You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રાજસ્થાનમાં કૉંગ્રેસના મંત્રીના પુત્ર બોલ્યા કે 'રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું'

રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારમાં મંત્રી વિશ્વેન્દ્રસિંહના પુત્ર અનિરુદ્ધસિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું છે.

લાઇવ કવરેજ

  1. બાળકો જુઠ્ઠું શા માટે બોલે છે? ખોટું બોલે તો સજા કરવી જોઈએ કે નહીં?

    બાળપણમાં મારાં માતા-પિતાએ મને અનેક રીતે સજા કરી હતી. મોટા ભાગના કિસ્સામાં મને જુઠ્ઠું બોલવા બદલ સજા કરવામાં આવી હતી.

    દરેક વખતે સજા થાય એ પછી હું વધુ સારી રીતે ખોટું કેમ બોલવું અને બીજી વખત ઠપકામાંથી કઈ રીતે બચવું તેની યોજના બનાવતો હતો.

    મને ખોટું બોલવા છતાં તેની સજામાંથી બચવામાં સફળતા પણ મળી હતી. આપણા પૈકીના લગભગ બધાએ આવું કર્યું હશે. પોતાનાં માતા-પિતા, શિક્ષકો અને દોસ્તો સામે આ રીતે ખોટું બોલતાં ઘણાં બાળકો આપણે જોયાં હશે.

    બાળકો તેમનાં માતા-પિતા પાસેથી ખોટું બોલતાં શીખતાં હોય છે અને જુઠ્ઠું બોલવાની તેમની આદત માટે તેમનાં માતા-પિતા જ જવાબદાર હોય છે, એવું મનોચિકિત્સક શિવપાલને કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું.

    મનોચિકિત્સક ગૌતમ દાસે કહ્યું હતું કે "બાળકો તેમનાં માતા-પિતાને જુઠ્ઠું બોલતા જોઈને જુઠ્ઠું બોલતાં શીખતાં હોય છે. માતા-પિતા તેમનાં સંતાનોની અપેક્ષા સંતોષી નથી શકતાં ત્યારે તેઓ ખોટું બોલવાનું શરૂ કરે છે."

    તમામ માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન પ્રામાણિક વ્યક્તિ બને. તેથી પોતાનું સંતાન ખોટું બોલે છે એવી ખબર પડે ત્યારે મોટા ભાગનાં માતા-પિતા તેને ગંભીર બાબત ગણે છે.

    અલબત્ત, ખોટું બોલવા બદલ માતા-પિતા બાળકો પર ગુસ્સે થાય પછી પણ બાળકો ખોટું બોલવાનું ઓછું કરતા નથી, પણ વધારે ખોટું બોલતા થાય છે.

  2. બાળક ગર્ભમાં જ ગીતાના શ્લોક અને રામાયણના પાઠ શીખી શકે?

  3. 'રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું', રાજસ્થાનમાં કૉંગ્રેસના મંત્રીના પુત્ર બોલ્યા

    રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારમાં મંત્રી વિશ્વેન્દ્રસિંહના પુત્ર અનિરુદ્ધસિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું છે.

    અશોક ગેહલોત સામે બળવો કરતા મંત્રીપદ ગુમાવનારા વિશ્વેન્દ્રસિંહને બાદમાં કૉંગ્રેસના નેતૃત્વ સાથે વાતચીત બાદ ફરીથી પદ અપાયું હતું.

    હવે તેમના પુત્ર અનિરુદ્ધસિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

    અનિરુદ્ધસિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પર ભારતનું અપમાન કર્યું છે.

    તેમણે રાજ્ય સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજસ્થાન સરકારને લોકોની સમસ્યાની પરવા નથી.

    પર્યટનમંત્રીના પુત્ર અનિરુદ્ધસિંહને પૂર્વ ઉપમુખ્ય મંત્રી સચીન પાઇલટના નીકટના માનવામાં આવે છે.

    સચીન પાઇલટે પણ વર્ષ 2020માં મુખ્ય મંત્રી અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો, જે પછી રાજ્યમાં રાજકીય સંકટ પેદા થયું હતું.

    એક ટ્વીટમાં અનિરુદ્ધસિંહે કહ્યું, "શું તેઓ પાગલ થઈ ગયા છે, અન્ય દેશની સંસદમાં પોતાના દેશનું અપમાન કોણ કરે છે. કે પછી તેઓ ઇટાલીને પોતાનો દેશ માને છે."

