You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

સાનિયાએ ભીની આંખે ટેનિસને કહી અલવિદા, દુબઈ ઓપન હશે અંતિમ ટુર્નામેન્ટ

તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ પોતાનો અંતિમ ગ્રાન્ડ સ્લેમ ઑસ્ટ્રેલિયન ઓપન રમવા માટે તૈયાર છે અને ફેબ્રુઆરીમાં તેઓ દુબઈ ઓપન બાદ ટેનિસ નહીં રમે.

લાઇવ કવરેજ

  1. સાનિયાએ ભીની આંખે ટેનિસને કહી અલવિદા, દુબઈ ઓપન હશે અંતિમ ટુર્નામેન્ટ

    ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ પોતાનો અંતિમ ગ્રાન્ડ સ્લેમ ઑસ્ટ્રેલિયન ઓપન રમવા માટે તૈયાર છે અને ફેબ્રુઆરીમાં તેઓ દુબઈ ઓપન બાદ ટેનિસ નહીં રમે.

    સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપી.

    ટ્વિટર પર આને ‘લાઇફ અપડેટ’ ગણાવતાં તેમણે લખ્યું, “30 વર્ષ પહેલાં, હૈદરાબાદની નસ્ર સ્કૂલની છ વર્ષની છોકરી, પોતાની મા સાથે પ્રથમ વખત નિઝામ ક્લબના ટેનિસ કોર્ટ પર પહોંચી અને પોતાના કોચ સાથે ટેનિસ શીખવા માટે ઝઘડવા લાગી, કારણ કે કોચને એ સમયે લાગ્યું તે ખૂબ નાની છે.”

    “સપનાંને હાંસલ કરવાની આ લડાઈ છ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ગઈ.”

    “ઘણી આશાઓ સાથે, અને ઘણી મુશ્કેલીઓ છતાં અમે એક દિવસ ગ્રાન્ડ સ્લેમ રમવાની અને દેશને ઉચ્ચતમ સ્તરે સન્માન અપાવાનું સપનું જોવાની હિંમત કરી.”

    “હવે જ્યારે હું મારી કારકિર્દીમાં પાછી ફરીને જોઉં છું, તો મને દેખાય છે કે મને ન માત્ર 50 ગ્રાન્ડ સ્લેમ રમવાની તક મળી, પરંતુ હું ભાગ્યશાળી હતી કે ભગવાનની કૃપાથી મેં તેમાંથી કેટલાકમાં જીત પણ હાંસલ કરી હતી.”

    “દેશ માટે મેડલ જીતવો એ મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે અને પોડિયમ પર ઊભાં રહીને મેં કૃતજ્ઞ અનુભવ્યું, ત્રિરંગો ઊંચાઈએ ફરકી રહ્યો હતો અને વિશ્વના લોકો આ ક્ષણને ઇજ્જત બક્ષી રહ્યા હતા – આ બધું થયું કારણ કે હું કંઈક હાંસલ કરવામાં ભાગ્યશાળી રહી.”

    “આ લખી રહી છું ત્યારે મારી આંખમાં આંસુ છે.”

    તેમણે લખ્યું કે તેમના દીકરાને તેમની વધુ જરૂરિયાત છે અને તેઓ તેને વધુ સમય ફાળવવા માગે છે.

  2. રશિયાએ યુક્રેનના વધુ એક શહેર પર કબજો કર્યાનો દાવો કર્યો

    રશિયાનું કહેવું છે કે તેમણે યુક્રેનના સોલેદાર શહેર પર એક મહિના સુધી ચાલેલ જંગ બાદ કબજો કરી લીધો છે. સોલેદાર મીઠાના ખનન માટે જાણીતું છે.

    રશિયાના સંરક્ષણમંત્રાલયે કહ્યું કે આનાથી હવે રશિયાને બકમુતમાં યુક્રેનની સેનાનો સપ્લાય બંધ કરવામાં મદદ મળશે.

    યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે સોલેદારમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે અને રશિયા પર ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવ્યો છે. સોલેદારની લડાઈ અત્યાર સુધીના સૌથી ખૂની સંઘર્ષો પૈકી એક રહી છે.

