બ્રિટનના રાજાના મહેલ કરતાં ચાર ગણા મોટા લક્ષ્મી વિલાસ પૅલેસની આ પ્રેમકહાણી જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત તાજેતરમાં વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસમાં થઈ. આ એ પૅલેસ છે જે ઇંગ્લૅન્ડના રાજાના અધિકૃત નિવાસસ્થાન બકિંઘમ પૅલેસ કરતાં ચાર ગણો છે.
વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પૅલેસના દરબાલ હૉલમાં બે દેશોના વડાની મુલાકાત યોજાવાની ઘટના મહેલના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં ટોચનાં સમૃદ્ધ રાજ્યોમાં અને પ્રજાકલ્યાણલક્ષી લોકાભિમુખ રાજ્ય તરીકેની ઓળખ પામેલા વડોદરામાં આવેલો ઐતિહાસિક લક્ષ્મી વિલાસનું આકર્ષક સંકુલ તેની ભવ્યતા, સ્થાપત્ય શૈલી અને ગાયકવાડી શાસનનાં કેન્દ્રબિંદુ તરીકે લગભગ 130 વર્ષ બાદ પણ ચર્ચામાં રહે છે.

ઇમેજ સ્રોત, RADHIKA GAEKWAD/FACEBOOK
વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “પહેલી વખત લક્ષ્મી વિલાસ પૅલેસમાં બે સરકારોના વડા આ પ્રકારે મહેમાન બન્યા છે. પીએમ મોદી પણ વડા પ્રધાન બન્યા બાદ પહેલી વખત પૅલેસમાં પધાર્યા છે. તેમનું આતિથ્ય કરવા માટે અમે ઉત્સાહિત છીએ.”
“તેઓ પૅલેસના દરબાર હૉલમાં મહેમાનગતિ માણશે. પૅલેસમાં બંને દેશોના વડાની મુલાકાત મામલે વિગતો આપી દેવામાં આવી છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “અગાઉ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મારા સસરા રણજિતસિંહ ગાયકવાડનું નિધન થયું ત્યારે તેઓ છેલ્લે પૅલેસમાં આવ્યા હતા.”
બકિંઘમ પૅલેસ કરતાં ચાર ગણો મોટો પૅલેસ લક્ષ્મી વિલાસ

1890માં વડોદરામાં બનેલો લક્ષ્મી વિલાસ પૅલેસ ભારતની સૌથી ભવ્ય ઇમારતો પૈકીનો એક છે. સ્થાપત્યકળાના બેમિસાલ ઉદાહરણોમાં સ્થાન પામતો આ મહેલ હજી પણ દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસસ્થાનોમાંથી એક છે. એટલું જ નહીં પરંતુ પૅલેસ અને તેનાં પ્રાંગણને આવરી લઈએ તો તેનો વિસ્તાર ઇંગ્લૅન્ડના રાજાના બકિંઘમ પૅલેસ કરતાં ચાર ગણો થવા જાય છે.
વડોદરાના દિવંગત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પ્રપૌત્ર જિતેન્દ્રસિંહ ગાયકવાડ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “વિશ્વનો આ સૌથી વિશાળ રહેણાંક વિસ્તાર છે એટલું જ નહીં પરંતુ તે બકિંઘમ પૅલેસ કરતાં ચાર ગણો મોટો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બકિંઘમ પૅલેસનો વિસ્તાર 77 હજાર વર્ગ મીટર થાય છે જ્યારે લક્ષ્મી વિલાસ પૅલેસનો વિસ્તાર 28 લાખ 32 હજાર 799 વર્ગ મીટર થાય છે.
જોકે બકિંઘમ પૅલેસમાં રૂમની સંખ્યા લક્ષ્મી વિલાસ કરતાં વધારે છે. બકિંઘમ પૅલેસમાં 775 ખંડ છે જ્યારે લક્ષ્મી વિલાસ પૅલેસમાં ગૅલરી અને હૉલ મળીને કુલ 303 ખંડ છે. પરંતુ જો બન્ને મહેલોના ફેલાવામાં સમગ્ર પ્રાંગણની વાત કરવામાં આવે તો લક્ષ્મી વિલાસ પૅલેસ બકિંઘમ પૅલેસ કરતાં ચાર ગણો મોટો વિસ્તાર ધરાવે છે.
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “રૂમોની જગ્યા નાની નથી, મોટી છે. એટલે તેની સરખામણી બકિંઘમ પૅલેસ સાથે ન થઈ શકે.”
કેવો છે લક્ષ્મી વિલાસ પૅલેસનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
આ પૅલેસ ઇન્ડો સરસેનિક રિવાઇવલ સ્થાપત્યશૈલીમાં બનેલો છે, જેની ગણના દુનિયાના આલીશાન મહેલોમાં થાય છે.
આ પૅલેસ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવવાની શરૂઆત 1878માં કરી હતી.
