ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુ પર ભારતીય વિદેશમંત્રાલયે શું કહ્યું?

ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કફ સિરપથી 18 બાળકોનાં મૃત્યુના મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મૃત્યુ બે મહિના દરમિયાન થયાં છે અને ઉઝ્બેકિસ્તાનના અધિકારીઓએ આધિકારિક રૂપથી ભારત સામે આ મુદ્દો નથી ઉઠાવ્યો.

લાઇવ કવરેજ

  1. ગૌતમ અદાણીએ ઉદ્યોગપતિ તરીકેની પોતાની શરૂઆતનું શ્રેય રાજીવ ગાંધીને કેમ આપ્યું?

    અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ તરીકેની પોતાની સફરના પ્રારંભ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને શ્રેય આપ્યું છે.

    ગૌતમ અદાણી અને એમના સમૂહ પર પીએમ મોદી સાથેની નિકટતાનો ફાયદો ઉઠાવવાનો આરોપ લાગતો રહ્યો છે.

    આ અંગે વાત કરતાં ગૌતમ અદાણીએ કહ્યું, "પીએમ મોદી અને હું, બન્ને ગુજરાતથી આવીએ છીએ. એ જ કારણ છે કે આ પ્રકારના વેપારિક આરોપો માટે હું એક સરળ શિકાર બની જઉં છું. જોકે, એક ઉદ્યમી તરીકેની હું મારી યાત્રા જોઉં તો હું એને ચાર તબક્કામાં વહેંચી શકું છું. કેટલાય લોકો એ વાતથી આશ્ચર્યચકિત થઈ શકે કે મારી સફર એ વખતમાં શરૂ થઈ હતી જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા."

    "એમણે જ્યારે આયાત-નિકાસનીતિનું ઉદારીકરણ કર્યું તો કેટલીય વસ્તુઓને ઓપન જનરલ લાઇસન્સ લિસ્ટમાં લાવવામાં આવી. આનાથી મને મારું ઍક્સપૉર્ટ હાઉસ શરૂ કરવામાં મદદ મળી. રાજીવ ગાંધી વગર એક ઉદ્યમી તરીકેની મારી યાત્રા શરૂ ના થઈ શકી હોત."

    "એ બાદ મને ઉછાળો 1991માં મળ્યો જ્યારે પીએમ નરસિંહ રાવજી અને નાણામંત્રી મનમોહનસિંહની જોડીએ મોટા આર્થિક ફેરફાર કર્યા. બીજા અન્ય ઉદ્યમીઓની માફક મને પણ એ સુધારાઓનો ફાયદો મળ્યો. આ અંગે વધારે બોલવાની જરૂર નથી. આ અંગે ઘણું બધું કહેવાઈ ચૂક્યું અને લખાઈ ચૂક્યું છે."

    "મારા માટે ત્રીજો ટર્નિંગ પૉઇન્ટ 1995માં આવ્યો જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી હતા. એ વખતે ગુજરાતમાં બધો ઔદ્યોગિક વિકાસ મુંબઈથી દિલ્હી જતા નેશનલ હાઈવે 8ની આસપાસ થયો હતો. આ વિકાસ વાપી, ભરૂચ, અંકલેશ્વર, સિલવાસા, વડોદરા, સૂરત અને અમદાવાદમાં થયો. તેઓ એક દૂરદર્શી હતા અને કાઠાવિસ્તારનો વિકાસ કરવા સમર્પિત હતા.એ કારણે હું મુંદ્રા સુધી પહોંચ્યો અને અમે ત્યાં અમારું પ્રથમ બંદર બનાવી શક્યા. બાકીનું લોકો જેમ કહે છે, ઇતિહાસ છે."

    "ચોથો ટર્નિંગ પૉઇન્ટ 2001માં આવ્યો જ્યારે ગુજરાતમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસનો દૌર શરૂ તયો. તેમની નીતિઓએ માત્ર ગુજરાતનીઆર્થિક સુરત જ ના બદલી, સામાજિક ફેરાફારો પણ કર્યા. એ સાથે જ તેમના વખતમાં વિકાસથી વંચિત રહી ગયેલા વિસ્તારોમાં પણ વિકાસ પહોંચ્યો. એમાં ઉદ્યોગો અને રોજગારમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો. આજે એમના નેતૃત્વમાં આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિકાસ જોઈ શકીએ છીએ અને એક નવું ભારત પોતાની જગ્યાએ બની રહ્યું છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા વિરુદ્ધ આ પ્રકારની વાર્તાઓ રચવામા આવે છે...જેવું કે મેં જણાવ્યું છે કે આ બધા આરોપ આધાર વગરના છે."