    વિસ્તારના ગવર્નર પાવ્લો કિરિલેંકો પ્રમાણે શહેરમાં 559 લોકો, જેમાં 15 બાળકો સામેલ છે, હજુ સુધી શહેરમાં મોજૂદ છે, તેમને બહાર કાઢી શકાયાં નથી.

    સોલેદાર કેટલું મહત્ત્વપૂર્ણ છે એ વાતને લઈને અલગ – અલગ ધારણાઓ છે કારણ કે તે ખૂબ નાનું શહેર છે. પરંતુ તેના પર કબજો રશિયા માટે હિંમત અપાવનારી વાત હોઈ શકે છે કારણ કે પાછલા ઘણા મહિનાથી તેને ઓછી સફળતા મળી છે.

  3. વિમાનમાં પેશાબ કરવાના મામલામાં વળાંક, આરોપીએ ફરિયાદી મહિલા પર જ લગાવ્યો આ આરોપ

    ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાના મામલામાં વધુ એક વળાંક આવ્યો છે.

    ન્યૂયૉર્કથી નવી દિલ્હી આવનારી ફ્લાઇટમાં કથિતપણે મહિલા પર પેશાબ કરવાના આરોપોનો સામનો કરી રહેલ શંકર મિશ્રાએ શુક્રવારે કોર્ટમાં એવો દાવો કર્યો છે કે તેમણે કોઈ અપરાધ નથી કર્યો પરંતુ ફરિયાદી મહિલાએ જાતે જ પોતાની સીટ પર પેશાબ કર્યો હતો.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર શંકર મિશ્રાનો પક્ષ મૂકી રહેલા ઍડ્વોકેટ રમેશ ગુપ્તાએ કોર્ટને જણાવ્યું, “ફરિયાદી મહિલાની સીટ બ્લૉક હતી. શંકર મિશ્રા માટે તેમની પાસે જવાનું શક્ય નહોતું.”

    “મહિલાને સમસ્યા હતી. તેમણે જાતે જ પોતાની બેઠક પર પેશાબ કર્યો હતો. તેઓ એક કથ્થક ડાન્સર છે અને 80 ટકા કથ્થક નૃત્યાંગનાઓને આ સમસ્યા હોય છે.”

    દિલ્હી પોલીસની તપાસ પર પ્રશ્ન ઉઠાવતાં રમેશ ગુપ્તાએ કહ્યું કે ત્યાં અન્ય લોકો પણ હતા.

    તેમણે કહ્યું, “તેમણે જાતે જ પેશાબ કર્યો. બેઠકની વ્યવસ્થા કંઈક એવી હતી કે કોઈ પણ વ્યક્તિ તેમની બેઠક પર ન જઈ શકે. ફરિયાદીની પાછળ બેસેલ મુસાફરોએ આવી કોઈ ફરિયાદ નહોતી કરી.”

  4. ભારત ચીન વચ્ચે વેપાર રેકૉર્ડ સ્તરે, વેપાર ખાધ 100 અબજ ડૉલરને પાર

    સરહદે તણાવ વચ્ચે ચીન પાસેથી આયાત ઓછી કરવાના દબાણ છતાં ભારત અને ચીન વચ્ચે વેપાર સતત રેકૉર્ડ સ્તરે પહોંચતો જઈ રહ્યો છે.

    તાજેતરના આંકડા અનુસાર, પાછલા વર્ષે બંને દેશો વચ્ચે 8.4 ટકાના વધારા સાથે વેપાર 135.98 અબજ ડૉલર પર પહોંચી ગયો અને આ સાથે જ ભારતની વેપાર ખાધ પણ 100 અબજ ડૉલરના નવા સ્તરને પાર કરી ગઈ.

    જ્યારે 2021માં બંને દેશો વચ્ચેના વેપારનો આંકડો 125.62 અબજ ડૉલર હતો.

    આ આંકડા શુક્રવારે ચીનના કસ્ટમ વિભાગે જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર, ગત વર્ષે ભારતમાં ચીનના સામાનની નિકાસમાં 21.7 ટકાનો વધારો થયો છે અને તે 118.5 અબજ ડૉલર થઈ ગયો છે.

  5. જોશીમઠ પાછલા સાત મહિનામાં નવ સેન્ટિમીટર સુધી જમીનમાં ધસ્યું : નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર

    ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ સેટેલાઇટ તસવીરોની મદદથી બનાવેલ રિપોર્ટના હવાલાથી જાણકારી આપી છે કે જોશીમઠ પાછલા સાત મહિનામાં ધીમે ધીમે નવ સેન્ટિમીટર સુધી ધસી ચૂક્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એઆરએસસી)ના રિપોર્ટમાં પાછલા અમુક દિવસોમાં જમીનમાં ધસવાની વાત સામે આવી છે.

    એઆરએસસીએ કહ્યું છે કે ભૂસ્ખલનના કારણે લગભગ 700 ઘરોમાં તિરાડો પડી છે. હોટલમાં અને હૉસ્પિટલ તરફ જતી સડકમાં પણ તિરાડ પડી છે.

    ઇસરોએ જણાવ્યું કે, “પાછલા સાત મહિનામાં, એપ્રિલથી નવેમ્બર 2022 સુધી, જોશીમઠ શહેર નવ સેન્ટિમીટર સુધી નીચે ગયું છે. 27 ડિસેમ્બર, 2022થી 8 જાન્યુઆરી, 2023 સુધી ધસવાની પ્રક્રિયામાં ઝડપ આવી છે.”

    આ વિસ્તાર પાછલા અમુક દિવસોમાં પાંચ સેન્ટિમીટર સુધી નીચે ગયો છે અને પ્રભાવિત વિસ્તારોનું ક્ષેત્ર પણ વધ્યું છે.

    જોશીમઠમાં દીવાલોમાં તિરાડો પડવાના કારણે લોકો ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થઈ રહ્યા છે.

  6. કંઝાવલા કેસ : ગૃહમંત્રાલયની ભલામણ બાદ દિલ્હીના 11 પોલીસકર્મી ફરજમોકૂફ

    દિલ્હી પોલીસે જણાવ્યું કે કંઝાવલા કેસના કારણે 11 પોલીસકર્મીઓને ફરજમોકૂફ કરાયા છે.

    સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, કંઝાવલાની ઘટનામાં સામેલ કાર જે રસ્તા પરથી પસાર થઈ હતી, તે રૂટમાં પડનાર પીસીઆર અને પોલીસ પિકેટ પર તહેનાત પોલીસકર્મીઓને ફરજમોકૂફ કરી દેવાયા છે.

    આ પહેલાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કંઝાવલા કેસમાં બેદરકારી દાખવવાના આરોપમાં કાર્યવાહી કરાશે.

    એક જાન્યુઆરીના રોજ 20 વર્ષની યુવતીનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટના સમયે તેઓ સ્કૂટર પર હતાં અને કથિતપણે એક કાર સાથે તેમની સ્કૂટીનું અકસ્માત સર્જાતાં તેમનું શરીર ગાડી સાથે ઘણા કિલોમિટર સુધી ઢસડાયું હતું.

    ગુરુવારે ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસના રિપોર્ટનું સંજ્ઞાન લેતા ઘટના સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓને ફરજમોકૂફ કરવાની ભલામણ કરી હતી.

  7. આમ આદમી પાર્ટીની સરકારને રોકવા માટે ભાજપ કરી રહ્યો છે ગંદું રાજકારણ : મનીષ સિસોદિયા

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે આમ આદમી પાર્ટીની સરકારને રોકવા માટે ‘ગંદું રાજકારણ’ કરી રહ્યો છે.

    મનીષ સિસોદિયાનો આરોપ છે કે ભાજપ આમ આદમી પાર્ટીની સરકારને સ્કૂલના શિક્ષકોને તાલીમ આપવા ફિનલૅન્ડ મોકલવાથી રોકી રહ્યો છે.

    તેમણે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 1,100 શિક્ષક વિદેશમાં તાલીમ મેળવી ચૂક્યા છે. આ હેતુ માટે તેઓ સિંગાપુર, બ્રિટન અને ફિનલૅન્ડ ગયા હતા.

