You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત વિધાનસભા ચૂંટણી: સવારે એનસીપી છોડનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટીમાં જોડાયા

કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભા બેઠક પરથી બે વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે

લાઇવ કવરેજ

  1. પોલૅન્ડમાં 'જાણીજોઈને' મિસાઇલ નહોતી છોડવામાં આવી - પોલૅન્ડના રાષ્ટ્રપતિ

    પોલૅન્ડમાં મિસાઇલ પડવાની ઘટના બાબતે પોલૅન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

    તેમણે કહ્યું કે પોલૅન્ડનાં ગામમાં પડેલી એ મિસાઇલથી એવો કોઈ સંકેત નથી મળતો કે તે જાણીજોઈને કરવામાં આવેલો હુમલો હતો, પરંતુ આ ઘટના 'દુર્ભાગ્યપૂર્ણ' છે.

    પત્રકારો સાથે વાત કરી વખતે તેમણે કહ્યું કે એવી પ્રબળ સંભાવના છે કે મિસાઇલ યૂક્રેન બાજુથી પોલૅન્ડમાં પડી હતી.

    આ પહેલાં એસોસિટેડ પ્રેસ એજન્સીના એક અહેવાલમાં ત્રણ અમેરિકન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે મંગળવારે પોલૅન્ડમાં પડેલી રશિયન મિસાઇલને યૂક્રેન તરફથી છોડવામાં આવી હતી.

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે એ વાતની 'સંભાવના' નથી કે પોલૅન્ડમાં પડનારી મિસાઇલ રશિયાએ લૉન્ચ કરી હોય.

    બેલ્જિયમનાં રક્ષા મંત્રી લુડિવાઇન ડેડોનડરે પણ પોલૅન્ડમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા વિસ્ફોટ માટે યૂક્રેનની સેના તરફ ઇશારો કર્યો હતો. જોકે તેમણે કહ્યું હતું કે, તેની પુષ્ટિ કરવાની બાકી છે.

  2. અમદાવાદ : કમલમ્ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ કરવા કેમ પહોંચ્યા?

    ચૂંટણી પહેલાં જ ભાજપમાં વિવાદ, કમલમ્ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ કરવા કેમ પહોંચ્યા? ભાજપના કાર્યકરો સાથે રોક્સી ગાગડેકર છારાની વાતચીત.

  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી: સવારે એનસીપી છોડનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટીમાં જોડાયા

    કુતિયાણા વિધાનસભા બેઠક પરથી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) તરફથી ટિકિટ ન મળવાને કારણે આજે સવારે પાર્ટી ના તમામ પદો પરથી રાજીનામું આપી દેનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટી (સપા)માં જોડાઈ ગયા છે.

    હવે તેઓ સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ કુતિયાણા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી કરશે.

    ઉલ્લેખનીય છે કે કાંધલ જાડેજા 'ગોડમધર' તરીકે ઓળખાતાં સંતોકબહેન જાડેજા અને સરમણ જાડેજાના પુત્ર છે. તેઓ કુતિયાણા બેઠક પરથી બે વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  4. જાડેજાએ જણાવ્યું કે રીવાબા ભાજપમાં કેમ જોડાયાં?

    ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા જામનગરમાં આજે કેસરી કુરતામાં ભાજપનાં સ્થાનિક ઉમેદવાવાર અને તેમનાં પત્ની રીવાબા જાડેજા સાથે પક્ષનાં એક કાર્યક્રમમાં જોવા મળ્યા.એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રવીન્દ્રે પત્રકારો સાથે વાત કરી.

    જાડેજાએ કહ્યું, "લોકોની મદદ કરવાનો એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં જોડાયાં છે. લોકોને મદદ કરવાના વડા પ્રધાનના પથ પર તેઓ ચાલવા માગતાં હતાં. લોકોની મદદ કરવાની ભાજપની જે વિચારધારા છે એ જ વિચારધારામાં મારાં પત્ની માને છે. "

    ભાજપે 160 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે એમાં રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.વર્ષ 2019માં જાડેજાનાં પત્ની ભાજપમાં જોડાયાં હતાં.

    રવિવારે જાડેજાએ તેમનાં પત્નીને ચૂંટણીમાં જિતાડવા માટે હાકલ કરતો વીડિયો પણ ટ્વટિર પર પોસ્ટ કર્યો હતો.

  5. પીએમ મોદી જી-20 સમિટ માટે બાલી જવા રવાના

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી જી-20 સમિટ માટે ઈન્ડોનેશિયાના શહેર બાલી જવા રવાના થઈ ગયા છે.

    પીએમ મોદી બાલીની ત્રણ દિવસની મુલાકાતે છે. આ કૉન્ફરન્સમાં દુનિયાના મોટા નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૅક્રોન અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક ભાગ લેવા માટે બાલીમાં ઉપસ્થિત હશે.

    13 નવેમ્બરના રોજભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત આગામી 1 ડિસેમ્બરથી એક વર્ષ માટે જી-20 ની અધ્યક્ષતા કરશે.

    મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, "બાલીમાં ચાલી રહેલા સંમેલનના સમાંતરે, વડા પ્રધાન ઘણા જી20 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે જેથી તેમને ભારતની જી20 પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી શકાય અને સાથે આ મોટા નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી શકાય."

    તેમણે એમ પણ કહ્યું કે જી-20 ના પ્રમુખપદ દરમિયાન ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ એક ત્રિપુટી હશે. જી-20માં એવું પ્રથમ વખત બનશે જેમાં ત્રણેયમાં વિકાસશીલ દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે.

  6. મૅચ હાર્યા બાદ બાબર આઝમે સ્વીકાર્યું કે ક્યાં થઈ હતી ચૂક

    ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું એ બાદ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ટીમે ક્યાં ભૂલ કરી એ અંગે વાત કરી.

    મૅચ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઇગ્લૅન્ડ સામે વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં દબાણ હોવાનો તો ઇન્કાર કર્યો પણ પાકિસ્તાન ઇચ્છતું હતું એ રીતે મૅચ પૂરી ના થઈ હોવાનો અફસોસ ચોક્કસથી વ્યક્ત કર્યો.

    બાબરે કહ્યું, "અલબત્ત, ફાઇલનમાં તમે (પ્રતિસ્પર્ધીને) હરાવી ના શકો એ દુઃખદાયી છે. પાકિસ્તાન માટે રમવું અમારા માટે ગર્વની વાત છે પણ તમે જીતી ના શકો ત્યારે ભારે પીડાદાયક બાબત છે. અમે એશિયા કપમાં પણ જીતી નહોતા શક્યા અને એનું દુઃખ રહ્યા કરે છે. "

    "આ ભારે તણાવપૂર્ણ સપ્તાહ હતું અને અમને ખ્યાલ નહોતો કે અમે જ જીતીશું કે હારીશું પણ જે રીતે અમે તક ઝડપી લીધી અને સતત ચાર મૅચમાં અમારી શ્રેષ્ઠ ક્રિકેટ રમી એનાથી અમારી ટીમ જશની ભાગીદાર તો છે."

    ટૉસ હારતાં જ પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની ફાઇનલના એ ઇતિહાસનો ભાગ બની ગયું હતું, જેમાં છ વર્લ્ડકપમાંથી અત્યાર સુધી માત્ર એક વખત જ પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ટીમ સ્કોરને ડિફેન્ડ કરવામાં સફળ રહી છે.

    શરૂઆતમાં જ રિઝવાન અને હારિસની વિકેટો ગુમાવી દેનારી પાકીસ્તાની ટીમે બાદમાં સ્થિતિને થોડી સંભાળી લીધી હતી અને 11 ઓવર પૂરી થઈ ત્યાં સુધી તેણે બે વિકેટના નુકસાને 84 રન બનાવી દીધા હતા. એ વખતે પાકિસ્તાન મોટો સ્કોર કરશે એવું મનાઈ રહ્યું હતું.

