You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અફઘાન પૉપ સિંગર અર્યાના સઈદે કહ્યું, ‘ભારત સાચો મિત્ર’

પૉપ સિંગર અર્યાના સઈદે કહ્યું, પાકિસ્તાન જ તાલિબાનને ભંડોળ આપે છે. એમણે દુનિયાને ભંડોળ અટકાવવા અપીલ કરી છે.

લાઇવ કવરેજ

  1. તાલિબાનના કબજા બાદ કાબુલમાંથી કઈ રીતે બહાર નીકળી ભારતીય મહિલા? એક-એક પળની કહાણી

  2. અફઘાનિસ્તાન પર બીબીસી ગુજરાતીનું લાઇવ રિપોર્ટિંગ અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી અહીં જ મળીશું નવી અપડેટ સાથે. શુભરાત્રી!

  3. તાલિબાને કહ્યું - ઇતિહાસ ભૂલી ગયા, બદલો નહીં લઈએ, યુએને કહ્યું - અપાઈ રહી છે મોતની સજા

    તાલિબાને કહ્યું છે કે તે કોઈના વિરુદ્ધ બદલાની કાર્યવાહી નથી કરી રહ્યું.

    તાલિબાનના પ્રવક્તા ઝબુઉલ્લાહ મુજાહિદે મંગળવારે પત્રકારપરિષદમાં દાવો કર્યો હતો કે "અમે ભૂતકાળની તમામ વાતો ભૂલી ગયા છીએ. તાલિબાન પાસે એવા લોકોની કોઈ યાદી નથી કે જેમને નિશાન બનાવવાના હોય કે પછી બદલો લેવાનો હોય."

    તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ એવા અહેવાલો મળી રહ્યા છે કે તાલિબાનના લડવૈયાઓ વિરોધીઓને નિશાન બનાવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર 'મૃત્યુની સજા' આપવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર કમિશનર મિશેલ બૅશલેએ આવા અહેવાલોને 'વિશ્વસનીય' ગણાવ્યા છે.

  4. 'કાબુલના કસાઈ'એ ભારતને સલાહ આપી કે ધમકી?

    એક સમયે 'કાબુલના કસાઈ' કહેવાતા અફઘાનિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ગુલબુદ્દીન હિકમતયારે કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને નિવેદન કરવાને બદલે પોતાના દેશના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.

    અફઘાનિસ્તાનના બીજા મોટા ચરમપંથી જૂથ હિઝ્બ-એ-ઇસ્લામીના નેતાએ રવિવારે કાબુલમાં પાકિસ્તાની પત્રકારો સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી અને કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.

    પાકિસ્તાનની સમાચાર એજન્સી એપીપી અનુસાર, હિકમતયારે એમ પણ કહ્યું કે ભારત સરકારે અફઘાનિસ્તાનની જમીન પરથી કાશ્મીરની લડાઈ ન લડવી જોઈએ.

    જોકે તેમણે એ પણ કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે સકારાત્મક ભૂમિકા નિભાવવી જોઈએ.

    એપીપી અનુસાર, અફઘાન નેતાએ સાથે જ અફઘાનિસ્તાન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે પાકિસ્તાન સરકાર અને વડા પ્રધાન ઇમરાન ખાનના પ્રયાસોની સરાહના કરી હતી.

    તેમણે આશા વ્યક્ત કરી કે કાબુલમાં ઝડપથી એક એવી સરકાર રચાઈ જશે, જે અફઘાનિસ્તાનના લોકોને સ્વીકાર્ય હશે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ.

    અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત મંસૂર અહમદ ખાને રવિવારે કાબુલમાં ગુલબુદ્દીન હિકમતયાર સાથે મુલાકાત કરી.

    મુલાકાત બાદ રાજદૂતે ટ્વીટ કરીને લખ્યું કે તેમણે ગુલબુદ્દીન હિકમતયાર સાથે વર્તમાન સ્થિતિ અને તાલિબાન તથા અન્ય અફઘાન સમુદાયોની સમાવેશી વ્યવસ્થાને સ્થાપવા માટેનો રસ્તો તૈયાર કરવા માટે ચર્ચા કરી છે.

    ગુલબુદ્દીન હિકમતદાર કોણ છે?

    ગુલબુદ્દીન હિકમતયારની ગણના અફઘાનિસ્તાનના ઇતિહાસમાં સૌથી વિવાદિત હસ્તીઓમાં થાય છે. એક સમયે તેમને 'બુચર ઑફ કાબુલ' એટલે કે કાબુલના કસાઈ કહેવાતા હતા.

    અફઘાનિસ્તાનના પૂર્વ વડા પ્રધાને 80ના દશકમાં અફઘાનિસ્તાન પર સોવિયત સંઘના કબજા બાદ મુજાહિદ્દીનોનું નેતૃત્વ કર્યું હતું. એ સમયે આવાં અંદાજે સાત જૂથો હતાં.

    ત્યારબાદ 90ના દશકમાં અફઘાનિસ્તાનમાં જે ગૃહયુદ્ધ થયું તેમાં ગુલબુદ્દીન હિકમતયારની ભૂમિકા વિવાદિત રહી હતી.

    હિંસાના એ સમય બાદ અફઘાન લોકોએ તાલિબાનનું સ્વાગત કર્યું હતું.

    ગુલબુદ્દીન હિકમતયારને અમેરિકાએ 2003માં આતંકવાદી જાહેર કર્યા હતા. તેમના પર તાલિબાનના હુમલાનું સમર્થન કરવાનો આરોપ લાગ્યો હતો.

    2016માં તત્કાલીન અફઘાનિસ્તાન સરકારે તેમને જૂના કેસમાં માફી આપી દીધી હતી.

  5. કાબુલ કબજે કરતાં અગાઉ તાલિબાને ગઝનીમાં આચર્યો હતો નરસંહાર

    બે દાયકા બાદ અફઘાનિસ્તાન ફરીથી કબજે કરનાર તાલિબાને પ્રથમ પત્રકારપરિષદમાં ઉદાર ચહેરો રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈની સાથે વેર વાળવામાં નહીં આવે અને મહિલાઓને ઇસ્લામિક કાયદા અનુસાર હકો અપાશે. જોકે, બીજી તરફ ઍમનેસ્ટી ઇન્ટરનેશનલનો અહેવાલ છે કે કાબુલ કબજે કર્યું તે અગાઉ તાલિબાને ગઝની પ્રાંતમાં લઘુમતી હજારા સમુદાયનો નરસંહાર કર્યો.

    જુઓ વીડિઓ અહેવાલ

  6. બ્રેકિંગ, અફઘાન પૉપ સિંગર અર્યાના સઈદ ભારત પર ફિદા, પાકિસ્તાનને કેમ ખખડાવ્યું?

    અફઘાનિસ્તાન તાલિબાને કબજે કર્યાં બાદ દેશ છોડનારાં પૉપ સ્ટાર અર્યાના સઈદે સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં ભારતનો આભાર માન્યો છે તો પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે.

    અર્યાનાએ કહ્યું, વીતેલા અનેક વર્ષોમાં એમને એ અહેસાસ થઈ ચૂક્યો છે કે પડોશમાં જો કોઈ સાચું મિત્ર હોય તો એ ભારત છે.

    તેમણે કહ્યું, ભારત હંમેશાં અમારી સાથે સારી રીતે પેશ આવ્યો છે. તે અમારો સાચો મિત્ર છે, તે ખૂબ મદદગાર છે અને ભારતમાં જે અફઘાન લોકો શરણાર્થી છે તેમની પ્રત્યે ઉદાર છે. હું જે પણ અફઘાનીને મળી એમણે ભારત વિશે કાયમ સારી જ વાત કરી છે.

    આ સાથે જ અર્યાના સઈદે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની રાજનીતિમાં દખલ કરવાનો આરોપ મૂકયો છે.

    અર્યાનાએ કહ્યું, હું પાકિસ્તાનને દોષી માનું છું. અમે જે વીડિયો અને પુરાવાઓ જોયાં છે એ બતાવે છે કે તાલિબાનને મજબૂત કરવા પાછળ પાકિસ્તાન છે. જ્યારે પણ અમારી સરકાર તાલિબાનીને પકડતી અને ઓળખ કરતી તો તે પાકિસ્તાની વ્યક્તિ નીકળતી. એ વાત સ્પષ્ટ છે તેઓ જ એ છે.

    અર્યાનાએ કહ્યું, મને આશા છે કે પાકિસ્તાન પાછળ હઠશે અને અફઘાનિસ્તાનની રાજનીતિમાં દખલ નહીં કરે.

    અર્યાનાએ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માગ કરી છે કે તે પાકિસ્તાન પર દબાણ ઊભું કરે અને તાલિબાનનું ફંડિર રોકે.

    એમણે કહ્યું, મને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ઉકેલ કાઢશે. મારું માનવું છે કે અફઘાનિસ્તાન જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેનું કારણ પાકિસ્તાન છે. એમને પાકિસ્તાનમાં તાલીમ મળે. સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાન ભંડોળ ન આપવું જોઈએ જેથી એમની પાસે તાલિબાનને આપવા માટે પૈસા ન રહે.

    એ સાથે એમણે એમ પણ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનના લોકોને એ રીતે તરછોડી દીધાં કે તાલિબાને ગણતરીના દિવસોમાં દેશ કબજે કરી લીધો અને એ વાતે તેઓ ખૂબ નિરાશ છે.

