You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

સેનેગલમાં બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 40 લોકોનાં મોત

પશ્ચિમ આફ્રિદી દેશ સેનેગલમાં રવિવારે બે બસ વચ્ચેની ટક્કરમાં 40 લોકોનાં મોત થયાં છે, તો 80થી વધુ લોકો ઘાયલ થયા છે.

લાઇવ કવરેજ

  1. વિક્રમ ઠાકોર : ક્યારેય કૅમેરા સામે ન આવેલા ગાયક લોકપ્રિય અભિનેતા કેવી રીતે બન્યા?

  2. સેનેગલમાં બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 40 લોકોનાં મોત

    પશ્ચિમ આફ્રિદી દેશ સેનેગલમાં રવિવારે બે બસ વચ્ચેની ટક્કરમાં 40 લોકોનાં મોત થયાં છે, તો 80થી વધુ લોકો ઘાયલ થયા છે.

    આ જાણકારી સેનેગલના રાષ્ટ્રપતિ મૅકી સૉલે નિવેદન કરીને આપી છે.

    દુર્ઘટના રાજધાની ડકારથી અંદાજે 220 કિમી દૂર કૅફરીન શહેર પાસે ઘટી છે.

    આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ મૅકી સૉલે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોમવારે ત્રણ દિવસના શોકની જાહેરાત પણ કરી છે.

    બતાવાઈ રહ્યું છે કે બસનું ટાયર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ છે. ટાયર ફાટતા બસ ફંટાઈ ગઈ હતી અને સામે આવતી બસ સામે ટકરાઈ હતી.

    વર્ષ 2017માં બે બસની ટક્કરમાં 25 લોકોનાં મોત થયાં હતાં.

  3. એ ગુજરાતી ક્રિકેટર, જેઓ ભારતના 'સૌથી વધુ આક્રમક બૅટ્સમૅન' પૈકીના એક ગણાતા

  4. ગોવાથી મુંબઈ જતી ફ્લાઇટથી બે વિદેશી નાગરિકોને ઉતારી દેવાયા, શું છે મામલો?

    ગોવાથી મુંબઈ જતી ગો ફર્સ્ટ ઍરલાઇનમાં બે વિદેશી નાગરિકો દ્વારા ક્રૂ મેમ્બર અંગે આપત્તિજનક ટિપ્પણી કરાયાનો મામલો સામે આવ્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ગો ફર્સ્ટ ઍરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે છ જાન્યુઆરીના રોજ જી8-372, ગોવાથી મુંબઈ જતી ફ્લાઇટમાં ઉડાણ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે વિદેશી નાગરિકોને ઉતારી દેવાયા છે.

    એજન્સી પ્રમાણે બંને મુસાફરોએ ક્રૂ મેમ્બરો માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને અન્ય અમુક મુસાફરોને પરેશાન પણ કર્યા.

    ફ્લાઇટના પાઇલટ ઇન કમાન્ડે તરત બંને વિદેશીઓને ફ્લાઇટથી ઉતારવાનો નિર્ણય કર્યો અને તેમને હવાઈમથકની સુરક્ષા સંભાળી રહેલા જવાનોને સોંપી દેવાયા.

  5. પાકિસ્તાનમાં હિંદુ મહિલાની ક્રૂર હત્યા મામલે ચારની ધરપકડ

    પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ મહિલાની હત્યા મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે.

    આ મામલો ડિસેમ્બર મહિનાનો છે. આ મામલામાં પોલીસેઅજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારે મહિલાના પરિવારજનોએ કહ્યું હતું કે તેમની કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ નહોતી પરંતુ હવે આ મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે, તેમાં પીડિતાના ભાઈ પણ છે.

    પોલીસે શનિવારે જણાવ્યું કે મહિલાની હત્યા કાળા જાદુની શંકામાં કરાઈ.

