You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ચૂંટણીથી 2024ની લોકસભા ચૂંટણીનો પ્રારંભ : પ્રમોદ સાવંત
ગુજરાતમાં આવતી કાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે ગુજરાત ચૂંટણીમાં જ 2024ની લોકસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે.
લાઇવ કવરેજ
રાજકોટમાં મતપેટીઓના સ્ટ્રૉંગ રૂમ સામે કૉંગ્રેસ સીસીટીવી કૅમેરા કેમ મૂક્યા છે?
ઈરાનમાં મોરાલિટી પોલીસને ભંગ કરવાનો મોટો નિર્ણય
ઈરાનના પ્રૉસિક્યૂટર જનરલે એક ધાર્મિક સમ્મેલનમાં જણાવ્યું છે કે દેશની ધાર્મિક પોલીસ એટલેકે મોરાલિટી પોલીસને ભંગ કરી દેવામાં આવી છે.
જોકે, પ્રૉસિક્યૂટર જનરલ મોહમ્મદ જફર મૉન્તાજેરીના નિવેદનની ઈરાનની કાયદાના અમલીકરણ કરનારી સંસ્થાએ પુષ્ટિ નથી કરી.
તાજેતરમાં જ 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં તેના વિરુદ્ધ સરકાર-વિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં છે.
આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.
મહસા અમીનીને તહેરાનની મોરાલિટી પોલીસે કથિત રીતે 'યોગ્ય રીતે હિજાબ' ન પહેરવાના આરોપમાં અટકમાં લેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમનું મૃત્યું થઈ ગયું.
ઈરાનના સખત નિયમો અનુસાર, મહિલાઓ માટે હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવું અનિવાર્ય છે.
જોકે બીબીસીની પર્શિયન (ફારસી) સેવાના પત્રકાર સિયાવાશ અર્દલાને કહ્યું કે મોરાલિટી પોલીસને ભંગ કરવાનો અર્થ એ નથી કે હવે હિજાબનો કાયદો બદલાઈ જશે.
તેમણે આ પગલાને ખૂબ મોડું કર્યા બાદ લેવાયેલો નાનો નિર્ણય ગણાવ્યો.
મોરાલિટી પોલીસ શું છે?
વર્ષ 1979ની ક્રાંતિ બાદ ઈરાનમાં સામાજિક મુદ્દા ઉકેલવા માટે મોરાલિટી પોલીસ ઘણા સ્વરૂપે હાજર રહી છે.
તેમના અધિકારક્ષેત્રમાં મહિલાઓના હિજાબથી લઈને પુરુષો અને મહિલાના એકબીજા સાથે હળવા-મળવાનો મુદ્દો પણ શામેલ રહ્યો છે.
જોકે, મહસાના મોત માટે જવાબદાર ગણાવવામાં આવી રહેલી સરકારી એજન્સી 'ગશ્ત-એ-ઇરશાદ' જ એ મોરાલિટી પોલીસ છે, જેનું કામ ઈરાનમાં સાર્વજનિક સ્તરે ઇસ્લામી આચાર સંહિતાને લાગુ કરવાનું છે.
'ગશ્ત-એ-ઇરશાદ'ની રચના વર્ષ 2006માં થઈ હતી. એ ન્યાયપાલિકા અને ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલા પૅરામિલિટરી ફોર્સ 'બાસિજ' સાથે મળીને કામ કરે છે.
જશુ પટેલ : અમદાવાદી ક્રિકેટર જેમણે એક એવો રૅકૉર્ડ બનાવ્યો, જેને દાયકાઓ સુધી કોઈ તોડી નહોતું શક્યું.
બાંગ્લાદેશે ભારતે 186 રન પર ઑલઆઉટ કરી દીધું
બાંગ્લાદેશે ભારતને 186 રનમાં જ ઑલઆઉટ કરી દીધું છે. શાકીબ અલ હસને 36 રનમાં પાંચ વિકેટ ઝડપી છે.
આ પહેલાં ટૉસ જીતીને બૉલિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમે ભારતીય ટીમને ખુલ્લીને રમવાની તક જ નહોતી આપી.
કૅપ્ટન રોહિત શર્માએ માત્ર 27 રન બનાવ્યા. બીજા ઑપનર શિખર ઘવને માત્ર 7 રન કર્યા, જ્યારે વિરાટ કોહલીએ 9 રન કર્યા.
શ્રેયસ અય્યરે 24 રનનું યોગદાન કર્યું. જ્યારે વિકેટકીપર બૅટ્સમૅન કે.એલ. રાહુલે સર્વાધિક 73 રન બનાવ્યા.