    સિસોદિયાએ કહ્યું કે હવે ભાજપે અનઅધિકૃત પ્રકારે સેવાવિભાગમાં પકડ બનાવી લીધી છે. તેઓ આમ આદમી પાર્ટીની સરકારને શિક્ષકોને સર્વશ્રેષ્ઠ તાલીમ આપવાથી રોકવા માટે ‘ગંદું રાજકારણ’ કરી રહ્યા છે.

    તેમણે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને લઈને કહ્યું છે કે જો તેઓ બાળકોનાં ભવિષ્યની ચિંતા કરતા હોય તો તેમણે ભાજપના આ કાવતરામાં સામેલ ન થવું જોઈએ.

    ઉપમુખ્ય મંત્રીએ જણાવ્યું કે, “અમે 30 શિક્ષકોને ફિનલૅન્ડ તાલીમ મેળવવા માટે મોકલવા માગતા હતા. પરંતુ એલજી કોઈ ને કોઈ બહાનું આગળ ધરીને તેને ટાળી રહ્યા છે. જ્યારે અમે એલજી પાસે આ ફાઇલ મોકલી તો તેમણે પૂછ્યું કે જો ભારતમાં આવા કાર્યક્રમ કરાય તો તેનાથી ખર્ચસંબંધી શું ફાયદા થશે.”

    “ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં જાય છે. શું એ ખર્ચ પર પ્રતિબંધ ન લાગવો જોઈએ? અમે ફરથી એલજી પાસે ફાઇલ મોકલશું.”

  8. ‘બીડી બનાવતા એ પટ્ટેલ’ જેમની મહેનતે તેમને અમેરિકામાં ન્યાયાધીશ બનાવી દીધા

  9. મહારાષ્ટ્રના શિરડીમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 10નાં મોત, બીબીસી મરાઠી

    મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં શુક્રવારે સવારે એક પ્રાઇવેટ બસ અને ટ્રકની ટક્કરથી અંદાજે 10 લોકોનાં મોત થયાં છે. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.

    આ દુર્ઘટના સિન્નર-શિરડી હાઈવે પર પાથરે ગામ પાસે ઘટી હતી. બસમાં અંદાજે 50 લોકો સવાર હતા, જે અંબરનાથથી શિરડી જતા હતા.

    સવારે અંદાજે સાત વાગ્યે આ દુર્ઘટના થઈ હતી. શિરડી માટે કુલ 15 બસો જતી હતી અને આ બસ એ સમૂહમાંની એક હતી.

    એક ટ્રક શિરડી તરફથી આવી રહી હતી અને એક લેન ખુલ્લો હતો. એવામાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં મરનાર લોકોમાં સાત મહિલા અને બે નાનાં બાળકો અને એક પુરુષ સામેલ છે.

    ઘાયલોને સિન્નર ગ્રામીણ હૉસ્પિટલ અને યશવંત હૉસ્પિટલમાં લઈ જવાયા છે. અધિકારીઓ અનુસાર, મૃતકોની સંખ્યા વધી શકે છે.

  10. વિશ્વના સૌથી લાંબા કૂઝ 'ગંગાવિલાસ'માં શું છે ખાસ?

    આજે 13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વના સૌથી લાંબા કૂઝ 'ગંગાવિલાસ'ને લીલી ઝંડી આપી છે.

    ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસઘાટથી રવાના થશે અને બિહાર-બંગાળના રસ્તે બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે.

    આ આખી યાત્રા કુલ 51 દિવસની રહેશે.

    આ યાત્રી જહાજ ભારત અને બાંગ્લાદેશની 27 રિવર સિસ્ટમ અને સાત નદીઓ- ગંગા, ભાગીરથી, મેઘના, હુગલી, જમુના, પદ્મા અને બ્રહ્મપુત્રાથી પસાર થશે. આ યાત્રામાં 50 પર્યટનસ્થળને સાંકળી લેવાશે.

    અગાઉ 11 જાન્યુઆરીએ 56 કલાકની યાત્રા બાદ ઉત્તરપ્રદેશના બલિયાથી આ ક્રૂઝ વારાણસી પહોંચ્યું હતું.

