You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતનાં સિતારવાદક વિદુષી મંજુ નંદન મહેતાને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર થયેલા સન્માનમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજુ મહેતાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

લાઇવ કવરેજ

  1. સિતારવાદક મંજુ મહેતાને સંગીત નાટક અકાદમીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયાં

    અમદાવાદને દેશભરના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્રની ઓળખ અપાવનારી સંસ્થા 'સપ્તક'નાં સહ-સ્થાપક ટ્રસ્ટી અને પ્રસિદ્ધ સિતારવાદક વિદુષી મંજુ નંદન મહેતાને સંગીત નાટક અકાદમીના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર થયેલા આ સન્માનમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજુ મહેતાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. મંજુ મહેતાને આ સન્માન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાંવાદ્યની શ્રેણીમાં આપવામાં આવ્યું છે. ‘સપ્તક’દ્વારા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

    ધ હિન્દુ અનુસાર, મંજુ મહેતા એ પ્રથમ મહિલા સિતારવાદક છે જેમને 2018 માં પ્રતિષ્ઠિત તાનસેન સન્માન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમીના સહયોગથી પ્રતિષ્ઠિત આટીસી એસઆરએ (વેસ્ટ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    મંજુ મહેતાએ ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ એકમાત્ર મહિલા છે જેઓ રૂઢિચૂસ્ત પરિવારમાંથી બહાર આવ્યાં છે. તેઓ ભારતનાં જાણીતા તબલાવાદક સ્વર્ગિય નંદન મહેતાનાં પત્ની છે અને તેઓ અમદાવાદમાં સંગીતના કુંભ ગણાતા ‘સપ્તક સંગીત સમારોહ’નું પ્રતિવર્ષ આયોજન કરે છે.

  2. રાજકોટ પ્રેમપ્રકરણ : ભાઈએ જે બહેન માટે ભણવાનું છોડી મજૂરી કરી, એની હત્યા કેમ કરી?

  3. ગુજરાતનાં રમખાણો પર અમિત શાહ શું બોલ્યા?

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણીસભામાં કહ્યું કે ગુજરાતમાં પહેલાં અસામાજિક તત્ત્વો હિંસામાં સામેલ રહેતાં હતાં કેમ કે કૉંગ્રેસ એમને સમર્થન કરતી હતી, પણ જ્યારે 2002માં એમને 'પાઠ' ભણાવાયો તો એણે આ પ્રકારની હિલચાલ બંધ કરી દીધી. આ રીતે ભાજપે રાજ્યમાં 'કાયમી શાંતિ' સ્થાપી.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતના ખેડા જિલ્લાના મહુડામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીમાં શાહે કહ્યું, "ગુજરાતમાં 1995 પહેલાં કૉંગ્રેસના શાસનમાં ભારે સાંપ્રદાયકિ રમખાણો થતાં હતાં."

    "કૉંગ્રેસ અલગઅલગ સમુદાયો અને જાતિઓને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરતી હતી. એવામાં રમખાણોથી કૉંગ્રેસે પોતાના મત મજબૂત કર્યા અને સમાજના એક મોટા વર્ગ સાથે અન્યાય કર્યો."

    નોંધનીય છે કે ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન પર આગજનીની ઘટના બાદ આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી.

  4. જિયોએ ગુજરાતના તમામ જિલ્લામાં 5G સુવિધા શરૂ કરી, ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય

    ટૅલિકોમ કંપની જિયોએ શુક્રવારે અજમાયશી તબક્કા હેઠળ ગુજરાતના તમામ 33 જિલ્લા મથકોમાં 5G સુવિધા શરૂ કરી છે.

    ટૅલિગ્રાફના અહેવાલ પ્રમાણે, તમામ જિલ્લા મથકોમાં 5G સુવિધા મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

    અહેવાલમાં કંપનીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત જિલ્લા મુખ્યાલયના 100 ટકા વિસ્તારમાં ‘જિયો ટ્રુ 5G કવરેજ મેળવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે.‘

    ગુજરાતમાં જિયો કોઈપણ વધારાના ખર્ચ વિના ગ્રાહકોને 5G સુવિધા આપી રહ્યું છે.