    અદાણી અને મોદી

    ઇમેજ સ્રોત, VIJAY SONEJI/MINT VIA GETTY IMAGES

  2. ચીનમાં કોરોનાના કેરને પગલે સુરતના હીરાઉદ્યોગકારો ચિંતામાં કેમ છે?

  3. ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુ પર ભારતીય વિદેશમંત્રાલયે શું કહ્યું?

    અરિંદમ બાગચી

    ઇમેજ સ્રોત, ANI

    ઉઝબેકિસ્તાનના સમરકંદમાં કફ સિરપથી 18 બાળકોનાં મૃત્યુના મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મૃત્યુ બે મહિના દરમિયાન થયાં છે અને ઉઝબેકિસ્તાનના અધિકારીઓએ આધિકારિક રૂપથી ભારત સામે આ મુદ્દો નથી ઉઠાવ્યો.

    પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, "પરંતુ અમારા દૂતાવાસે ઉઝબેકિસ્તાન સાથે સંપર્ક કર્યો જેથી તેમની તપાસથી જોડાયેલી માહિતી મળી શકે. અમને ખબર છે કે ઉઝબેકિસ્તાનના અધિકારીઓએ કેટલાક લોકો સામે તપાસ શરૂ કરી છે, તેમાં કંપનીના ત્યાંના સ્થાનિક પ્રતિનિધિ સામેલ છે. એટલે કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કાયદાકીય મદદ આપી રહ્યા છીએ."

    આની પહેલાં સરકારે માહિતી આપી કે નોઇડાસ્થિત મેરિયન બાયોટેકમાં બનાવાયેલી કફ સિરપથી જોડાયેલી દવા પછી ભારત સરકારે આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે.

    ભારત સરકારે પ્રેસ નોટ જાહેર કરીને આ બાબતે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

    તેમાં જણાવવામાં આવ્યું છે કે “મેરિયન બાયોટેકે નોઇડા ઉત્પાદનકેન્દ્ર પર આ બાબતની તપાસ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) અને યુપી ડ્રગ્સ લાઇસેન્સિંગ ઑથોરિટી કરી રહી છે.”

    નોઇડાસ્થિત આ પ્લાન્ટથી કફ સિરપનું સૅમ્પલ લઈને ચંડીગઢના રિજનલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી (આરડીટીએલ)માં મોકલવામાં આવ્યું છે.

  4. અનંત અંબાણીએ જેમની સાથે સગાઈ કરી એ રાધિકા મર્ચન્ટ કોણ છે?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ બુધવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી. રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર ખાતે તેમની 'રોકા સૅરેમની' યોજાઈ હતી.

    રાધિકા મર્ચન્ટ એક ફાર્માસ્યુટિકલ મૅન્યુફેક્ચરિંગ કંપનીના સીઈઓ વિરેન મર્ચન્ટનાં પુત્રી છે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કૉર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વિટર પર બન્નેને અભિનંદન પાઠવ્યાં છે.

    અનંત અને રાધિકા એકબીજાને પહેલાંથી જ ઓળખતાં હતાં.અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ પદો પર ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ જિયો પ્લૅટફૉર્મ્સ અને રિલાયન્સ રિટેઇલ વૅન્ચર્સનના બોર્ડમાં પણ સભ્ય છે.હાલમાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઍનર્જી બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

    રાધિકાએ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી હાંસલ કરી છે અને તેઓ ઍનકર હેલ્થકેરમાં ડિરેક્ટર છે.

  5. ચંદા કોચર અને વેણુગોપાલ ધુત 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં

    ચંદા કોચર

    ઇમેજ સ્રોત, Getty Images

    સીબીઆઈની એક વિશેષ કોર્ટે ICICI લોન ફ્રોડના કેસમાં ચંદા કોચર અને વેણુગોપાલ ધુતને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે.

