મુનવ્વર ફારૂકી : હિંદુ દેવી-દેવતા અને અમિત શાહ પર ટિપ્પણી બાદ ધરપકડનો મામલો શું છે?
ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફારૂકીની મધ્ય પ્રદેશમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના સામે આરોપ છે કે તેમણે હિંદુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરી હતી.
ફારૂકી સાથે અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને તમામને કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ કૉમેડિયનની ધરપકડનો મામલો સોશિયલ મીડિયામાં છવાયેલો છે.
ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ આ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડનો મામલો શું છે?
મધ્યપ્રદેશના ઇંદૌરમાં 56 દુકાન વિસ્તારમાં નવા વર્ષની ઉજવણીના સંદર્ભમાં મુનવ્વર ફારૂકીનો એક કૉમેડી શો રાખવામાં આવ્યો હતો.
જેમાં ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર એકલવ્ય ગૌડ અને તેમના મિત્રો સાથે આ શો જોવા ગયા હતા.
અહેવાલ મુજબ કૉમેડી શોમાં હિંદુ દેવતાઓ પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીનો એકલવ્યસિંહે વિરોધ કર્યો અને કાર્યક્રમ રોકાવી દીધો. બાદમાં શોના વીડિયો ફૂટેજ સાથે એકલવ્યસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી.
મુનવ્વર ફારૂકી મૂળ જૂનાગઢના રહેવાસી છે અને તેઓ સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. ફરિયાદ દાખલ થતાની સાથે જ આ મામલો સોશિયલ મીડિયા પર છવાયો અને તેમના કેટલાક વીડિયો વાઇરલ પણ થવા લાગ્યા.
જોકે મુનવ્વરના સમર્થનમાં અન્ય સ્ટેન્ડઅપ કૉમેડિયન આવ્યા જ્યારે કેટલાક લોકોએ તેમની ટીકા કરી. વરુણ ગ્રોવર, વીર દાસ અને રોહન જોશી સહિતના હાસ્ય કલાકારો ફારૂકીના સમર્થનમાં આવ્યા. તેમણે ફારૂકીની ધરપકડની ટીકા કરી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો