બાંગ્લાદેશમાં એક ઇમારતમાં આગ લાગતાં 43 લોકોનાં મૃત્યુ

ઢાકામાં આગ

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશના આરોગ્ય મંત્રીએ કહ્યું કે એક બહુમાળી ઇમારતમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 43 લોકોનાં મૃત્યુ થયાં છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામે રાત્રે દસ વાગ્યે એક રેસ્ટોરાંમાં આગ લાગી હતી.

આ આગ આખી ઇમારતમાં ફેલાઈ ગઈ અને ઘણા લોકો ઇમારતમાં ફસાઈ ગયા.

ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કયા કારણે આગ લાગી હતી તેની તપાસ ચાલી રહી છે.

બાંગ્લાદેશનાં આરોગ્ય મંત્રી સામંત લાલ સેને કહ્યું કે ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં મહિલાઓ અને બાળકો સહિત 33 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય એક બર્ન હૉસ્પિટલમાં પણ ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય મંત્રી સેને ક્હ્યું કે કેટલાય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ત્યાં મોકલવામાં આવ્યા છે.

આપાતકાલીન સેવાઓને કાચ્ચી ભાઈ રેસ્ટોરાં બોલાવવામાં આવી છે.

સ્થાનિક સમાચારપત્ર ડેલી બાંગ્લાદેશનાં અહેવાલ પ્રમાણે રેસ્ટોરાં જે ઇમારતમાં છે તે સાત માળની છે. આ બહુમાળી ઇમારતમાં અન્ય રેસ્ટોરાં, કપડાની દુકાનો અને ફોનની પણ દુકાનો છે.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, સોહેલ નામનાં એક રેસ્ટોરાંના મૅનેજરે કહ્યું, "અમે છઠ્ઠા માળ પર હતાં જ્યારે અમે સીડી પર ધુમાડો નીકળતા જોયા."

"ઘણા લોકો ઉપરની તરફ ભાગ્યા. અમે નીચે ઊતરવા માટે પાણીના પાઇપનો ઉપયોગ કર્યો. અમારામાંથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા કારણ કે લોકો ગભરાઈને સીડીથી નીચે કુદવા લાગ્યાં."

અન્ય એક વ્યક્તિ મોહમ્મદ અલ્તાફે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું કે તેમણે એક તૂટેલી બારીમાંથી કુદકો લગાવીને પોતાની જાન બચાવી.