મહેલ વિશે જાણકારી આપતાં લક્ષ્મી વિલાસ પૅલેસસ્થિત મ્યૂઝિયમનાં ક્યુરેટર મંદાબહેન હિંગુરાવ બીબીસી ગુજરાતીને કહે છે, “આ પૅલેસ બન્યા પહેલાં ગાયકવાડ રાજવી પરિવાર વડોદરાના સરકારવાડામાં રહેતો હતો. નઝરબાગના પૅલેસમાં તેમનો ખજાનો રાખવામાં આવતો હતો. મકરબાગ પૅલેસ તેમને દૂર પડતો હતો. તેથી મહારાજા સયાજીરાવ ગાયકવાડને લાગ્યું કે તેમને એક મોટા પૅલેસની જરૂર છે.”
જિતેન્દ્રસિંહ ગાયકવાડ હાલમાં ભારતનાં રજવાડાંના મહેલો અને રજવાડાં સાથે જોડાયેલાં વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે સક્રિય છે. તેમણે કહ્યું, “મહારાજાના તત્કાલીન દીવાન સર. પી. માધવરાવે આ પ્રકારનો પૅલેસ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.”
મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેના માટે ખાસ આર્કિટૅક્ટ મેજર ચાર્લ્સ માન્ટને નિયુક્ત કર્યા. ચાર્લ્સ માન્ટ પ્રસિદ્ધ બ્રિટિશ સ્થપતિ હતા.

જિતેન્દ્રસિંહ ગાયકવાડ જણાવે છે, “મહારાજ સયાજીરાવ ત્રીજાના પુરોગામી મહારાજાનાં પુત્રી અહલ્યાબાઈનું લગ્ન કોલ્હાપુરના મહારાજા સાથે વર્ષ 1850માં કરવામાં આવ્યું હતું. તેમણે તેમના મહેલનું નિર્માણ ચાર્લ્સ માન્ટને સોંપ્યું હતું. એ પૅલેસ જોઈને સયાજીરાવ પ્રભાવિત થયા અને લક્ષ્મી વિલાસ પૅલેસનું બાંધકામનું કામ પણ તેમણે ચાર્લ્સ માન્ટને જ સોંપ્યું.”
જોકે, પૅલેસનું કામ શરૂ થાય તે પહેલાં ચાર્લ્સ માન્ટનું રહસ્યમય મૃત્યુ થઈ ગયું. જાણકારો કહે છે કે તેમણે આત્મહત્યા કરી હતી.
મંદાબહેન હિંગુરાવ આ વિશે કહે છે, “તેમને સ્થાપત્યનું આલેખન કરવામાં કે તેની ગણતરી કરવામાં કશી કચાશ રહી ગઈ હોવાનું લાગ્યું હોઈ શકે છે. તેમને હતું કે આ પૅલેસ લાંબો સમય નહીં ટકી શકે તેથી તેમણે આત્મહત્યા કરી હતી.”
માન્ટના મૃત્યુ બાદ પૅલેસના નિર્માણની જવાબદારી આર્કિટૅક્ટ રૉબર્ટ ફેલો ચિલ્સોમને સોંપવામાં આવી.
પૅલેસને બનતાં 12 વર્ષ લાગ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દુનિયામાં સૌથી મોંઘા મહેલોમાંથી એક એવા આ પૅલેસને બનતાં 12 વર્ષ લાગ્યાં હતાં. 1890ના વર્ષમાં તેની પાછળ 1,80,000 પાઉન્ડનો ખર્ચ થયો હતો. જે-તે વખતના લગભગ 40 લાખ રૂપિયા હતા.
ચંદ્રશેખર પાટીલ વડોદરાના ઇતિહાસકાર છે અને તેમણે ગાયકવાડ રાજવી પરિવાર પર બહોળું સંશોધન કર્યું છે. પાટીલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “પૅલેસની દિવાલ પર રંગની જગ્યાએ રંગબેરંગી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઇન, બનાવટ, નક્શીકામ, મોટિફ અને સ્થાપત્ય એક્દમ યુનિક છે.”
રાધિકારાજે ગાયકવાડ મહેલના સ્થાપત્ય વિશે વાત કરતાં કહે છે, “આ ઇન્ડો સરસેનિક શૈલીનું બાંધકામ છે. જેમાં વિશ્વનાં શ્રેષ્ઠ સ્થાપત્યોનું મિશ્રણ જોવાં મળે છે. જેમાં હિન્દુ સ્થાપત્યકળા, રાજપૂત શૈલી, ઇસ્લામિક શૈલી, ખ્રિસ્તી શૈલી, તુર્કી, રોમન, ગ્રીક, મોરક્કન સ્થાપત્ય શૈલીઓ જોવા મળે છે.”
જિતેન્દ્રસિંહ ગાયકવાડ જણાવે છે, “મહારાજાના તત્કાલીન દીવાન સર. પી. માધવરાવ અને તેમના શિક્ષક ઇલ્યટે સૂચન કર્યું કે પૅલેસમાં સોનગઢમાં જે પથ્થરો મળે છે તે વાપરવા. સોનગઢમાં મળતા પથ્થરો પીળાશ પડતા સોનેરી હોય છે અને તે પ્રકાશમાં ચળકે છે. તેથી દિવાલોના બાંધકામ માટે સોનગઢથી પથ્થરો લાવવામાં આવ્યા.”
