You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અફઘાનિસ્તાનમાંથી ભારતે અત્યાર સુધીમાં કેટલા લોકોને બહાર કાઢ્યા?

અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ તાલિબાને રવિવારે રાતે જણાવ્યું કે તેના સેંકડો લડાકુ પંજશીર ખીણ તરફ નીકળી ચૂક્યા છે.

લાઇવ કવરેજ

  1. ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટે કહ્યું, 'આ રીતે માર્ગ બંધ ન કરી શકાય'

    સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને ખેડૂત આંદોલનને લીધે ધોરી માર્ગ પર વાહનવ્યવહાર બંધ થઈ જવાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે કહ્યું છે. ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ કૃષીકાયદાનો વિરોધ કરી રહ્યા છે.

    જસ્ટિસ સંજય કિશન કોલના વડપણવાળી સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું છે કે પ્રદર્શનકારી ખેડૂતોને નિર્ધારિત સ્થાન પર વિરોધ કરવાનો હક છે, પણ તેઓ ટ્રાફિકના અવગમનને બંધ કરી શકે નહીં.

    આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાને પીઠે કહ્યું, "સમસ્યાનો ઉકેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના હાથમાં છે. તમારે આનો ઉકેલ શોધવો પડશે. તેમને એક સ્થાને વિરોધ કરવાનો હક હોઈ શકે પણ રસ્તાઓને આ રીતે બંધ ન કરી શકાય."

    નોઇડાની એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સરકારને એવા નિર્દેશ આપવાની માગ કરી હતી કે નોઇડાથી દિલ્હીનો રસ્તો ખાલી કરાવાય, જેથી કોઈને આવવા-જવામાં મુશ્કેલી ન નડે.

    સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 20 સપ્ટેમ્બેર નક્કી કરી છે.

  2. પંજશીરને દ્વારે ઘમસાણ, કેટલાય તાલિબાનીઓ માર્યા ગયા હોવાનો અફઘાન ઉપરાષ્ટ્રપતિનો દાવો

    અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દાવો કર્યો છે કે પંચશીર પાસે તાલિબાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, તો તાલિબાને આ વાતનો ઇનકાર કર્યો છે.

    અફઘાનિસ્તાન પંજશીર પ્રાંતમાં તાલિબાન અને રાષ્ટ્રીય પ્રતિરોધ મોરચા વચ્ચે લડાઈ શરૂ થઈ છે, જેમાં બંને પક્ષોએ એકબીજાને નુકસાન અને જાનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

    અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તાલિબાને પંજશીર ખીણના પ્રવેશદ્વાર પાસે પોતાના લડાકુઓને એકઠા કરવાની કોશિશ કરી છે.

    પરંતુ તેમના અનુસાર, તાલિબાનોને અંદરાબ ખીણમાં ભારે નુકસાન થયું છે.

    તાલિબાનનાં સૂત્રો અનુસાર, તેમનો એક કમાન્ડર કારી ફસીહુદ્દીન આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે.

  3. પહેલી વાર તાલિબાનનો ઇન્ટરવ્યૂ કરનાર ટીવી ઍન્કર હજી કેમ ભયભીત છે?

    "કોઈ શીર્ષ અધિકારીનો ઇન્ટરવ્યૂ લેનારી મહિલા પત્રકાર" ભાગ્યે જ દુનિયાના કોઈ દેશમાં સમાચારમાં ચમકે.

    પરંતુ મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ તાલિબાનના ક્રૂર ઇતિહાસને જોતાં ઘણા લોકો એ જાણીને દંગ રહી ગયા કે તાલિબાનના એક શીર્ષ અધિકારી મૌલવી અબ્દુલહક હેમાદ ટોલો ન્યૂઝની ટીવી ઍન્કર બેહેશ્તા અરઘંદને ઇન્ટરવ્યૂ આપવા માટે રાજી થઈ ગયા.

    પહેલી વાર આવું બન્યું કે તાલિબાનના કોઈ નેતા ટીવી સ્ટુડિયોમાં આવ્યા હોય.

    એ ઇન્ટરવ્યૂ બાદ બેહેશ્તાએ બીબીસીને કહ્યું કે "તેઓ કહે છે કે તેમને અફઘાન મહિલાઓથી કોઈ સમસ્યા નથી, અમે તેમના કામ કરવાનું સમર્થન કરીએ છીએ... પરંતુ મને ડર છે."

    તેઓ કહે છે કે હવે કાબુલ શહેર અને તેમના સ્ટુડિયોનો માહોલ બદલાઈ ગયો છે. હવે તેઓ ટીવી પર મહેમાનો સાથે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખૂલીને વાત નથી કરતાં. તેઓ સાવધાનીથી શબ્દપ્રયોગ કરે છે.

    "એક કે બે મહિના બાદ તેઓ (તાલિબાન) અમારા માટે કેટલાક કાયદા ઘડશે. મને લાગે છે કે તેઓ અમે જે ઇચ્છીએ છીએ એ કરવાની મંજૂરી નહીં આપે. તેઓ અમારી આઝાદી કઠિન બનાવી દેશે. તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી, પણ અમારે સાવધાન રહેવું પડશે. હું બહુ સાવધ છું."

    "સંઘર્ષ કરવો પડશે, બલિદાન પણ આપવું પડશે"

    તાલિબાનની સત્તામાં વાપસીને જોતાં કેટલીક ટીવી ચેનલોએ પોતાની મહિલા ઍન્કરને ઑફઍર કરી દીધી છે.

    એટલે સુધી કે રાજકીય કાર્યક્રમોની જગ્યાએ ઇસ્લામના ધર્મશાસ્ત્ર પર ચર્ચાના વિષયો લવાયા છે.

    તાલિબાનોએ કહ્યું હતું કે મહિલાઓને 'ઇસ્લામના કાયદાના સંરચના હેઠળ' કામ અને ભણવાની મંજૂરી અપાશે.

    પરંતુ મંગળવારે (17 ઑગસ્ટ) અન્ય એક ન્યૂઝ ઍન્કર ખાદિજા અમીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે તાલિબાને તેમને અને અન્ય મહિલા કર્મચારીઓને દેશની સરકારી ટીવી રેડિયો ટેલિવિઝન અફઘાનિસ્તાનથી અનિશ્ચિતકાળ માટે સસ્પેન્ડ કરી દીધાં છે.

    કેટલીક મહિલાઓએ બીબીસીને કહ્યું કે તેઓ ડરને લીધે કામ પર જઈ શકતી નથી.

    બેહેશ્તા કામ પર પાછા ફર્યાં છે, કેમ કે તેમને લાગ્યું કે અનિશ્ચિતતાના આ સમયમાં તેમની ન્યૂઝરૂમમાં જરૂર છે.

    તેમણે જણાવ્યું, "મેં જાતને કહ્યું, ચલો... આ અફઘાન મહિલાઓ માટે એક મહત્ત્વનો સમય છે."

    જ્યારે તેઓ ઑફિસ જતાં હતાં ત્યારે તેમને તાલિબાન લડાકુઓએ રોકીને પૂછ્યું કે એકલી કેમ નીકળી છે? શરિયત અનુસાર એક પુરુષ સંબંધી તેમની સાથે કેમ નથી?

    તેઓ કહે છે, "અમે સારી સ્થિતિમાં નથી. અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે આ સારું નથી. ચોક્કસથી આવનારી પેઢી માટે અમારે સંઘર્ષ કરવો પડશે, બલિદાન પણ આપવું પડશે."

  4. તાલિબાન ઉઠાવીને લઈ જાય એના કરતાં મરવું સારું- હઝારા વિદ્યાર્થિનીની વ્યથા

    કાબુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નવા સત્ર શરૂ થવાનો હાલનો સમય છે.

    જોકે, જ્યારથી તાલિબાનના લડવૈયાઓએ અહીંના રસ્તાઓ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, કેટલીય વિદ્યાર્થિનીઓ પોતાના જીવનના પુરાવા નષ્ઠ કરવામાં લાગી ગઈ છે.

    આ વિદ્યાર્થિનીઓ એ લઘુમતી સમુદાયમાંથી આવે છે, જેને તાજેતરનાં વર્ષોમાં તાલિબાન દ્વારા કરાતાં અપહરણ અને હત્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વિદ્યાર્થિનીઓએ બીબીસી સાથે વાત કરી છે.

    બીબીસીને તેમણે જણાવ્યું કે કઈ રીતે ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાંના ચૂરેચૂરા થઈ ગયા.

    બીબીસીને તેમણે જે કંઈ પણ જણાવ્યું, એ જાણો એમની જ જુબાનીમાં...

  5. તાલિબાન બે દાયકામાં બદલાયું છે કે માત્ર ડાહી ડાહી વાતો કરે છે?

  6. અફઘાનિસ્તાનમાં ફસાયેલા 146 લોકો ભારત પહોંચ્યા

    અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ભારતનું અભિયાન ચાલુ છે.

    સોમવારે 146 ભારતીય નાગરિકો દોહાના રસ્તેથી ભારત પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ બધા લોકો ત્રણ અલગઅલગ ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા છે.

    આ સાથે જ ગત અઠવાડિયાથી અત્યાર સુધીમાં ભારત અંદાજે 400 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી ચૂક્યું છે.

    15 ઑગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દેશમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગવાની કોશિશ કરી રહ્યા છે.

    જોકે તાલિબાન કહી ચૂક્યા છે કે તેઓ 'બદલાની ભાવના'થી કોઈ કાર્યવાહી નહીં કરે.

    પણ વિશેષજ્ઞોનું માનવું છે કે આ સંગઠનના ક્રૂર ઇતિહાસને જોતાં તેમના પર વિશ્વાસ કરવો બહુ વહેલું ગણાશે.

    ગઈ કાલે ભારતીય વાયુસેનાનું વિમાન 168 લોકોને લઈને પહોંચ્યું હતું.

  7. તાલિબાનને પાકિસ્તાન અને ચીન ઘાતક હથિયારો પૂરાં પાડે છે?

    અફઘાનિસ્તાનમાં હાલ મચી રહેલી અફરાતફરીનાં દૃશ્યો તમે પણ જોયાં હશે.

    ક્યાંય ડરથી ભાગતા લોકો તો ક્યાંક લોકોને ગોળીબાર કરી ખદેડતા તાલિબાનો.

    રશિયાના અફઘાનિસ્તાનમાં આવવાથી લઈને અમેરિકા સામે તાલિબાનોના સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવી દીધા છે.

    એવી અનેક તસવીરો તમે જોઈ હશે જેમાં તાલિબાનો ઘાતક હથિયારો સાથે ઊભા હોય, પરંતુ આ હથિયારો આવે છે ક્યાંથી?

    જુઓ આ વીડિયોમાં.

  8. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી ચીન અને પાકિસ્તાનને 'લૉટરી લાગી?'

    ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગે કહ્યું હતું કે "ચીન તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ અને પારસ્પરિક સહકારનો સંબંધ વિકસાવવા તૈયાર છે. ચીન અફઘાનિસ્તાનમાં શાંતિ તથા પુનર્નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવવા ઇચ્છે છે."

    તો પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે "અફઘાનિસ્તાનમાં અત્યારે જે થઈ રહ્યું છે, એ ગુલામીની સાંકળો લોકોએ તોડી નાખી છે. તમે કોઈની સંસ્કૃતિને અપનાવો ત્યારે એવું માનવા લાગો છો કે એ સંસ્કૃતિ તમારાથી ઊંચી છે અને આખરે તમે તેના ગુલામ બની જાઓ છો."

    અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી ચીન તથા પાકિસ્તાન તરફથી આવેલાં આ નિવેદનો તાલિબાન માટેની તેમની સ્વીકૃતિને સ્પષ્ટ રીતે જાહેર કરે છે.

    એક તરફ અફઘાનિસ્તાનમાંથી વ્યાકુળ લોકોની ચિંતાજનક તસવીરો આવી રહી છે ત્યારે બીજી તરફ ચીન અને પાકિસ્તાનનું તાલિબાન પ્રત્યેનું નરમ વલણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.

  9. જાતિગત વસતીગણતરી પર મોદીને મળવા પહોંચ્યા નીતીશકુમાર

    બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર સોમવારે સવારે જાતિગત વસતીગણતરી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના આવાસ પહોંચ્યા છે.

    નીતીશકુમારની સાથે બિહારના તમામ નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

    તેમાં બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવ અને પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝી પણ સામેલ છે.

  10. તાલિબાનના કબજા બાદ સુરતના વેપારીઓને શું અસર થઈ?

    અફઘાનિસ્તાનના કાબુલ પર તાલિબાનોએ નિયંત્રણ મેળવી લીધું છે અને ત્યાં લોકોમાં પણ ડરનો માહોલ છે.

    ત્યારે સુરતના કાપડના વેપારીઓ પણ તાલિબાનના કબજા બાદ ચિંતિત છે.

    વેપારીઓ કહે છે કે તાલિબાનની કથની અને કરણીમાં ફરક છે, આથી તેઓ તેમની સાથે વેપાર નહીં કરે.

    જુઓ વીડિયોમાં કે વેપારીઓ અફઘાનિસ્તાન અને તાલિબાન અંગે શું કહી રહ્યા છે?

  11. બ્રેકિંગ, કાબુલ ઍરપૉર્ટની બહાર ગોળીબારમાં એક અફઘાન ગાર્ડનું મોત

    કાબુલ ઍરપૉર્ટના ઉત્તર દ્વાર પર અજ્ઞાત બંદૂકધારીઓ, અફઘાન સુરક્ષાબળો અને પશ્ચિમી દેશોના સૈનિકો વચ્ચેના ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ અન્ય ઘાયલ થયા છે.

    સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, જર્મન સેનાના એક ટ્વિટર સંદેશમાં કહેવાયું કે ગોળીબારમાં એક અફઘાન ગાર્ડનું મોત થયું છે.

    સમાચાર એજન્સી એએફપીએ પણ એક વ્યક્તિનાં મોતની પુષ્ટિ કરી છે.

    જર્મન આર્મીએ એક નિવેદનમાં કહ્યું, "આજે સવારે 4 વાગ્યા અને 13 મિનિટ પર કાબુલ ઍરપૉર્ટના ઉત્તર ગેટ પર અજ્ઞાત હુમલાખોરો અને અફઘાન સુરક્ષા ગાર્ડ્સ વચ્ચે ગોળીબાર થયો, એક અફઘાન ગાર્ડનું મોત થયું અને ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. બાદમાં જર્મન સેના અને અમેરિકન સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી."

    દેશ છોડવા માગતા હજારો અફઘાનો હજુ પણ કાબુલ ઍરપૉર્ટની બહાર જમા થયેલા છે.

  12. બ્રેકિંગ, પંજશીર ખીણ પાસે તાલિબાનોને ભારે નુકસાન- અમરુલ્લા સાલેહનો દાવો

    અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તાલિબાને પંજશીર ખીણના પ્રવેશદ્વાર પાસે પોતાના લડાકુઓને એકઠા કરવાની કોશિશ કરી છે.

    પરંતુ તેમના અનુસાર, તાલિબાનોને અંદરાબઘાટીમાં ભારે નુકસાન થયું છે.

    રવિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક સંદેશમાં તેમણે લખ્યું કે સંઘર્ષ કરનારી તાકાતોએ સાલંગ રાજમાર્ગને બંધ કરી દીધો હતો અને આ એક એવો વિસ્તાર છે, જેનાથી તાલિબાનોએ બચવું જોઈતું હતું.

    સાલેહના તાજેતરના નિવેદન પર તાલિબાને કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ પ્રવક્તા જબીહલ્લા મુજાહિદે રવિવારે બીબીસીને જણાવ્યું કે તેઓ પોતાના લડાકુઓ સાથે વાતચીતના માધ્યમથી આ મુદ્દાના ઉકેલ માટે કોશિશ કરી રહ્યા છે.

  13. બ્રેકિંગ, તાલિબાન પર વિશ્વાસના સવાલ પર શું બોલ્યા જો બાઇડન?

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તાલિબાન ઇચ્છે છે કે તેને માન્યતા આપવામાં આવે. આ મામલે ઘણા વાયદા પણ કરવામાં આવ્યા છે, પરંતુ અમેરિકન સરકાર એ જોશે કે તે વાયદાઓને લઈને કેટલું ગંભીર છે.

    જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ તાલિબાન પર ભરોસો કરે છે, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોઈની પર ભરોસો કરતા નથી.

    તેમણે કહ્યું કે "હું કોઈની પર ભરોસો કરતો નથી. તાલિબાને એક મૌલિક નિર્ણય લેવાનો છે. શું તાલિબાન અફઘાનિસ્તાનના લોકોને એક કરવામાં અને તેમની ભલાઈ માટે પ્રયાસ કરવા જઈ રહ્યું છે, જે 100 વર્ષથી કોઈ એક સમૂહે ક્યારેય કર્યું નથી?"

    "જો તે એવું કરે તો તેને આર્થિક મદદ અને વેપારથી લઈને તમામ મામલામાં મદદની જરૂર પડશે."

  14. એ સમયનું અફઘાનિસ્તાન કેવું હતું?

    આજે વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ આ 1972નું અફઘાનિસ્તાન છે. એક સમયે મહિલાઓ આટલી સહેલાઈથી કાબુલના રસ્તા પર ફરી શકતી હતી.

