You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બીજી વનડેમાં પણ શ્રીલંકા પર ભારે પડ્યું ભારત, ચાર વિકેટે નોંધાવ્યો વિજય

ખરાબ શરૂઆત છતાં કેએલ રાહુલના પ્રદર્શનના બળ પર ટીમ ઇન્ડિયા જીત મેળવી શકી હતી.

લાઇવ કવરેજ

  1. બીજી વનડેમાં પણ શ્રીલંકા પર ભારે પડ્યું ભારત, ચાર વિકેટે નોંધાવ્યો વિજય

    કોલકાતામાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ બીજી વનડે મૅચમાં ભારતે શ્રીલંકાને ચાર વિકેટ હરાવી દીધું હતું.

    શ્રીલંકાના 215 રનોનું લક્ષ્ય ભારતે 43.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

    જોકે ભારતની શરૂઆત સારી નહોતી રહી. 33 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકટ અને 41 રનના સ્કોરે બીજી વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 21 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

    વિરાટ કોહલી પણ માત્ર ચાર રન કરીને આઉટ થઈ ગયા હતા. 86 રન પર ભારતની ચોથી વિકેટ શ્રેયસ અય્યર સ્વરૂપે પડી.

    જે બાદ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે ઇનિંગ સંભાળી, તેઓ સ્કોરને 150 પાર લઈ ગયા. 161ના સ્કોરે હાર્દિક પંડ્યા 36 રન બનાવીને આઉટ થઈ ગયા.

    કેએલ રાહુલે અર્ધ સદી ફટકારી, તેઓ 64 રન બનાવીને અણનમ રહ્યા હતા.

    આ પહેલાં શ્રીલંકાની આખી ટીમ ભારત વિરુદ્ધ 40 ઓવર પણ નહોતી ટકી શકી અને 215 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમના ઓપનિંગ બૅટ્સમૅન નુવાનિદુ ફર્નાંડોએ પોતાની કારકિર્દીની પ્રથમ મૅચમાં અર્ધ સદી ફટકારી.

    ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ કુલદીપ યાદવની આગેવાનીવાળા ભારતીય બૉલિંગ આક્રમણ સામે ટકી ન શકી.

    યુજવેન્દ્ર ચહલની જગ્યાએ રહેલ લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે 51 રન આપીને ત્રણ વિકેટ લીધી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પણ 30 રન આપીને ત્રણ વિકેટ લીધી અને અને ઉમરાન મલિકે 48 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

    63 બૉલ પર 50 રન બનાવનાર નુવાનિદુ ફર્નાંડો સિવાય શ્રીલંકા તરફથી કુશલ મેંડિસે 34 રન તો દુનિથ વેલ્લાલાગેએ 32 રન બનાવ્યા. શ્રીલંકાની સમગ્ર ટીમ 39.4 ઓવરમાં માત્ર 215 રન બનાવી શકી.

  2. ‘ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન ખોટું છે, બંધારણ સર્વોચ્ચ છે ના કે સંસદ’: પી. ચિદંબરમ

    વરિષ્ઠ કૉંગ્રેસ નેતા પી. ચિંદબરમે રાષ્ટ્રપતિ જગદીપ ધનખડના નિવેદનને ખોટું ગણાવતાં કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે ના કે સંસદ.

    રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે બુધવારે કહ્યું હતું કે ન્યાયિક મંચો પરથી ‘કોઈની છવાઈ જવાની કોશિશ કે સાર્વજનિક દેખાડો’ એ યોગ્ય નથી. આ સંસ્થાનોને ખ્યાલ હોવો જોઈએ કે તેમણે કેવી રીતે કામ કરવાનું છે.

    સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટની કૉલેજિયમ પ્રણાલી અંગે કરાયેલ વાતે જગદીપ ધનખડે આ નિવેદન આપ્યું હતું.

    રાજસ્થાનના જયપુરમાં 83મી ઑલ ઇન્ડિયા પ્રિઝાઇડિંગ ઑફિસર્સ કૉન્ફરન્સને સંબોધિત કરતાં જગદીપ ધનખડે વર્ષ 2015માં રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક કમિશન (એનજેએસી) કાયદાને રદ કરવાની ટીકા કરી હતી.

    સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયની પણ ટીકા કરી હતી તે જેમાં કહેવાયું છે કે સંસદ સંવિધાનમાં સશોધન કરી શકે છે પરંતુ તેના મૂળભૂત માળખામાં નહીં.

    આ અંગે પી. ચિંદબરમે ટ્વીટ કર્યું, “રાજ્યસભાના માનનીય સભાપતિનું દ્વારા અપાયેલ એ નિવેદન જેમાં તેમણે સંસદને સર્વોચ્ચ ગણાવી છે, ખોટું છે. બંધારણ સર્વોચ્ચ છે. મૂળભૂત માળખાનો સિદ્ધાંત એટલા માટે આવ્યો જેથી બંધારણના મૂળભૂત સિદ્ધાંતો પર બહુમતીથી રચાનારી સરકારોના હુમલાને રોકી શકાય.”

    પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, “માની લો, જો બહુમતી થકી સંસદીય પ્રણાલીને ખતમ કરીને રાષ્ટ્રપતિ પ્રણાલી લાગુ કરી દેવાય કે સાતમી અનુસૂચીમાં રાજ્યને અપાયેલ અધિકારોને ખતમ કરી દેવાય, શું આવાં સંશોધનો કાયદેસર હશે?”

    તેમણે કહ્યું કે, “એનજેએસી કાયદો રદ થયા બાદ સરકારને નવો બિલ લાવવાથી કોણે રોકી હતી. એક કાયદો રદ કરી દેવાય તેનો અર્થ એ નથી મૂળભૂત માળખાનો સિદ્ધાંત ખોટો છે.”

    ચિદંબરમે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિના વિચાર બંધારણના ચાહકો માટે ચેતવણી છે કે ભવિષ્યમાં કયા ખતરા છે?

  3. મોદી સરકાર ધાર્મિક સ્થળોને પર્યટન સ્થળ બનાવીને પૈસા કમાવા માગે છે : અખિલેશ યાદવ

    સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ગુરુવારે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ સર્વિસ એમવી ગંગા વિલાસ અને વારાણસીમાં ટેન્ટ સિટીના ઉદ્ઘાટનની ટીકા કરતાં કહ્યું કે મોદી સરકાર ધાર્મિક સ્થળોને પર્યટન સ્થળ બનાવીને પૈસા કમાવા માગે છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું કે ભાજપ આવી યોજનાઓ પર પૈસા બરબાદ કરી રહ્યો છે, જ્યારે તેનો ઉપયોગ ગંગા ઍક્શન પ્લાન અંતર્ગત ગંગાની સફાઈ માટે થવો જોઈતો હતો.

    તેમણે લખ્યું, “શું હવે ભાજપ નાવિકોની રોજગારી પણ છીનવશે. ભાજપની ધાર્મિક સ્થળોને પર્યટન સ્થળ બનાવવાની નીતિ નિંદનીય છે. સમગ્ર વિશ્વમાંથી લોકો કાશીનો આધ્યાત્મિક વૈભવ અનુભવવા માટે આવે છે ; વિલાસ-વિહાર માટે નહીં. ભાજપ બાહ્ય દેખાડાથી અસલી મુદ્દાને હવે વધુ નહીં છુપાવી શકે.”

    શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રિવર ક્રૂઝને લીલી ઝંડી બતાવશે અને ગંગા નદીના કિનારે બનેલ ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે.

  4. કર્ણાટકમાં વડા પ્રધાન મોદીના રોડ શો દરમિયાન યુવકે સુરક્ષા ઘેરો તોડ્યો

    કર્ણાટકના હુબલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન તેમનો સુરક્ષા ઘેરો તોડાયાનો મામલો સામે આવ્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક યુવક તેમને માળા પહેરાવવા માગતા હતા અને તેઓ વડા પ્રધાનને માળા આપવા માટે સુરક્ષા ઘેરો તોડીને તેમની પાસે જતા રહ્યા.

    જોકે વડા પ્રધાનની સુરક્ષામાં લાગેલા જવાનોએ તરત જ કાર્યવાહી કરી અને તેમને વડા પ્રધાનથી દૂર ખસેડી દીધા.

    આ ઘટનાની વિસ્તૃત માહિતી આગામી થોડા સમયમાં આવી શકે છે.

    26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં હાજરી પુરાવવા માટે નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલી પહોંચ્યા છે.