આ મહેલનાં બાંધકામમાં વપરાયેલા પથ્થરો સુરેન્દ્રનગરથી પણ મંગાવવામાં આવ્યા હતા. કેટલાક પથ્થરો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા અને માર્બલ ઇટાલીથી મંગાવવામાં આવ્યો હતો.
જાણકારો કહે છે કે ઇટાલીના પ્રસિદ્ધ શિલ્પકાર માઇકલ ઍન્જેલો જે પ્રકારનો માર્બલનો ઉપયોગ કરતા હતા તે જ માર્બલનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે.
ચંદ્રશેખર પાટીલ કહે છે કે પૅલેસ 1890માં તૈયાર થઈ ગયો પરંતુ તેનું ઇન્ટિરિયર બનતા બીજાં દસ વર્ષ ગયાં.
મંદાબહેન હિંગુરાવ કહે છે, “પહેલાં પૅલેસનું પ્રાંગણ 700 એકર જમીનમાં ફેલાયેલું હતું હવે તે 500 એકરની આસપાસ રહી ગયું છે. બાકીની જમીન રસ્તા કે અન્ય કામોમાં જતી રહી છે.”
મહેલનું નામ લક્ષ્મી વિલાસ પડવા પાછળની પ્રેમકહાણી

ઇમેજ સ્રોત, LAXMI VILAS PALACE
મહેલ પાછળ એક પ્રેમકહાણી પણ છુપાયેલી છે. કહાણી રસપ્રદ છે કે આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ કેવી રીતે પડ્યું?
હવે કહાણીની શરૂઆત થાય છે 1880થી જ્યારે લક્ષ્મીબાઈ અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું લગ્ન થયું.
લગ્ન બાદ તેમને ત્રણ સંતાનો થયાં. પહેલાં બે પુત્રી થઈ. જેમનું નામ હતું-બાજુબાઈ અને પુતલીબાઈ. બંનેનું નાની ઉંમરમાં જ મૃત્યુ થયું.
બે પુત્રીનાં અકાળ મૃત્યુ બાદ તેઓ નિરાશ રહેવાં લાગ્યાં.
ફરી તેઓ ગર્ભવતી થયાં પરંતુ જ્યારે પુત્ર ફતેહસિંહનો જન્મ થયો. પ્રસૂતિ બાદ તેમનું 1885માં માત્ર 21 વર્ષની વયે મૃત્યુ થયું.

રાધિકારાજે ગાયકવાડ આ વિશે વાતચીત કરતાં કહે છે, "મહારાજા તેમનાં રાણીને બહુ પ્રેમ કરતાં હતા. લગ્ન બાદ ગાયકવાડ રાજવી પરિવારમાં પત્નીનાં નામ બદલવાનો રિવાજ છે. તેમનું નામ લક્ષ્મી હતું જે બાદમાં ચીમનાબાઈ કરવામાં આવ્યું હતું."
"જ્યારે મહારાણી ચીમનાબાઈનું મૃત્યુ થયું ત્યારે મહારાજને બહુ દુ:ખ થયું હતું."
"થોડાં વર્ષો સુધી તેમણે બીજાં લગ્ન પણ નહોતાં કર્યાં. પછી જ્યારે ઘણા બધા લોકોએ સલાહ આપી ત્યારે તેમણે ગજરાબાઈ સાથે બીજું લગ્ન કર્યું. પરંતુ તેઓ તેમની પ્રથમ પત્નીને ભૂલ્યાં નહોતાં. જ્યારે ગાયકવાડ પરિવારના રિવાજ પ્રમાણે લગ્ન પછી પત્નીનું નામ બદલવાની વાત આવી ત્યારે તેમણે ગજરાબાઈનું નામ બદલીને ચીમનાબાઈ જ રાખ્યું. જેઓ ચીમનાબાઈ દ્વિતીય તરીકે ઓળખાયાં અને જે પ્રથમ પત્ની હતાં તેઓ ચીમનાબાઈ પ્રથમ તરીકે ઓળખાયાં."
મહારાજાએ જ્યારે આ મહેલ તૈયાર થયો ત્યારે તેનું નામ તેમનાં પ્રથમ પત્ની ચીમનાબાઈના જન્મ સમયનાં નામ પરથી એટલે કે લક્ષ્મીબાઈ પરથી લક્ષ્મી વિલાસ રાખ્યું.
મહેલનો શિલાન્યાસ થયો હતો ત્યારે મહારાણી ચીમનાબાઈ પ્રથમ જીવિત હતાં, પરંતુ મહેલ જ્યારે બંધાઈને તૈયાર થયો તે પહેલાં તેમનું નિધન થઈ ગયું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમનાં પત્નીના માનમાં હૉસ્પિટલો, તળાવો અને ટાવર, માર્કેટ વગેરે પણ બંધાવ્યાં.