    પોતાના આદેશમાં કોર્ટે ત્રણેય આરોપીઓ - ICICIના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રૂપના ચૅરમૅન વેણુગોપાલ ધુતને 10 જાન્યુઆરી 2023 સુધી જ્યડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે.

    કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું કે હાલ ત્રણેયની કસ્ટડીની જરૂર નથી. એ બાદ એણે જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરી.

    આ પહેલાં બુધવારે સીબીઆઈએ એક દિવસ માટે કસ્ટડી વધારવાની માગ કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખી હતી.

    નોંધનીય છે કે સીબીઆઈ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરુદ્ધ ગુનાઇત કાવતરું રચવા અને છેતરપિંડીરચવાના મામલે તપાસ ચાલી રહી છે.

  6. ઘરથી દૂર હોવા છતાં પણ હવે મતદાન કરી શકાશે- ચૂંટણીપંચ

    ચૂંટણીપંચે પ્રવાસી મતદારોની સુવિધા માટે એક રિમોટ વોટિંગની સુવિધા આપવાની જાહેરાત કરી છે. જેના માટે પંચે એક નવું વોટિંગ મશીન વિકસાવ્યું છે.

    આ સુવિધા એવા મતદારોને અપાઈ રહી છે, જે પોતાના ઘરથી દૂર રહે છે અને મતદાન માટે તેમને પોતાના ગૃહ-વિસ્તારમાં જવું પડતું હોય છે.

    પરંતુ ચૂંટણીપંચના આ નવા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (આરવીએમ)થી લોકો જ્યાં રહે છે, એ રાજ્યમાંથી પોતાના રાજ્યમાં મતદાન કરી શકશે.

    ચૂંટણીપંચે પ્રેસ નોટમાં કહ્યું, "ભારતીય ચૂંટણીપંચે રોજગારી, શિક્ષણ અને અન્ય કારણોથી ગૃહનગરથી દેશમાં ક્યાં અન્ય બસેલા લોકોને રિમોટ વોટિંગની સુવિધા પર કામ શરૂ કર્યું છે. દેશમાં ક્યાંયથી પણ પોતાના ગૃહ/મૂળ મતવિસ્તાર માટે મતદાન કરવાનું શક્ય બનશે."

    "પ્રવાસી મતદારોને મતદાન માટે પોતાના ઘરે (રાજ્ય-નગર) પરત ફરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે."

    ચૂંટણીપંચે આ મશીનના પ્રદર્શન માટે રાજકીય પક્ષોને પણ આમંત્રિત કર્યા છે.

    ચૂંટણીપંચ
  7. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ : બ્રિજકુમાર યાદવ સાથે 26 ગુજરાતીઓ USમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા?

    અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ટ્રમ્પ વૉલ પરથી પટકાતાં મૃત્યુ પામેલા કલોલના બ્રિજકુમાર યાદવ ગુજરાતના 26 લોકોના ગ્રૂપમાં સામેલ હતા.

    અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ પોતાના અહેવાલમાં સંબંધિત દાવો કર્યો છે. આ ગ્રૂપમાં મહેસાણા અને ગાંધીનગરના લોકો સામેલ હતા. અખબારે યુએસ કસ્ટમ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્ટશન (USCBP) એજેન્સીને મેઇલ કરીને સંબંધિત માહિતી મેળવી છે.

    એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર 14 ડિસેમ્બરે રાતે લગભગ 20 લોકો સરહદ ઓળંગીને મૅક્સિકોમાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.USCBPનાઅધિકારીઓ જ્યારે સાન ડિયાગો પહોંચ્યા ત્યારે તેમણે બ્રિજકુમાર યાદવના પરિવાર સહિત 23 લોકો મળી આવ્યા હતા.