    રાજ્યમાં આ સેવાની શરૂઆત કંપનીની ‘ટ્રુ 5G’ સંચાલિત પહેલ ‘ઍજ્યુકેશન ફૉર ઑલ’ સાથે થશે. આ પહેલ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો દ્વારા ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે એકસાથે આવી રહ્યા છે.

  5. ભીમા કોરેગાંવ કેસમાં આનંદ તેલતુમ્બડેના જામીનને પડકારતી એનઆઈએની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

    ભીમા કોરેગાંવ કેસમાં પ્રોફેસર આનંદ તેલતુમ્બડેને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ લીવ પિટિશનને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી.

    ભારતનાચીફ જસ્ટિસડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલની બનેલી બેંચે સાથે ઉમેર્યું હતું કે ટ્રાયલમાં નિર્ણાયક અંતિમ તારણો તરીકે હાઈકોર્ટના અવલોકનોને ગણવામાં આવશે નહીં.

    લાઈવલૉઅનુસાર, તેલતુમ્બડેને જામીન આપતી વખતે, હાઈકોર્ટના જસ્ટિસ એએસ ગડકરી અને મિલિંદ જાધવની ડિવિઝન બેન્ચે પ્રાથમિક દૃષ્ટિએ અવલોકન કર્યું હતું કે તેલતુમ્બડે સામે આતંકવાદી પ્રવૃત્તિના ગુના માટે કોઈ પુરાવા નથી.

    આજે સુનાવણી દરમિયાન, ચીફ જસ્ટિસે પણ પૂછપરછ કરી કે તેલતુમ્બડેની ભૂમિકા શું છે.

    તેલતુમ્બડે સામે દાખલ કરાયેલ ચાર્જશીટમાં આરોપ છે કે તેમણે પ્રતિબંધિત સીપીઆઈ(માઓવાદી)ની વિચારધારાને આગળ વધારવા અને સરકારને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું.

    એએસજી ભાટીએ દલીલ કરી હતી કે "આ મામલામાં યુએપીએની 8 જેટલી કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે... હાઈકોર્ટ આમાં ભૂલ કરે છે કે ફરિયાદ પક્ષે જે સામગ્રી દર્શાવી છે તે કલમ 15, 18 અને 20 મુજબ વિશ્વાસને પ્રેરિત કરતી નથી."

    તેમણે સીપીઆઈ(એમ) સાથે તેલતુમ્બડેની 'ઊંડી સંડોવણી' દર્શાવતા ઘણા દસ્તાવેજો ટાંક્યા હતા.

    જો કે, તેલતુમ્બડે તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને માહિતી આપી હતી કે તેમાંથી એક પણ દસ્તાવેજ તેલતુમ્બડે પાસેથી રિકવર થયો નથી. કથિત રીતે તેલતુમ્બડે દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ સહ-આરોપી રોના વિલ્સનના કમ્પ્યુટરમાંથી કથિત રીતે પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

    સિબ્બલે એમ પણ કહ્યું હતું કે તેલતુમ્બડે તેમના ભાઈ મિલિંદ તેલતુમ્બડેથી અલગ થઈ ગયા હતા, જે ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા માઓવાદી નેતા હતા. સિબ્બલે કહ્યું, "હું છેલ્લા 30 વર્ષથી તેમને મળ્યો નથી."મિલિંદને આનંદ સાથે જોડતો એનઆઈએનો કેસ સાંભળેલા પુરાવા પર આધારિત છે, જે કલમ 161સીઆરપીસીહેઠળ નોંધાયેલા નિવેદનમાં આપવામાં આવ્યો છે, જે પુરાવામાં અસ્વીકાર્ય છે એમસિબ્બલે ઉમેર્યું હતું.

    સિબ્બલ કહે છે, "તેઓ એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં પણ ન હતા. તેઓએ એવું કંઈ બતાવ્યું નથી કે તેઓ ત્યાં હતા."