    રાહુલ ગાંધીએ ગત દિવસોમાં લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર પર હુમલા થઈ રહ્યા છે, વિપક્ષને બોલવા દેવાતા નથી.

    અનિરુદ્ધસિંહે કહ્યું, "શું તેઓ આ બકવાસ ભારતમાં નહોતા કરી શકતા, કે પછી તેઓ આનુવંશિક રીતે યુરોપની ધરતીને મહત્ત્વ આપી રહ્યા છે?"

  4. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝ ભારતની ચાર દિવસીય મુલાકાતે છે અને તેઓ આજે અમદાવાદ પહોંચ્યા છે.

    વડા પ્રધાન બન્યા બાદ આ અલ્બનીઝની આ પ્રથમ ભારત મુલાકાત છે.

    અમદાવાદ પહોંચીને તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ભારતમાં જોરદાર સ્વાગત, ઑસ્ટ્રેલિયા-ભારત સંબંધો માટે મહત્ત્વપૂર્ણ પ્રવાસની શરૂઆત.”

    અમદાવાદ પહોંચ્યા બાદ સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં જઈને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    સાંજે રાજભવનમાં એક હોળીના કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે.

    ગુરુવારે વડા પ્રધાન અલ્બનીઝ અને ભારતના વડા પ્રધાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમૅચ પણ જોશે.

    ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન 10 માર્ચે નવી દિલ્હી પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

    અલ્બનીઝ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરને પણ મળશે અને ત્યારબાદ હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદીને મળશે.

    તેઓ ભારત-ઑસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના ક્ષેત્રો પર વડા પ્રધાન મોદી સાથે બેઠક પણ કરશે.

    બંને નેતાઓ વચ્ચે પરસ્પર, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થશે.

    વડા પ્રધાન અલ્બનીઝ સાથે ઑસ્ટ્રેલિયન મંત્રીઓ અને કારોબારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આ પ્રવાસમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગ્રીન ઍનર્જી અંગે મોટો કરાર થઈ શકે છે.

  5. કૂતરાં માણસના 'બેસ્ટ ફ્રેન્ડ્ઝ' કઈ રીતે બન્યાં?

    ગુજરાતમાં અને દેશનાં કેટલાંક અન્ય શહેરોમાં બાળકો તથા પુખ્ત વયના લોકોને કૂતરાં કરડવાની ઘટનાઓમાં તાજેતરમાં જોરદાર વધારો થયાના અહેવાલ છે.

    સુરતમાં 19 ફેબ્રુઆરીએ બનેલી એક આઘાતજનક ઘટનામાં એક મજૂરની બે વર્ષની બાળકીનું ત્રણ-ચાર કૂતરાંએ ભરેલાં 30-40 બચકાંને કારણે ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

    દરમિયાન, ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી વડા ન્યાયમૂર્તિ એજે દેસાઈએ સોમવારે જણાવ્યું હતું કે રખડતાં કૂતરાંના દૂષણને કારણે ઘણા નાગરિકો માટે રોજ મૉર્નિંગ વૉક પર જવાનું મુશ્કેલ બની ગયું છે.

    આ સંદર્ભમાં સવાલ થાય કે આપણે પ્રાગૈતિહાસિક વરુઓને, તેમના સુંદર ગલૂડિયાંને દત્તક લઈને કાબૂમાં લઈ લીધાં છે કે પછી એકમેકને અનુકૂળ વ્યવસ્થાને લીધે કૂતરાં ખુદને જ કાબૂમાં રાખતાં થઈ ગયાં છે?

    કૂતરાં સાથેનો આપણો સંબંધ બહુ પુરાણો છે. પુરાતત્ત્વવિદોએ શોધી કાઢ્યું છે કે 14,000 વર્ષ પહેલાં માનવી તેનાં કૂતરાંને પોતાની સાથે જ દફનાવતો હતો.

    કૂતરાં માણસે પાળેલું પ્રથમ પ્રાણી હતાં એ વાતના સંખ્યાબંધ પુરાવા હોવા છતાં માણસના કૂતરાં સાથેના સંબંધના મૂળ બાબતે હજુ પણ વ્યાપક ચર્ચા ચાલ્યા કરે છે.

  6. એક ડાઇપરથી ડીંગુચાના પરિવારના મૃતદેહોનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

  7. યુરોપિયન સ્પેસ એજન્સીએ ‘અવકાશના રંગો’ વડે હોળીની શુભકામના પાઠવી

    એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર યુરોપિયન સ્પેશ એજન્સી (ઇએસએ)એ રંગોના તહેવાર તરીકે ઓળખાતી હોળીની શુભકામનાઓ પાઠવી છે.

