'મૅચ ફિક્સિંગથી સરકાર ન બને' 2017નાં પરિણામો અંગે શંકરસિંહે શું ખુલાસો કર્યો?
હાથમાં ભાલો લઈને ઊભેલા યુવકના નિશાન સાથે પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતમાં સક્રિય રાજકારણની નવી ઇનિંગ રમવા આવી પહોંચ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યથી માંડીને આગામી વિધાનસભા સુધીની તમામ ચૂંટણી તેમની પાર્ટી લડવા જઈ રહી છે."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "આ પાર્ટી નવી નથી."
ઉલ્લેખનીય છે કે સાઠના દાયકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા પછી શંકરસિંહ વાઘેલા જનતા મોરચો, જનસંઘ, ભાજપ, કૉંગ્રેસ જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે.
રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા), જનવિકલ્પ જેવું સગઠન તેમજ હવે પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી જેવી નવી રાજકીય પાર્ટીના તેઓ સૂત્રધાર રહ્યા છે. શક્તિદળ જેવું એક યુનિફૉર્મબદ્ધ સંગઠન પણ તેમણે રચ્યું હતું.
ગુજરાતના સક્રિય રાજકારણમાં શંકરસિંહ કદાચ એકમાત્ર નેતા હશે જેઓ મોખરાની પાર્ટીઓમાં રહ્યા હોય તેમજ નવી પાર્ટી શરૂ કરી હોય એવો બેવડો અને બહોળો અનુભવ ધરાવતા હોય.
જોકે, શંકરસિંહે અગાઉ રચેલી પાર્ટીઓમાંથી રાજપાને બાદ કરીએ તો કોઈ પાર્ટીને ખાસ સફળતા મળી નથી. રાજપાની રાજકીય ઇનિંગ પણ લાંબી નહોતી. આવી સ્થિતિમાં આગામી ચૂંટણીઓમાં તેઓ કેટલો પ્રભાવ પાડી શકશે એ મોટો સવાલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