  6. ભારત VS ન્યૂઝીલૅન્ડ: એ ઓવર જેમાં ભારતના હાથમાં મૅચ નીકળી ગઈ

    ભારત સામેની પ્રથમ વનડે ન્યૂઝીલૅન્ડે જીતી લીધી છે. ન્યૂઝીલૅન્ડે ભારતને સાત વિકેટે હરાવી દીધું છે.

    ભારતે જીતવા માટે ન્યૂઝીલૅન્ડ સામે 307 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. સમાન્ય રીતે વનડે મૅચમાં ઘણો સારો ગણાતો આ લક્ષ્યાંક ન્યૂઝીલૅન્ડે સરળતાથી હાંસલ કરી લીધો હતો.

    ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શિખર ધવને મૅચ પૂરી થયા બાદ આ મૅચમાં ભારત ક્યાં પાછું પડ્યું એ અંગે વાત કરી હતી.

    એમણે જણાવ્યું હતું,"(306 રનનો) ટોટલ બનાવીને અમને સારું લાગ્યું હતું. પ્રથમ 15 ઓવર સુધી બૉલ ફરી રહ્યો હતો. આ મેદાન બીજાં મેદાનો કરતાં થોડું અલગ છે. શરૂઆતમાં અમે સારી બૉલિંગ કરી પણ એ બાદ લાથમે પ્રહાર કર્યો. અમુક બૉલ પર અમે ખરાબ ફિલ્ડિંગ પણ કરી અને ત્યાંથી જ એ મૅચ ખેંચી ગયો.40મી ઓવરમાં એણે ચાર બાઉન્ડ્રી ફટકારી અને ત્યાંથી જ રમત બદલાઈ ગઈ. ચોક્કસથી અમારા ખેલાડીઓ માટે આમાંથી ઘણું શીખવાનું છે."

    નોંધનીય છે કે ત્રણ વનડે મૅચોની સિરીઝમાં ન્યૂઝીલૅન્ડે પ્રેથમ મૅચ જીતીને સિરીઝમાં લીડ હાંસલ કરી લીધી છે.આ પહેલાં ભારતે ત્રણ મૅચોની ટી20 સિરીઝમાં ન્યૂઝીલૅન્ડને 1-0થી હરાવીને ટ્રૉફી પોતાના નામે કરી હતી.

  7. બ્રેકિંગ, ન્યૂઝીલૅન્ડે ભારતને હરાવ્યું

    ન્યૂઝીલૅન્ડે ભારતને સાત વિકેટે હરાવી દીધું છે.

    ભારતીય ટીમે જીત માટે ન્યૂઝીલૅન્ડને 307 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ન્યૂઝીલૅન્ડે પૂરો કરી લીધો.

    ભારત તરફથી કૅપ્ટન ઇનિંગ રમતાં શિખર ધવને 72 રન ફટકાર્યા. જ્યારે શુભમન ગીલે 65 બૉલમાં અડધી સદી ફટકારી હતી.

    ન્યૂઝીલૅન્ડ તરફથી ટૉમ લાથમ અને કેન વિલિયમ્સને સૌથી વધુ રન કર્યા હતા.

  8. સુપ્રીમમાં સજાતીય લગ્નને મંજૂરી મળે તે માટે અરજી, કેન્દ્ર સરકારને નોટિસ, સુચિત્રા મોહંતી, બીબીસી માટે

    સમલૈંગિક સમુદાયના સભ્યો સ્પેશ્યિલ મૅરેજ ઍક્ટ હેઠળ પરસ્પર લગ્ન કરી શકે તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેના પગલે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ કાઢી છે અને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.

    સુપ્રીમ કોર્ટે દેશના ઍટર્ની જનરલ આર. વેંકટરામાણીને આ મુદ્દે અદાલતને સહાય કરવા કહ્યું છે. હૈદરાબાદના ગૅ કપલ દ્વારા તેમનાં લગ્નને 1954ના સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ માન્યતા આપવા અરજી કરી છે, જેના ઉપર દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે નોટિસ કાઢી હતી.

    અરજદાર પુરુષો સુપ્રિયો ચક્રવર્તી તથા અભય ડાંગ ગત 10 વર્ષથી ગૅ કપલ છે અને તેમણે જ આ અરજી દાખલ કરી છે.

