You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'રાહુલ ગાંધીએ નિડરતાથી બોલવાની કિંમત ચૂકવી', સંસદનું સભ્યપદ રદ થતાં કૉંગ્રેસ શું બોલી?

23 માર્ચે સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને કારણે થયેલા બદનક્ષીના કેસમાં દોષિત થયા બાદ બે વર્ષની કેદની સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભામાં વાયનાડના સંસદ સભ્ય તરીકેનું પદ રદ

લાઇવ કવરેજ

  1. કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ શું શું કહ્યું?

    રાહુલ ગાંધીનું સાંસદસભ્યપદ રદ કરી દેવાયા બાદ કૉંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મોદી સરકાર પર બિનલોકતાંત્રિક રીતે વર્તવાના આરોપ લગાવ્યા હતા.

    • ગેરલાયક ઠેરવતો આધાર દૂર થશે કેમ કે અમને વિશ્વાસ છે કે દોષિત ઠર્યાં એની સામે સ્ટે મળી જશે
    • ભવિષ્યમાં વિજય અમારો થશે. કાયદા પર અમને વિશ્વાસ છે
    • રાહુલ ગાંધી સંસદની અંદર અને બહાર નિડરતાથી બોલી રહ્યાં છે. એટલે તેમણે તેની કિંમત ચૂકવવી પડી રહી છે.
    • સરકાર એકદમ ધ્રુજી ગઈ છે. એટલે સરકાર અવાજ દબાવવા નવી રીતો શોધી રહી છે.
  2. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા ગુજરાતના નેતાઓ શું બોલ્યા?

    'મોદી સમાજ' વિરુદ્ધની ટિપ્પણી બદલ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારતા તેમનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે.

    આ મામલે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

    કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયાને સંબોધતા કહ્યું, "અપીલ કરવા માટે 30 દિવસનો સમય હોય છે પણ ગઈકાલે જ સજા સંભળાવી અને આજે સભ્યપદેથી દૂર કરવાની કાર્યવાહી કરી દેવાઈ. એ સૂચવે છે કે ભાજપ ડરી ગયો છે."

    તેમણે આગળ કહ્યું, "રાહુલ ગાંધીએ જે રીતે સંસદમાં નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીએ મિલીભગતથી આચરેલા કૌભાંડ વિશે ગૃહમાં ચર્ચા કરી એ માટે જ તેમની સાથે આમ કરવામાં આવ્યું છે."

    જ્યારે ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું, "ભાજપના પણ ઘણા નેતાઓ રાહુલ ગાંધીથી વધુ ખરાબ રીતે બોલ્યા છે. તેના પુરાવા પણ ઉપલબ્ધ છે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ."

    તેમણે આગળ કહ્યું, "રાહુલ ગાંધીએ જે રીતે 'ભારત જોડો યાત્રા' કરીને લોકપ્રિયતા મેળવી છે અને આગામી વર્ષે આવી રહેલી લોકસભાની ચૂંટણીના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે."

    ગેનીબહેન અંતે કહે છે, "તેઓ પાયાના કાર્યકરોને ડરાવવા માગે છે કે અમે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ છીએ તો તમારી સાથે પણ થઈ શકે છે."

    ભાજપના ધારાસભ્ય જિતુ વાઘાણીએ કહ્યું, "બંધારણની જે જોગવાઈઓ છે તેનાથી હું કે અન્ય કોઈ પણ વ્યક્તિ બાકાત નથી. કાયદાને માન આપવું અને તેને અનુસરવું એ તમામ નાગરિકોની ફરજ છે."

    તેમણે આગળ કહ્યું, "જો કોઈને લાગે કે તેમની સાથે અન્યાય થયો છે તો આપણા બંધારણ મુજબ તેની સામે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે છે અને પોતાની વાત મૂકી શકે છે."

    જ્યારે તેમને કૉંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "કોર્ટમાં તમામ પક્ષોની દલીલો સાંભળવામાં આવતી હોય છે. તમામ પક્ષોને પૂરતો સમય અને તક આપવામાં આવે છે અને બાદમાં ચુકાદો સંભળાવવામાં આવતો હોય છે."

    "જો કહેવાતી સૌથી જૂની પાર્ટીના નેતાઓ હવે આક્ષેપો કરતા હોય તો તે નામદાર હાઇકોર્ટનું અપમાન છે. આ ચુકાદો નામદાર હાઇકોર્ટે આપ્યો છે, ન કે કોઈ રાજકીય પાર્ટીએ."

  3. બ્રેકિંગ, રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ, લોકસભા સચિવાલયે બહાર પાડ્યું જાહેરનામું

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચાર વર્ષ જૂના ગુનાહિત માનહાનિ કેસમાં 23 માર્ચે ચુકાદો આપતા બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આ મામલે સંસદની લોકસભાએ એક જાહેરનામું બહાર પાડીને રાહુલ ગાંધીનું વાયનાડના સંસદસભ્ય પદેથી દૂર કરી દીધા છે.

    લોકસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં માહિતી આપવામાં આવી છે કે, કેરળની વાયનાડ લોકસભા બેઠકના સાંસદ રાહુલ ગાંધીને સજા આપ્યાના દિવસથી એટલે કે 23 માર્ચ 2023થી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

    આ ભારતીય બંધારણની કલમ 102 (1) અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ કરવામાં આવ્યું છે. આ પહેલા કોર્ટે ગાંધી પર 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો, સાથે સજા 30 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી.

    વર્ષ 2019નો આ મામલો 'મોદી અટક' ને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે સંબંધિત છે, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી અને અન્ય લોકોના નામ લીધા હતા અને કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે.”

    કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પર સંકટ સર્જાયું હતું. આ સંકટનું કારણ પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટ, 1951ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જૂના નિર્ણયો હતા.

  4. વડા પ્રધાન મોદી સામે માનહાનિનો કેસ કરશે રેણુકા ચૌધરી, ‘શૂર્પણખા’ સાથે સરખામણી કર્યાનો આરોપ

    ‘મોદી અટક’ કેસમાં રાહુલ ગાંધી પર સુરતની કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું છે કે તેઓ વડા પ્રધાન મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.

    રેણુકા ચૌધરીએ ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે, “એક અભિમાનીએ મારી સરખામણી શૂર્પણખા સાથે કરી હતી. હું તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ. જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.”

    રેણુકા ચૌધરીએ આ ટ્વીટ સાથે વડા પ્રધાન મોદીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

    આ વીડિયોમાં તેઓ ગૃહમાં બોલી રહ્યા છે કે, “હું તમને વિનંતી છે કે રેણુકાજીને કંઈ ન કરો. રામાયણ સિરીયલ પછી આજે મને આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.”

    આ મામલો 2018ના સંસદ સત્ર સંબધિત છે. ત્યારે વડા પ્રધાન મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રેણુકા ચૌધરીના હસવાનો અવાજ આવ્યો, ત્યારે સભાપતિએ તેમને શાંત રહેવા કહ્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન મોદીએ સભાપતિને સંબોધિત કરતા આ વાત કહી હતી.

    ચાર વર્ષ જૂના ‘મોદી અટક’ બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે.

    કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર રાહુલ ગાંધીનો અવાજ દબાવવાના પ્રયાસ કરી રહી છે. કારણ કે તેઓ સરકાર પર સવાલ ઉઠાવે છે.

  5. કેન્દ્ર સરકારે કહ્યું, 'ગુજરાતમાં 1.44 લાખ લોકો બેઘર છે'

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારે ગુરૂવારે સંસદમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં 1.44 લાખ લોકો બેઘર છે.”

    દેશમાં બેઘર લોકોના આંકડા સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જ તેમને આવાસ આપવા માટે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંની વિગતો પણ આપવામાં આવી હતી.

    પુછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.

    2011ની વસતીગણતરીના આંકડાને ટાંકીને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં કુલ 1,44,306 લોકો બેઘર છે, જેમાંથી 84,822 લોકો રાજ્યના શહેરી વિસ્તારોમાં અને 59,484 લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “2011ની વસતીગણતરી મુજબ સમગ્ર દેશમાં 17.72 લાખ લોકો બેઘર હતા.”

  6. 'ઠગ' કિરણ પટેલ, કાશ્મીર પ્રવાસ અને ઝેડ પ્લસ સિક્યોરિટી - એ પ્રશ્નો જેના જવાબ હજુ મળ્યા નથી

  7. રામ માત્ર હિન્દુઓના નહીં, બધાના ભગવાન છે: ફારુક અબ્દુલ્લા

    નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ફરી કહ્યું હતું કે, ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, પરંતુ સમગ્ર દુનિયાના ભગવાન છે.

    જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીએ ઉધમપુરના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

    અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે, ત્યારે તેઓ જનતાનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, પરંતુ રામ બધાના છે.”

    તેમના મતે, “ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. તે તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ બધાના ભગવાન છે, પછી તે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, અમેરિકન હોય કે રશિયન હોય. જેમ આપણે કહીએ છીએ કે અલ્લાહ માત્ર મુસલમાનોના ભગવાન નથી, તેઓ દરેકના ભગવાન છે.”

    તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનના એક ખૂબ જ વૃદ્ધ પ્રોફેસર મૌલાના અસરાર, જેઓનું હાલમાં જ નિધન થયું છે, તેઓ તેમની તફસીરમાં કહે છે, ‘તમે લોકો એ યાદ રાખો કે ભગવાન રામ જે ત્યાં છે, તેમને પણ અલ્લાએ લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે.’”

    અબ્દુલ્લાના કહ્યા અનુસાર, “આ લોકો જે તમારી સામે આવે છે, તેઓ રામના પૂજારી છે, તેઓ મૂર્ખ લોકો છે. તેઓ રામને વેચવા માગે છે. તેમને રામ માટે પ્રેમ નથી, તેઓને સરકાર માટે પ્રેમ છે. તેઓ કોઈ પણ ભોગે સત્તામાં રહેવા માગે છે.”

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    23 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.