    લિયામ લિવિંગસ્ટોનની ઓવરમાં શાહ મસૂદે 16 રન લીધા હતા. જોકે, એ બાદ પાકિસ્તાને માત્ર એક જ રનમાં બે વિકેટો ગુમાવી દીધી હતી.

    આ અંગે વાત કરતાં તેમણે કહ્યું, "બૉલને ઉછાળ મળી રહ્યો હતો. અમે પાવરપ્લેમાં 45-50 રન ઇચ્છતા હતા પણ અમે કેટલીક વિકેટો ગુમાવી દીધી. 11મી ઓવરમાં અમે લગભગ 85 (84) રન પર હતા પણ એ વખતે ઉપરાઉપરી બે વિકેટો પડી અને અમે મૉમેન્ટમ ગુમાવી દીધી. મિડલ ઑર્ડરમાં ખાસ કરીને શાદાબ અને શાહની ભાગીદારી તૂટી અને બન્ને એક બાદ એક આઉટ થઈ ગયા. "

    "એ વખતે અમારી સ્થિતિ ઘણી અલગ હતી અને અમે ભાગીદારી બનાવવનો પ્રયાસ કરી રહ્યા હતા એટલે અમારા મિડલ ઑર્ડરમાં ડૉટ-બૉલનો રેશિયો પણ ઘણો વધારે હતો. અમે એ (ભાગીદારી) કરી ના શક્યા. વિકેટ પડે ત્યારે નવા બૅટ્સમૅનને સેટ થવા માટે 2-3 બૉલની જરૂર પડતી હોય છે. એણે અમને બૅક ફૂટ પર લાવી દીધા અને એ રીતે અમે ઇચ્છતા એ રીતે મૅચને પૂરી ના કરી શક્યા."

    તેમણે એવું પણ કહ્યું કે શાહીનશાહ આફ્રિદીની ઈજા મૅચમાં 'અલગ જ પરિણામ' લાવી. હૅરી બ્રૂકનો કૅચ પકડવા જતાં આફ્રિદી લૉન્ગ ઑફ પર ઘાયલ થઈ ગયા હતા. એ બાદ તેમને મેદાનમાંથી બહાર જતું રહેવું પડ્યું હતું.

    આફ્રીદ 16મી ઓવર ફેંકવા આવ્યા હતા અને એ વખતે ઇંગ્લૅન્ડને 30 બૉલમાં 41 રનની જરૂર હતી. આફ્રિદીને ચાલવામાં મુશ્કેલી પડી રહી હોવાનું એ વખતે સ્પષ્ટ જણાતું હતું અને તેઓ એક જ બૉલ ફેંકી શક્યા હતા. એ બાદની ઓવર ઇફ્તિખાર અહમદે પૂરી કરી હતી. જોકે, બેન સ્ટૉક્સે એ ઓવરમાં એક સિક્સર અને એક ફૉર ફટકારીને મૅચનું પાસું પલટી નાખ્યું હતું.

    બાબરે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનને જે સ્કોર કરવા માગતું હતું એનાથી થોડો ઓછો સ્કોર થયો હતો.

    "અમે 20 રન ઓછા કર્યા પણ છેલ્લી ઓવર સુધીની લડત અવિશ્વસનીય હતી.અમારી બૉલિંગ શ્રેષ્ઠ પૈકીની હતી પણ બદનસીબે શાહીનની ઈજા અણધાર્યું પરિણામ લાવી. જોકે, એ પણ રમતનો એક ભાગ જ છે."

  7. મોરબી પુલ દુર્ઘટના: સુપ્રીમ કોર્ટ પીઆઈએલને ટૂંક સમયમાં યાદીમાં સમાવવા સંમત, સુચિત્ર મોહંતી, બીબીસી સંવાદદાતા

    સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને યાદીમાં સમાવશે.

    મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કોર્ટની દેખરેખ હેઠળની ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે, આ પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં અને 100 લોકો ઘાયલ થયા હતા.

    ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેંચે કહ્યું કે, અમે ટૂંક સમયમાં આ મામલાને યાદીમાં લઈશું.