    અરજદારોનું કહેવું છે કે અગાઉ આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરનારાંઓને સંરક્ષણ આપ્યું છે. હવે, સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવાનો સમય છે.

    અગાઉ નવતેજસિંહ જૌહાર તથા પુટ્ટુસ્વામીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે દેશના અન્ય નાગરિકોની જેમ જ LGBTQ+ સમુદાયના લોકો પણ બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાનતા, સન્માન અને નિજતાના હક્કોના અધિકારી છે. આથી, જેમ અન્યોને મનપસંદ વ્યક્તિ સાથે લગ્નનો અધિકાર છે એમ જ LGBTQ+ સમુદાયના સભ્યોને પણ ઇચ્છિત પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ હોવી જોઈએ.

    ઉલ્લેખનીય છે કે લૅસ્બિયન, ગૅ, બાય-સેક્સયુઅલ, ટ્રાન્સજેન્ડર છે. આ સિવાય ' Q'એ ક્વિર માટે છે, જે પોતાની પસંદ અંગે અસ્પષ્ટ છે.જ્યારે અજાતીય, અલિંગીય, અરૉમેન્ટિક વગેરેને વ્યાપકરૂપે '+'માં સમાવી લેવામાં આવે છે.

  9. મનીષ સિસોદિયાનો દાવો 'કેજરીવાલની હત્યાનું ષડ્યંત્ર', ભાજપે શું કહ્યું?

    દિલ્હી નગરનિગમની ચૂંટણી પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધી રહ્યા છે.

    નવી દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની હત્યા કરવાનું ભાજપ કાવતરું ઘડી રહ્યો છે.

    તેમણે ભાજપના નેતા મનોજ તિવારીના એક ટ્વિટને લઈને સંબંધિત વાત કરી છે.

    મનોજ તિવારીએ ગુરુવારે એક ટ્વીટ કર્યું હતું, "અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને હું ચિંતિત છું કેમ કે સતત ભ્રષ્ટાચાર, ટિકિટોનું વેચાણ તેમજ જેલમાં બળાત્કારીઓ સાથે દોસ્તી તથા મસાજ પ્રકરણને લઈને આપના કાર્યકરો તેમજ જનતામાં ગુસ્સો છે. તેમના ધારાસભ્યોને માર પણ પડી છે. એટલે દિલ્હીના મુખ્ય મંત્રી સાથે આવું ના થાય... સજા ન્યાયાલય જ આપે."

    આના પર સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું, "દિલ્હી અને ગુજરાતમાં ચૂંટણીનો જે પ્રકારનો માહોલ બન્યો છે, એનાથી ભારતીય જનતા પક્ષ ભારે ગભરાઈ ગયો છે અને પોતાના ષડયંત્રોથી ઉપર ઊઠીને હત્યાનો પ્લાન બનાવી રહ્યો છે.”

    “તેમણે ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલજીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ ન રહ્યા તો કાલે મનોજ તિવારીજીએ એક રીતે કેજરીવાલજીને ધમકી આપી છે. જેનાંથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પક્ષ અરવિંદ કેજરીવાલજીની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યો છે.”

    સિસોદિયાએ કહ્યું, “મનોજ તિવારીજીએ કાલે જે ભાષામાં વાત કરી છે, તે સંપૂર્ણપણે ખુલ્લેઆમ આપેલી ધમકી છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ હુમલો કરી શકે છે. જોકે, તેમને આ અંગે ખબર કેવી રીતે પડી, સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. આજે અમે આ વિશે ચૂંટણીઆયોગને અને પોલીસને ફરિયાદ કરીશું અને અમારી માગ છે કે અરવિંદ કેજરીવાલજીને હત્યાની ધમકી આપવાના આરોપસર મનોજ તિવારીજીની ધરપકડ કરવામાં આવે અને આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.”

    હવે મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના આરોપો પર જવાબ આપ્યો છે.