મશહુર ચિત્રકાર રાજા રવિ વર્મા પાસે મહારાજાએ ચીમનાબાઈ પ્રથમનું ચિત્ર પણ બનાવડાવ્યું હતું. જે લક્ષ્મી વિલાસ પૅલેસમાં આજે પણ છે.
પૅલેસને સોના-ચાંદીની તોપ જેવી કલાકૃતિઓથી સુશોભિત કરાયો

ઇમેજ સ્રોત, JITENDRASINH GAIKWAD
ચંદ્રશેખર પાટીલ કહે છે, “આ પૅલેસમાં અનેક કિંમતી કલાકૃતિઓ પણ હતી. જેમાં સોના-ચાંદીમાંથી બનેલી હાથીની પાલખી, સોના-ચાંદીમાંથી બનેલું બળદગાડું અને સોના-ચાંદીથી મઢેલી ઘોડાની બગી જેવાં દુર્લભ નમૂનેદાર સાધનો હતાં”
આ ઉપરાંત મહેલમાં સોના અને ચાંદીની તોપો પણ હતી.
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “મહેલમાં સોનાની 4 તોપ હતી જ્યારે કે ચાંદીની 16 તોપ હતી.”
જોકે, સોના-ચાંદીની તોપોની નિશ્ચિત સંખ્યા વિશે અલગ-અલગ મત છે. કેટલાક જાણકારો કહે છે કે સોનાની માત્ર બે તોપ હતી, જ્યારે ચાંદીની દસ તોપો હતી. જાણકારોના મતે સોનાની એક તોપનું વજન 200 કિલો હતું. એવી સોનાની કુલ બે તોપ હતી અને ચાર ચાંદીની તોપ હતી. જાણકારો કહે છે કે ગાયકવાડ પરિવારે તે પૈકીની કેટલીક તોપ પીગળાવી દીધી હતી.
આ કિંમતી સોના-ચાંદીની તોપો લક્ષ્મી વિલાસ પૅલેસમાં નહીં, પરંતુ નઝરબાગ પૅલેસમાં રાખવામાં આવી હતી. કારણકે, ગાયકવાડ પરિવાર તેના ખજાનાને નઝરબાગ પૅલેસમાં રાખતો હતો.
આ તોપોને ખસેડવા માટે ખાસ બળદો પાળવામાં આવ્યા હતા અને આ બળદોને કિંમતી આભૂષણોથી શણગારવામાં આવતા.
આ તોપની નિયમિત પૂજા કરવામાં આવતી અને તેને ફૂલ-હાર કરવામાં આવતા. પૂજા માટે ખાસ પૂજારી પણ નિયુક્ત કરવામાં આવતા.
લક્ષ્મી વિલાસ પૅલેસના રૂમ કેવા છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ પૅલેસમાં કુલ 303 ઓરડા છે. જેમાં વિશાળ ખંડો, ગૅલરીઓ અને શસ્ત્રાગાર જેવાં રૂમોનો સમાવેશ થાય છે.
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “પૅલેસમાં હાથીખાના, દરબાર હૉલ, ગાદી હૉલ, આઇના હૉલ, સિલ્વર રૂમ, ગોલ્ડન રૂમ, વીણા રૂમ, શસ્ત્રાગાર જેવા ખંડો પણ છે. પૅલેસ ત્રણ માળનો છે. જ્યારે તેનો ટાવર 11 માળનો છે. આ ઉપરાંત મહેલમાં 50 વરંડા, 16 અગાસી પણ છે.”
“તેમાં રેડ રૂમ પણ છે. જે રાજવી પરિવારના કોઈ સભ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમના મૃતદેહને રાખવા માટે બનાવવામાં આવ્યો હતો.”
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “પૅલેસમાં ફ્રેન્ચ-જર્મન સ્ટાઇલના મોટા મોટા ઓરડા છે. પૅલેસની અંદર નાના નાના મહેલો જેવી નવ ઇમારતો છે. જેમાં એક ફ્રેન્ચ બંગલો છે તેમાં એક જમાનામાં રાજવી પરિવારનાં 26 કૂતરાં રાખવામાં આવતા હતા. આ સિવાય ઘોડાના તબેલા અને ગાડીઓ રાખવા માટે ગૅરેજ પણ છે.”
ચંદ્રશેખર પાટીલ કહે છે, “પૅલેસનો જે ટાવર છે તેમાં પહેલાં ઘડિયાળ મૂકવાનો વિચાર હતો. પરંતુ પછી તે વિચાર બદલાયો. રાજવી પરિવારનું માનવું હતું કે ઘડિયાળના ડંકા વાગવાથી તેમને ખલેલ પહોંચશે. તેથી ટાવર તો રહ્યો પરંતુ ઘડિયાળ ન મૂકાઈ.”
રાધિકા રાજે કહે છે, “એક સમયે ટાવરની ટોચ પર લાલ લાઇટ રાખવામાં આવતી હતી. તે જમાનામાં લાલ લાઇટ પૅલેસમાં રાજા હાજર હોવાનું પ્રતીક હતી. એટલે જેને રાજાને મળવું હોય તે લાલ લાઇટ જોઈને પૅલેસમાં આવતા હતા.”
