You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પ્રધાને વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટવા મામલે શું કહ્યું?

ચંદ્રની સપાટી ઉપર ઉતરણના બે કિલોમિટર પૂર્વે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો, ડેટાનું વિશ્લેષણ હાથ ધરાયું.

લાઇવ કવરેજ

  1. દેશને સંબોધતા નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

    વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે ભલે આપણે કેટલીક બાધાઓ નડી હોય પરંતુ તેનાથી અમારો ઉત્સાહ ઘટ્યો નથી પરંતુ મજબૂત થયો છે. આજ ભલે આપણા રસ્તામાં બાધાઓ આવી હોય પરંતુ આપણે આપણી મંજિલથી ડગ્યા નથી.

    આજે ચંદ્રને સ્પર્શવાની આપણી ઇચ્છાશક્તિ વધારે દૃઢ થઈ છે અને આપણો સંકલ્પ વધારે પ્રબળ થયો છે.

    સાથીઓ ગઈ રાત્રે હું તમારી મનની સ્થિતિ સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહી રહી હતી. તમારા ચહેરા પર છવાયેલી ઉદાસી હું વાંચી શકતો હતો. વધારે સમય હું તમારી સાથે ના રોકાયો. અનેક રાતો તમે ઊંઘ્યા નથી. તેમ છતાં મને થયું કે એક સવારે ફરી તમને બોલાવું. તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ અલગ જ અવસ્થામાં હતી, ઘણા સવાલો હતા. મોટી સફળતાઓ સાથે આપણે આગળ વધતા ગયા. અચાનક બધું સામે દેખાતું બંધ થઈ ગયું. મેં પણ એ પળને તમારા સાથે જીવી હતી.

    આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માગું છું કે ભારત તમારી સાથે છે. તમે બધા મહાન પ્રોફેશનલ છો, જેમણે દેશની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને દેશને ગર્વ કરવાની અનેક તક આપી.

    તમે લોકો માખણ પર લકીર દોરનારા નથી તમે પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. એ તમે લોકો જ છો જેમણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયામાં આ પ્રકારની ઉપલબ્ધિ કોઈના નામે ન હતી.

    આપણા ચંદ્રયાને દુનિયાને ચંદ્ર પર પાણી હોવાની મહત્ત્વની જાણકારી આપી હતી. હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને સલામ કરું છું. તેમનું મૌન પરંતુ મહત્ત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યું.

    આપણે અસફળ થઈ શકીએ છીએ પરંતુ આપણા જોશ અને ઊર્જામાં કોઈ કમી નહીં આવે. આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.

    આપણે નિશ્ચિત રૂપે સફળ થઈશું. આ મિશનના આગળના પ્રયાસમાં પણ અને તે બાદના પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે હશે."

  2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન, 'મેં પણ તમારી સાથે એ પળને જીવી'

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચી ગયા છે અને તેમણે દેશને સંબોધવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે આપણે આપણા રસ્તા પરથી ડગ્યા નથી.

  3. નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

    ISROએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે શનિવારે સવારે આઠ કલાકે ઈસરોના કંટ્રોલ સેન્ટર ખાતેની રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

  4. જ્યારે અમંગળના અણસાર આવ્યા

    ચંદ્રયાન-2નો વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઊતરતાની થોડીવાર પહેલાં જ તૂટી ગયો હતો.

    ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, "વિક્રમ લૅન્ડર યોજના પ્રમાણે જ ઊતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય હતું. જોકે, બાદમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે."

    વિક્રમ 7 સપ્ટેમ્બરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઊતરવાનું હતું.

    સ્પેસ નિષ્ણાતોનું કહેવું છે કે હવે વિક્રમ લૅન્ડર અંગેની માહિતી આવતા બેથી ત્રણ દિવસ નીકળી શકે છે.