    ઉલ્લેખનીય છે કે અર્યાના અમેરિકન વાયુ સેનાના વિમાનમાં છ દિવસ અગાઉ દેશ છોડી ચૂક્યાં છે અને એમણે એ અંગે ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી.

  7. અમદાવાદમાં વિદ્યાર્થીનાં માતાપિતા સામે RTEમાં છેતરપિંડી બદલ ફરિયાદ

    અમદાવાદની એક જાણીતી સ્કૂલના વિદ્યાર્થીનાં માતાપિતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

    અમદાવાદના મિરરના અહેવાલ અનુસાર, જિલ્લા શિક્ષણ કાર્યાલયે એક માતાપિતા સામે આરટીઈ પ્રવેશમાં છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધી છે.

    ફરિયાદ એટલા માટે કરાઈ છે કે આ માતાપિતાએ અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં તેના બાળકને આરટીઈમાં પ્રવેશનો લાભ લેવા માટે નકલી આવકના દસ્તાવેજો રજૂ કર્યા હતા.

    આરટીઈ હેઠળ નબળી સામાજિક, આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવનારાં બાળકોને પ્રવેશ મળે છે, જેમાં પરિવારની વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.

    શિક્ષણ વિભાગના અધિકારીના હવાલાથી મિરરે લખ્યું કે આ કાર્યવાહી એક ઉદાહરણરૂપ સાબિત થશે.

    અહેવાલ અનુસાર, જીવરાજ પાર્કની મંગલમૂર્તિ સોસાયટીના નિવાસી પ્રતીક રમેશચંદ્ર ગજ્જર સામે ફરિયાદ નોંધાઈ છે, જેમણે પોતાની આવક 1,50,000થી ઓછી દર્શાવીને નકલી પ્રમાણપત્રો રજૂ કરીને પોતાના બાળકને આનંદ નિકેતનમાં દાખલ કરાવ્યું હતું.

    ઈનચાર્જ ડીઈઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ કહ્યું કે આનંદ નિકેતન સ્કૂલમાંથી ફરિયાદ મળ્યા બાદ તેમણે કેસની તપાસ કરી હતી.

  8. 'તાલિબાન આતંકી છે, હવે પ્રતિબંધોની વાત કરવી જોઈએ'

    કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દુનિયાના જી-7 દેશોને કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ હવે પ્રતિબંધો અંગે વિચારવું જોઈએ.

    અફઘાનિસ્તાન પર જી-7 દેશોની થનારી બેઠકના એક દિવસ પહેલાં સોમવારે ટ્રુડોએ કહ્યું કે કૅનેડા પહેલેથી તાલિબાનને આતંકવાદી માને છે અને એ તેમની આતંકી સૂચિમાં છે, તો હવે પ્રતિબંધો અંગે વાત કરાઈ શકે છે.

    મંગળવારે જી-7ના સભ્યદેશો કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાન અફઘાનિસ્તાન પર વર્ચ્યુઅલ બેઠક કરવા જઈ રહ્યા છે.

    કૅનેડાના વડા પ્રધાને કહ્યું કે જી-7એ પોતાના સાથી નેતાઓ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ અને હવે જોવાનું છે કે આગળ શું થાય છે.

    જી-7ની અધ્યક્ષતામાં આ સમયે બ્રિટન પાસે છે અને તેનું કહેવું છે કે હાલના પ્રતિબંધોમાં ઢીલ 'તાલિબાનના વ્યવહાર પર નિર્ભર' કરે છે.

    ટ્રુડોએ કહ્યું કે કૅનેડાની પ્રાથમિકતા 'વધુમાં વધુ અફઘાન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે.'

  9. શું છે અફઘાનિસ્તાનની હાલત અને કેમ ભયમાં છે ચળવળકારો?

    તાલિબાને લગભગ 20 વર્ષો બાદ અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી ફરી કબજો કર્યાં બાદ અફરાતફરી અને અસમંજસની સ્થિતિ છે.

    હાલ કાબુલ હવાઇમથક અમેરિકન સેનાના નિયંત્રણમાં છે. તાલિબાને અફઘાન પર કબજો જમાવ્યા બાદ ત્યાંથી વિદેશી નાગરિકો સહિત કેટલાક સ્થાનિક અઘફઘાનીઓ પણ દેશ છોડી રહ્યા છે.

    કાબુલ હવાઇમથક પર હજુ પણ સ્થિતિ તણાવ ભરેલી છે. બીબીસી સંવાદદાતા લીઝ ડૂસૈટ તેમના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તેને આવી રીતે વર્ણવે છે, “આ વિમાનો અફઘાનીઓને માત્ર તેમના દેશથી નહીં પણ તેમની ઓળખથી દૂર લઈ જઈ રહ્યાં છે.”

    તો બીજી તરફ અફઘાનમાં તાલિબાને મહિલાઓની અવરજવર અને તેમનાં કામકાજ તથા શૈક્ષણિક અધિકારો પર ફરીથી એક પરોક્ષ નિયંત્રણ લાદ્યાં હોવાની વાતો સામે આવી છે. આ મામલે ત્યાંની કેટલીક ચળવળકાર મહિલાઓ સાથે બીબીસીના સંવાદદાતા સિકંદર કિરમાણીએ વાતચીત કરી.

    તેઓ જણાવી રહ્યા છે શું છે તાલિબાન મામલે મહિલા ચળવળકારોની ચિંતાઓ અને હવે પછીની તેમની જિંદગી શું છે.

    આ સાથે જ પાકિસ્તાન પણ તાલિબાનની મુલાકાત લઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન માટે તાલિબાનનું રાજ ગંભીર ચિંતાનો વિષય બનશે કે ખુશખબર છે?

    જુઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની સ્થિતિ અને તેની વૈશ્વિક અસર પર બીબીસીનો ખાસ અહેવાલ આ કવર સ્ટોરીમાં.

  10. અફઘાનિસ્તાનનો એ પ્રદેશ જેને દુનિયા જીતી શકી નથી

    પંજશીર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલો ખીણ વિસ્તાર છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે.

    આ ખીણના પ્રદેશમાં છેલ્લાં 40 વર્ષથી કોઈ પણ વિદેશી દળો પ્રવેશી શક્યાં નથી.

    પંજશીર ખીણે 1979-1989 દરમિયાન સોવિયેત સંઘની સેનાનો સામનો કર્યો હતો અને તે પછી નેવુંના દાયકામાં તાલિબાનને પણ અહીં ઘૂસવા નહોતા દીધા.

    જુઓ વીડિયોમાં સમગ્ર વાત.

  11. કાબુલથી 25 ભારતીય સમેત 78 લોકો ભારત આવી રહ્યા છે

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું કે ઍર ઇન્ડિયાનું વિમાન 78 લોકોને સુરક્ષિત લઈને ભારત આવી રહ્યું છે.

    તેમણે જણાવ્યું કે આ લોકોમાં 25 ભારતીય પણ સામેલ છે, જેમને પહેલાં ભારતીય વાયુસેનાના વિમાનથી કાબુલથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લઈ જવાયા હતા.

    ત્યારબાદ ઍર ઇન્ડિયાનું વિમાન તેમને દુશાંબેથી દિલ્હી લઈને આવી રહ્યું છે.

    સોમવારે પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા 146 લોકો ભારત પહોંચ્યા હતા.

  12. અમેરિકા ડૅડલાઇન પ્રમાણે અફઘાનિસ્તાનમાં પોતાનું અભિયાન પૂરું કરશે

    સહયોગી સભ્યોની અંતિમ તારીખ આગળ વધારાની માગ વચ્ચે અમેરિકા તાલિબાનના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનથી 31 ઑગસ્ટ સુધી નીકળી જશે.

    અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે તે હજુ સુધી અંતિમ તારીખના ફેરફાર અંગે વિચારી નથી રહ્યા.

    અંતિમ તારીખમાં ફેરફેરની વાત એટલા માટે આવી કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જી-7ના વર્ચ્યુઅલ સંમેલન દરમિયાન તેના માટે દબાણ કરશે.

    તાલિબાને બીબીસીને કહ્યું કે અંતિમતિથિમાં ફેરફાર કરારનું ઉલ્લંઘન ગણાશે.

    હજારો લોકોને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, તો હજુ પણ કાબુલ ઍરપૉર્ટની બહાર દેશમાંથી બહાર નીકળવા માટે લોકોની ભીડ એકઠી થઈ છે.

    સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન આગામી 24 કલાકમાં અંતિમ તારીખ વધારવા કે ન વધારવા પર અંતિમ નિર્ણય લઈ શકે છે.

    વ્ટાઇટ હાઉસ અનુસાર, સોમવારે સ્થાનિક સમયાનુસાર સવારે 7થી સાંજે 7 વાગ્યા વચ્ચે કાબુલથી 10,900 લોકોને કાઢવામાં આવ્યા છે.

    વ્હાઇટ હાઉસનું કહેવું છે કે 14 ઑગસ્ટે ઍરલિફ્ટ શરૂ થયા બાદ અમેરિકાએ અંદાજે 48,000 લોકોને કાઢ્યા છે અથવા તેની વ્યવસ્થા કરી છે.

  13. નમસ્તે, ગુડ મૉર્નિંગ

    બીબીસી ગુજરાતીના આ લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાની તમામ અપડેટ્ તથા મહત્ત્ત્વના મુદ્દાઓ પર દૃષ્ટિકોણ પણ રજૂ કરીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.