શિવાજી, ઔરંગઝેબ, અકબર તથા ગુરુ ગોવિંદસિંહની તલવાર પૅલેસના શસ્ત્રાગારમાં

ઇમેજ સ્રોત, @DrSJaishankar
પૅલેસમાં આવેલા શસ્ત્રાગારમાં મરાઠા યુગનાં શસ્ત્રો જ નહીં પરંતુ બીજાં દુર્લભ અને ઐતિહાસિક શસ્ત્રો પણ રાખવામાં આવ્યાં છે.
રાધિકારાજે ગાયકવાડ આ વિશે વધુ જાણકારી આપતાં કહે છે, “આ શસ્ત્રાગારનું નામ પ્રતાપ શસ્ત્રાગાર છે અને તેને પ્રતાપસિંહરાવ ગાયકવાડે બનાવ્યું હતું. પ્રતાપસિંહરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડના પૌત્ર હતા. તેમણે આ શસ્ત્રાગારમાં મરાઠાઓની શાન ગણાતાં વિવિધ શસ્ત્રો અને આયુધોને પ્રદર્શનમાં મૂક્યાં. તેમણે વિવિધ શસ્ત્રોનું કૅટલૉગ પણ બનાવ્યું હતું.”
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “અહીં શિવાજીની તલવાર છે, ઔરંગઝેબની તલવાર છે, અકબરની તલવાર છે, જહાંગીરની તલવાર છે, બ્રિટનનાં તત્કાલીન રાજા જ્યૉર્જ પંચમ દ્વારા આપવામાં આવેલી તલવારો પણ છે.”
રાધિકા રાજે જણાવે છે, “તલવારો પણ વિવિધ પ્રકારની છે. નાગીન તલવાર છે, સિરોહી તલવાર છે, પટણી તલવાર, ગુરુ ગોવિંદસિંહની તલવાર, ચાંપાનેરી તલવાર, ઇંગ્લૅન્ડથી આયાત કરાયેલું ચક્ર ફેંકવાનું મશીન જેવાં શસ્ત્રો રાખવામાં આવ્યાં છે.”
“એક તલવારનું નામ નવદુર્ગા તલવાર છે જેના પર દુર્ગાનાં નવ રૂપોને દર્શાવવામાં આવ્યાં છે. કેટલીક સોનાની અને હીરા મઢેલી તલવારો પણ છે. હાથીદાંતની મૂઠવાળી તલવાર પણ છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ગાદી હૉલ વિશે જાણકારી આપતાં રાધિકા રાજે ગાયકવાડ કહે છે, “આ હૉલમાં રાખવામાં આવેલી ગાદી સિમ્પલ છે. તેની નીચે એક બાજઠ છે અને તેના પર ગાદી-તકિયો છે. જ્યારે રાજાનો રાજ્યાભિષેક થાય છે ત્યારે જ રાજા તેના પર બેસે છે પછી તેના પર નથી બેસતા. તેમના બેસવા માટે સોના-ચાંદીનાં બનેલાં સિંહાસનો હોય છે. આ સાદી ગાદી રાજા પ્રજાના સેવક છે, તેનો તેમને અહેસાસ કરાવવાનું પ્રતીક છે.”
તેઓ જણાવે છે કે ગાદી હૉલમાં જૂનાં જમાનાનાં નગારાં પણ છે જે હજી પણ દશેરાના મહોત્સવ વખતે વગાડવામાં આવે છે.
પૅલેસમાં ફૂવારા અને ઘટાદાર વૃક્ષો છે. પૅલેસની આસપાસના બગીચાઓ ડિઝાઇન વિલિયમ ગોલ્ડરિંગ નામના બ્રિટિશ બૉટનિકલ ગાર્ડનિંગ ડિઝાઇનરે તૈયાર કરી હતી.
પૅલેસના અગ્રભાગમાં વિશાળ ગુંબજો અને છત્રીઓ, કળશ તથા ધનુષાકાર પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર છે.
પૅલેસની ફર્શ પર અલગ અલગ મોઝેઇક ડિઝાઇન જોવા મળે છે. જે આજે પણ એટલી જ આકર્ષક છે.
લક્ષ્મી વિલાસ પૅલેસમાં સચવાયેલાં છે રાજા રવિવર્માનાં 53 ચિત્રો

ઇમેજ સ્રોત, Getty Images
આખા પૅલેસમાં ભારતના મહાન ચિત્રકારોમાંથી એક રાજા રવિવર્માનાં ચિત્રો દૃશ્યમાન થાય છે. પૅલેસનું ઇન્ટિરિયર રવિ વર્માનાં ભવ્ય ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યું છે.
રાધિકા રાજે ગાયકવાડ કહે છે, “પી. માધવરાવ મહારાજા સયાજીરાવ ગાયકવાડના દીવાન હતા. તેઓ કેરળથી હતા. તેથી તેમણે મહારાજાને રાજા રવિ વર્માની ચિત્રકળા વિશેની જાણકારી આપી. મહારાજાએ રાજા રવિ વર્માને વડોદરા બોલાવ્યા અને પૅલેસ માટે ખાસ ચિત્રો કમિશન કર્યાં.”
