You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘રાજ્યના તમામ પુલોનો સર્વે કરો, મોરબીના મૃતકોને યોગ્ય વળતર આપો’, ગુજરાત હાઈકોર્ટેનો આદેશ

મોરબી પુલ દુર્ઘટના માટે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારને રાજ્યમાં આવેલા તમામ પુલોનો સર્વે કરીને રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે.

લાઇવ કવરેજ

  1. મુકેશ અંબાણીની જગ્યાએ તાતાને પોતાની કંપની કેમ વેચી રહ્યા છે બિસલરીના માલિક

    તાતા ગ્રૂપ 7 હજાર કરોડ રૂપિયામાં બિસલરીની કંપની ખરીદવા જઈ રહ્યું છે.

    અંગ્રેજી અખબાર ધ ઇકૉનૉમિક ટાઇમ્સે બિસલરી ઇન્ટરનેશનલના માલિક રમેશ ચૌહાણ સાથે થયેલી વાતચીતના આધારે આ માહિતી આપી છે.

    રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે “તેમણે પોતાની કંપની વેચવા માટે તાતા ગ્રૂપને જ કેમ પસંદ કર્યું કારણ કે રિલાયન્સ અને નેસ્લે જેવી મોટી કંપનીઓ પણ બિસલરીને ખરીદવાનું વિચારી રહી હતી.”

    રમેશ ચૌહાણે ત્રણ દાયકા પહેલાં ‘થમ્સઅપ’, ‘ગોલ્ડ સ્પૉટ’, ‘લિમ્કા’ અને માઝા જેવી સૉફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ મલ્ટિનેશનલ કંપની કોકા-કોલાને વેચી દીધી હતી.

    ત્યારબાદ હવે તે તાતા ગ્રૂપને બિસલરી વેચવા જઈ રહ્યા છે.

    થોડા સમય પહેલાં રમેશ ચૌહાણની તાતા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યૂમર્સના સીઈઓ સુનીલ ડીસુઝા સાથે મુલાકાત થઈ હતી.

    રમેશ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે “હું સ્પષ્ટ કરવા માગું છું કે, આ નિર્ણય પૈસાને ધ્યાનમાં રાખીને લેવામાં નથી આવ્યો. હું આ વાતને લઈને ઘણો ચિંતિત હતો કે આ કંપનીને એવું બિઝનેસ ગ્રૂપ મળે, જે તેની મારી જેમ જ સારસંભાળ રાખે. મેં આ બિઝનેસ ઘણી મહેનત સાથે ઊભો કર્યો છે અને હવે એટલા જ જુસ્સાથી લોકો ચલાવી રહ્યા છે.”

    વર્ષ 2023ના નાણાકીય વર્ષમાં બિસલરીનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે, જેમાં લગભગ 220 કરોડ રૂપિયાનો નફો થશે.

  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ, આપ અને કૉંગ્રેસના કેટલા ઉમેદવારો આરોપીઓ? કેટલા કરોડપતિ?

  3. બ્રેકિંગ, ગુજરાત હાઇકોર્ટનો આદેશ :‘રાજ્યના તમામ પુલોનો સર્વે કરો, મોરબીના મૃતકોને યોગ્ય વળતર આપો’

    મોરબી પુલ દુર્ઘટના માટે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે ગુજરાત સરકારને રાજ્યમાં આવેલા તમામ પુલોનો સર્વે કરીને રિપોર્ટ જમા કરાવવા આદેશ કર્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કોર્ટે કહ્યું છે કે રાજ્યમાં તમામ પુલોનો સર્વે કરવાની સાથોસાથ સરકારે એ બાબતની પણ ચોકસાઈ કરવી પડશે કે પુલ યોગ્ય પરિસ્થિતિમાં છે કે નહીં.

    સરકારે રાજ્યમાં આવેલા પુલોની સંખ્યા અને પરિસ્થિતિ અંગેનો એક રિપોર્ટ તૈયાર કરીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે.

    આ ઉપરાંત કોર્ટે મોરબી પુલ દુર્ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને આપેલા વળતરને લઈને પણ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે નોંધ્યું છે કે આ વળતર ઘણું ઓછું છે અને સરકારે મૃતકો અને ઇજાગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. યોગ્ય વળતર માટે સરકારને એક મુદ્દાસર ઍફિડેવિટ તૈયાર કરીને રજૂ કરવા પણ કહેવાયું છે.

  4. બ્રેકિંગ, અસીમ મુનીર પાકિસ્તાનના આગામી આર્મી ચીફ બનશે

    પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણમંત્રી મરિયમ ઔરંગઝેબે જાહેરાત કરી છે કે અસીમ મુનીર પાકિસ્તાનના આગામી આર્મી ચીફ બનશે.