    તેમણે કહ્યું હતું કે અરજી મોડી રાત્રે મારી સમક્ષ આવી હતી તેથી આજે સુનાવણી માટે યાદીમાં લેવી શક્ય બની નથી.

    વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટની બેન્ચને આજે સુનાવણીની વિનંતી કરતા કહ્યું હતું "આ કેસ તાકીદનો છે, કારણ કે દેશભરમાં આવા ઘણા જૂના માળખા છે અને આ અદાલતે તેની તાકીદે સુનાવણી કરવી જોઈએ."

    આના પર સીજેઆઈએ કહ્યું, "આ કલમ 32 હેઠળની અરજી છે. તેમાં તાકીદ જેવું શું છે. અમે તેને સૂચિબદ્ધ કરીશું. અમે તારીખ આપીશું.

    ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, અમે આ અરજી પર 14 નવેમ્બરે સુનાવણી કરીશું.

  8. ટિકિટ ન મળતા કાંધલ જાડેજાનું એનસીપીમાંથી રાજીનામું

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં એનપીસીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

    કાંધલ જાડેજા પોરબંદરની કુતિયાણા બેઠકના ધારાસભ્ય છે.

    કાંધલ જાડેજાએ એક પત્ર લખીને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે.

    પત્રમાં લખ્યું કે 'બે ટર્મથી હું એનસીપીમાંથી ચૂંટાતો આવ્યો છે અને પાર્ટીને વફાદાર રહ્યો છું. તેમ છતાં મને પાર્ટીએ કુતિયાણા બેઠક પરથી ટિકિટ ન આપી, આથી હું પાર્ટી તમામ હોદ્દા પરથી અને સભ્યપદેથી રાજીનામું આપું છું.'

  9. સંબંધોમાં તિરાડની વાત વચ્ચે સાનિયા અને શોએબનો ટૉક શો

    ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેમના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક એક ટૉક શો હોસ્ટ કરવાનાં છે.

    આ શોનું નામ છે- 'ધ મિર્ઝા મલિક શો.'

    આ શો પાકિસ્તાની ચેનલ ઉર્દૂફ્લિક્સ ઑફિશિયલ પર આવશે. ચેનલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ટૉક શોનું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં સાનિયા મિર્જા અને શોએબ મલિક દેખાઈ રહ્યાં છે.

    છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જોડી તૂટી રહી છે. પરંતુ એક નવા ટૉક શોના એલાન બાદ હવે અફવા પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

    વર્ષ 2010માં સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે લગ્ન કર્યાં હતાં. બાદમાં બંને દુબઈ શિફ્ટ થઈ ગયાં હતા.

    અઠવાડિયા અગાઉ પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેનું લગ્નજીવન મુશ્કેલીમાં વીતી રહ્યું છે.

    જોકે બંનેએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

  10. આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ

    ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

    પ્રથમ તબક્કામાં 89 બેઠક પર ચૂંટણી થવાની છે, ભાજપ-કૉંગ્રેસ સહિત આપે તેના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, કેટલાક ઉમેદવારોનાં નામ હજુ પણ બાકી છે.

    આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી અનેક ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે આવશે તેવી શક્યતા છે.

    પ્રથમ તબક્કામાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે એ આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

  11. રાજસ્થાનઃ એટીએસ અને એનઆઈએ રેલવે ટ્રેક પર બ્લાસ્ટની તપાસ કરશે

    રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરથી 25 કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર થયેલા બ્લાસ્ટની તપાસ એટીએસ અને એનઆઈએની ટીમો કરશે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા વૈષ્ણવે કહ્યું, “એટીએસ, એએનઆઈ અને રેલવે આરપીએફ સ્થળ પર હાજર છે. તપાસ ચાલુ છે. એક ટીમ પુલના સમારકામ માટે કામ કરી રહી છે."

    તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ પૂરી થઈ જાય પછી ત્રણથી ચાર કલાકમાં ટ્રેનો ચાલુ થઈ જશે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રવિવારે અસારવા ઉદેપુર એક્સપ્રેસ પસાર થાય તે પહેલાં આ ટ્રેક પર વિસ્ફોટ થયો હતો.