    હજી સુધી મિશન નિષ્ફળ ગયું છે કે નહીં તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

  5. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિક્રમ લૅન્ડિંગની પ્રક્રિયા સમયે ઈસરોના મુખ્યાલયમાં હતા. તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું કે તેઓ તેમની સાથે છે. મોદીએ કહ્યું, "દેશ તમારા પર ગર્વ છે, તમે હિંમત જાળવી રાખજો. તમે દેશની સૌથી મોટી સેવા કરી રહ્યા છો." સાથે જ મોદીએ વૈજ્ઞાનિકોનાં વખાણ પણ કર્યાં હતાં. જે બાદ તેઓ બાળકોને મળવા માટે ગયા હતા.

  6. વિક્રમ લૅન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો

    ઈસરોના ચૅરમૅને ચંદ્રયાન-2 મિશન અંગે માહિતી આપતા કહ્યું કે ચંદ્રની સપાટી પર ઊતરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. 2.1 કિલોમિટર ચંદ્રની સપાટીથી દૂર હતા ત્યારે લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

  7. વિક્રમ લૅન્ડરના લૅન્ડિંગ અંગે માહિતીનો ઇંતેજાર

    વિક્રમ લૅન્ડરના લૅન્ડિંગ અંગે હજી સુધી કોઈ સમાચાર મળી શક્યા નથી. ઈસરોનું સેન્ટર પણ લૅન્ડર તરફથી કોઈ માહિતી મળે તેની રાહ જોઈ રહ્યું છે. થોડીવારમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

  8. લૅન્ડર વિક્રમની ચંદ્રની સપાટી પર ઊતરવાની પ્રક્રિયા શરૂ

    લૅન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે ધીરે ધીરે તેની ગતિને ઓછી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેથી સૉફ્ટ લૅન્ડિંગ કરી શકાય.

  9. ચંદ્રયાન-2 ચંદ્ર પર ખરેખર કરશે શું?

    ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર મુખ્યત્વે પાણીની શોધ કરશે. એટલે કે ચંદ્ર પર પાણી છે કે નહીં તેની તપાસ ચંદ્રયાન-2 દ્વારા કરશે.

    ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પર વધારે છાયામાં રહે છે. જેના કારણે ત્યાં પાણી હોવાની શક્યતા વધારે છે.

    એ સિવાય પણ ચંદ્રયાન-2માં કેટલાંક ઉપકરણો રાખવામાં આવ્યાં છે જે પાણી સિવાય પણ અન્ય માહિતી એકઠી કરશે.

    • ચંદ્રયાન-2માં કુલ 14 ઉપકરણો રાખવામાં આવ્યાં છે, જેમાં 8 ઉપકરણો ઑર્બિટમાં, 4 ઉપકરણો વિક્રમ લૅન્ડરમાં અને 2 ઉપકરણો પ્રજ્ઞાન રોવરમાં રાખવામાં આવ્યાં છે. ચંદ્રયાન-1માં કુલ 13 ઉપકરણો હતાં.
    • નકશો : ચંદ્રની સપાટીનો નકશો બનાવવામાં મદદ કરશે. રોવર પ્રજ્ઞાનમાં બે કૅમેરા રાખવામાં આવ્યા છે, જેના દ્વારા થ્રીડી નકશો તૈયાર કરી શકાશે.
    • ખનિજો : વિવિધ ઉપકરણો દ્વારા ચંદ્રની સપાટી પર ક્યાં ખનિજો આવેલાં છે તેની તપાસ કરવામાં આવશે.
    • સોલાર એક્સ-રે : અહીં સોલાર રેડિયેશનની તીવ્રતાને પણ માપવામાં આવશે.
    • પાણી : અહીં બરફના રૂપમાં પાણી જમા થયેલું છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવશે.
    • ચંદ્રનું વાતાવરણ : ચંદ્રયાન-2 તેનાં ઉપકરણો દ્વારા ચંદ્રના બહારના વાતાવરણની માહિતી પણ એકઠી કરશે.
  10. મોદી ઈસરો પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુના મુખ્યમથકે પહોંચ્યાં છે. અહીં ઈસરોના ચૅરમૅન કે સિવને તેમનું સ્વાગત કર્યું હતું.

    નરેન્દ્ર મોદી અહીં સમગ્ર પ્રક્રિયાના સાક્ષી બનશે અને તેમની સાથે કેટલાંક બાળકો પણ આ પ્રક્રિયાને નિહાળશે.

  11. કેવી રીતે થશે લૅન્ડિંગની પ્રક્રિયા?

    થોડા જ કલાકોમાં ચંદ્રયાન-2નું લૅન્ડિંગ મૉડ્યૂલ વિક્રમ ચંદ્રની સપાટી પર લૅન્ડિંગની પ્રક્રિયા શરૂ કરશે. તે ચંદ્રની અત્યારની તેની ભ્રમણકક્ષાના નજીકના પૉઇન્ટથી તે સપાટી પર ઊતરવાનું શરૂ કરશે.

    વિક્રમ લૅન્ડર રાત્રીના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઊતરશે. જે બાદ સવારના 5:30થી અને 6:30 વાગ્યાની વચ્ચે વિક્રમ લૅન્ડરમાંથી રોવર પ્રજ્ઞાન બહાર નીકળશે.

    જો આ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક થઈ તો ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બની જશે.

  12. ચંદ્રયાન-2નું સૉફ્ટ લૅન્ડિંગ થોડા કલાકોમાં

    ઈસરોએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચંદ્રયાન-2ના સૉફ્ટ લૅન્ડિંગ માટે હવે 3 કલાક કરતાં પણ ઓછો સમય રહ્યો છે.

  13. ચંદ્રયાન-2ના લૅન્ડિંગની પ્રક્રિયાને તમે લાઇવ કેવી રીતે જોશો?

    જે લોકો ચંદ્રયાન-2ના સૉફ્ટ લૅન્ડિંગને જોવા માટે ઉત્સુક હોય તેઓ દૂરદર્શન પર તેને જોઈ શકશે. ઈસરોની વેબસાઇટ પર પણ તેનું વેબકાસ્ટ કરવામાં આવશે. આ લાઇવ ટેલિકાસ્ટ 7 સપ્ટેમ્બરની રાત્રે 1.10 વાગ્યે શરૂ થશે.

    બીબીસી ગુજરાતીના ફેસબુક પેઇજ અને યૂટ્યૂબ ચેનલ પર પણ આ લાઇવ ટેલિકાસ્ટ પ્રસારિત કરવામાં આવશે.

    ઈસરોની સોશિયલ મીડિયા ચેનલ યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર પર પણ તેને પ્રસારિત કરવામાં આવશે.

  14. ચંદ્રયાન-2 પહેલાંનાં ચંદ્ર તરફનાં મિશનો

    ચંદ્રયાન-2એ ચંદ્ર તરફનું 110મું સ્પેસ મિશન છે. આ દાયકામાં ચંદ્ર તરફ થયેલાં મિશનોમાં તે 11મું છે.

    1958થી 1976 વચ્ચે ચંદ્ર તરફનાં સૌથી વધારે મિશનો હાથ ધરવામાં આવ્યાં હતાં.

    આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીનાં 109માંથી 90 મિશનો હાથ ધરાયાં હતાં.

  15. કામયાબી મળી તો ભારત આવું કરનારો પ્રથમ દેશ

    દુનિયાનો એક પણ દેશ નથી કરી શક્યો તે હવે ભારત કરવા જઈ રહ્યું છે. ભારતનું ચંદ્રયાન-2 મોડીરાતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઊતરશે.

    ચંદ્રના આ હિસ્સા સુધી પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ હશે. ઈસરોમાં પણ વૈજ્ઞાનિકો આ ક્ષણનો ઇંતેજાર કરી રહ્યા છે.

  16. ચંદ્રની સપાટી પર ઊતરનારો ભારત ચોથો દેશ બનશે

    ભારત આવનારા કેટલાંક કલાકોમાં ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. રાત્રે 1-30 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-2 ચંદ્ર પર ઊતરશે.

    ચંદ્રયાન-2 જેવું જ ચંદ્રની સપાટી પર ઊતરશે તેની સાથે જ ભારત એ દેશોના લિસ્ટમાં સામેલ થઈ જશે જે ચંદ્રની સપાટી સુધી પહોંચી ચૂક્યા છે.