“રાજા રવિ વર્માનું લગભગ 14 વર્ષ સુધી પૅલેસમાં આવવા-જવાનું થયું. તેમને માટે પૅલેસમાં જ ખાસ સ્ટુડિયો બનાવવામાં આવ્યો હતો.”
ચંદ્રશેખર પાટીલ કહે છે કે પૅલેસમાં રાજા રવિ વર્માનાં 53 ચિત્રો છે.
વિવિધ ચિત્રો વિશેની જાણકારી આપતાં રાધિકા રાજે ગાયકવાડ કહે છે, “પૅલેસમાં રાજા રવિ વર્માનાં ઘણાં ચિત્રો છે. જેવાં કે કંસ માયા, કારાગૃહમાંથી કૃષ્ણની મુક્તિ, સરસ્વતી, લક્ષ્મી, સીતા સ્વયંવર, કિચક વધ, સીતાનો ભૂમિપ્રવેશ વગેરે. તેઓ કેરળથી હતા તેથી તેમની ચિત્રકળા શૈલી તાંજોરની હતી. પાછળથી તેઓ અહીં રહ્યા તેથી તેમની ચિત્રકળામાં મહારાષ્ટ્રિયન ચિત્ર કળા શૈલીની અસર પણ આવી.”
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “એક જમાનામાં પૅલેસમાં લગભગ 1000 જેટલાં અલગ-અલગ નામી ચિત્રકારોનાં ચિત્રો હતાં અને એવી વિવિધ 7000 જેટલી કલાકૃતિઓ હતી.”
તેમના દાવા અનુસાર પૅલેસનું ફર્નિચર વિશ્વમાં મોંઘામાં મોંઘા ફર્નિચરને ટક્કર મારે તેવું છે. તેને ચીન, જાપાન, યુરોપના દેશો, આફ્રિકા, અમેરિકા અને ભારતના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવ્યું હતું.
રાજા રવિ વર્મા પર બનેલી ફિલ્મ ‘રંગ રસિયા’નાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ પણ આ પૅલેસમાં જ થયું હતું.
ન માત્ર ‘રંગ રસિયા’ પણ બીજી ઘણી ફિલ્મોનાં જેવી કે પ્રેમ રોગ, દિલ હી તો હૈ, ગ્રાન્ડ મસ્તી, સરદાર ગબ્બરસિંહ, સત્યપ્રેમ કી કથા વગેરેના શૂટિંગ પણ અહીં થયાં છે.
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે કે આ પૅલેસમાં 20થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ ગયું છે.
ગૉલ્ફ કોર્સ, પ્રાણી સંગ્રહાલય અને રેલવે ટ્રૅક

ઇમેજ સ્રોત, Getty Images
પૅલેસમાં પોતાનું ખાનગી પ્રાણી સંગ્રહાલય પણ હતું. જેમાં વિવિધ વન્યપ્રાણી અને પક્ષીઓને રાખવામાં આવ્યાં હતાં. પૅલેસમાં તે વખતની અત્યાધુનિક ટૅક્નૉલૉજી લગાવવામાં આવી હતી. મહેલમાં એ સમયે ટેલિફોનિક વ્યવસ્થા, એલિવેટર એટલે કે લિફ્ટ પણ હતી. આ લિફ્ટ હજુ જોવા મળે છે પણ હવે પ્રાણી સંગ્રહાલય નથી.
મહેલનાં પ્રાંગણમાં રાજકુમારોને ભણવા માટે સ્કૂલ બનાવવામાં આવી હતી. તે સ્કૂલ સુધી જવા માટે નાનો રેલવે ટ્રૅક પણ હતો જેના પર ટ્રેન ચાલતી. આ ટ્રેન પૅલેસના પ્રાંગણમાં આવેલા કેરીના બગીચામાં પણ ફરતી હતી.
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “પ્રતાપસિંહ ગાયકવાડના કહેવાથી તેમના પુત્ર ફતેહસિંહ ગાયકવાડે આ ટ્રેન વર્ષ 1954-55માં કમાટીબાગમાં આપવાનો નિર્ણય લીધો. પછી તે ટ્રેન બાળકોનાં મનોરંજન માટે ચાલતી હતી. આ ટ્રેનમાં વર્ષ 1965માં બ્રહ્મચારી ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું, જેમાં અભિનેતા શમ્મી કપૂર પર ‘ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી, ગાડી પે નીકલી અપની સવારી.’ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું.”
પૅલેસમાં પોતાનો ગૉલ્ફ કોર્સ અને. ક્રિકેટ ગ્રાઉન્ડ છે. સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ, અને બેડમિન્ટન કોર્ટ છે. બરોડા ક્રિકેટ ઍસોસિયેશનની ઑફિસ પણ પૅલેસનાં પ્રાંગણનો એક ભાગ છે. તેના પ્રાંગણમાં નવલખી વાવ પણ છે અને સંગ્રહાલય પણ છે.