    પચાસ વર્ષ પહેલાં કાબુલ કોઈ પણ અન્ય આધુનિક શહેર જેવું જ હતું, પરંતુ પછી 1990ના દાયકામાં યુદ્ધ અને કટ્ટરપંથી તાલિબાની શાસને દેશની સિકલ બદલી નાખી, ના માત્ર મહિલાઓનું શિક્ષણ પરંતુ તેમને ઘરથી બહાર નીકળવા પર પણ પાબંદી લાદી દેવામાં આવી.

    જુઓ પહેલાંનું અફઘાનિસ્તાન કેવું હતું.

  15. તાલિબાનો માટે પંજશીર કબજે કરવું કેમ મહત્ત્વનું છે?

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 દૂર ઈશાન દિશામાં પહાડો વચ્ચે ઘેરાયેલી એવી ખીણ આવેલી છે, જે આજેય તાલિબાન સામે પડકાર બનીને ઊભી છે અને આ ખીણના પ્રદેશમાં છેલ્લાં 40 વર્ષોથી કોઈ પણ વિદેશી દળો પ્રવેશી શક્યાં નથી.

    પંજશીર ખીણે 1979-1989 દરમિયાન સોવિયેત સંઘની સેનાનો સામનો કર્યો હતો અને તે પછી નેવુંના દાયકામાં 1996-2001 દરમિયાન તાલિબાનને પણ અહીં ઘૂસવા નહોતા દીધા.

    બીબીસી અફઘાન સર્વિસના પત્રકાર મરિયમ અમાન કહે છે કે, "અફઘાનના વર્તમાન ઇતિહાસમાં પંજશીર ખીણ પર ક્યારેય કોઈને વિજય મળ્યો નથી, વિદેશી દળોને કે તાલિબાનને કોઈને નહીં."

    અમાને બીબીસી મુન્ડોને જણાવ્યું કે, "છેલ્લા બે દાયકા દરમિયાન આ પ્રદેશ સૌથી સલામત વિસ્તાર અને ઘણા અફઘાનો માટે સામનો કરવા માટેનો પ્રદેશ બનીને રહ્યો છે."

    આજે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી પંજશીર એક માત્ર એવો પ્રાંત છે, જેના પર તાલિબાન કબજો કરી શક્યું નથી.

  16. તાલિબાનના 'સેંકડો' લડાકુ પંજશીર પર કબજા માટે નીકળ્યા

    તાલિબાને રવિવારે રાતે જણાવ્યું કે તેના 'સેંકડો' લડાકુ પંજશીરઘાટી તરફ નીકળી ચૂક્યા છે.

    પંજશીર અફઘાનિસ્તાનના એ વિસ્તારોમાંનું એક છે જેનું નિયંત્રણ હજુ પણ તાલિબાન પાસે નથી.

    કાબુલના ઉત્તરમાં આવેલું પંજશીર તાલિબાન વિરોધીઓનો ગઢ રહ્યો છે, જેની કમાન હવે પૂર્વ મુજાહિદીન કમાન્ડર અહમદશાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના હાથમાં છે.

    અલ-કાયદાએ 9/11 અમેરિકાના હુમલાના બે દિવસ પહેલાં જ અહમદશાહ મસૂહની હત્યા કરી નાખી હતી.

    તાલિબાને પોતાના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કર્યું કે 'સ્થાનિક અધિકારીઓએ શાંતિપૂર્ણ રીતે પંજશીર તેમને ન આપતાં હવે ઇસ્લામી અમિરાતના સેંકજો મુજાહિદીન તેના નિયંત્રણ માટે આગળ વધી રહ્યા છે.'

    રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો પંજશીર તરફ ગયા છે.

    મસૂદના નેતૃત્વવાળા તાલિબાનવિરોધી દળનો દાવો છે કે તેણે તાલિબાનો સામે જંગ માટે અંદાજે 9,000 લોકોને એકઠા કરી રાખ્યા છે.

    તો મસૂદે સાઉદી અરબના મીડિયા પ્રસારક અલ-અરબિયાને કહ્યું કે ઘણા અફઘાન પ્રાંતોમાંથી સરકારી સુરક્ષાબળો ભાગીને પંજશીરમાં આવ્યા છે.

    તેમણે કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનના રક્ષા માટે તૈયાર છે અને ખૂનખરાબાની ચેતવણી આપે છે.

    નમસ્કાર!

    બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમારું સ્વાગત છે. અમે અહીં તમને દિવસભરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને લાઇવ અપડેટ્સ આપતા રહીશું.