    તેમણે કહ્યું, “મેં ગઈકાલે અરવિંદ કેજરીવાલજીની સુરક્ષાની ચિંતા કરી હતી. હું તો ઇચ્છું છું કે તેઓ સુરક્ષિત રહે. જે રીતે તેમના ધારાસભ્યો માર ખાઈ રહ્યા છે, તેમનો એક કાર્યકર્તા મૃત્યુ પામ્યો છે. આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. અમારું ટ્વીટ વાંચો, અમે શું લખ્યું છે. આ હત્યાની ધમકીની સ્ક્રિપ્ટવાળી વાત આમ આદમી પાર્ટી વર્ષોથી કરતી આવી છે.”

    મનોજ તિવારીએ કેટલાક ટ્વીટ્સ પણ દેખાડ્યા જેમાં તેમણે દાવો કર્યો કે પહેલાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપ પર સીએમ કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હોય. તેમણે વર્ષ 2019નું મનીષ સિસોદિયાનું ટ્વીટ પણ દેખાડ્યું.

    તેમણે કહ્યું કે વર્ષ બદલાય છે પરંતુ તેમના આરોપ એ જ રહે છે.

    દિલ્હીમાં ચાર ડિસેમ્બરે નગર નિગમની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ પહેલાં બંને પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. નગર નિગમની ચૂંટણીના પરિણામો સાત ડિસેમ્બરે જાહેર થશે.

  10. કૉંગ્રેસના મંત્રીનો દાવો, 80 ટકા ધારાસભ્યો સચીન પાઇલટ સાથે

    રાજસ્થાન કૉંગ્રેસમાં અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે ચાલતો વિવાદ હવે ધારાસભ્યો સુધી પહોંચી ગયો છે.

    અશોક ગેહલોતે સમાચાર ચેનલ એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સચીન પાઇલટને ગદ્દાર કહ્યા હતા.

    સચીન પાયલટે જવાબ આપતા કહ્યું કે તેઓ મને નકામો, નાલાયક અને ગદ્દાર વગેરે કહી રહ્યા છે, પરંતુ મારો ઉછેર જે રીતે થયો છે તેમાં આવા શબ્દોનો ઉપયોગ નથી કરાતો.

    સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પાઇલટે એમ પણ કહ્યું છે કે આ રીતે નામ લઈને કાદવ ઉછાળવાથી અને આરોપો લગાવાથી બહુ કંઈ મળવાનું નથી.

    જોકે હવે બંને નેતાઓ વચ્ચેની નિવેદનબાજી હવે બે જૂથ વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ રહી છે.

    શુક્રવારે સવારે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રાજસ્થાન સરકારના મંત્રી આરએસ ગુઢાએ દાવો કર્યો કે રાજસ્થાનના 80 ટકા ધારાસભ્યો સચીન પાઇલટની સાથે છે.

    તેમણે કહ્યું, "ગેહલોત ખુરશી પર એટલા માટે બેઠા છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડનો તેમના પર હાથ છે. મારું કહેવું છે કે સામસામે મુકાબલો થવો જોઈએ. જો રાજ્યના 80 ટકા ધારાસભ્યો સચીન પાઇલટ સાથે ન આવે તો અમે અમારો દાવો છોડી દઈશું."

    ગુઢાએ એમ પણ કહ્યું, "તેઓ તેમને નકામા, ખરાબ અને બીજું ઘણું બોલતા રહે છે. પરંતુ હું તમને જણાવી દઉં કે રાજસ્થાનના સ્વાસ્થ્ય માટે તેમનાથી સારો કોઈ નેતા હોઈ જ ન શકે."

    આવું પહેલી વાર નથી થયું કે સચીન પાઇલટ અને અશોક ગેહલોતના જૂથ આ રીતે ખુલ્લેઆમ આમને-સામને આવ્યા હોય.

    અગાઉ કૉંગ્રેસ પ્રમુખપદ માટેની ચૂંટણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી.

    બે વર્ષ પહેલાં જૂન 2020માં સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચે તકરાર થઈ હતી. ત્યારે સચીન પાઇલટે ખુલ્લેઆમ ગેહલોત સામે બળવો પોકાર્યો હતો.