જે દરબાર હૉલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝની મુલાકાત થઈ તે દરબાર હૉલ 5,000 વર્ગ ફૂટ જેટલો વિશાળ છે અને તેમાં એક પણ સ્તંભ નથી.
આ દરબાર હૉલમાં 1000 લોકો બેસી શકે છે.
રાધિકા રાજે ગાયકવાડ તેના વિશે વિગતો આપતાં કહે છે, “દરબાર હૉલ પૅલેસનો સૌથી મોટો હૉલ છે. અહીં મોટા મોટા રાજસમારંભો થતા હતા જેમાં દેશ-વિદેશથી અતિથિઓ આવતા. અહીં સંગીતનો જલસો પણ થતો. મશહૂર સંગીતકાર ફૈયાઝ ખાન અહીં પોતાના સંગીતના સૂર રેલાવતા હતા. સંગીતકાર મૌલા બક્ષ, ઇનાયત ખાન અને અબ્દુલ કરીમ જેવા સંગીતકારો પણ તેમની કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.”
આ દરબાર હૉલમાં એકથી એક ભવ્ય આલીશાન ચીજવસ્તુઓ છે. તેની અંદરની સજાવટ જોવા લાયક છે. વેનિસથી મંગાવેલા મોઝેક ફર્શ, ચમકતી ખૂબસૂરત બારીઓ, ઝરુખાઓ, વિદેશથી ખરીદવામાં આવેલાં ઝુમ્મરો અને બીજી અનેક કલાકૃતિઓથી આ હૉલને સજાવવામાં આવ્યો છે.
પૅલેસનાં ભવ્ય પ્રવેશદ્વારો પણ છે જે ગાયકવાડના વિશાળ સામ્રાજ્યનો પ્રભાવ દર્શાવે છે. નવાઈની વાત એ છે કે પ્રાંગણને ફરતે દરવાજા છે પરંતુ પૅલેસની અંદર કોઈ દરવાજો નથી.
ચંદ્રશેખર પાટીલ જણાવે છે, “પૅલેસમાં જે સ્ટેન ગ્લાસ લગાવવામાં આવ્યા છે તેની ડિઝાઇન પસંદ કરીને જર્મની મોકલવામાં આવતી હતી. ગ્લાસ ત્યાંથી તૈયાર થઈને આવતા હતા અને પછી અહીં બારીમાં ફિટ કરવામાં આવતા હતા. આ પ્રકારે 350 જેટલા સ્ટેનગ્લાસ લગાવવામાં આવ્યા છે.”
તેઓ જણાવે છે કે પૅલેસના બાંધકામ વખતે અને તેના ઇન્ટિરિયર તૈયાર કરતી વખતે અલગ-અલગ દેશોમાંથી વિદેશી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.
જાણકારો આ પૅલેસની કિંમત અમૂલ્ય હોવાનું જણાવે છે. જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “પૅલેસમાં જે સ્થાપત્ય છે અને બેશકિંમતી ચીજવસ્તુઓ છે તે જોતા તેની કિંમત નક્કી ન થઈ શકે. તે અમૂલ્ય છે.”
પૅલેસમાં હજી પણ દર વર્ષે દશેરા, નવરાત્રી અને ગણેશોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં વડોદરાવાસીઓ ભાગ લે છે..
રાધિકા રાજે ગાયકવાડ કહે છે, “આ પૅલેસ પ્રકૃતિ, સ્થાપત્ય અને ઇતિહાસનું મિલન કરાવે છે. 130 વર્ષ જૂનો હોવા છતાં તેની કોતરણી, બારીકાઈ અને બાંધકામ મને અમારા પૂર્વજોના વિચારો કેવા ભવ્ય હતા તેનો અહેસાસ કરાવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
પૅલેસ, સંપત્તિ, પરિવાર અને વિખવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી પૂર્વે ભારતનાં ટોચનાં સૌથી ધનિક અને સૌથી મોટાં રજવાડાંમાં સ્થાન પામતા ગાયકવાડ રાજવંશની આવી અમૂલ્ય ઇમારત અન્ય કોઈ પણ રજવાડાંઓની સંપત્તિની જેમ જ વિવાદોથી નથી બચી શકી.
બે દેશો વચ્ચેના વાણિજ્યિક અને રાજકીય સહકારના ઐતિહાસિક કરાર માટેનું સીમાચિહ્ન સ્થાન બનનારો આ ભવ્ય મહેલ, ગાયકવાડ રાજવી પરિવારના વારસાઇના વિવાદો અને સંપતિ પરના હકદાવાઓ માટેના સંઘર્ષનો પણ સાક્ષી રહ્યો છે.
સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પાટવી પુત્ર (રાજગાદીના વારસ) ફતેહસિંહનું અકાળે અવસાન થતાં તેમના પુત્ર પ્રતાપસિંહરાવ ગાયકવાડને રાજા બનાવાયા હતા. તેમનાં સંતાનોમાં ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં.