    અમેરિકા અને મૅક્સિકોની સરહદ પર બનાવાયેલી 'ટ્રમ્પ વૉલ' ચઢતાં બ્રિજકુમાર પોતાના ત્રણ વર્ષના પુત્રની સાથે મૅક્સિકોની બાજુ પટકાયા હતા, જ્યારે તેમનાં પત્ની અમેરિકાની બાજુમાં કૂદી ગયાં હતાં.અખબારના જણાવ્યા અનુસાર આ ગ્રૂપે 11 નવેમ્બરે ગુજરાત છોડ્યું હતું અનેમાનવતસ્કરો થકી અમેરિકાની સરહદ સુધી પહોંચ્યું હતું.

    બ્રિજકુમાર યાદવના ભાઈ વિનોદ યાદવે તેમની સાથે બનેલી આ ઘટના અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “બ્રિજકુમાર તેમનાં પત્ની પૂજા અને ત્રણ વર્ષીય દીકરા સાથે ‘મહિનો ફરવા જઉં છું’ કહીને નીકળ્યા હતા. આ બાદ એની પત્ની પૂજા ઘણી વખત અમને ફોન કરતી જેમાં તે અમારી માને પોતે ક્ષેમકુશળ હોવાની વાત કરતી પણ અમને તેઓ ક્યાં છે એ વાતની ખબર નહોતી.”

    બ્રિજના પરિવારને નડેલ અકસ્માત અને તેમાં થયેલ બ્રિજના મૃત્યુ અંગેના સમાચાર કેવી રીતે મળ્યા, એ વિશે વાત કરતાં તેમના ભાઈ વિનોદ યાદવે કહ્યું હતું :

    “એક દિવસ અમારા પર ફોન આવ્યો હતો કે મારા ભાઈ બ્રિજનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું છે. એ પછી એમનો કોઈ સંપર્ક થયો નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમને મદદ કરે અને મારા ભાઈનો મૃતદેહ, મારી ભાઈ અને ભત્રીજાનેભારત લાવવામાં આવે. આ સમાચાર મળ્યા બાદથી મારી માની તબિયત ઘણી બગડી ગઈ છે.”

    બ્રિજકુમાર યાદવ

    ઇમેજ સ્રોત, KARTIK JANI

  8. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા પર

  9. દેશમાં કોરોનાના કેસમાં આંશિક વધારો

    ભારતમાં છેલ્લા એક દિવસમાં એટલે કે બુધવારે કોરોનાના 268 નવા કેસ નોંધાયા છે. મંગળવારે 188 કેસ હતા.

    એક દિવસમાં કોરોનાના 2 લાખ 36 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને છેલ્લા 24 કલાકના આંકડાની માહિતી આપી છે.

    નવા કેસ સાથે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 3552 થઈ ગયા છે.

    દેશમાં 24 કલાકમાં કોરોનાથી બે લોકોનાં મોત થયાં છે. આ મોત કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયાં છે.

    આ સાથે જ કોરોનાથી મૃત્યુઆંક 5,30,698 પર પહોંચી ગયો છે.

    દેશમાં કોરોનાનો દૈનિક પૉઝિટિવિટી રેટ 0.11 ટકા છે અને સાપ્તાહિક 0.17 ટકા છે.

    રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં 220.08 કરોડ રસી અપાઈ ચૂકી છે.

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, DrPixel

  10. રાહુલ ગાંધીએ સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું: સીઆરપીએફ

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થવાના કૉંગ્રેસના આરોપોનો સીઆરપીએફએ હવે જવાબ આપ્યો છે.

    કૉંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

    પત્રમાં લખવામાં આવ્યું છે કે, “24 ડિસેમ્બરે જ્યારે ભારત જોડો યાત્રા દિલ્હીમાં હતી, ત્યારે ઘણી જગ્યાએ સુરક્ષામાં ચૂક થઈ હતી. દિલ્હી પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં અને રાહુલ ગાંધીની આસપાસ સુરક્ષાઘેરો જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.”

    કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)એ કહ્યું હતું કે, “24 ડિસેમ્બરની ભારત જોડો પદયાત્રાના દિલ્હી તબક્કામાં તમામ પક્ષોને સામેલ કરીને 22 ડિસેમ્બરે જ એડવાન્સ સુરક્ષાતપાસ કરવામાં આવી હતી. તમામ સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું અને દિલ્હી પોલીસે માહિતી આપી છે કે, પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે.”