    આ ઘટના સેન્ટ્રલ સિંધના સંઘાર જિલ્લાના સિંઝો વિસ્તારમાં થઈ. સિંઝોરો કરાચીથી લગભગ 250 કિલોમીટર દૂર છે. 40 વર્ષનાં દયા ભીલ વિધવા હતાં. તેમના પુત્ર સુમેરચંદ ભીલે જણાવ્યું કે પરિવાર ખેતી કરે છે.

    ભારતે આ હત્યા મામલે પાકિસ્તાનને સવાલ કર્યા હતા. ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનને લઘુમતી પ્રત્યે જવાબદારી ભજવવા કહ્યું હતું.

    મૃતકના પુત્ર સુમેરચંદ કહ્યું હતું કે 27 ડિસેમ્બરે બપોરે દયા ભીલ શેરડીના ખેતરમાં ઘાસ કાપવા ગયાં હતાં. તેમની સાથે તેમની દીકરી પણ હતી.

    પરંતુ જ્યારે માતા મોડી સાંજ સુધી ઘરે પાછાં ન ફર્યા ત્યારે તેમના પરિવારજનો તેમની શોધમાં નીકળ્યા જે દરમિયાન એક ખેતરમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

  6. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પર પ્રશાંત કિશોરનો ટોણો, કહ્યું- “મોટા લોકો છે...”

    ચૂંટણી રણનીતિકારમાંથી એક્ટિવિસ્ટ બનેલા પ્રશાંત કિશોરે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ મોટા માણસ છે, તેમની સાથે મારી કોઈ સરખામણી ન થાય.

    પ્રશાંત કિશોર પણ હાલના દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. મોતિહારીમાં પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેમને રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' અને તેમની 'જન સુરાજ યાત્રા' વચ્ચે કોઈ સમાનતા દેખાય છે?

    સમાચાર એજન્સી પીટીઆઈના રિપૉર્ટ અનુસાર, આ સવાલના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું, "તેઓ મોટા લોકો છે. હું તેમની સરખામણીમાં કંઈ નથી."

    કૉંગ્રેસની ટોચની નેતાગીરી સાથે અસફળ વાતચીત બાદ પ્રશાંત કિશોરે બિહારમાં 'જન સુરાજ યાત્રા' શરૂ કરી છે.

    પ્રશાંત કિશોરે 'ભારત જોડો યાત્રા' પર કટાક્ષ કરતાં કહ્યું, "રાહુલ ગાંધી 3500 કિલોમિટરની યાત્રા પર છે. કિલોમિટરથી મને કોઈ ફરક નથી પડતો. હું ઑક્ટોબરથી સતત ચાલી રહ્યો છું. પરંતુ મારી શારીરિક તંદુરસ્તીના પુરાવા તરીકે હું તેનો દેખાડો કરવા નથી માંગતો."

  7. રાજકોટમાં સૂર્યકુમારની ઝંઝાવાતી બેટિંગના સપાટાએ શ્રીલંકાને સિરીઝ હરાવી દીધી

  8. ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂના વિરોધમાં હજારો લોકો રસ્તા પર કેમ ઊતરી આવ્યા

    ઇઝરાયલમાં શનિવારે હજારો લોકોએ વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂની નવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું.

    સમાચાર સંસ્થા એએફપી અનુસાર નવી સરકારને અત્યાર સુધીની સૌથી વધુ દક્ષિણપંથી ઝોક રાખનારી સરકાર કહેવામાં આવી રહી છે.

    રાજધાની તે અવીવમાં થયેલાં આ વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકર્તાઓએ “લોકશાહી ખતરામાં” અને “ફાસીવાદ અને રંગભેદ વિરુદ્ધ એકતા”ના સૂત્રોચ્ચાર કર્યા.

    કેટલાક લોકોએ ઇઝરાયલના ધ્વજ અને સમલૈંગિકતાની ઓળખ બનેલા મેઘધનુષી ધ્વજને હાથમાં રાખ્યા હતા.

    કેટલાકના હાથમાં “ક્રાઇમ મિનિસ્ટર” લખેલાં બૅનરો પણ હતાં. છેલ્લાં કેટલાક વર્ષોમાં નેતાન્યાહૂના વિરોધમાં થનારા પ્રદર્શનોમાં આ સૂત્રોચ્ચારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    એક નવેમ્બરે થયેલી ચૂંટણી બાદ નેતાન્યાહૂએ ગત મહિને જ પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે.

    તેમની યુતિ સરકારમાં ચુસ્ત દક્ષિણપંથી અને અતિ-રૂઢિચુસ્ત યહૂદી દળ પણ સામેલ છે. આ દળોમાં કેટલાક અધિકારીઓને સરકારમાં મહત્ત્વના વિભાગો પણ આપવામાં આવ્યા છે.

    એમાંથી એક નેતાએ ગત વર્ષના અંતમાં કરચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું.

    એવા એક નેતા પણ સરકારમાં સ્થાન પામ્યા છે, જેમણે પોતાના ઘરમાં એવા શખ્સની તસવીર લગાવી છે, જેણે પ્રાર્થના કરી રહેલા પેલેસ્ટાઇનવાસીઓની હત્યા કરી હતી. 73 વર્ષની વય ધરાવતા નેતાન્યહૂ પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે.

    નેતન્યાહૂ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહ્યા છે. તેમણે વર્ષ 1996-1999 અને વર્ષ 2009થી 2021 સુધી દેશનું નેતૃત્વ કર્યું છે.

    તેમની નવી સરકારે પોતાના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં રહેઠાણના વિસ્તારની નીતિને આગળ વધારવાના પોતાના ઇરાદા જાહેર કર્યા છે.

    આ ઉપરાંત સરકાર એવા સામાજિક સુધારાઓ પર કામ કરી શકે છે, જે સમલૈંગિક સમુદાયના સભ્યો અને સમર્થકોને બેચેન કરી શકે છે.

    વધુમાં નવા ન્યાયમંત્રીએ આ સપ્તાહ દરમિયાન જે સુધારાઓની જાહેરાત કરી છે, તે મુજબ સંસદ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પણ પલટી શકે છે.

  9. દેશમાં પ્રથમ વખત કેરળની મનરેગા કામદારોને પેન્શન આપવાની તૈયારી

    ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, દેશમાં પ્રથમ વખત કેરળ સરકારે મહાત્મા ગાંધી નેશનલ રુરલ ઍમ્પ્લોયમૅન્ટ ગેરંટી સર્વિસ (મનરેગા) હેઠળ નોંધાયેલા કામદારો અને રાજ્યની શહેરી જોબ ગેરંટી યોજના - અયંકાલી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ નોંધાયેલા કામદારો માટે કલ્યાણ ભંડોળ બોર્ડ શરૂ કર્યું છે.

    આનાથી કામદારો 60 વર્ષના થાય ત્યારે બોર્ડ તરફથી તેમને માસિક પેન્શન મેળવી શકશે. ગુરુવારે અસ્તિત્વમાં આવેલા બોર્ડમાં સીપીઆઈ(એમ) રાજ્ય સમિતિના સભ્ય એસ રાજેન્દ્રન અધ્યક્ષ છે.

    મનરેગા વર્કર્સ યુનિયનના રાજ્ય મહાસચિવ રાજેન્દ્રને જણાવ્યું હતું કે વૅલ્ફેર ફંડ બોર્ડ એ એલડીએફનું વચન હતું. તેમણે કહ્યું, “દેશમાં પ્રથમ વખત કેરળ સરકારે મનરેગા કામદારો માટે કલ્યાણ ભંડોળ બોર્ડની સ્થાપના કરી છે. 2021માં કેરળ વિધાનસભાએ બોર્ડની રચનાને લગતું એક બિલ પસાર કર્યું હતું. અમે કામદારો માટે વિવિધ રાહત પગલાં રજૂ કરીશું. આ યોજના મનરેગા કામદારોની નાણાકીય સુરક્ષામાં વધારો કરશે."

    રાજેન્દ્રને કહ્યું, “અમે પેન્શનની રકમ નક્કી કરી નથી કારણ કે વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. આ પગલાથી મનરેગા અને શહેરી રોજગાર યોજનામાં જોડાયેલા તમામ લોકોને ફાયદો થશે.''

    નિયમ મુજબ, 18 થી 55 વર્ષની વય વચ્ચેનો કોઈપણ કામદાર ફંડ બોર્ડમાં સભ્યપદ લઈ શકે છે. તેઓએ 55 વર્ષની ઉંમર સુધી દર મહિને પ્રીમિયમ (રૂ. 50 કામચલાઉ નિશ્ચિત) તરીકે ચૂકવવાનું રહેશે અને ઓછામાં ઓછા 10 વર્ષ માટે યોગદાન ચૂકવનાર સભ્ય પેન્શન માટે પાત્ર બનશે.

    તે સિવાય, બોર્ડ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ કામદારોની વિવિધ કલ્યાણ અને શૈક્ષણિક અને લગ્ન ખર્ચ જેવી રાહત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

    કલ્યાણ ભંડોળમાં સરકારી ગ્રાન્ટ, નોંધાયેલા કામદારો પાસેથી એકત્ર કરાયેલું પ્રીમિયમ, સ્થાનિક સંસ્થાઓના યોગદાન અને ફંડ બોર્ડ દ્વારા લેવામાં આવેલી લોનનો સમાવેશ થશે.

    કામદારોના માસિક યોગદાન સિવાય સરકાર પણ ફંડમાં એટલું જ યોગદાન આપશે. સરકાર દર ત્રણ વર્ષે એકવાર યોગદાનમાં સુધારો કરી શકે છે.

    રાજ્ય મનરેગા મિશનના ડેટા મુજબ, કેરળમાં 14 લાખ પરિવારોમાં 21 લાખ સક્રિય જોબ કાર્ડ છે.

    વૅલ્ફેર ફંડ બોર્ડમાં મુખ્ય કાર્યકારી અધિકારી, પાંચ સત્તાવાર સભ્યો અને આઠ બિનસત્તાવાર સભ્યો ફંડ બોર્ડના ડિરેક્ટર તરીકે રહેશે. રાજ્યમાં દરજી, તાડી કાપનારા અને બીડી કામદારો જેવા વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓ માટે ઘણા કલ્યાણ ભંડોળ બોર્ડ છે.

  10. વલસાડ : સ્મૃતિશેષ પત્નીને શ્રદ્ધાંજલિ આપવા પતિને સમાજ ઉપયોગી પ્રકલ્પ

  11. પાકિસ્તાને ફરી આઈએમએફ પાસે મદદ માંગી, વડા પ્રધાને કહ્યું- દરેક શરત પૂરી કરશે

    પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે તેમની સરકાર તેમના દેશ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા નિર્ધારિત શરતોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી ઇમરજન્સી લોન ટૂંક સમયમાં જારી કરી શકાય.

    આઈએમએફના વડા ક્રિસ્ટલીના જૉર્જિએવા સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે જણાવ્યું હતું કે પૂર પછી પાકિસ્તાન મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

    તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેન્ટ્રલ બૅંકનું રિઝર્વ છ અબજ ડૉલરથી પણ ઓછું રહ્યું છે, જે એક મહિનાની આયાત માટે પણ પૂરતું નથી.

    આઈએમએફ ગયા વર્ષે પાકિસ્તાનને એક અબજ ડૉલરની લોન આપવા માટે તૈયાર થયું હતું, પરંતુ તેના માટે તેમણે કેટલીક શરતો રાખી હતી. જેમાં પાકિસ્તાન સરકારના ખર્ચમાં કાપનો પણ સમાવેશ થતો હતો.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    6 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.