મનીષ સિસોદિયાની તિહાડ જેલમાંથી EDએ ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષસિસોદિયાની એક્સાઇઝ પૉલિસી કેસમાં નાણાકીય ગેરરીતિના આરોપમાં પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, મનીષ સિસોદિયાની તિહાર જેલમાંથી EDએ ધરપકડ કરી

    મનીષ સિસોદિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષસિસોદિયાની એક્સાઇઝ પૉલિસી કેસમાં નાણાકીય ગેરરીતિના આરોપમાં પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

    કેન્દ્રીય તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની ત્રણ દિવસમાં બે વખત પૂછપરછ કરી હતી. 7 માર્ચના રોજ EDએ પાંચ કલાક સુધી તેમનું નિવેદન લીધું હતું.

    નોંધનીય છે કે 26 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સિસોદિયાની ધરપકડ બાદ તેઓ હાલ ન્યાયિક હિરાસતમાં હતા. તેમના પર દિલ્હીની એક્સાઇઝ પૉલિસી મામલે ભ્રષ્ટાચારના આરોપ કરાયા હતા.

  2. અમેરિકન ગુપ્તચર એજન્સીએ પાકિસ્તાન અને મોદી સરકાર વિશે શું કહ્યું?

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, FOREIGN MINISTRY OF UZBEKISTAN

    અમેરિકન સરકારે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે વડા પ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન સાથેના વ્યવહારમાં ઉદારતાથી નહીં વર્તે.

    અમેરિકન સંસદની સુનાવણી દરમિયાન આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ગંભીર ચિંતાનો વિષય છે.

    રિપોર્ટમાં કહેવાયું છે કે "ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સંકટ વિશેષ રૂપથી ચિંતાનો વિષય છે. કારણ કે બંને દેશો પરમાણુ શક્તિથી સંપન્ન છે અને તણાવથી જોખમ વધી શકે છે."

    જોકે, રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે 'વર્ષ 2021ની શરૂઆતમાં થયેલાં સંઘર્ષવિરામને આગળ વધારવા પર આંતરિક સહમતિ બન્યા બાદ બંને દેશ શાંતિ યથાવત્ રાખવા ઇચ્છુક લાગી રહ્યા છે.'

    આ રિપોર્ટમાં પાકિસ્તાન પ્રત્યે ટીકાત્મક વલણ રાખવામાં આવ્યું છે.

    રિપોર્ટ કહે છે કે 'પાકિસ્તાન એક લાંબા સમયથી ભારતવિરોધી ચરમપંથી સમૂહોનું સમર્થન કરી રહ્યું છે. જો પાકિસ્તાન ભારતને ઉશ્કેરવાની કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો ભારતીય સૈન્ય તરફથી પલટવાર કરવામાં આવી શકે છે.'

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન તરફથી કરાયેલી ઉશ્કેરણીનો સૈન્યબળથી જવાબ આપે તેની શક્યતા વધુ છે અને બંને પક્ષે પરસ્પર સંબંધોમાં તણાવનો દૃષ્ટિકોણ સંઘર્ષનું જોખમ વધારે છે. જેમાં કાશ્મીરમાં હિંસક અશાંતિ અથવા ભારતમાં ઉગ્રવાદી હુમલાઓ સંઘર્ષનું કારણ બની શકે છે.'

  3. યુક્રેન યુદ્ધ: રશિયાએ એક રાતમાં 84 મિસાઈલો છોડી, 34 મિસાઈલો તોડી પાડવાનો યુક્રેનનો દાવો

    રશિયન હુમલો

    ઇમેજ સ્રોત, Reuters

    બુધવારની રાતે રશિયાના હવાઈ આક્રમણની એક મોટી લહેર યુક્રેન પર આવી છે. રશિયાએ યુક્રેન પર એક જ રાતમાં 81 મિસાઇલો છોડી હોવાનો દાવો યુક્રેને કર્યો છે.

    ગત જાન્યુઆરીના આખર બાદ રશિયાએ યુક્રેન પર કરેલો આ સૌથી મોટો મિસાઈલ હુમલો છે.ડઝન જેટલી ઇમારતો પર મિસાઈલો ત્રાટકી હતી અને 11 લોકોના મૃત્યુના અહેવાલો છે.