    ભારત આવું કરનારો ચોથો દેશ બની જાશે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયા ચંદ્રની સપાટી પર તેમનાં રોવર કે લૅન્ડર ઉતારી ચૂક્યા છે.

    જોકે, ભારતનું ચંદ્ર પર પહોંચવાનું આ મિશન એ દેશોનાં મિશન કરતાં ઘણા ઓછા ખર્ચે તૈયાર થયું છે.

    ઈસરોના વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા સમયથી દિવસ-રાત કામ કરીને આ મિશનને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે, હવે એ ઘડી નજીક આવી ચૂકી છે.

  17. વડા પ્રધાન મોદીની લોકોને અપીલ

    ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર ઊતરવાની પ્રક્રિયાને જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બેંગલુરુ સ્થિત ભારતીય સ્પેસ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)ના મુખ્યમથકે પહોંચશે. વડા પ્રધાન 9 વાગ્યાની આસપાસ બેંગલુરુ પહોંચી ગયા છે.

    વડા પ્રધાન મોદીએ શુક્રવારે લોકોને આગ્રહ કર્યો હતો કે લોકો ચંદ્રયાન-2ની ચંદ્ર પર ઊતરવાની પ્રક્રિયા જુએ અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરે.

    તેમણે ટ્વીટ કરીને કહ્યું, "મારો તમને બધાને આગ્રહ છે કે ચંદ્રયાન-2ની વિશેષ ક્ષણને દક્ષિણ ધ્રુવ પર ઊતરતી જુઓ. તમારી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરો. હું તેમાંથી કેટલીકને રિટ્વીટ પણ કરીશ."

  18. સાઉથ ધ્રુવ પર ઊતરાણ શા માટે મહત્ત્વનું?

    ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઊતરનારું 29મું સ્પેસક્રાફ્ટ છે. જોકે, તે એ જગ્યાએ ઊતરશે જ્યાં અત્યાર સુધી કોઈ સ્પેસક્રાફ્ટ ઊતર્યું નથી.

    ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર ચંદ્રના સાઉથ ધ્રુવની નજીક ઉતરાણ કરશે. આ પહેલાં નાસાનું સૂર્યયાન 7 1968માં દક્ષિણ ધ્રુવની નજીક ઊતર્યું હતું.

    જોકે, તેનાથી પણ આગળ ભારતનું ચંદ્રયાન-2 ઊતરવાનું છે. જ્યાં તે ચંદ્ર પર પાણી અને તેની સપાટી અંગેની માહિતી મેળવશે.

  19. ચંદ્રયાન-2ના પ્રજ્ઞાન રોવરની આ ખૂબીઓ વિશે તમે જાણો છો ખરા?

    ભારત માટે આજની રાત ઐતિહાસિક હશે, જ્યારે ચંદ્રયાન-2 ચંદ્ર પર લૅન્ડ થશે. ઈસરોના વૈજ્ઞાનિકો આ લૅન્ડિંગને લઈને ઉત્સાહિત છે. જ્યારે ભારતના કરોડો લોકો આ પળની રાહ જોઈ રહ્યાં છે.

    ચંદ્રયાન વિક્રમ લૅન્ડર સાથે ચંદ્ર પર ઊતરશે જે બાદ તેમાંથી રોવર પ્રજ્ઞાન અલગ થશે. અત્યાર સુધી ચંદ્ર પર કોઈ ગયું નથી ત્યાં ચંદ્રયાન-2નું સૉફ્ટ લૅન્ડિંગ ઈસરો કરાવવા જઈ રહી છે.

    રોવર પ્રજ્ઞાન ચંદ્ર અંગેની માહિતી આપણને આપશે પરંતુ આ રોવર કેવી રીતે કામ કરશે તે તમે જાણો છો?

    રોવર પ્રજ્ઞાનમાં કેવી ખૂબીઓ છે તેના અંગે ઈસરોએ માહિતી આપી છે

  20. ચંદ્રયાન-2નું રોવર વિક્રમ લૅન્ડરમાંથી ચંદ્રની સપાટી પર કેવી રીતે ઊતરશે?