એક સમયે 152 રન પર ચાર વિકેટ સાથે રમી રહેલી ભારતીય ટીમે અંતિમ છ વિકેટ 34 રનમાં ગુમાવી દીધી હતી.
2024ની ચૂંટણીનો ગુજરાતમાંથી પ્રારંભ : પ્રમોદ સાવંત
ગુજરાતમાં આવતી કાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે ગુજરાત ચૂંટણીમાં જ 2024ની લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે.
રાજ્યમાં આયોજિત એક ચૂંટણીસભાને સંબોધતાં ભાજપના નેતા પ્રમોદ સાવંતે કહ્યું, "2024ની ચૂંટણીનો પ્રારંભ અહીંથી (ગુજરાત વિધાનસભાની ચૂંટણી) થઈ રહ્યો છે. "
તેમણે એવો દાવો પણ કર્યો છે કે ભાજપ પહેલાં કરતાં પણ વધારે બેઠકો મેળવશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બનશે. નોંધનીય છે કે ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંત ગોવાના મુખ્ય મંત્રી બન્યા હતા.
મુખ્ય મંત્રી બન્યા એ પહેલાં પ્રમોદ સાવંત ભાજપના નેતા અને ગોવા વિધાનસભાના સ્પીકર હતા. તેઓ સાનક્વેલિમ વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરના 89 બેઠકો પર મતદાન 63 ટકાથી વધારે મતદાન થયું હતું.પાંચમી ડિસેમ્બરના ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન યોજાશે.
ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પક્ષના બળવાખોર નેતાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું છે કે ગેરશિસ્તને ચલાવી નહીં લેવાય.
પાટીલે કહ્યું છે,"ભાજપના ઉમેદવારો સામે જો કોઈ બળવાખોર ચૂંટણી લડીને પક્ષમાં પરત આવવાનું વિચારતો હોય તો એનું સ્વાગત નહીં કરાય. " કોઈ બળવાખોર જીતશે નહીં એવી ખાતરી પણ પાટીલે ઉચ્ચારી છે.
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નેતાઓએ બળવો કર્યો હતો એમને પરત લેવાયા નથી. તેમણે કહ્યું, "ગેરશિસ્ત સામે અમે 'ઝીરો ટૉલેરન્સ'ની નીતિ અપનાવી છે.ભાજપ શિસ્તમાં માને છે."
પાટીલે એવું પણ કહ્યું કે તેમણે 182 વિધાનસભાક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે અને જેમણે ટિકિટ નથી મળી એમને વિવાદો છોડીને પક્ષ માટે કામ કરવા મનાવ્યા છે.
આ દરમિયાન પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાં છતાં પાટીલે એને 'બમ્પર વોટિંગ' ગણાવ્યું છે.
બાંગ્લાદેશે ટૉસ જીત્યો,ભારતની બેટિંગ
આખું વિશ્વ જ્યારે ફૂટબૉલના રંગે રંગાયેલું છે, ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વચ્ચે વનડે સિરીઝ શરૂ થઈછે.
બાંગ્લાદેશે ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.ભારત તરફથી કુલદીપ સેન આજની મૅચમાં ડેબ્યુ કરી રહ્યા છે. તો બીજી તરફ ઋષભ પંતને સ્થાન નથી મળ્યું. ટીમમાં કે.એલ. રાહુલ વિકેટકિપિંગની જવાબદારી મળી છે.
ભારતની ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર ), વૉશિંગ્ટન સુંદર, શાહબાદ અહમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાઝ, કુલદીપ સેન
બાંગ્લાદેશની ટીમ : લિટન દાન (કૅપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન શંટો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લા, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહમાન, ઇબાદત હુસૈન
આવતી કાલે બીજા તબક્કાનું મતદાન, દિગ્ગજોનાં ભાવિનો ફેંસલો થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.
બીજા તબક્કામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા સહિતની બેઠકો પર મતદાન થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 19 જિલ્લાની 89 બેઠક પર 788 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયાં છે.
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું.
ચૂંટણીપંચ અનુસાર, પ્રથમ તબક્કાની બેઠકો પર કુલ 63.31 ટકા મતદાન થયું છે.
એ પણ નોંધવું જોઈએ કે હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે અને આથી મતદાનની ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.
8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થવાનાં છે.
પેલેએ પ્રશંસકો માટે સંદેશો જાહેર કર્યો, કહ્યું – મજબૂત છું, વર્લ્ડકપ જોઈ રહ્યો છું
બ્રાઝિલના મહાન ફૂટબૉલ ખેલાડી પેલેનું કહેવું છે કે તેઓ હકારાત્મક અને મજબૂત છે.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થકી પેલેએ કહ્યું કે તેઓ તમામને શાંત અને હકારાત્મક જોવા માગે છે.
