પાટણના ધારાસભ્ય કિરણ પટેલ અને કૉંગ્રેસના અન્ય ધારાસભ્ય શૈલેષ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભામાં આખાય સત્ર માટે વિધાનસભા અધ્યક્ષે તમામ કૉંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
સસ્પેન્ડ કૉંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષને મળવા ગયા હતા. વિધાનસભા અધ્યક્ષે ધ્વનિમતથી પ્રસ્તાવને પાસ કર્યો.
આરો્ગ્યમંત્રી ઋષિકેશ પટેલે કૉંગ્રેસના ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો, જેને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો.
ધારાસભ્યો જે રીતે તેમને સસ્પેન્ડ કરાયા તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું કે કિરણ પટેલ મુદ્દે સવાલ ન પૂછવામાં આવે એટલે આવું કરાયું છે.
પણ બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે સંસદીય પ્રણાલી મુજબ નિર્ણય લેવાયો છે અને ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી હોબાળો કરી સત્રને ખલેલ કરતા આ નિર્ણય લેવાયો છે.
આ વિશે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ પણ કર્યું હતું.
'મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? વડા પ્રધાન જવાબ આપે'
અગાઉ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના સંસંદસભ્ય પદ રદ થવા વિશે પણ વાત કરી.
તેમણે કહ્યું, ‘ભાજપની સરકાર દેશમાં તાનાશાહી શાસન લાવી છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ ન કરી શકે એવી સ્થિતિ લાવી દેવાઈ છે. દેશમાં મિત્રકાળ ચાલે છે અને એમાં અદાણી જેવા મિત્રને ઍરપૉર્ટ, પૉર્ટ સહિતના આર્થિક લાભ નીતિ નિયમો નેવે મૂકીને આપવામાં આવે છે.’
‘મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ મિત્રોના પ્લૅનમાં ફર્યાં હતા.’
‘એટલે આઝાદી પહેલા જેમ ગાંધીજીનું નેતૃત્ત્વ મળ્યું. અહિંસક રીતે લાંબી લડાઈ અંગ્રેજો સામે લડાઈ.’
‘એવી જ રીતે રાહુલ ગાંધી યુવાઓ, ખેડૂતો, મહિલાઓના અન્યાય અને અધિકારો મામલે અવાજ બન્યા છે.’
‘એટલે સામાજિક, રાજકીય આર્થિક મુદ્દે જ્યારે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે ત્યારે તેમનો અવાજ દબાવવાની કોશિશ થાય છે.’
‘રાહુલ ગાંધીએ સંસદમાં અદાણી મુદ્દે તપાસની માગણી કરી હતી. જેપીસી તપાસની માગણી નથી સ્વીકારાઈ.’
‘ખરેખર બોલી ન શકે એટલે રાહુલ ગાંધી સામે વિવિધ રાજ્યોમાં ખોટા કેસો ઊભા કરવામાં આવ્યા.’
‘સુરતના કેસની વાત કરીએ તો એક રાજ્યમાં કેસ બીજામાં કેસ થયો. એ પહેલાં તપાસ થવી જોઈતી હતી. વળી બીજી બાજુ ફરિયાદી સુનાવણી સમયે હાઈકોર્ટમાં જાય છે અને કેસ વિલંબમાં જાય છે. એ દરમિયાન જજની બદલી થઈ જાય છે. પછી ફરિયાદીપક્ષ હાઈકોર્ટનો સ્ટે ઉઠાવી લેવા જાતે જ કહે છે. અને પછી નવા જજ આવે છે અને ચુકાદો આવે છે અને તેમને સજા થાય છે.’
‘મેહુલ ચોક્સી, અદાણી જેવા મોટા માથા અને લલિત કે નીરવ મોદી હોય તેમના સંબંધિત વિવાદો સામે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે છે.’
‘રાહુલ ગાંધી સમાજની સેવા કરવા માગે છે એના માટે સંસદ હોવું જરૂરી નથી એ રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે.‘
‘પણ દેશના વડા પ્રધાન જવાબ આપે કે એમના અને અદાણી વચ્ચે શું સંબંધો છે?’
‘અમે ન્યાયિક લડાઈ લડતા રહીશું. પણ શાસકપક્ષે લોકોને અવાજ કેમ દબાવાય છે એનો જવાબ આપવો પડશે.’