You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

CSKvGT: IPL 2023નો આરંભ, ગુજરાતે ટૉસ જીત્યો, ચેન્નઈની બેટિંગ

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચૅમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મૅચ યોજાઈ રહી છે. પ્રથમ મૅચમાં ટૉસ જીતીને ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ બૉલિંગની પસંદગી કરી.

લાઇવ કવરેજ

  1. CSKvGT: IPL 2023 શરૂ, પ્રથમ મૅચમાં ગુજરાતે જીત્યો ટૉસ, પ્રથમ બૉલિંગનો લીધો નિર્ણય

    આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 16મી સિઝનની શરૂઆત થઈ ગઈ છે.

    અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચૅમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ટુર્નામેન્ટની પ્રથમ મૅચ યોજાઈ રહી છે.

    પ્રથમ મૅચમાં ટૉસ જીતીને ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ બૉલિંગની પસંદગી કરી.

    ગુજરાત ટાઇટન્સે 2022થી આઈપીએલમાં રમવાનું શરૂ કર્યું હતું. પોતાની પ્રથમ સિઝનમાં જ 16માંથી 12 મૅચ જીતીને તેમણે ટ્રૉફી પોતાને નામ કરી હતી.

    જોકે, અત્યાર સુધી 15માંથી ચાર સિઝન જીતનારી ચેન્નઈની ટીમનું 2022માં પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું. તે 14માંથી માત્ર ચાર મૅચ જીતી શકી હતી.

    ગત સિઝનમાં આ બે ટીમો વચ્ચે યોજાયેલી બંને મૅચોમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો.

  2. PM મોદીની ડિગ્રી પર ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, કેજરીવાલને દંડ

    ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે કેન્દ્રીય સૂચના આયોગના વર્ષ 2016નાં એક ચુકાદાને રદ કર્યો છે.

    આ ચુકાદામાં સીઆઈસીએ ગુજરાત યુનિવર્સિટીને નરેન્દ્ર દામોદર મોદીના નામથી જાહેર કરવામાં આવેલી ડિગ્રી વિશે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને જાણકારી આપવા માટે કહ્યું હતું.

    બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર, ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2016ના સીઆઈસી ઑર્ડરને હાઈકોર્ટમાં એ દલીલ સાથે પડકાર્યો હતો કે કેન્દ્રીય સૂચના આયોગે નોટિસ આપ્યા વગર આ ચુકાદો આપી દીધો હતો.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, ગુજરાત હાઇકોર્ટના જજ જસ્ટિસ બીરેન વૈષ્ણવની સિંગલ જજ બૅન્ચે આ ચુકાદો આપ્યો હતો.

    આ સાથે જ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી સર્ટિફિકેટ મામલે જાણકારી માગનારા અરવિંદ કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને દંડની રકમ ચાર અઠવાડિયામાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઑથોરિટી પાસે જમા કરાવવાનું કહ્યું છે.

  3. સેફ્ટી પીનઃ એ નાનકડું 'હથિયાર', જેનો સ્ત્રીઓ જાતીય સતામણી સામે ઉપયોગ કરે છે

  4. ગુજરાતમાં મોદીવિરોધી પોસ્ટર લગાવવા બદલ આઠ AAP કાર્યકર્તાઓની ધરપકડ

    ગુજરાત પોલીસે ગુરુવારે અમદાવાદમાં મોદીવિરોધી પોસ્ટર લગાવવા બદલ આમ આદમી પાર્ટીના આઠ કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ પોસ્ટરોમાં 'મોદી હઠાવો, દેશ બચાવો' લખવામાં આવ્યું હતું.

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આ લોકોએ ગુરુવારે અમદાવાદના ઈસનપુર, મણિનગર, નારોલ અને વાડજ વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં.

    ત્યાર પછી અમદાવાદનાં અલગઅલગ પોલીસસ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા મામલે આ લોકોની ધરપકડ કરી છે.

    પોલીસે ધરપકડ કરેલા કાર્યકરોની ઓળખ નટવર ઠાકોર, જતિન પટેલ, કુલદીપ ભટ્ટ, બિપિન શર્મા, અજય ચૌહાણ, અરવિંદ ચૌહાણ, જીવણ મહેશ્વરી અને પરેશ તુલ્સિયાની તરીકે કરવામાં આવી છે.

    આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યાક્ષ સાગર રબારીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ ગુરુવારે ઘણાં રાજ્યોમાં આ રીતે પોસ્ટર લગાવ્યાં હતાં પરંતુ કાર્યવાહી માત્ર ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી હતી.

    તેમણે કહ્યું, "માત્ર અમદાવાદ જ એવું શહેર છે જ્યાં લોકોને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, કારણ કે પોલીસને મનફાવે ત્યારે તમારી ધરપકડ કરી શકે છે. પોલીસની કાર્યવાહી એ સાબિત કરે છે કે લોકતંત્ર ખતરામાં હોવાનો અમારો ભય ખોટો નથી અને અમે પોસ્ટર લગાવીને કંઈ ખોટું કર્યું નથી."

  5. બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

  6. વડોદરામાં રામનવમીની યાત્રામાં પથ્થરમારાના કેસમાં 22 વ્યક્તિની અટક

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડોદરામાં ફતેપુરામાં રામનવમીની યાત્રામાં પથ્થરમારો કરવાના કેસમાં ઓછામાં ઓછા 22 લોકોને પકડવામાં આવ્યા છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે રામનવમીની યાત્રા નીકળી હતી તેમાં પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

    વડોદરામાં આ જ દિવસે કુંભારવાડા વિસ્તારમાં એક બીજી યાત્રામાં પણ પથ્થરમારો કરાયો હતો. આમ ફતેપુરામાં થયેલી પથ્થરમારાની એ બીજી ઘટના છે.

    વડોદરા શહેરના જૉઇન્ટ કમિશનર મનોજ નિનામાએ કહ્યું, “વિસ્તારમાં કૉમ્બિંગ ચાલુ છે. 200 પોલીસકર્મી ખડકી દેવાયા છે. અત્યાર સુધી 22ને કેસમાં પકડવામાં આવ્યા છે.”

    મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,“રામનવમીની યાત્રામાં પથ્થરમારો કરાયો હતો.15-17 લોકોને પડક્યા છે. સીસીટીવીની મદદથી આરોપીઓની ઓળખ થઈ છે. વડોદરા વધારાની ફૉર્સ મોકલવામાં આવી છે. પથ્થરમારો કરાનારાઓ સામે કડક પગલાં લેવાશે.”

    વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંહે કહ્યું, “કેટલાંક અસામાજિક તત્ત્વોએ રામનવમીની યાત્રામાં પથ્થરમારો કર્યો હતો પણ પોલીસે કાર્યવાહી કરી છે. તમામ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.”

    વડોદરામાં ‘રામનવમી શોભાયાત્રા’ સમયે પથ્થરમારાની ઘટનાઓ બની હતી.

  7. દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, શું કાળજી રાખશો...

    દેશ અને ગુજરાતમાં એક વાર ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

    દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 208 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખ 18 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે.

    ભારતમાં ગુરુવારે લગભગ 1700 નવા કેસ સામે આવ્યા છે.

    દિલ્હીમાં હાલના દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એટલુ જ નહીં ગુજરાતમાં પણ કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.

    દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણની સંખ્યા 932 થઈ ગઈ છે. 29 માર્ચની સરખામણીએ 126 કેસ વધારે છે.

    બુધવારની સરખામણીએ સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં નવા કેસોની સંખ્યા 510 છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં હાલ 2247 ઍક્ટિવ કેસો છે, જેમાં 6 વૅન્ટિલેટર પર છે અને 2241ની હાલત સામાન્ય છે. રાજ્યમાં સરકારી આંકડા મુજબ કુલ 11054 મોત અત્યાર સુધી થયાં છે.

    દિલ્હીની વાત લઈએ તો દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે શુક્રવારે સવારે ટ્વીટ કરી જણાવ્યું,“આજે સીએમ કેજરીવાલ કોરોના કેસો વિશે મહત્ત્વની બેઠક કરશે. આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. મુખ્ય મંત્રીની બેઠકમાં મૉકડ્રીલના પરિણામનો રિપોર્ટ પણ રજૂ કરાશે. અને મુખ્ય મંત્રી દિશાનિર્દેશ આપશે.”

    સૌરભ ભારદ્વાજે ગુરુવારે પત્રકારપરિષદ કરીને કોરોના વિશે જાણકારી આપી હતી.

    સૌરભ ભારદ્વાજે કહ્યું હતું,“જે ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે, તેમાં પૉઝિટિવિટીનો દર એટલે કે સંક્રમણ દર 10 ટકાથી વધુ છે. પણ હાલ ટેસ્ટ ઓછા કરવામાં આવી રહ્યા છે. એટલે આ આંકડાથી ગભરાવાની જરૂર નથી. અમે માર્ગદર્શિકા બહાર પાડી છે કે જેમને ઇન્ફ્લુએન્ઝા, ફ્લૂ જેવાં લક્ષણો છે, તેઓ માસ્ક જરૂરથી પહેરે. જે લોકો હૉસ્પિટલ જઈ રહ્યા છે, તેઓ માસ્ક પણ લગાવે. દિલ્હીના તમામ હૉસ્પિટલ ઍલર્ટ પર છે.”

    દિલ્હી સરકારે મૉકડ્રીલ મારફતે કોરોના સામેની લડાઈની તૈયારીઓની પણ ચકાસણી કરી.

  8. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ધરપકડનો તોળાતો ખતરો

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ધરપકડનો ખતરો તોળાઈ રહ્યો છે.

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી દિવસોમાં ધરપકડ થઈ શકે છે. પોર્નસ્ટાર કેસમાં ટ્રમ્પ સામે કેસ ચાલશે.

    આ મુકદ્દમો 2016ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચુકવણીના મામલામાં ચાલશે.

    આ મામલામાં ટ્રમ્પને કેવા આરોપોનો સામનો કરવો પડશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી. જ્યૂરીના વોટિંગ બાદ ટ્રમ્પ સામે કાર્યવાહી કરવાનો રસ્તો શક્ય બન્યો છે.

    76 વર્ષીય ટ્રમ્પ આ મામલામાં તેમના પર લાગેલા આરોપોને ફગાવી રહ્યા છે. ટ્રમ્પ એવા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ છે જેમની સામે અપરાધિક કેસ ચાલશે.

    ટ્રમ્પ ફ્લોરિડામાં રહે છે અને માનવામાં આવે છે કે તેઓ કોર્ટમાં પ્રથમ સુનાવણી માટે આવી શકે છે.

    ટ્રમ્પની ડિફેન્સ ટીમના મતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ આવતા અઠવાડિયે આત્મસમર્પણ કરી શકે છે.

    કોર્ટમાં ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી અમેરિકાની સિક્રેટ સર્વિસને મળી છે.

    શું છે આખો મામલો?

    જાન્યુઆરી 2018માં અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે એક લેખ પ્રકાશિત કર્યો અને તેમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના તત્કાલીન સલાહકાર માઈકલ કોહેને યુએસ પ્રમુખપદની ચૂંટણીના એક મહિના પહેલાં ઑક્ટોબર 2016માં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને એક લાખ 30 હજાર ડૉલર ચૂકવ્યા હતા.

    જર્નલના જણાવ્યા અનુસાર, આ પૈસા એ કરાર હેઠળ આપવામાં આવ્યા હતા જે મુજબ તેમણે ટ્રમ્પ સાથેના અફેર વિશેની વાત સાર્વજનિક કરવાની નહોતી.

    કાયદાદીય રીતે આ ચુકવણી અવૈધ નહોતી. પરંતુ જ્યારે ટ્રમ્પે કોહેનને ચુકવણી કરી, ત્યારે તેમણે તેને કાનૂની ફી તરીકે નોંધી હતી.

    ન્યૂયૉર્ક પ્રશાસનના વકીલોના જણાવ્યા અનુસાર, આ ટ્રમ્પ દ્વારા તેમના દસ્તાવેજો સાથે ચેડાં કરવાનો મામલો છે, જે ન્યૂયૉર્કમાં એક ગુનાહિત કૃત્ય છે.

    સરકારી વકીલ આ કેસમાં ટ્રમ્પ પર ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવી શકે છે, કારણ કે ટ્રમ્પ દ્વારા સ્ટૉર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી ચુકવણીને એટલા માટે છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેઓ પોતાના અને ડેનિયલ્સ વચ્ચેના સંબંધોને મતદારોથી છુપાવી શકે.

  9. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    30 માર્ચના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.