પ્રતાપસિંહરાવ ગાયકવાડને ભારત સરકાર સાથે કેટલાક મામલે વિવાદો થવાથી તેમના સૌથી મોટા પુત્ર ફતેહસિંહ ગાયકવાડ બીજાને ગાદી મળી. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી તેમના ભાઈ રણજિતસિંહ ગાયકવાડને ગાદી મળી. પ્રતાપસિંહરાવના ત્રીજા પુત્ર સંગ્રામસિંહ હતા.
હવે સંગ્રામસિંહ અને રણજિતસિંહ વચ્ચે સંપત્તિની વહેંચણીને લઈને વિખવાદ થયો. આમ તો વિવાદ બે ભાઈઓ વચ્ચે હતો પરંતુ તેમાં ગાયકવાડ રાજવી પરિવારના 23 સભ્યો સામેલ હતા.
23 વર્ષ સુધી રણજિતસિંહ અને સંગ્રામસિંહ વચ્ચે વિવાદો અને કાયદાકીય કાર્યવાહીઓ ચાલી.
2012માં રણજિતસિંહ ગાયકવાડનું નિધન થયું. ત્યારબાદ તેમના પુત્ર સમરજિતસિંહને ગાદીનો વારસો મળ્યો.
આખરે આ વિવાદનો અંત વડોદરાની સ્થાનિક અદાલતમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થયું ત્યારે આવ્યો. જેને આ એ જ ઇમારત હતી જે તેમના વડવાઓએ બનાવી હતી અને તે હવે વડોદરામાં કોર્ટ તરીકે ઉપયોગમાં આવે છે.
સમરજિતસિંહ ગાયકવાડે તેમના કાકા સાથે એક કરાર કર્યો. જે અંતર્ગત 1991માં શરૂ થયેલો વિવાદ સમાપ્ત થયો.
આ સમાધાન વિશે ગાયકવાડ રાજવી પરિવાર કશું બોલવા તૈયાર નથી. પરંતુ જ્યારે આ વિવાદનું સમાધાન થયું ત્યારે સમરજિતસિંહ ગાયકવાડે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, “અમારા પરિવારના ભલા માટે આ નિર્ણય લીધો છે. જેથી ભૂતકાળની કડવાશોને ભૂલીને નવી આશા સાથે સંબંધો ફરી પ્રસ્થાપિત થઈ શકે.”
જોકે, જિતેન્દ્રસિંહ ગાયકવાડ માત્ર એટલું જ કહે છે કે ઘણો સમય, ખર્ચ અને ઊર્જા કાયદાકીય લડત પાછળ વ્યય થતાં હતાં તેથી બંને પરિવારે ના છૂટકે સમાધાન કરવું પડ્યું. આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

ઇમેજ સ્રોત, JITENDRASINH GAEKWAD
સમરજિતસિંહને લક્ષ્મી વિલાસ પૅલેસ મળ્યો. જ્યારે તેમનાં બહેનો તથા ભત્રીજાઓને અન્ય પૅલેસનાં કમ્પાઉન્ડનો ભાગ આપવામાં આવ્યો. સંગ્રામસિંહના ફાળે ઇન્દુમતિ પૅલેસ, અશોક બંગલો, નઝરબાગ પૅલેસ, અતુલ બંગલો અને જુહુમાં મોટી પ્રોપર્ટી હતી તે મળી હતી.
સમરજિતસિંહને ‘સ્ટાર ઑફ સાઉથ’, જેને મુગલો પહેરતા હતા એ અકબર શાહ ડાયમંડ અને એપ્રિસ ઇગ્યુની ડાયમંડ મળ્યા.
ગાયકવાડ રાજવી પરિવારની સંપત્તિ કેટલી હતી તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પણ સ્થાનિક મીડિયાના અંદાજ પ્રમાણે 50 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી જેની વહેંચણી કરવામાં આવી.
જોકે, રાજવી પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયકવાડી ખજાના અને સંપત્તિની વહેંચણી વખતે માત્ર પરિવારજનોને હાજર રાખવામાં આવ્યા હતા. આ સમયે પરિવાર સિવાયના કોઈ સભ્ય કે ત્રાહિતને જાણ સુદ્ધા કરવામાં નહોતી આવી. જે અંગે આજે પણ ગુપ્તતા જાળવવામાં આવી છે.
કારણકે તેમને ભય હતો કે આ કિંમતી અને મૂલ્યવાન ચીજવસ્તુઓની વહેંચણી જાહેર થવાથી બીજા અન્ય પ્રશ્નો અને વિવાદ ઊભા થાય તેમ હતા. આ સ્થિતિમાં રાજવી પરિવારોએ ઝવેરાત સહિતના ગાયકવાડી ખજાનાની વહેંચણી આપમેળે કરીને સમાધાન કરી લીધું હતું.
બે રાષ્ટ્રનેતાઓની લક્ષ્મી વિલાસ પૅલેસના ઇતિહાસમાં એક નવા પ્રકરણનો ઉમેરો થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