    આ સમયે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર પાકિસ્તાનની સેનામાં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે.

    તેઓ આગામી ચીફ ઑફ આર્મી સ્ટાફ બનવાની રેસમાં સૌથી આગળ અને વરિષ્ઠ હતા.

    રસપ્રદ બાબત એ છે કે તેમનો લેફ્ટનન્ટ જનરલનો કાર્યકાળ જનરલ બાજવાની નિવૃત્તિના બે દિવસ પહેલાં જ 27 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.

    મરિયમ ઔરંગઝેબે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, “વડા પ્રધાન શાહબાઝ શરીફે લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જૉઇન્ટ ચીફના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને સૈયદ અસીમ મુનીરને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા. આ અંગે રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવી છે.”

    પાકિસ્તાનના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ નવા સેનાપ્રમુખની નિમણૂક કરી શકે છે, પરંતુ આ એક ઔપચારિકતા છે કારણ કે રાષ્ટ્રપતિ આ નિર્ણયને વડા પ્રધાનની સલાહથી જ લેવા માટે બંધાયેલા છે.

  5. ગુજરાત ચૂંટણી : ભાજપના બળવાખોર નેતાઓ પક્ષને કેટલું નુકસાન પહોંચાડી શકશે?

  6. LIVE : પાલનપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને પશુપાલકોને શું સલાહ આપી?

  7. શિખર ધવને કેમ કહ્યું, 'ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું'

    ન્યૂઝીલૅન્ડ સામેની ટી20 સિરીઝ 1-0થી પોતાના નામે કર્યા બાદ ટીમ ઇન્ડિયાની મીટ હવે ન્યૂઝીલૅન્ડ સામે ત્રણ મૅચોની વનડે સિરીઝ પર મંડાયેલી છે.25 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ વનડે સિરીઝમાં ટીમની કમાન શિખર ધવનના હાથમાં અપાઈ છે.રોહિત શર્મા આ ટીમનો ભાગ નથી.

    જોકે, સિરીઝ શરૂ થાય એ પહેલાં જ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શિખર ધવને એક રસપ્રદ નિવેદન આપ્યું છે. ધવને જણાવ્યું છે કે કોઈ ભૂમિકા સ્વીકારવામાં એમને કોઈ ડર નથી લાગતો અને એ જ રીતે કંઈ પણ ગુમાવવામાં પણ એમને કોઈ ડર નથી લાગતો.

    ધવને કહ્યું, "કામ આવે અને જાય, એની ચિંતા નથી થતી. આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જઈશું. આ બધું તો અહીં જ રહી જશે. તો એને લઈને મને કોઈ ડર નથી. "

    "હું કૅપ્ટન છું, માત્ર એવા માટે હું મારા પર કોઈ દબાણ નથી લાવતો. હું માત્ર ટીમના લક્ષ્ય અનુસાર રમત રમું છું. "

    આ પહેલાં ધવનને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાની કપ્તાની કરવા મળી હતી.એ બાદ ટી20 વર્લ્ડકપ પહેલાં દક્ષિણ આફ્રિકા સામે પણ તેમના નેતૃત્વમાં જ ટીમ ઇન્ડિયા ઊતરી હતી. જોકે, એવો પણ સમય આવ્યો હતો કે છેલ્લી ઘડીએ એમને કૅપ્ટન તરીકે હઠાવીને ટીમની ધુરા કે.એલ. રાહુલને સોંપી દેવાઈ હતી. જેની એ વખતે ભારે ચર્ચા પણ થઈ હતી.

    નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મૅચ વરસાદને લીધે પ્રભાવિત થઈ અને છેલ્લે ડકવર્થ લુઈસના નિયમ અંતર્ગત નિર્ણય લેવાયો. ટીમ ઇન્ડિયાએ ત્રણ મૅચોની આ સિરીઝને 1-0થી પોતાના નામે કરી હતી. ત્રણ મૅચોની સિરીઝની પ્રથમ મૅચ પણ વરસાદને લીધે રદ કરવી પડી હતી. આ પહેલાં વરસાદને લીધે જ્યારે મૅચ અટકાવી દેવી પડી ત્યારે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ભારતે 75 રન કર્યા હતા.જ્યારે ન્યૂઝીલૅન્ડ જીતવા માટે ભારતને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

  8. મુંબઈમાં ઓરીનો કેર, 233 કેસ અને 12 મૃત્યુ નોંધાયાં

    મહારાષ્ટ્રના મુંબઈમાં ઓરીના કેસ વધી રહ્યા છે. શહેરમાં ઓરીના 13 નવા કેસ નોંધાયા છે અને એકનું મૃત્યુ થયું છે.

    બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) અનુસાર, આ વર્ષે અત્યાર સુધી ઓરીના કુલ 233 કેસ સામે આવ્યા છે અને કુલ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.

    બીએમસીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “બુધવારે લગભગ ઓરીના 30 દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે 22 દર્દીને સાજા થયા બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”

    બીએમસીના સર્વેમાં ઓરીના 156 કેસ મળી આવ્યા છે. આ બીમારીની ચપેટમાં બાળકો વધુ આવી રહ્યાં છે.

    મુંબઈ નજીક ભીવંડીમાં રહેતા આઠ મહિનાના ઓરીથી પીડિત બાળકનું મંગળવારે મૃત્યુ થયું હતું.

    20 નવેમ્બરે બાળકના શરીર પર ચકામાં પડવાનું શરૂ થયું હતું. મંગળવાર સાંજે તેને બીએમસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં બાળકનું મૃત્યુ થયું હતું. જોકે તપાસ બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.

    અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ લોકોની તપાસ કરી છે.

    બીએમસીએ જણાવ્યું હતું કે, “તાવ અને શરીર પર પડેલાં ચકામાંના દરેક કેસમાં વિટામિન-એના બે ડોઝ આપવામાં આવે છે. બીજો ડોઝ 24 કલાકના અંતરે આપવામાં આવે છે.”

  9. મેઘાલયમાં આવ્યો 3.4ની તીવ્રતાનો ભૂકંપ

    મેઘાલયના તુરા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

    રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આજે સવારે લગભગ 3.46 વાગ્યે રાજ્યના તુરા વિસ્તારથી 37 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

    રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી પાંચ કિમી નીચે હતી.

    આ પહેલાં બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

  10. આસામ-મેઘાલય સીમા પર થયેલી હિંસા મામલે હિમંત સરમાએ શું કહ્યું?

    આસામ-મેઘાલય સીમા પર ફાટી નીકળેલી હિંસા અંગે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ નિવેદન આપ્યું છે. તેમણે આ સંઘર્ષને સીમાવિવાદથી અલગ ગણાવ્યો છે.

    મુખ્ય મંત્રીએ કહ્યું, “તેને સીમાવિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મને નથી લાગતું કે તેનો સીમા સાથે થઈ રહેલી વાત અંગે કોઈ સંબંધ હોય."

    "આ સંઘર્ષ જંગલનાં લાકડાંને લઈને હતો. અમે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. આ કેસને સીબીઆઈ અને એનઆઈએને મોકલી દીધો છે. સહાયની જાહેરાત કરાઈ છે. જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરાયા છે."

    આસામના પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં ગુસ્સે થયેલા ગામલોકોએ બુધવારે ફોરેસ્ટ ઑફિસમાં તોડફોડ કરીને તેને આગ લગાડી દીધી હતી.

    આસામ-મેઘાલયની એક વિવાદિત સરહદ પર મંગળવારે સવારે થયેલી હિંસાના વિરોધમાં આ તોડફોડ કરવામાં આવી હતી.

    મંગળવારે પશ્ચિમ જયંતિયામાં મુકરોહ સ્થાન પર ગોળીબાર થયો હતો, જેમાં આસામના વન અધિકારી સહિત છ લોકોનાં મોત થયાં હતાં.

    હાલમાં બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ છે અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

    આસામ પોલીસે અન્ય રાજ્યોના વાહનોને મેઘાલયમાં યાત્રા ન કરવા કહ્યું છે.

  11. બાંગ્લાદેશ સામેની સિરીઝમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન ન મળ્યું

    BCCIએ આગામી બાંગ્લાદેશ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. રવીન્દ્ર જાડેજાને આ ટીમમાં સ્થાન મળી શક્યું નથી.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર, રવીન્દ્ર જાડેજા હજુ પણ ઘૂંટણાની સમસ્યામાંથી બહાર આવ્યા નથી. સપ્ટેમ્બરમાં તેમના ઘૂંટણની સર્જરી થઈ હતી.

    રવીન્દ્ર જાડેજાની જગ્યાએ બંગાળના ઑલરાઉન્ડર શહબાઝ અહમદને સ્થાન મળ્યું છે. શહબાઝ અહમદ ન્યૂઝીલૅન્ડમાં ત્રણ મૅચની વન ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સામેલ હતા.

    તેમણે આ વર્ષે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફિક્રા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

    ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા ખેલાડી- રોહિત શર્મા (કૅપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શહબાજ અહમદ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    23 નવેમ્બરના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.