    આ દરમિયાન, તેમણે રોડ શોમાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

  5. ઇન્ડિયા વિ. શ્રીલંકા બીજી વનડે : જીત માટે ભારત સામે 216 રનનું લક્ષ્ય

    કોલકાતામાં રમાઈ રહેલ બીજી વનડે મૅચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમ સામે 216 રનનું લક્ષ્ય મૂક્યું છે.

    શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    શ્રીલંકા તરફથી નુવાનિદુ ફર્નાન્ડોએ અર્ધસદી ફટકારી હતી.

    જ્યારે ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.

    આ અગાઉ 10 જાન્યુઆરીના રોજ ગુવાહાટીમાં રમાયેલ મૅચમાં ભારતે 67 રને જીત મેળવી હતી. ત્રણ મૅચોની આ સિરીઝમાં ભારત 1-0થી લીડ કરી રહ્યું છે.

  6. તાલિબાનના કારણે ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સાથે યુએઈમાં સિરીઝ ન રમવાનો નિર્ણય કર્યો

    ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે જણાવ્યું કે અફઘાનિસ્તાન વિરુદ્ધ તેઓ સિરીઝ નહીં રમે કારણ કે તાલિબાન દ્વારા મહિલાઓ પર વધતા પ્રતિબંધો વચ્ચે તેઓ સિરીઝને લઈને “આગળ વધવામાં અક્ષમ છે.”

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે યુએઈમાં આઈસીસી સુપર લીગ અંતર્ગત માર્ચમાં ત્રણ વનડે મૅચોની એક સિરીઝ રમાવાની હતી. પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું, “આ નિર્ણય અમે તાલિબાન દ્વારા મહિલાઓ અને છોકરીઓ પર શિક્ષણ, રોજગારી, પાર્ક-જિમ જવાને લઈને લદાયેલ પ્રતિબંધના નિર્ણય બાદ લીધો છે.”

    “ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મહિલાઓ અને પુરુષોની રમતને અફઘાનિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે એવી આશા સાથે વાતચીત ચાલુ રાખશે કે મહિલાઓ અને છોકરીઓની પરિસ્થિતિ તેમના દેશમાં સુધરશે.”

    ઑગસ્ટ, 2021માં અફઘાનિસ્તાનની સત્તાની ધુરા સંભાળતી વખતે તાલિબાને કહ્યું હતું કે તેઓ મહિલા અધિકારોને લઈને કડક વલણ અખત્યાર નહીં કરે, જોકે તે બાદ તેમણે ઘણા પ્રતિબંધ લાદ્યા છે.

    આગામી ત્રણ વર્ષોમાં અફઘાનિસ્તાન અને ઑસ્ટ્રેલિયાને બે સિરીઝ રમાવાની છે. ઑગસ્ટ, 2024માં ત્રણ મૅચોની ટી-20 સિરીઝ અને ઑગસ્ટ, 2026માં એક ટેસ્ટ અને ત્રણ ટી-20 મૅચ પ્રસ્તાવિત છે.

  7. ભારતીય કંપનીના કફ સિરપ મામલે WHOએ ઉઝ્બેકિસ્તાનમાં કેમ ચેતવ્યા?

    ઉઝ્બેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુ સાથે સંકળાયેલ બે ભારતીય કફ સિરપના ઉપયોગ મામલે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવ્યા છે.

    WHOએ કહ્યું છે કે મારિઓન બાયોટેક દ્વારા ઉત્પાદિત આ કફ સિરપ ‘હલકી ગુણવત્તાના’ હતા, તેમજ આ કફ સિરપની ઉત્પાદક કંપની તેની સુરક્ષા અંગે ગૅરંટી આપી શકી નહોતી.

    આ ઍલર્ટ એવા સમયે આવી છે જ્યારે ઉઝ્બેકિસ્તાનમાં અમુક અઠવાડિયાં પહેલાં કથિતપણે 18 બાળકો આ કંપનીની કફ સિરપ લઈને મૃત્યુ પામ્યાં હતાં.

    કંપનીએ આ ઍલર્ટ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    બીબીસીએ મારિઓન બાયોટેક અને ભારતના સ્વાસ્થ્યમંત્રાલયનો આ મામલે ટિપ્પણી મેળવવા માટે સંપર્ક કર્યો હતો.

    ઉઝ્બેકિસ્તાનનાં મૃત્યુ પ્રકાશમાં આવ્યાં બાદ, ભારતના સ્વાસ્થ્યમંત્રાલયે કંપનીનું પ્રોડક્શન બંધ કરાવી દીધું છે.

    આ અઠવાડિયે કંપનીના ઉત્તર પ્રદેશ ખાતેના મથકે કાર્યવાહી કરીને કંપનીનું પ્રોડક્શન લાઇસન્સ રદ કરી દીધું હતું.

    ગુરવારે જાહેર કરાયેલ ઍલર્ટમાં, ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્યમંત્રાલય દ્વારા સંચાલિત ક્વૉલિટી કંટ્રોલ લૅબોરેટરીમાં આ બંને કફ સિરપ – અમ્બ્રોનોલ અને ડોક – 1 મૅક્સનું વિશ્લેષણ કરાતાં તેમાંથી અસ્વીકૃત માત્રામાં દૂષિત દ્રવ્યો – ‘ડાઇથિલિન ગ્લાકોલ અને/અથવા ઇથાઇલિન ગ્લાયકોલ’ મળી આવ્યાં હતાં.

    આ બંને દ્રવ્યો માનવશરીરમાટે ઝેરી છે અને જો તેને ગ્રહણ કરાય તો તે ઘાતક પણ સાબિત થઈ શકે છે.

    નોંધનીય છે કે આવી જ રીતે ઑક્ટોબર માસમાં WHOએ ભારતની જ અન્ય એક કંપનીના ચાર કફ સિરપ અંગે ઍલર્ટ જાહેર કરી હતી. આ કફ સિરપ ગ્રહણ કરવાના કારણે ગામ્બિયામાં 66 બાળકોને કિડનીને લગતી સમસ્યાઓ સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું હતું, જેના કારણે કથિતપણે આ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

    નોંધનીય છે કે આ ઍલર્ટ બાદ પણ કંપની મેડન ફાર્માસ્યુટિકલ્સ અને ભારત સરકારે આરોપો નકાર્યા હતા.

  8. 'ભાજપે અલ્પસંખ્યકોને દબાવવા માટે અપમાનજનક નીતિઓ અપનાવી', હ્યુમન રાઇટ્સ વૉચે ભારત પર અન્ય ક્યા આરોપો લગાવ્યા?

    આંતરરાષ્ટ્રીય સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે ભારત સરકાર પર ઍક્ટિવિસ્ટ સમૂહો અને પત્રકારોની અવાજ દબાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે.

    હ્યુમન રાઇટ્સ વૉચે 100થી વધુ દેશોમાં માનવાધિકારની સ્થિતિને લઈને પોતાનો વૈશ્વિક રિપોર્ટ જાહેર કર્યો છે.

    712 પાનાંના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે મુસલમાન અને અન્ય અલ્પસંખ્યકોને દબાવવા માટે અપમાનજનક અને ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવી છે.

    રિપોર્ટ કહે છે, "સમગ્ર ભારતમાં ઍક્ટિવિસ્ટ, પત્રકારો અને સરકારના અન્ય ટીકાકારોને રાજનૈતિક કારણોસર ગુનાહિત મામલામાં ધરપકડ કરવામાં આવી રહી છે. તેમાં આતંકવાદ સંબંધિત મામલા પણ છે. સરકાર ઇન્કમ ટૅક્સના દરોડા, નાણાકીય ઊથલપાથલના આરોપો જેવા કેસ ઘડીને માનવાધિકાર માટે કામ કરનારા લોકોને પરેશાન કરી રહી છે."

    "ભાજપશાસિત રાજ્યોમાં સરકારે મુસલમાનોના ઘર અને સંપત્તિઓ તોડી છે અને આ પગલું કોઈ પણ કાયદાકીય માન્યતા કે પ્રક્રિયા અંતર્ગત ભરવામાં આવ્યું નથી. આ માત્ર વિરોધ પ્રદર્શન કે પછી કથિત ગુનાઓની સજા તરીકે કરવામાં આવ્યું છે."

    બિલકિસબાનો મામલે શું કહ્યું?

    આ રિપોર્ટમાં બિલકિસબાનો કેસનો પણ ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે, "2002ના રમખાણો દરમિયાન એક ગર્ભવતી મુસ્લિમ મહિલા પર ગૅંગરેપના મામલે 11 હિંદુઓને સજા પૂરી થાય તે પહેલાં જ છોડી મૂકવામાં આવ્યા છે."

    આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ખ્રિસ્તીઓને નિશાન બનાવવા માટે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે.

    આ રિપોર્ટમાં 'ટુ ફિંગર ટેસ્ટ અથવા વર્જિનિટી ટેસ્ટ' પર પ્રતિબંધ મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  9. બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને જણાવ્યો નફરત ફેલાવનારો ગ્રંથ, વિવાદ શરૂ

    બિહારના શિક્ષણ મંત્રી પ્રોફેસર ચંદ્રશેખર પોતાના એક નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે.

    તેમણે 'મનુસ્મૃતિ', 'રામચરિતમાનસ' અને 'બંચ ઑફ થૉટ્સ'ને નફરત ફેલાવનારા ગ્રંથ ગણાવ્યા છે.

    શિક્ષણ મંત્રીએ કહ્યું, "મનુસ્મૃતિને એ માટે સળગાવવામાં આવી હતી કારણ કે તેમાં એક મોટા વર્ગ વિરુદ્ધ અનેક ગાળો આપવામાં આવી છે રામચરિતમાનસનો કેમ પ્રતિરોધ થયો. તેમાં નીચી જાતિના લોકોને શિક્ષણ ગ્રહણ કરવાનો અધિકાર ન આપવાની વાત કરવામાં આવી છે."

    "આ વાત ટાંકીને બાબા સાહેબ આંબેડકરે વિશ્વના લોકોને જણાવી. આ જે ગ્રંથ છે નફરતના બીજ રોપનારા - એક યુગમાં મનુસ્મૃતિ, બીજામાં રામચરિતમાનસ અને ત્રીજા યુગમાં ગુરુ ગોલવલકરનું 'બંચ ઑફ થૉટ્સ.' એ આપણા દેશ-સમાજને નફરતમાં વહેંચે છે. નફરત દેશને મહાન નહીં બનાવે પણ મહોબ્બત જરૂર બનાવશે."

    શિક્ષણ મંત્રીને રામચરિતમાનસને લઈને આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યએ શિક્ષણ મંત્રીને તેમના પદ પરથી હઠાવવાની માગ કરી છે.

    તેમણે કહ્યું, "બિહારના શિક્ષણ મંત્રીએ રામચરિતમાનસને નફરત ફેલાવનરું પુસ્તક કહ્યું, જેનાંથી સમગ્ર દેશને નુક્સાન પહોંચ્યું છે. આ તમામ સનાતનીઓનું અપમાન છે અને હું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરું છું. તેમણે એક અઠવાડિયામાં તેમના પદ પરથી હઠાવવા જોઈએ અને તેમણે માફી માગવી જોઈએ. જો એમ નહીં થાય તો હું બિહારના શિક્ષણ મંત્રીની જીભ કાપનારાને 10 કરો રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરું છું."

    શિક્ષણ મંત્રી ચંદ્રશેખર બુધવારે નાલંદા ઓપન યુનિવર્સિટીના 15મા કૉન્વોકેશન સમારોહ સંબોધિત કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ગ્રંથોને લગતી વિવાદિત ટિપ્પણી કરી હતી.

  10. રશિયાએ યુક્રેન યુદ્ધ માટે શીર્ષ કમાન્ડરને હઠાવ્યા

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધમાં રશિયાના ઉચ્ચ કમાન્ડર સર્ગેઈ સુરોવિકિનને તેમના પદ પરથી હઠાવી દીધા છે. તેમને યુક્રેનમાં ત્રણ મહિના પહેલાં નિયુક્ત કર્યા હતા.

    હવે ચીફ ઑફ જનરલ સ્ટાફ વલિયરી ગેરાસિમોફ આ 'વિશેષ સૈન્ય અભિયાન'નું નેતૃત્વ કરશે.

    જનરલ ગેરાસિમોફને સર્ગેઇ સુરોવિકિનના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉચ્ચ કમાન્ડર તરીકે સુરોવિકિન રશિયાની સંયુક્ત સેનાઓના પ્રમુખ હતા.

