ઑગસ્ટ-2020માં આ દેશની જમીન વેચી દેવામાં આવી.

ઇમેજ સ્રોત, Jessica Muddit
ઑસ્ટ્રેલિયામાં જ ઍટલાન્ટિયમ આવેલું છે. જેની સ્થાપના જ્યોર્જ કર્યૂકશંકે કરી છે.
તેણે નોટો બહાર પાડી, તેનું પોતાનું રાષ્ટ્રચિહ્ન છે. સ્ટૅમ્પપેપર બહાર પાડે છે અને તેનું રાષ્ટ્રગીત પણ છે.
સિંગાપોર, અમેરિકા સ્વિટ્ઝર્લૅન્ડ સહિત અનેક દેશોમા તેને 'બિનમાન્યતાપ્રાપ્ત પ્રતિનિધિઓ' પણ છે.
લગભગ 100 દેશના લગભગ ત્રણ હજાર નાગરિકોએ ઍટલાન્ટિયમનું 'નાગરિકત્વ' લીધું છે, છતાં મોટા ભાગનાઓએ ક્યારેય ત્યાં પગ નથી મૂક્યો. અને ઔપચારિક રીતે જોવામાં આવે તો તે વૅટિકન કરતાં બમણું કદ ધરાવે છે.
ઑસ્ટ્રેલિયામાં સમલૈંગિક અને લૅસ્બિયન સંબંધોને માન્યતા ન હતી, જેના વિરોધમાં 2004માં 'ધ ગૅ ઍન્ડ લૅસ્બિયન કિંગ્ડમ ઑફ કોરલ સી આઈલૅન્ડ'ની સ્થાપના કરવામાં આવી હતી.
2017માં સમલૈંગિક સંબંધોને માન્યતા મળતા તેનું વિઘટન કરી દેવામાં આવ્યું હતું.
યુરોપિયન રાષ્ટ્ર લિથ્યુયાનિયાની રાજધાની વિલનિયસના યુઝુપિસે ખુદને ગણતંત્ર જાહેર કર્યું છે.
1998માં તેની સ્થાપના કરવામાં આવી હતી. એક સમયે હિંસા માટે કુખ્યાત આ વિસ્તાર હવે કળા માટે ઓળખાય છે અને ત્યાં સંગીતકારો, ભીંતચિત્રો તેને અલગ ઓળખ આપે છે.
તેનું પોતાનું બંધારણ છે. જ્યારથી આ વિસ્તાર અલગ રાષ્ટ્ર જાહેર થયો છે, ત્યારથી ત્યાં જમીનના ભાવો વધ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
પોતાનો વિસ્તાર, પોતાના સિક્કા, પોતાની સ્ટૅમ્પ, પોતાનું રાષ્ટ્રગીત, પોતાનું રાષ્ટ્રચિહ્ન,પોતાના લોકો, પોતાની આગવી ઓળખ, માઇક્રૉનેશનની વિભાવનામાં પીળું એટલું સોનું નથી.
ઇન્ટરનેટ પર કાલ્પનિક માઇક્રૉનેશન અસ્તિત્વ ધરાવે છે, અને તેના નામે ઠગાઈ થઈ હોવાના કિસ્સા પણ નોંધાયેલા છે.