    બંદરીય શહેર ઓડેસાના ઊર્જામથક પર મિસાઈલ હુમલો કરાતાં વીજળી ખોરવાઈ ગઈ છે તેમ ઓડેસાના ગવર્નર મૅકસિમ માર્ચેન્કોએ જણાવ્યું હતું. ઓડેસાના રહેણાંક-વિસ્તારો પણ નિશાને હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

    રશિયન હુમલો

    ઇમેજ સ્રોત, Reuters

    પ્રાદેશિક વહીવટી વડા ઑલેગ સિનેગુબૉવે જણાવ્યું હતું કે "લગભગ 15 જેટલી" મિસાઇલો ખાર્કિવ શહેર અને પ્રદેશ ઉપર છોડવામાં આવી હતી, જેમાં "મહત્ત્વની માળખાકીય સુવિધાઓ" અને મકાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

    પશ્ચિમ યુક્રેનમાં લવીવમાં તેમના ઘર પર રૉકેટ પડતાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા, એમ તે પ્રદેશના ગવર્નર મેકસિમ કૉઝિત્સ્કીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું.

    ગવર્નર સેરહી લિસાકના જણાવ્યા અનુસાર, ડિનિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં ડ્રૉન અને મિસાઇલ હુમલાને પગલે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય બે ઘાયલ થયા છે. યુક્રેનના સૈન્યનું કહેવું છે કે રશિયાએ તેનાં શહેરો પર રાતોરાત 81 મિસાઇલો છોડી હતી.

    રશિયન હુમલો

    ઇમેજ સ્રોત, Reuters

    ટેલિગ્રામ પરની એક પોસ્ટમાં, તેઓ ઉમેરે છે કે 34 ક્રુઝ મિસાઇલોને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી હતી. આઠ ઈરાની બનાવટનાં શાહેદ ડ્રોનમાંથી ચારને તોડી પાડવામાં આવ્યાં હતાં.

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ રાતોરાત રશિયન હુમલા બાદ એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું, "દુશ્મનોએ યુક્રેનિયનોને ફરીથી ડરાવવાના પ્રયાસમાં 81 મિસાઇલો છોડી, તેમની તુચ્છ યુક્તિઓ ફરી અજમાવી. કબજેદારો માત્ર નાગરિકોને આતંકિત કરી શકે છે."

    મૃત્યુ અને ઇજાઓની પુષ્ટિ કરતાં ઝેલેન્સ્કીએ ઉમેર્યું કે દેશભરમાં 27માંથી ઓછામાં ઓછા દસ પ્રદેશોને કેટલાંક કલાકોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા.

  4. રાહુલ ગાંધી દેશની એકતા માટે ખતરનાક - કિરેન રિજિજૂ

    રાહુલ ગાંધી અને કિરેન રિજિજૂ

    ઇમેજ સ્રોત, Getty Images

    કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કૉગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશની એકતા માટે ખતરો ગણાવ્યા છે.

    બુધવારે મોડી રાત્રે ટ્વીટ કરીને તેઓએ રાહુલ ગાંધીના લંડનમાં અપાયેલા નિવેદનો અંગે તેમની પર નિશાન સાધ્યું હતું.

    તેમણે રાહુલ ગાંધીની લંડનમાં ભારતીય મૂળના પત્રકારો સાથે કરેલી ચર્ચાનો એક નાનકડો હિસ્સો શેર કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધી અમારી વાત નહીં સાંભળે, પરંતુ આશા છે કે તેઓ તેમના શુભચિંતકોની વાત સાંભળશે."

    "કૉંગ્રેસના સ્વયંભૂ યુવરાજે તમામ હદો પાર કરી દીધી છે. આ વ્યક્તિ દેશની એકતા માટે અત્યંત ખતરનાક બની ગયો છે. હવે તેઓ લોકોને દેશના ભાગલા પાડવા માટે ઉશ્કેરી રહ્યા છે. ભારતના સૌથી પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે- "એક ભારત, શ્રેષ્ઠ ભારત."

    આ પહેલાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીના નિવેદનોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, "રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વિદેશની ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

    વિપક્ષના ઘણા નેતાઓ અને દેશનો એક વર્ગ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનોની ટીકા કરી રહ્યા છે.