    સુરોવિકિને હાલમાં યુક્રેનમાં ઊર્જા સંબંધિત બુનિયાદી ઢાંચા પર હુમલાની જવાબદારી સંભાળી હતી.

    રશિયાએ દાવો કર્યો છે કે તે પૂર્વ યુક્રેનમાં આગળ વધી રહ્યું છે, એ દરમિયાન આ ફેરફાર થયો છે. રશિયાએ યુક્રેન પર ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો.

    જનરલ ગેરાસિમોફ વર્ષ 2012થી ચીફ ઑફ જનરલ સ્ટાફના પદ પર હતા. તેઓ સોવિયત કાળ દરમિયાન સૌથી લાંબા સમય સુધી પોતાના પદ પર રહેનારા ચીફ ઑફ જનરલ સ્ટાફ છે.

    રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે સુરોવિકિનના સ્થાને કોઈ અન્યને લાવવાનું કારણ છે "સેનાની અલગઅલગ શાખા વચ્ચે નજીકનો સંપર્ક જાળવી રાખવો અને પ્રબંધનની ગુણવત્તા અને પ્રભાવમાં સુધારો કરવો."

  11. આ સમૂહલગ્ન જોઈને તમને નહીં લાગે તેનું આયોજન પાકિસ્તાનમાં થયું છે

  12. હૉકી વર્લ્ડકપ : ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર

    ઓડિશાના રાઉરકેલા અને ભુવનેશ્વરમાં 13 તારીખથી 29 જાન્યુઆરી સુધી 15મા પુરુષ હૉકી વર્લ્ડકપનું આયોજન થવાનું છે.

    તેના માટે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે અને બુધવારે વર્લ્ડકપનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

    આ વર્લ્ડકપ માટે સ્ટીલ સિટીના નામથી જાણીતા રાઉરકેલામાં આદિવાસી ક્રાતિકારી બિરસા મુંડાના નામ પર સ્ટેડિયમનું ખાસ નિર્માણ કરાયું છે.

    ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીની વેબસાઇટ અનુસાર, બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હૉકી સ્ટેડિયમ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેના નિર્માણ માટે સરકારે 120 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

    ઇન્ટરનેશનલ હૉકી ફેડરેશને હૉકી વર્લ્ડકપના આયોજન માટે બે સ્ટેડિયમ અનિવાર્ય માન્યા હતા. તેને જોતા બિરસા મુંડા ઇન્ટરનેશનલ હૉકી સ્ટેડિયમનું નિર્માણ કરાયું છે.

    અંદાજે 15 એકર જમીન પર આ સ્ટેડિયમનું નિર્માણ કોરોનાકાળમાં 15 મહિનામાં કરી દેવાયું હતું. બિરસા મુંડા સ્ટેડિયમમાં અંદાજે 20 હજારથી વધુ દર્શકોના બેસવાની ક્ષમતા છે.

  13. કેન્દ્ર સરકારે હજ માટેનો 'વીઆઈપી કોટા' ખતમ કર્યો

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે કહ્યું કે સરકારે શીર્ષ સંવૈધાનિક પદો અને અલ્પસંખ્યક મામલોના મંત્રાલયમાં લોકો માટે ઉપલબ્ધ હજ કોટાને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમણે કહ્યું કે આ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીના 'વીઆઈપી કલ્ચર'ને ખતમ કરવાના પ્રયાસ હેઠળ લેવાયો છે.

    અલ્પસંખ્યક મામલોનાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે આ કોટા કૉંગ્રેસની યુપીએ સરકાર દરમિયાન લવાયો હતો.

    તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી વીઆઈપી કોટા ખતમ કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર પહેલા દિવસથી કટિબદ્ધ છે."

    તેમણે કહ્યું કે આ કોટા 2012માં શરૂ થયો હતો અને તે અંતર્ગત પાંચ હજાર સીટ હતી અને 'સરકારમાં ઓળખીતા લોકોને તેની કૅટેગરીમાં સીટ મળી જતી હતી.'

    તેમણે કહ્યું કે હજ કમિટીને કોટાને ખતમ કરવાની વિનંતી કરાઈ છે અને રાજ્યોની કમિટીઓએ તેના માટે હા ભણી છે.

  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    11 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.