    આ સાથે જ એજન્સીએ હબલ સ્પેસ ટેલિસ્કોપ વડે પાડવામાં આવેલી અવકાશની બે રંગબેરંગી તસવીરો પણ શૅર કરી હતી.

    એજન્સીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શૅર કરી અને લખ્યું, “હોળી અને પુરીમ (યહૂદીઓનો તહેવાર) માટે અવકાશી રંગો. અમે હિંદુઓના રંગોના તહેવાર અને યહૂદીઓના તહેવારને હબલ દ્વારા લેવાયેલી આકાશગંગાની આ રંગીન તસવીરો વડે ઊજવી રહ્યા છીએ.”

    તેમણે તસવીરોને વધુ વ્યાખ્યાયિત પણ કરી. ઇએસએએ લખ્યું કે શરૂઆતની બે તસવીરોમાં અવકાશી ક્લાઉડસ્પેસ હર્બિગ-હારો ઑબ્જેક્ટ એચએચ 505ને ચમકદાર ક્ષેત્ર ઘેરી વળેલું હોય તેવું દેખાઈ રહ્યું છે.

    હર્બિગ-હારો ઑબ્જેક્ટ એ નવા જન્મેલા તારાની આસપાસનાં ચમકદાર ક્ષેત્રો છે.

  8. અમારા ટોચના નેતાઓની હત્યા કરવાનું ષડ્યંત્ર : AAP

    દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ એમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આપના નેતા સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાંસિસોદિયાને 'ખુંખાર કેદીઓની વચ્ચે' રાખવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

    સૌરભ ભારદ્વાજે કહ્યું છે, "આજે મનીષ સિસોદિયા કેન્દ્ર સરકારના ષડ્યંત્રને લીધે જેલમાં બંધ છે. તેમને ષડ્યંત્ર અંતર્ગત તિહાડ જેલમાં જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. અમને જાણવા મળ્યું છે કે આ પ્રકારના ફર્સ્ટ ટાઇમ અંડર ટ્રાયલને જેલ નંબર 1માં નથી રખાતા."

    તેમણે આરોપ લગાવ્યો, "જેલ નંબર 1માં દેશના સૌથી ખતરનાક અને હિંસક કેદીઓ બંધ છે. તેમની હિંસાના સમાચારો ટીવી અને અખબારોમાં આવતા રહે છે. આ ગુનેગારો માનસિક રૂપે બીમાર છે અને ઇશારાઓ પર કોઈની પણ હત્યા કરી શકે છે."

    તેમણે ઉમેર્યું, "અમે ભાજપના રાજકીય પ્રતિદ્વંદી છે પણ શું આ પ્રકારની દુશ્મનાવટ રાજકારણમાં હોય? હવે ષડ્યંત્ર ટોચના નેતાઓની હત્યા સુધી પહોંચી ગયું છે. આ ખતરનાક સંકેત છે અને અમે આની નિંદા કરીએ છીએ."

    નોંધનીય છે કે દિલ્હી સરકારની વિવાદિત આબકારીનીતિમાં કથિત કૌભાંડના આરોપમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.

  9. પ્રીતમ સિવાચ : હૉકીમાં દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોચની કહાણી

  10. સોમનાથની પુન:સ્થાપના માટે જ્યારે મરાઠા મહારાણીએ બીડું ઝડપ્યું

  11. માણિક સાહા ત્રિપુરામાં બીજી વખત મુખ્ય મંત્રી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડૉ. માણિક સાહાએ ત્રિપુરામાં બીજી વખત મુખ્યમંત્રીના શપથ લીધા છે.

    બુધવારે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર રહ્યા હતા.

    રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિના પહેલાં જ ડૉ. માણિક સાહાને બિપલવ દેબની જગ્યાએ મુખ્ય મંત્રી બનાવાયા હતા.

    સાહા વર્ષ 2016માં કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. મુખ્ય મંત્રી બનતાં પહેલાં ગત વર્ષે માર્ચ મહિનામાં તેઓને રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા હતા.

    લાંબા સમય સુધી જમીની સ્તરે કામ કરવા છતાં માણિક સાહા ક્યારેય પણ ચૂંટણીના મેદાનમાં નહોતા ઊતર્યા. જોકે, મુખ્ય મંત્રી બન્યા બાદ ગત વર્ષે તેઓ બારદોવાલી બેઠકની પેટાચૂંટણી લડ્યા અને જીત્યા. આ બેઠકને હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે કાયમ રાખી છે.

