You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતે શ્રીલંકાને ત્રીજી ટી-20 મૅચ હરાવીને સિરીઝ પોતાને નામ કરી

સૂર્યકુમાર યાદવની સદીના દમે ભારતે ત્રીજી ટી-20 મૅચમાં 20 ઓવરમાં 228 રન બનાવ્યા અને શ્રીલંકાને જીત માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

લાઇવ કવરેજ

  1. સૂર્યકુમાર યાદવની વધુ એક તોફાની સદી, ભારતે શ્રીલંકાને આપ્યો 229 રનનું લક્ષ્ય

    સૂર્યકુમાર યાદવની સદીના દમે ભારતે ત્રીજી ટી-20 મૅચમાં 20 ઓવરમાં 228 રન બનાવ્યા અને શ્રીલંકાને જીત માટે 229 રનનું કપરું લક્ષ્ય આપ્યું છે.

    ભારત, શ્રીલંકા વચ્ચે શનિવારે થઈ રહેલ ત્રીજી અને અંતિમ ટી-20 ક્રિકેટ મૅચમાં ભારતીય બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવની તોફાની બૅટિંગના દમે ભારત પહાડ જેવો સ્કોર બનાવવામાં સફળ રહ્યું.

    સૂર્યકુમારે 45 બૉલમાં સદી ફટકારીને ભારતની સ્થિતિ ઘણી મજબૂત બનાવી દીધી છે. તેમણે 51 બૉલમાં અણનમ 112 રન કર્યા છે.

    ટી-20 મૅચોમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે. આ પહેલાં ભારતે 18 ઓવરમાં 200 રન ખડકી દીધા હતા.

    મૅચ શરૂ થયા પહેલાં ભારતીય કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

    ભારતીય બૅટ્સમૅન ઈશાન કિશાન 1 રન, શુભમન ગિલ 46 રન, રાહુલ ત્રિપાઠી 35 રન, હાર્દિક પંડ્યા ચાર રન અને દીપક હુડ્ડા ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

    શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ લીધી જ્યારે કસુન રજિથા, શમિકા કરુણારત્ને અને વાનિંદુ હસરંગાએ એક-એક વિકેટ લીધી.

  2. ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર સ્વરૂપે પ્રોજેક્ટ કરવા માટે નથી : જયરામ રમેશ

    કૉંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ રાહુલ ગાંધીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની કવાયત નથી.

    સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, એક સવાલના જવાબમાં કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે નથી. આ એક વૈચારિક યાત્રા છે જેનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. આ કોઈ એક વ્યક્તિની યાત્રા નથી.”

    તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જોડો યાત્રા ચૂંટણીલક્ષી યાત્રા નથી. જે હાલમાં હરિયાણાના કરનાલથી પસાર થઈ રહી છે.

    તેમણે આગળ જણાવ્યું કે રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન આર્થિક સમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય સત્તાવાદ જેવા ત્રણ મોટા મુદ્દા ઉઠાવ્યા છે.

  3. 'તારક મહેતા' સિરિયલમાંથી એક પછી એક કલાકારો કેમ જઈ રહ્યા છે?

  4. વૉટ્સઍપની નવી સર્વિસ : ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકાયો હશે તો પણ રહી શકશો ઑનલાઇન

    ઇન્સ્ટન્ટ મૅસેજિંગ સેવા વૉટ્સઍપ પોતાના યૂઝરોને પ્રૉક્સી સર્વર થકી કનેક્ટ કરવાની સુવિધા આપવા જઈ રહ્યું છે, જેથી ઇન્ટરનેટ બંધ થવા કે શટડાઉન થવાની સ્થિતિમાં કસ્ટમર ઑનલાઇન રહી શકે.

    મેટાના સ્વામિત્વવાળા વૉટ્સઍપનું કહેવું છે કે તેને આશા છે કે ઈરાનમાં જેવી રીતે બ્લૅકઆઉટ થઈ રહ્યા છે, તેવું ફરી વાર નહીં બને.

    ઈરાનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને લોકોને કટોકટીવાળી સ્થિતિમાં મદદ મેળવવાથી રોકવામાં આવી રહ્યા છે.

    વૉટ્સઍપ સમગ્ર વિશ્વના લોકોને વિનંતી કરી રહ્યું છે કે તેઓ પ્રૉક્સી સર્વર બનાવવાનું કામ કરે જેથી લોકો સ્વતંત્રપણે વાતચીત કરી શકે.

    આની સાથે કંપનીનું કહેવું છે કે લોકો પ્રૉક્સી સ્થાપિત કરવામાં મદદ પણ કરશે.

    કંપનીનું કહેવું છે કે પ્રૉક્સી થકી વૉટ્સઍપ પર સુરક્ષા અને ગુપ્તતાનો ઉચ્ચ સ્તર જળવાઈ રહેશે.

    પ્રૉક્સી સર્વરનો ઉપયોગ કરવાથી પણ સંદેશ ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શનમાં મદદથી જ સુરક્ષિત રહેશે.

    આનો અર્થ એ છે કે એક વ્યક્તિ જો બીજી વ્યક્તિને સંદેશ મોકલે છે તો અધવચ્ચે તેને કોઈ વાંચી નહીં શકે, અહીં સુધી કે વૉટ્સઍપ પણ તેને વાંચી નથી શકતું.

    પ્રૉક્સી અને ઑનલાઇન ડેટા સંગ્રહ કરનાર કંપની ઑક્સી લૅબ્સના જુરાસ જર્સેનસે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે ઈરાનમાં જે રીતે ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ લદાઈ રહ્યો છે, આવી પરિસ્થિતિમાં પ્રૉક્સી સર્વર થકી સેન્સર વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે.

  5. બિહારમાં જાતિગત સર્વેક્ષણ શરૂ

    બિહારમાં આજથી (શનિવાર)થી જાતિગત સર્વેક્ષણ શરૂ થઈ રહ્યો છે જે બે તબક્કામાં પૂર્ણ થશે.

    બિહાર સરકારે આ વર્ષે 2 જૂને જાતિગત સર્વેક્ષણને મંજૂરી આપી હતી. 31 મેના રોજ પૂર્ણ થનારા આ સર્વેમાં 12.7 કરોડની વસ્તી અને 2.58 કરોડ પરિવારોને આવરી લેવામાં આવશે.

    તેને જાતિગત વસ્તીગણતરી નામ નથી આપવામાં આવ્યું પરંતુ તેમાં જાતિ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, જાતિગત સર્વેક્ષણ 38 જિલ્લામાં કરવામાં આવશે. આ જિલ્લાઓમાં 534 બ્લોક અને 261 શહેરી સ્થાનિક સંસ્થાઓ છે.

    ભારતમાં વર્ષ 1931 સુધી જાતિગત વસતિગણતરી થતી હતી.

    વર્ષ 1941માં વસતિગણતરીના સમયે જાતિ આધારિત ડેટા મેળવવામાં આવ્યો હતો, પરંતુ પ્રકાશિત નહોતો કરાયો.

    વર્ષ 1951થી 2011 સુધીની વસતિગણતરીમાં દરેક વખત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ડેટા જાહેર કરાયો, પરંતુ ઓબીસી અને અન્ય જાતિઓનો નહીં.

    વસતિગણતરીનો શું છે વિવાદ જાણો અહીં.

  6. બેંગલુરુના મંદિરમાં મહિલાને વાળ પકડીને ઢસડવાનો વીડિયો વાયરલ, શું છે આખો મામલો?

    ઈમરાન કુરેશી

    બીબીસી માટે, બેંગલુરુથી

    બેંગલુરુમાં એક મહિલાને તેના વાળ પકડીને ઢસ઼ડીને મંદિરની બહાર ખેંચી જવાનો અને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગત 21 ડિસેમ્બરનો છે પરંતુ તે મહિલાએ ઘણા દિવસો પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

    પીડિત મહિલા વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અમૃતાહલ્લી સ્થિત શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના મુખ્ય દેવતા પાસે બેસવા માંગતી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેમને મંદિર પરિસરમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ બહાર ગયા નહોતાં.

    સમાચાર અનુસાર, જ્યારે મહિલાને વારંવાર વિનંતી કરવા છતાં મંદિરમાંથી બહાર ન આવી ત્યારે એક મુનીકૃષ્ણ (મંદિર અધિકારી) તેમને વાળથી ઢસડીને બહાર લઈ ગયા હતા.

    એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દીને જણાવ્યું, "પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને તેણે મંદિરની બહાર જવાની ના પાડી હતી."

    બીબીસી હિન્દી સાથે વાત કરતા ઉત્તર પૂર્વ બેંગલુરુના ડીસીપી અનૂપ શેટ્ટીએ કહ્યું, "અમે આઈપીસીની કલમ 354, 323, 324, 504, 506, 509 હેઠળ કેસ નોંધ્યો છે."

    પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી કે તે અનુસૂચિત જાતિની છે કે નહીં.

  7. અમેરિકા : રિપબ્લિકન પાર્ટીના કેવિન મૅકાર્થી 15મા રાઉંડના મતદાન બાદ સંસદના સ્પીકર ચૂંટાયા

    અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના કેવિન મૅકાર્થીને આખરે 15મા રાઉંડના મતદાન બાદ શનિવારે સંસદના સ્પીકર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.

    આ ચૂંટણી બાદ એમ મનાય છે કે, સંસદમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય મડાગાંઠ ઉકેલાઈ ગઈ છે.

    મૅકાર્થી અમેરિકન સંસદના 55મા સ્પીકર બનશે, તેઓ 57 વર્ષના છે અને તેઓ ડેમોક્રેટિક પાર્ટીનાં 82 વર્ષીય નૅન્સી પેલોસીનું સ્થાન લેશે.

    8 નવેમ્બરે અમેરિકામાં થયેલી મધ્યવર્તી ચૂંટણીઓ પછી 435 સભ્યો ધરાવતી સંસદમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોની સંખ્યા 222 થઈ ગઈ હતી.

    આ સાથે જ અમેરિકાની સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીનો અંત આવ્યો છે.

  8. સોનું લોકોની જિંદગીઓને કેવી રીતે બરબાદ કરી કરી રહ્યું છે?

  9. સ્કીઇંગમાં મેડલ મેળવનારાં ભારતનાં એકમાત્ર ખેલાડી આંચલને ઓળખો છો?

  10. ઉત્તરાખંડના મુખ્ય મંત્રીનો જોશીમઠમાં પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ

    ઉત્તરાખંડના જોશીમઠમાં ઘરો અને રસ્તાઓમાં તિરાડો પડતા અને લોકોના વિરોધ બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ ત્યાં કામચલાઉ પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો છે.

    સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ તેમણે ટ્વિટર પર આ માહિતી આપી હતી.

    તેમણે લખ્યું, "જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલન સંબંધિત બેઠકમાં કમિશનર ગઢવાલ મંડળ, સચિવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલી પાસેથી ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને, વહેલી તકે સલામત સ્થળે એક મોટું કામચલાઉ પુનર્વસન કેન્દ્ર સ્થાપિત કરવા અને જોખમી વિસ્તાર ખાલી કરાવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે."

    "સેક્ટર અને ઝોનલ મુજબની યોજનાઓ બનાવવા અને વિના વિલંબે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કાર્યરત કરવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. સરકાર આ સમસ્યાના ઉકેલ માટે પૂરી તીવ્રતા સાથે કામ કરી રહી છે. નાગરિકોની સલામતી અને વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે."

    ઉત્તરાખંડના જોશીમઠમાં છેલ્લા કેટલાક સમયથી લોકો પોતાના ઘર છોડીને સંબંધીઓના ઘરે આશ્રય લઈ રહ્યા છે. જે લોકો આમ કરી શકતા નથી, તેઓ તેમના ઘરની બહાર ખુલ્લા આકાશ નીચે સૂવા માટે મજબૂર છે.

    સ્થાનિક લોકોમાં રાજ્ય સરકાર પ્રત્યે એટલો ગુસ્સો છે કે ગુરુવારે સવારે સામાન્ય લોકોએ બદ્રીનાથ હાઈવે બ્લોક કરી દીધો અને સાંજે મશાલ સરઘસ કાઢ્યું હતું.

    જોશીમઠ શહેરના અનેક મકાનોની દિવાલો અને મકાનોમાં તિરાડો સતત પહોળી થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અહીંના રસ્તાઓમાં પણ તિરાડો દેખાવા લાગી છે.

    જોશીમઠ મહાનગરપાલિકાના પ્રમુખ શૈલેન્દ્ર પંવારે ગુરુવારે જણાવ્યું હતું કે 'સ્થિતિ હવે ચિંતાજનક બની ગઈ છે કારણ કે દર કલાકે આ તિરાડો મોટી થઈ રહી છે'.

    જોશીમઠમાં સરકાર સામે વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે સરકારે એનટીપીસીના ઉતાવળા બાંધકામ અંગેની તેમની ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નથી.

    જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતીએ સવાલ કર્યો છે કે, 'હવે જ્યારે અમે જમીનમાં સમાઈ જવાને આરે છીએ ત્યારે સરકારે બાંધકામનું કામ કેમ બંધ કરાવી દીધું છે. તેમણે પહેલા અમારી તરફ ધ્યાન કેમ ન આપ્યું.

    અતુલ સતીએડાઉન ટુ અર્થસાથે વાત કરતા દાવો કર્યો છે કે તપોવન વિષ્ણુગઢ પરિયોજના હેઠળ બનાવવામાં આવેલી ટનલથી જમીન પોલી થઈ ગઈ છે.

    જોશીમઠના મારવાડી વોર્ડ અને વોર્ડ 2 ની જમીનમાંથી કિચડ બહાર નીકળતો જોઈ સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે. લોકોને શંકા છે કે આ માટી પહાડ પર બનાવવામાં આવી રહેલી ટનલમાંથી નીકળી રહી છે.

  11. ખડગેનું અમિત શાહ પર નિશાન: તમે રાજનેતા છો કે મંદિરના પૂજારી?

    ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર આવતા વર્ષે 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે તેના એક દિવસ પછી, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે તેમના પર આકરા પ્રહારો કરતા કહ્યું કે શું શું તમે રામ મંદિરના પૂજારી છો. શું તમે રામ મંદિરના મહંત છો? કે શાહનું કામ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે?

    ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, હરિયાણાના પાણીપતમાં ભારત જોડો યાત્રાની એક રેલીને સંબોધતા ખડગેએ ભાજપ સરકાર પર નોકરીઓનું સર્જન કરવાનું વચન પૂરું ન કરવાનો આરોપ લગાવ્યો.

    તેમણે કહ્યું, “હવે, તેઓ શું કરી રહ્યા છે? ત્રિપુરામાં ચૂંટણી છે. (અમિત) શાહ ત્યાં જાય છે અને કહે છે કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન 1લી જાન્યુઆરીએ છે. ….દરેકને ભગવાનમાં શ્રદ્ધા છે… પણ તમે શા માટે તેની જાહેરાત કરો છો… તે પણ ચૂંટણી વખતે?”

    “તમે આવું કહેવાવાળા કોણ? શું તમે રામ મંદિરના પૂજારી છો. શું તમે રામ મંદિરના મહંત છો? મહંતો, સાધુ અને સંતોને તેમના વિશે વાત કરવા દો. તમે કોણ છો? તમે રાજકારણી છો. તમારું કામ દેશને સુરક્ષિત રાખવા, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, લોકો માટે અન્ન સુરક્ષાની ખાતરી કરવાનું અને ખેડૂતોને પૂરતા ભાવ આપવાનું છ. ”

    રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા વડા પ્રધાન પર પ્રહારો કરતા અગ્નિવીર ભરતી યોજનાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

    તેમણે કહ્યું, "ભાજપ મને 'સેના વિરોધી' કહે છે, પરંતુ હું 3,000 કિમીથી વધુ ચાલ્યો છું અને જેઓ આર્મીમાં જોડાવા ઈચ્છતા યુવાનો મને મળી રહ્યા છે. તેઓ મને કહે છે કે તેમનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. દેશની સેનામાંથી 10 ટકા જવાનો હરિયાણા આપે છે. ખેડૂતો માટે ત્રણ કૃષિ કાનુનો મૃત્યુ ઘંટ વગાડી રહ્યા હતા. બધા ખેડૂતો એક થઈને સામા પડ્યા. નરેન્દ્ર મોદીએ શું કહ્યું? મુઝસે ગલતી હો ગઈ (મારાથી ભૂલ થઈ ગઈ). તેમને પોતાની ભૂલનો અહેસાસ કરવામાં એક વર્ષનો સમય લાગ્યો.”

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    5 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.