  11. ન્યૂઝીલૅન્ડને ભારતે આપ્યો 307 રનનો લક્ષ્યાંક

    ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડને 307 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

    ભારત તરફથી કૅપ્ટન ઇનિંગ રમતાં શિખર ધવને 72 રન ફટકાર્યા. જ્યારે શુભમન ગીલે 65 બૉલમાં અડધી સદી ફટકારી.

    શ્રેયસ અય્યરે ટીમમાં સર્વાધિક સ્કોર કરતાં 80 રન ફટકાર્યા.આ માટે તેઓ 76 બૉલ રમ્યા.

    વૉશિંગ્ટન સુંદરે અંતિમ ઓવરોમાં ઑલરાઉન્ડ પ્રદર્શન કરતાં 16 બૉલમાં શાનદાર 37 રન ફટકાર્યા.

    આ પહેલાં ટૉસ જીતીને ન્યૂઝીલૅન્ડે બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  12. વડા પ્રધાનની સભામાં ડ્રોન ઊડતું દેખાયું, 3ની ધરપકડ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે, ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પૂરજોશમાં ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુરુવારે ગુજરાતના પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભાઓ યોજાઈ હતી.

    નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા ગામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કૅમેરા સાથે ફિટ કરાયેલું ડ્રોન ઊડતું દેખાયું હતું.

    આ ડ્રોન ઉડાવવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    આ ધરપકડ કરાયેલા આરોપી નિકુલ રમેશભાઈ પરમાર, રાકેશ કાળુભાઈ ભરવાડ અને રાજેશકુમાર માંગીલાલ પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

    વડા પ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રેલીને સંબોધી હતી. જિલ્લા અધિકારીએ સુરક્ષાના કારણે સભાસ્થળની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

    પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે, “પોલીસે સભા પહેલાં કેટલાક લોકોને રિમોટ કંટ્રોલ ડ્રોનનો ઉપયોગ કરીને ભીડની તસવીર લેતા જોયા હતા.”

    તેમણે જણાવ્યું હતું કે, “આ ત્રણ સ્થાનિક લોકો પોતાના અંગત હેતુ માટે ભીડની તસવીર લઈ રહ્યા હતા. અમે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 (સરકારના આદેશનો અનાદર) હેઠળ ફરિયાદ દાખલ કરી છે.”

  13. શ્રદ્ધા મર્ડર કેસ પર ઓવૈસીએ કહ્યું, 'આ લવ જેહાદનો મામલો નથી, ભાજપ રાજનીતિ કરી રહી છે'

    અમદાવાદમાં ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શ્રદ્ધા મર્ડર કેસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે, "ભાજપની રાજનીતિ બિલકુલ ખોટી છે. આ લવ જેહાદનો મામલો નથી. આ મહિલાની હત્યા, તેના પર થતા અત્યાચારનો મામલો છે. અમે તેની નિંદા કરી છે."

    "દેશના પુરુષોના દિમાગમાં મહિલાઓ પર અત્યાચાર કરવાની બીમારી છે, તેમના દિમાગનો ઇલાજ કરાવવો જોઈએ.”

    ગુજરાતમાં ઓવૈસી સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમની પાર્ટી 13 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

  14. અમિત શાહે કહ્યું, ‘હવે આપણને ભવ્ય ઇતિહાસ લખતાં કોણ રોકી શકે?’

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમારોહમાં કહ્યું હતું કે, “ભારતીય ઇતિહાસને વિસંગતતામાંથી મુક્ત કરાવવા માટે તેને ફરીથી લખવો જોઈએ.”

    તેમણે ઇતિહાસકારોને 30 મહાન ભારતીય સામ્રાજ્યો અને 300 યોદ્ધા પર સંશોધન કરવાની અપીલ પણ કરી છે.

    અમિત શાહ આસામના અહોમ સામ્રાજ્યના જનરલ લચિત બરકુફનના 400મા જન્મદિવસ પર એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

    ઇતિહાસને ફરીથી લખવા અંગે ગૃહમંત્રીએ કહ્યું હતું કે,“હું પણ ઇતિહાસનો વિદ્યાર્થી છું. મેં કેટલીય વાર સાંભળ્યું છે કે ઇતિહાસ ખોટી રીતે લખાયો છે.”

