સુરત શહેર નામ પડવા પાછળ કેટલી કહાણીઓ છે?
16મી સદીમાં પોર્ટુગીઝોના વારંવારના આક્રમણને કારણે રાંદેરના નિવાસીઓ હિજરત કરી ગયા હતા અને રાંદેરના પતનમાં સુરતના વિકાસનો પાયો નખાયો હતો.
તમામ ઇતિહાસકારો એક વાતે સહમત છે કે હાલના સમયના સુરતની સમૃદ્ધિનો પાયો 15મી સદીના અંત ભાગમાં નખાયો હતો.
પોર્ટુગીઝ ઉલ્લેખો પ્રમાણે સુલતાન મુઝ્ઝફરશાહ દ્વિતીયના સમયમાં ગોપી મલિક સુરત અને ભરૂચના સૂબેદાર હતા. જોકે, મહમદ બેગડાના સમયથી જ દરબારમાં તેનો દબદબો હતો. સુરતમાં ગોપી મલિકનું ઘર ખૂબ જ વિશાળ હતું, જેમાં બગીચો પણ હતો.
આ સિવાય તેણે અનેક વેપારીઓને આ નવી જગ્યાએ આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગોપી મલિકનાં પત્ની 'રાણી' તરીકે ઓળખાતાં. તેમના નામ પરથી જ 'રાણીચકલા' નામનો વિસ્તાર બન્યો અને 'રાણીતળાવ'નું બાંધકામ કરાવવામાં આવ્યું હતું.
આ નવા શહેરનું કોઈ નામ ન હતું અને તે માત્ર 'નવી જગ્યા' તરીકે ઓળખાતું. નવા શહેરના નામ માટે ગોપી મલિકે જ્યોતિષીઓની સલાહ લીધી હતી.
જેમણે 'સૂરજ' નામ સૂચવ્યું હતું. નવા નામ સાથે ગોપી મલિકે સુલતાનનો સંપર્ક સાધ્યો. પરંતુ પોતાના અધીન નવા શહેરનું નામ સંપૂર્ણપણે હિંદુ હોય તેવું સુલતાનને પસંદ નહીં આવ્યું હોય, એટલે તેમણે નવા શહેરના નામમાં સહેજ ફેરફાર કરીને 'સુરત' કર્યું.
આ સિવાય પણ સુરતનું નામ સુરત કેવી રીતે પડ્યું તેની સાથે સંકળાયેલી અન્ય દંતકથાઓને જાણો આ વીડિયો અહેવાલમાં.

ઇમેજ સ્રોત, TWITTER/GUJARATTOURISM