    આ ક્રૂઝ ભારતના આર્ટ હિસ્ટોરિયન ડૉ. અન્નપૂર્ણા ગર્રીમાલાએ ડિઝાઇન કર્યું છે.

    ક્રૂઝની વિશેષતા શું છે?

    આ વિશેષ ક્રૂઝ કોલકાતા પાસે એક શિપયાર્ડમાં તૈયાર થયેલું છે. ક્રૂઝ 2020માં તૈયાર થઈ ગયું હતું, પણ કોરોનાને લીધે ઉદઘાટન થયું નહોતું.

    આ ક્રૂઝમાં તમામ સુખસુવિધા રાખવામાં આવી છે.

    62.5 મીટર લાંબા, 12.8 મીટર પહોળા અને 1.35 મીટર ઊંડા આ ત્રણ માળના ક્રૂઝમાં કુલ 18 સૂટ એટલે કે લક્ઝરી રૂમ છે.

    રૂમમાં કનવર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલકની, ઍર કંડીશનર, સોફા, એલઈડી ટીવી, સ્મોક એલારામ, અટેચ બાથરૂમ જેવી તમામ સુવિધા છે.

    ક્રૂઝ પર જીમ, સ્પા, આઉટડોર ઑબ્ઝર્વેશન ડેટ, નીજી બટલર સેવા અને યાત્રાળુ માટે વિશેષ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમની સુવિધા છે.

    ક્રૂઝનું ઇન્ટિરિયર દેશની સંસ્કૃતિ અને હેરિટેજને ધ્યાનમાં રાખવીને ડિઝાઇન કરાયું છે.

    ક્રૂઝનો રૂટ

    13 જાન્યુઆરી વારાણસીથી રવાના થઈને 51 દિવસ બાદ આ ક્રૂઝ પહેલી માર્ચે આસામના દિબ્રુગઢ પહોંચશે.

    આ ભારતનાં પાંચ રાજ્યો- ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામની સાથે બાંગ્લાદેશથી પસાર થશે. ક્રૂઝ બાંગ્લાદેશમાં 15 દિવસ રોકાશે.

    યાત્રાળુ આખી યાત્રા દરમિયાન અલગઅલગ રાજ્યોનાં કુલ 50 ટૂરિસ્ટ સ્પૉટનો આનંદ માણી શકશે.

  11. પાકિસ્તાન: 20 કિલો લોટનો ભાવ 3200 રૂપિયા થયો, લોકો રસ્તા પર આવી ગયા

  12. જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું નિધન, વડા પ્રધાને દુખ વ્યક્ત કર્યું

    જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા.

    શરદ યાદવનાં પુત્રી અને કૉંગ્રેસ નેતા સુભાષિની શરદ યાદવે ટ્વીટ કરીને તેમના નિધનની માહિતી આપી છે.

    યાદવ 1989માં વીપી સિંહની સરકારમાં મંત્રી હતા. તેમણે 90ના દશકના અંતમાં અટલ બિહારી વાજયેપીના નેતૃત્વવાળી સરકારમાં પણ મંત્રી તરીકે કાર્ય કર્યું.

    શરદ યાદવ એક પ્રમુખ સમાજવાદી નેતા હતા, જે 70 દશકમાં કૉંગ્રેસ સામે મોરચો માંડીને ચર્ચામાં આવ્યા હતા અને દશકો સુધી રાજકારણમાં પોતાની મહત્ત્વની ઉપસ્થિતિ દર્શાવી હતી.

    જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ તબિયતને લીધે રાજનીતિમાં સક્રિય નહોતા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ યાદવના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે પોતાના લાંબા સાર્વજનિક જીવનમાં તેમણે ખુદને સાંસદ અને મંત્રી તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેઓ ડૉક્ટર લોહિયાના આદર્શોથી ઘણા પ્રભાવિત હતા.

    તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ શરદ યાદવના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ એક વિદ્યાર્થી નેતા તરીકે 70ના દશકમાં લોકતાંત્રિક મૂલ્યો માટે લડ્યા, તેઓ સંસદમાં વંચિતોના એક મહત્ત્વપૂર્ણ અવાજ હતા.

  13. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    12 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.