પેલેએ કહ્યું હતું કે તેમના માટે આવી રહેલા લોકોના સંદેશ અને વર્લ્ડકપમાં બ્રાઝિલને રમતું જોવાથી તેમને ઊર્જા મળી છે.
તેમણે કહ્યું, “હું આશાવંત છું, મજબૂત છું અને હંમેશાંની માફક હું પોતાની સારવાર કરાવી રહ્યો છું. મારી સારી સારસંભાળ રાખવા માટે મેડિકલ અને નર્સિંગ ટીમને ધન્યવાદ પાઠવવા માગું છું.”
“મને ભગવાનમાં વિશ્વાસ છે અને સમગ્ર વિશ્વમાંથી મળી રહેલા સપ્રેમ સંદેશાઓ મને ઊર્જાથી ભરી દે છે. હું વિશ્વકપમાં બ્રાઝિલને જોઈ રહ્યો છું. આ બધા માટે ધન્યવાદ.”
82 વર્ષના પેલે સાઉ પાઉલોના ઇસ્રાઇલીટા આલ્બર્ટ આઇન્સ્ટીન હૉસ્પિટલમાં દાખલ છે.
તેમણે મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે હૉસ્પિટલે જણાવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે.
પરંતુ શનિવારે અમુક રિપોર્ટોમાં એવો દાવો કરાયો કે પેલેની હાલત નાજુક છે અને તેના શરીર પર કીમોથૅરપીની અસર નથી થઈ રહી.
બાદ હૉસ્પિટલે એક આધિકારિક નિવેદન જાહેર કરીને કહ્યું કે પેલે ઠીક છે અને તેમનું શરીર ઇલાજ સામે પ્રતિક્રિયા આપી રહ્યું છે.
શિયાળુ સત્રમાં સરકારને ઘેરવાની કૉંગ્રેસની તૈયારી, મોરબી પુલ દુર્ઘટના સહિત આ મુદ્દા ઉઠાવશે
કૉંગ્રેસ પાર્ટીએ બુધવારે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે મુદ્દા નક્કી લીધા છે.
કૉંગ્રેસે શિયાળુ સત્રને લઈને શનિવારે એક બેઠક કરી હતી અને તે બાદ પત્રકારપરિષદમાં તે અંગે જાણકારી આપી હતી.
આ વિશે સંચાર પ્રમુખ જયરામ રમેશે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, “બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો માટે એમએસપી ગૅરંટી સહિત મોરબી પુલ દુર્ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.”
નોંધનીય છે કે ગુજરાતમાં 30 ઑક્ટોબરે મોરબીમાં ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાના કારણે 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ મામલે પ્રાથમિક તપાસમાં મોરબી નગરપાલિકા તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા વગર જ સંચાલક કંપનીએ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો.
પુલના સંચાલન અને રિપૅરિંગનો કૉન્ટ્રેક્ટ સ્થાનિક ઓરેવા જૂથને મળ્યું હતું.
દુર્ઘટના બાદ નવ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ મામલે વિસ્તૃત તપાસ કરવા અને પીડિતોને વધુ રાહત અપાવવા માટે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ દાખલ કરાઈ હતી.
દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના 250 વૉર્ડ માટે રવિવારે મતદાન, ત્રિપાંખિયો જંગ
રવિવારે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (એમસીડી)નું મતદાન યોજાઈ રહ્યું છે.
એમસીડીના 250 વૉર્ડની ચૂંટણી માટે મતદાનનો સમય સવારના આઠથી માંડીને સાંજના સાડા પાંચ વાગ્યા સુધીનો છે.
નોંધનીય છે કે આ વખત એમસીડીની ચૂંટણીનો જંગ પણ ગુજરાતના ચૂંટણીજંગ જેમ ત્રિપાંખિયો થવા જઈ રહ્યો છે.
આ ચૂંટણીનાં પરિણામો સાત ડિસેમ્બરના રોજ જાહેર કરાશે.
ચૂંટણીમાં માન્ય મતદારોની સંખ્યા 1.46 કરોડ છે. એમસીડીની ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે.
નોંધનીય છે કે એમસીડીની ચૂંટણીમાં પાછલાં 15 વર્ષથી ભાજપ જીતતો આવ્યો છે.
વર્ષ 2017માં આમ આદમી પાર્ટીની એમસીડીની ચૂંટણીમાં ઍન્ટ્રી થવાની સાથે કૉંગ્રેસનું મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન છીનવાઈ ગયું હતું.
નમસ્કાર! બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.
અહીં તમને ગુજરાત ચૂંટણી સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસ દરમિયાનની તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.
3 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.