    તેમનું કહેવું છે કે "રાહુલ ગાંધીના નિવેદનોથી વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ થઈ રહી છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

    ગત દિવસોમાં બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા પહોંચેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "મોદી ભારતનું માળખું બગાડી રહ્યા છે. તેઓ દેશ પર એવો વિચાર લાદી રહ્યા છે, જેને ભારત સ્વીકારી શકતું નથી."

    રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, "મહિલાઓને ગૅસ સિલિન્ડર આપવા અને લોકોના બૅંક ખાતા ખોલવા એ સારા પગલાં છે, પરંતુ ભારત રાજ્યોનો સંઘ છે."

    "ભારતમાં ધાર્મિક વિવિધતા છે. દેશમાં શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ રહે છે, પરંતુ મોદી તેમને બીજા વર્ગના નાગરિક માને છે. હું આ સાથે સહમત નથી. જ્યારે તમારો વિરોધ એટલો મૂળભૂત હોય, ત્યારે ફરક નથી પડતો કે તમે કઈ બે, ત્રણ નીતિઓ સાથે સંમત છો."

  5. 'મિસ્ટર ઇન્ડિયા'ના 'કૅલેન્ડર' સતીશ કૌશિકે જ્યારે કહ્યું 'કૉમેડી જ પહેલો પ્રેમ છે'

  6. આઈઆઈટી-બૉમ્બેના પ્રોફેસરે દર્શન સોલંકીની આત્મહત્યાની પૅનલના રિપોર્ટ સામે કર્યા સવાલ

    દર્શન સોલંકી

    ઇમેજ સ્રોત, RAMESH SOLANKI

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, IIT બોમ્બેમાં ગયા મહિને વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યાના મામલાની તપાસ થઈ રહી છે. તપાસ કરી રહેલી પેનલનું કહેવું છે કે વિદ્યાર્થીની આત્મહત્યા પાછળ 'શિક્ષણમાં કથળી રહેલું પ્રદર્શન' કારણભૂત હોઈ શકે છે. જોકે આ તારણ સામે ઇન્સ્ટિટ્યૂટના અધ્યાપકે સવાલ કર્યા છે.

    કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકીએ 12મી ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. તેમના પરિવારનો આરોપ હતો કે દર્શને જ્ઞાતિઆધારિત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

  7. મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું- 'સંસ્થાઓમાં ઉચ્ચ પદો પર બહુ ઓછી મહિલાઓ છે'

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

    ઇમેજ સ્રોત, Getty Images

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે કહ્યું કે દેશમાં પાયાના સ્તરે મહિલાઓની ભાગીદારી વધુ સારી છે, પરંતુ જેમ-જેમ આપણે સંસ્થાઓમાં ઉચ્ચ પદો તરફ જોઈએ તો અહીં બહુ ઓછી મહિલાઓ જોવા મળે છે.

    રાષ્ટ્રપતિ મુર્મૂએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતીય મહિલાઓની મજબૂત ઇચ્છાશક્તિ પર લખાયેલ તેમનો લેખ શેર કર્યો હતો. તેમના આ લેખ સમાજમાં મહિલાઓની સ્થિતિને લઈને હતો.

    લેખમાં દેશમાં મહિલા સશક્તિકરણનાં ઉદાહરણોની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું છે કે, "21મી સદીમાં જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં અકલ્પનીય પ્રગતિ કરી છે, ત્યારે આજ સુધી ઘણા દેશોમાં કોઈ મહિલા રાજ્ય અથવા સરકારના પ્રમુખ બની શક્યાં નથી."

    "દુનિયાની સૌથી વિશાળ લોકશાહીના રાષ્ટ્રપતિના રૂપમાં મારી નિયુક્તિ મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે."

    તેમણે એ પણ લખ્યું છે કે, "સંસ્થાઓમાં નીચલા સ્તરે મહિલાઓની સારી ભાગીદારી છે, પરંતુ ઉચ્ચ પદો પર મહિલાઓની ભાગીદારી ઘણી ઓછી છે."