    સીઆરપીએફએ કહ્યું છે કે, “રાહુલ ગાંધી માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. એ કહી શકાય કે સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિની મુલાકાત દરમિયાન સીઆરપીએફ રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીના સહયોગથી સુરક્ષા વ્યવસ્થા કરે છે.”

    કેન્દ્રીય સુરક્ષાદળે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે.

    સીઆરપીએફએ કહ્યું છે કે, “એ પણ જોવા મળ્યું હતું કે, ઘણાં સ્થળોએ રાહુલ ગાંધીએ સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને વારંવાર તેમને આ અંગે જાણ કરવામાં આવી હતી.”

    “તેમણે વર્ષ 2020થી 113 વાર ઉલ્લંઘન કર્યું છે, જે અંગે માહિતી આપવામાં આવી હતી. ભારત જોડો યાત્રાના દિલ્હી તબક્કા દરમિયાન સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિ (રાહુલ ગાંધી)એ સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને સીઆરપીએફ આ મામલાની અલગથી તપાસ કરશે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. તાલિબાન સાથે ભાઈબંધી કરી ચૂકેલી 'મકરાન ટોળકી' પાકિસ્તાન માટે કેટલી જોખમી?

  12. કંબોડિયા-થાઇલૅન્ડ સરહદ પરની એક હોટલમાં લાગી આગ, 10 લોકોનાં મોત

    કંબોડિયાની એક હોટલ-કૅસિનો ગ્રાન્ડ ડાયમંડ સિટીમાં લાગી આગ

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, કંબોડિયાની એક હોટલ-કૅસિનો ગ્રાન્ડ ડાયમંડ સિટીમાં લાગી આગ

    કંબોડિયાની એક હોટલ-કૅસિનો ગ્રાન્ડ ડાયમંડ સિટીમાં આગ લાગવાથી 10 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ હોટલ-કૅસિનો કંબોડિયા અને થાઇલૅન્ડના સરહદી શહેર પોઇપેટમાં આવેલી છે.

    બુધવારે સાંજે લગભગ 4:30 વાગ્યે આ હોટલમાં આગ લાગી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર, એ સમયે હોટલમાં લગભગ 400 લોકો હાજર હતા.

    સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કેલોકો ઉપરના માળેથી કૂદી રહ્યા છે અથવા પડી રહ્યા છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, થાઇલૅન્ડના ઘણા લોકો હોટલમાં હાજર હતા.

    આગ લાગવાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

    થાઇલૅન્ડના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કેકેટલાક ઇજાગ્રસ્તો થાઇલૅન્ડના સાઓ પ્રાંતની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    પોઇપેટ શહેર એ બંને દેશો વચ્ચે એક મહત્ત્વનો સરહદી વિસ્તાર છે. ત્યાં ઘણા જાણીતા કૅસિનો છે, જ્યાં થાઈ નાગરિકો આવીને રહે છે, કારણ કેથાઇલૅન્ડમાં જુગાર મોટા ભાગે ગેરકાયદેસર છે.

  13. ગુજરાતમાં કોરોનાના નવા છ કેસ નોંધાયા

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    બુધવારના સરકારી સ્વાસ્થ્ય બુલેટીન અનુસાર, ગુજરાતમાં કોવિડ-19ના છ નવા કેસ નોંધાયા છે, જેમાંથી બે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ગાંધીનગર, ખેડા, કચ્છ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એક-એક છે.

    આ દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, “રાજ્યમાં 314 મૅટ્રિક ટનની ક્ષમતાવાળા 34 ઓક્સિજન ટૅન્ક ચાલુ છે.”

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશીષ નાઇકે કહ્યું કે, “સુરતમાં 7 ડિસેમ્બરે છેલ્લો કોવિડ કેસ નોંધાયો હતો.”

    સુરતના 25 વર્ષીય કાપડના વેપારીએ બુધવારે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળતાં તેમને ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. આ વેપારી દુબઈ ગયા હતા અને તાજેતરમાં જ સુરત આવ્યા હતા.

    સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાઇકે કહ્યું હતું કે, “સુરતમાંથી 7 ડિસેમ્બરે છેલ્લો કોવિડ કેસ નોંધાયો હતો. દરદીની તબિયત સ્થિર છે અને તેમને અમારા અધિકારીઓની નજર હેઠળ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. અમે જીનોમ સિક્વન્સિંગ માટે તેમના સેમ્પલ ગાંધીનગરના ગુજરાત બાયોટેકનૉલૉજી રિસર્ચ સેન્ટરમાં મોકલ્યા છે અને અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”

    મંગળવારે વલસાડમાં પણ પાનેરા ગામના એક વ્યક્તિનો પણ કોરોના કેસ પૉઝિટિવ આવ્યો હતો. તેમને GMERS મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

    વલસાડના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને ગાંધીનગર ગુજરાત બાયોટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર ખાતે દરદીના સૅમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તેમના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને નૅગેટિવ આવ્યો હતો.

  14. ઉઝબેકિસ્તાનનો દાવો- ભારતીય કંપનીની કફ સિરપ પીવાથી 18 બાળકોનાં મોત

    કફ સિરપ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કફ સિરપ

    ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે સમરકંદમાં કમસે કમ 18 બાળકોનાં મોત કથિત રીતે ભારતમાં બનેલી સિરપ પીવાથી થયાં છે. ડૉક-1 મૅક્સ નામની આ સિરપ નોઇડાની કંપની મેરિયન બાયૉટેક બનાવી છે.

    ધ હિન્દુના અહેવાલ અનુસાર, ઉઝબેકિસ્તાનનું કહેવું છે કે ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોનાં મૃત્યુ થયાં છે.

    ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે મેરિયન બાયૉટેક નિર્મિત ખાંસીની દવા ડૉક-1 મૅક્સને મૃત્યુ માટે જવાબદાર ગણાવી છે.

    બાળકોએ ખાંસીની દવાનું “વધુ માત્રા”માં સેવન કર્યું, જેમાં ઇથિલીન ગ્લાઇકૉલ હોય છે, એક એવો પદાર્થ જે ખાંસીની દવામાં ન હોવો જોઈએ.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ઉઝબેકિસ્તાનમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં છે અને આ કેસની તપાસમાં મદદ કરવા માટે તૈયાર છે. ”

    ઉઝબેકિસ્તાનના મંત્રાલયે કહ્યું છે કે, “ડૉક-1 મૅક્સમાં પેરાસિટોમોલ હોવાના કારણે માતા-પિતાએ દવાના દુકાનદારની સલાહ પર બાળકોને શરદી માટે આ દવા આપી હતી.”

    ઉલ્લેખનીય છે કે ગામ્બિયામાં એક સંસદીય પૅનલે હરિયાણાસ્થિત મેડન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપમાં ડાઇથાલીન ગ્લાઇકૉલ અને ઇથિલીન ગ્લાઇકૉલની વધુ માત્રા શોધી કાઢ્યા પછી આ બન્યું છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક દવા કંપનીના ચાર કફ અને કોલ્ડ સિરપને અંગે ચેતવણી જાહેર કરી હતી. WHOએ આ ચેતવણી આફિક્રન દેશ ગાંબિયામાં 66 બાળકોનાં મૃત્યુ બાદ જાહેર કરી હતી.

    ગાંબિયામાં આ વર્ષે જૂન અને નવેમ્બરની વચ્ચે82 બાળકોની કિડનીને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ હતી, જેમાંથી 70 મૃત્યુ પામ્યા હતા.

    મેડન ફાર્માસ્યુટિકલ્સે આ આરોપો નકારી કાઢ્યા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંન્ટ્રોલ ઑર્ગેનાઈઝેશને કથિત રીતે પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ સોનીપત ખાતેની આ કંપનીના ઉત્પાદનના યુનિટને બંધ કરી દીધું હતું.

    ભારતનું માનવું છે કે, દવાનું સેવન અને બાળકોના મૃત્યુ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવા માટે પૂરતી ક્લિનિકલ માહિતી સંબંધિત દેશ અથવા વિશ્વા સ્વાસ્થ્ય સંગઠન તરફથી આપવામાં આવી નથી.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઑક્ટોબરમાં ચેતવણી જારી કરતા મેડનની સિરપના તાર બાળ મૃત્યુ સાથે જોડી દીધા હતા.

  15. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    28 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.