    “આપણો ઇતિહાસ તોડી-મરોડીને લખવામાં આવ્યો છે, પરંતુ આપણા ઇતિહાસને ભવ્ય રીતે લખતાં હવે આપણને કોણ રોકે છે. આપણે પ્રયત્ન કરવા પડશે. આપણે સંશોધન કરવું પડશે અને આપણા ઇતિહાસને ભવ્ય રીતે વિશ્વ સામે રજૂ કરવો પડશે.”

    સમારોહમાં આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “ઇતિહાસને તોડવા-મરોડવા અંગેની ચર્ચામાંથી બહાર નીકળો અને ભારતનાં 30 મોટાં સામ્રાજ્યો અને 300 વ્યક્તિત્વ પર સંશોધન કરો.”

    તેમણે કહ્યું હતું કે, “તેનાથી નવો ઇતિહાસ બનશે અને અસત્ય જાતે જ દૂર થઈ જશે.”

    ભાજપ અને ભારતમાં દક્ષિણપંથી વિચારધારાના લોકો ભારતીય ઇતિહાસ અંગે અલગ-અલગ વલણ ધરાવે છે અને ઇતિહાસ ફરીથી લખવા અંગે જાહેરમાં બોલે છે.

    લચિત બરફુકન વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, “જો લચિત બરફુકન ન હોત તો ભારતનો પૂર્વોત્તર ભાગ ન હોત. તેમણે માત્ર પૂર્વોત્તર ભારતની જ રક્ષા નહીં સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાને ઔરંગઝેબથી બચાવ્યું હતું.”

    ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને કહ્યું કે, “તેઓ લચિત બરફુકનના જીવન પર લખાયેલાં પુસ્તકો હિન્દી સહિતની દસ ભારતીય ભાષાઓમાં કરાવવા કહ્યું, જેથી બાળકો તેમનાથી પ્રેરિત થઈ શકે.”

    લચિત બરફુકન આસામના અહોમ સામ્રાજ્યના સેનાપતિ હતા. તેઓએ 17મી સદીમાં આસામમાં મોગલોને હરાવ્યા હતા. બરફુકન આસામનું એક જાણીતું નામ છે અને તેમના વિશે સ્કૂલ-કૉલેજોમાં ભણાવવામાં આવે છે.

  15. દિલ્હીના ચાંદની ચોકમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ

    ગુરુવારે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. ચાંદની ચોકના ભગીરથ પૅલેસ માર્કેટમાં આગ લાગવાથી ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ છે.

    એક ઈમારતમાંથી શરૂ થયેલી આગને ઓલવવા માટે આખી રાત પ્રયાસો ચાલુ રહ્યા હતા.

    અધિકારીઓનું કહેવું છે કે, “હજુ સુધી આગ કાબૂમાં કરી શકાઈ નથી.”

    દિલ્હી ફાયર સર્વિસના નિદેશક અતુલ ગર્ગે શુક્રવાર સવારે જણાવ્યું કે, “સ્થિતિ સારી નથી.”

    તેમણે કહ્યું કે, “ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ઈમારતનો મોટો ભાગ આગમાં નષ્ટ થઈ ગયો છે.”

    ફાયર વિભાગ આગ ઓલવવા માટે રિમોટ કંટ્રોલ મશીનોનો પણ ઉપયોગ કરી રહ્યું છે.

    ઘટનાસ્થળની તપાસ કરવા પહોંચેલા પૂર્વ સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “જે ઈમારતમાં આગ લાગી હતી, તે ધીમે-ધીમે પડી રહી છે, કારણ કે તેના બે માળ સંપૂર્ણ બળી ગયા છે.”

    તેમણે જણાવ્યું હતું કે, “ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”

    ગુરુવારે રાત્રે લગભગ સવા નવ વાગ્યે ફાયર વિભાગને આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ત્યારે આગ ઓલવવા માટેની 30 ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી.

  16. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    24 નવેમ્બરના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.