    પીએમ મોદીએ 15 દિવસ પહેલાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, જે નવા બનેલા અસારવા-ઉદયપુર ગેજ પર દોડી રહી હતી.

  12. પીએમ મોદી આજે બાલીમાં જી20 સમિટમાં ભાગ લેવા રવાના થશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયાના બાલીમાં 17મી જી-20 સમિટમાં ભાગ લેશે. તેઓ ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્વાસ્થ્ય પરનાં ત્રણ સત્રમાં ભાગ લેશે.

    13 નવેમ્બરના રોજ એક વિશેષ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, “બાલી સમિટમાં નેતાઓના સ્તરે 3 કાર્યકારી સત્રમાં પીએમ ભાગ લેશે. આમાં બાલી સમિટ દરમિયાન ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ડિજિટલ પરિવર્તન અને આરોગ્ય પરનાં સત્રનો સમાવેશ થાય છે.

    પીએમ મોદી અને અન્ય જી-20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ પરિવર્તનની સ્થિતિ સહિત સમકાલીન પ્રાસંગિકતાના મુખ્ય મુદ્દા પર ચર્ચા કરશે.

    તેમણે ઉમેર્યું, “આપણા જી-20 પ્રમુખપદ દરમિયાન ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ ટ્રોઇકા હશે. જી-20માં પ્રથમ વખત આ ટ્રોઇકામાં સતત વિકાસશીલ દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થશે. ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પીએમ મોદી 15મી નવેમ્બરે ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કરશે અને તેમની સાથે વાતચીત કરશે. બાલી શિખર સંમેલનની સમાંતરે પીએમ જી-20 નેતાઓ સાથે ઘણી દ્વિપક્ષીય બેઠકો કરશે."

  13. કૉંગ્રેસે વધુ 33 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં

    • વાવ- ગેનીબહેન ઠાકોર
    • થરાદ- ગુલાબસિંહ રાજપૂત
    • ધાનેરા- નાથાભાઈ પટેલ
    • દાંતા (એસટી અનામત)- કાંતિભાઈ ખરાડી
    • વડગામ (એસસી)- જિજ્ઞેશ મેવાણી
    • રાધનપુર- રઘુભાઈ દેસાઈ
    • ચાણસ્મા- દિનેશ ઠાકોર
    • પાટણ- કિરીટકુમાર પટેલ
    • સિદ્ધપુર- ચંદનજી ઠાકોર
    • વીજાપુર- ડૉ. સીજે ચાવડા
    • ખેડબ્રહ્મા (એસટી)- તુષાર ચૌધરી
    • મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર
    • માણસા- બાબુસિંહ ઠાકોર
    • કલોલ- બળદેવજી ઠાકોર
    • વેજલપુર- રાજેન્દ્ર પટેલ
    • વટવા- બળવંત ગઢવી
    • નિકોલ- રણજિત બારડ
    • ઠક્કરબાપાનગર- વિજય બ્રહ્મભટ્ટ
    • બાપુનગર- હિંમતસિંહ પટેલ
    • દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ
    • જમાલપુર-ખાડિયા- ઇમરાન ખેડાવાલા
    • દાણીલીમડા (એસસી)- શૈલેશ પરમાર
    • સાબરમતી- દિનેશ મહિડા
    • બોરસદ- રાજેન્દ્રસિંહ પરમાર
    • આંકલાવ- અમિત ચાવડા
    • આણંદ- કાંતિ સોઢા પરમાર
    • સોજિત્રા- પૂનમભાઈ પરમાર
    • મહુધા- ઈન્દ્રજિતસિંહ પરમાર
    • ગરબાડા (એસટી)- ચંદ્રિકાબહેન બારિયા
    • વાઘોડિયા- સત્યજિતસિંહ ગાયકવાડ
    • છોટાઉદેપુર (એસટી)- સંગ્રામસિંહ રાઠવા
    • જેતપુર (એસટી)- સુખરામ રાઠવા
    • ડભોઈ- કિશન પટેલ
  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી સાથે જોડાયેલા રહો.

    13 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.