    ત્રિપુરામાં 60 સભ્યોવાળી વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી, જેમાં ભાજપે 32 બેઠકો પર વિજય મેળવ્યો હતો.અહીં બીજેપી બાદ ટિપરા મોથા 13 બેઠકો સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની હતી.

  12. નાફેડ સૌરાષ્ટ્રમાંથી ડુંગળી ખરીદશે, ત્રણ એપીએમસીમાંથી કરાશે ખરીદી

    ગુજરાતમાં આ વર્ષે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે અને ખેડૂતોને પૂરતા ભાવો નથી મળી રહ્યા. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોને ડુંગળી ફેંકી દેવી પડી રહી હોવાના કિસ્સા પણ નોંધાય છે.એવામાં હવે 'નેશનલ એગ્રીકલ્ચર કૉઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા' (નાફેડ) ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે.કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર આવતીકાલથી આ ડુંગળીની ખરીદી કરવામાં આવશે.

    ભાવનગર, ગોંડલ અને પોરબંદર એપીએમસીમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.

    રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્થાનિક ન્યૂઝ ચેનલ 'ટીવી 9 ગુજરાતી' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ભાવમાં થઈ રહેલા નુકસાન સામે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું, "નાફેડ દ્વારા સૌરાષ્ટ્રમાંથી ડુંગળી ખરીદવાનો નિર્ણય ખેડૂતો માટે રાહતરૂપ છે.આ મામલે કેન્દ્રીય વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. "

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ પગલાથી ખેડૂતોની ફરિયાદોનો મહદઅંશે નિકાલ આવશે.નોંધનીય છે કે આ પહેલાં રાજ્ય સરકારે પણ ખેડૂતોને કિલોદીઠ ડુંગળી પર બે રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી અને 90 કરોડ રૂપિયાનું પૅકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

    આ વખતે ગુજરાતના ખેડૂતો માટે બટાટાનો પાક ‘બમ્પર પાક’ સમસ્યારૂપ બન્યો છે અને ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે.ડુંગળીના ખેડૂતોને તેમના પાક માટે છથી નવ રૂપિયા જપ્રતિ કિલોગ્રામ મળી રહ્યા છે. જે ભાવ ગત વર્ષની સરખામણીએ ઘણો ઓછો છે.

    આ અંગે ગુજરાતના ખેડૂતોએ રાજ્ય સરકારને સહાય કરવા માટે રજૂઆત કરી હતી.

  13. RSS કાર્યકર્તાની પુત્રીએ રાહુલ ગાંધીને લંડનમાં પૂછ્યો સવાલ

    રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત પ્રથમ દિવસથી અત્યાર સુધી વિવાદોમાં ઘેરાયેલી છે. ભાજપ, ભારત સરકાર અને આરએસએસને લઈને તેમના નિવેદનોનો ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે.

    આ વચ્ચે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછનારી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

    આ મહિલાનું નામ માલિની મહેરા છે, જે ખુદને આરએસએસ કાર્યકર્તાનાં પુત્રી ગણાવે છે. આ વીડિયો ખુદ રાહુલ ગાંધીએ પણ શૅર કર્યો છે. આ વીડિયો લંડનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનો છે.

    મહિલાએ રાહુલ ગાંધીને કહ્યું, "હું આપણા દેશની સ્થિતિને લઈને ખૂબ દુ:ખી છું. મારા પિતા આરએસએસમાં હતા અને તેમને એ વાતનો ગર્વ હતો. પણ આજે તેઓ દેશને ઓળખી શકતા નથી. અમે લોકો જે ભારતની બહાર છીએ, તેઓ શું યોગદાન આપી શકે? આપણે કેવી રીતે લોકતંત્રને મજબૂત બનાવી શકીએ?"

    તેના જવાબમાં રાહુલ ગાંધી કહે છે, "તમે જે કંઈ કહ્યું, એ ખુદમાં બહુ મોટી વાત છે. મારા કહેવાથી લોકોને એમ લાગે છે કે આ તો પક્ષપાતી છે, પણ જ્યારે આ વાત તમે કહો છો, તો તેનો પ્રભાવ એકદમ અલગ રીતે પડે છે."