    "હું દૃઢપણે માનું છે કે સમાજમાં પ્રવર્તતી માનસિકતા બદલવાની જરૂર છે. એક સમૃદ્ધ સમાજના નિર્માણ માટે લૈંગિક અસમાનતા પર આધારિત પૂર્વાગ્રહોને સમજવા અને દૂર કરવા જરૂરી છે."

  8. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય, વડા પ્રધાન મોદી સાથે અલ્બનીઝ પણ મૅચ જોવા પહોંચ્યા

    ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કપ્તાન સ્ટીવ સ્મિથે ચોથી અને અંતિમ મૅચમાં ટૉસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. તેઓએ પ્રથમ અને બીજી મૅચ જીતી હતી, પરંતુ ત્રીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરતા જીત મેળવી હતી.

    ભારતની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.

    ઑસ્ટેલિયાની પ્લેઇંગ ઇલેવન-ટ્રૅવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (કપ્તાન), પીટર હૅડ્સકૉમ્બ, કૅમરન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મૅથ્યૂ કુહ્નમૅન, નાથન લિયોન.

    આ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને તેને જોવા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહોંચ્યા છે.

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બનીઝ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચાર દિવસીય ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ 8 માર્ચથી શરૂ થયો છે અને 11 માર્ચ સુધી ચાલશે.

  9. Ind Vs Aus : અમદાવાદમાં ચોથી ટેસ્ટ, શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?

  10. ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ નિહાળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે

    નરેન્દ્ર મોદી અને એન્થની અલ્બેનિઝ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બૉર્ડ-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટમૅચ યોજાવાની છે.

    ધ ગાર્ડિયન ડોટ કૉમના અહેવાલ અનુસાર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝ પણ આ મૅચ દરમિયાન હાજર રહેવાના છે.

    આ ટેસ્ટમૅચમાં વર્ષ 2013-14માં એશિઝ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નોંધાયેલ ટેસ્ટમૅચમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીનો રેકૉર્ડ પણ તૂટી શકે છે.

    નોંધનીય છે કે, વર્ષ 2013-14ની એશિઝ શ્રેણીની ટેસ્ટમૅચમાં 91,112 પ્રેક્ષકોની હાજરી નોંધાઈ હતી, જે અત્યાર સુધી એક રેકૉર્ડ છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત-ઑસ્ટ્રેલિયાની ટેસ્ટમૅચમાં એક લાખ પ્રેક્ષકોની હાજરી સાથે આ રેકૉર્ડ ધરાશાયી થઈ શકે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. બોલીવૂડ અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનું નિધન

    સતીશ કૌશિક

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 'અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું બુધવારે 66 વર્ષની વયે નિધન થયું છે.'

    સતીશ કૌશિકનું નેશનલ કૅપિટલ રીજનમાં હાર્ટઍટેકના કારણે નિધન થયું છે. તેમનો મૃતદેહ ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં છે અને પોસ્ટમોર્ટમ બાદ મુંબઈ લાવવામાં આવશે.

    કૌશિક ગુરુગ્રામમાં કોઈને મળવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની તબિયત ખરાબ થઈ અને કારમાં તેમને હાર્ટઍટેક આવ્યો હતો.

    અનુપમ ખેરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે, “હું જાણું છું મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પરંતુ મે સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત હું જીવતાજીવ લખીશ. 45 વર્ષની મિત્રતા પર આમ અચાનક લાગ્યું ફુલ સ્ટૉપ!! તમારા વિના જીવન પહેલા જેવું નહીં રહે સતીશ! શાંતિ!”

    સતીશ કૌશિક એક ભારતીય અભિનેતા, નિર્દેશક, નિર્માતા, કૉમેડિયન અને પટકથા લેખક હતા. તેઓ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ વિદ્યાર્થી હતા અને તેઓએ થિયેટરમાં તેમની કારકિર્દી શરૂ કરી હતી.

    તેમણે 'મિસ્ટર ઈન્ડિયા', 'દીવાના મસ્તાના', 'બ્રિક લેન', 'સાજન ચલે સસુરાલ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ 'રૂપ કી રાની ચોરોં કા રાજા', 'પ્રેમ', 'હમ આપકે દિલ મેં રહેતે હૈં' અને 'તેરે નામ' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    8 માર્ચના સમાચાર વાંચવા માટેઅહીં ક્લિકકરો