  14. પાકિસ્તાનના વડા પ્રધાને હિંદુઓને હોળીની શુભેચ્છા પાઠવી, લોકોએ પૂછ્યાં સવાલ

    પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે હિંદુઓને હોળીની શુભેચ્છા પાઠવતા સવાલોમાં ઘેરાયા છે.

    સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના લોકો શહબાઝ શરીફને સવાલ પૂછી રહ્યા છે કે શુભેચ્છા તો પાઠવી પણ ઉજવણી કરનારાઓને સુરક્ષા આપી નથી.

    મંગળવારે શહબાઝ શરીફના ખુદના શહેર લાહોરમાં હોળીની ઉજવણી કરી રહેલા હિંદુ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.

    તેના એક દિવસ પહેલાં અહેવાલો સામે આવ્યા હતા કે પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીની લૉ કૉલેજમાં કેટલાક હિંદુ વિદ્યાર્થીઓને હોળીની ઉજવણી કરવાથી રોકવામાં આવ્યા હતા અને આ દરમિયાન એક ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન સાથે અથડામણ પણ થઈ હતી.

    આ અથડામણમાં હિંદુ સમુદાયના 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાક વીડિયો પણ શૅર કરવામાં આવ્યા હતા.

    આ વચ્ચે હોળીની પૂર્વસંધ્યાએ પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે ટ્વીટ કર્યું, "હું વિશ્વભરના હિંદુઓ, તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાની હિંદુ સમુદાયને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવું છું."

    આ ટ્વીટ પર હવે સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે શરીફના હોમટાઉન લાહોરમાં જ હિંદુ વિદ્યાર્થીઓને હોળીની ઉજવણી કરવા બદલ મારવામાં આવી રહ્યા છે.

    પાકિસ્તાનના રાજનૈતિક વિશ્લેષક ડૉ. કમર ચીમાએ પ્રતિક્રિયા આપી કે "સર, લાહોરમાં તમારું હોમટાઉન છે અને ત્યાં હોળીની ઉજવણી કરી રહેલા હિંદુ વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે."

  15. ધૂળેટી : 'રંગ બરસે' ગીત નાચતા જોવા મળ્યા વિરાટ કોહલી અને રોહિત શર્મા

    ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મૅચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ ધૂળેટી રમતી જોવા મળી.

    ક્રિકેટર શુભમન ગિલે એક વીડિયો શૅર કર્યો છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રંગોથી રમતા જોવા મળી રહ્યા છે.

    વીડિયોમાં ભારતીય ખેલાડીઓ એક બસમાં બોલીવૂડની 'સિલસિલા' ફિલ્મના ગીત 'રંગ બરસે' પર નાચતા જોવા મળી રહ્યા છે.

    શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે 'ભારતીય ક્રિકેટ ટીમ તરફથી હૅપ્પી હોલી.'

    આ સિવાય સૂર્યકુમાર યાદવે પણ કેટલીક તસવીરો શૅર કરી છે.

    ભારતીય ટીમ હાલ ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટમૅચની સિરીઝ રમી રહી છે. ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ બાદ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-1થી આગળ છે.

  16. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 15નાં મૃત્યુ

    બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગુલિસ્તાં વિસ્તાર પાસે મંગળવારે થયેલા એક વિસ્ફોટમાં 15 જેટલા લોકોનાં મૃત્યુ થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    આ ઘટના ઢાકાના નૉર્થ સાઉથ રોડના સિદ્દીકી બજારમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ થઈ. ઈજાગ્રસ્તોને સારવાર માટે ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    વિસ્ફોટ સમયે બીબીસી બાંગ્લાના સંવાદદાતા શાહનવાઝ રૉકી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ જે વાહનમાં હતા, તે વિસ્ફોટના સ્થળથી માત્ર 100 મીટર દૂર હતું.

    શાહનવાઝે સ્થળ પરથી જણાવ્યું હતું કે વિસ્ફોટ બાદ એક સાત માળની ઇમારત કાટમાળમાં ફેરવાઇ ગઈ. નજીકમાંથી પસાર થતી એક બસના તમામ કાચ તૂટી ગયા અને તેમાં સવાર ઘણા મુસાફરો ઇજાગ્રસ્ત થયા.

    ગત રવિવારે ઢાકાના સાયન્સ ક્લબ વિસ્તારમાં આવા જ એક વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શનિવારે ચટગાંવના સીતા કુંડમાં એક ઑક્સિજન કારખાનામાં વિસ્ફોટથી છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

  17. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    7 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો