બગલમાં થતા પરસેવામાં દુર્ગંધ શા માટે આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો માને છે કે તેમણે શરીરની દુર્ગંધ સામે છૂટકારો મેળવવાની ઉમદા રીત શોધી કાઢી છે.
તેઓ જણાવે છે કે બગલમાંથી નીકળતા દુર્ગંધ રહિત પરસેવામાંથી ઉદ્ભવતા બૅક્ટેરિયા કઈ રીતે દુર્ગંધ પેદા કરે છે.
યોર્ક અને ઑક્સફર્ડ યૂનિવર્સિટીની બે ટીમે જણાવ્યું છે કે તેમણે હવે આ અણુ પ્રક્રિયા અંગેનો પહેલો તબક્કો ઊકેલી કાઢ્યો છે.
જર્નલ 'ઈ-લાઇફ'ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આને કારણે દુર્ગંધ પેદા કરનારી પ્રક્રિયાને જ અટકાવી દેતો નવી પેઢીનો ડિઑડ્રન્ટ તૈયાર કરવામાં મદદ મળશે.

પરસેવો

ઇમેજ સ્રોત, Getty Images
પરસેવો ત્વચાની બે પ્રકારની ગ્રંથિઓમાંથી વહે છે.
કસરતને કારણે સમગ્ર શરીરમાં પરસેવો થાય છે, જે એકેરિન ગ્રંથિને કારણે ઉત્પન્ન થાય છે.
જેમાં દુર્ગંધ નથી હોતી અને તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એપોકેરિન ગ્રંથિ જે વાળ ધરાવતી બગલ અને જનનેન્દ્રિઓ પાસે પરસેવો પેદા કરવા માટે જવાબદાર છે.
આ પરસેવો શરૂઆતમાં દુર્ગંધ રહિત જ હોય છે પણ બાદમાં તે બૅક્ટેરિયાને લીધે દુર્ગંધમાં પરિવર્તિત થઈ જાય છે.
જોકે, શરીરમાં તીવ્ર, ચિઝી, મસ્કિ અને ડુંગળી જેવી વાસ પેદા કરવા માટે જવાબદાર આ બૅક્ટેરિયાનું પૂરતું પગેરું હજી સુધી શોધી કઢાયું નથી.

દુર્ગંધનાશક (ડિઑડ્રન્ટ) કે પ્રસ્વેદરોધક(એન્ટી પર્સેપિરન્ટ)

ઇમેજ સ્રોત, Getty Images
ડિઑડ્રન્ટમાં પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી દુર્ગંધને ટાળી શકાય છે સાથે જ એમાં બૅક્ટેરિયાને મારવા માટે ઇથેનોલ કે એન્ટી બૅક્ટેરિયલ એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્વેદરોધકમાં એલ્યુમિનીયમ ક્લોરાઈડ વાપરવામાં આવે છે જે રોમછિદ્રોને કામચલાઉ રીતે ઢાંકી સ્વેદગ્રંથિમાંથી પેદા થતા અને રોમછિદ્રો મારફતે વહેતા પરસેવાની માત્રા ઘટાડી દે છે.
સહ લેખક અને યોર્ક યુનિવર્સિટીની બાયોલૉજી વિભાગનાં ડૉ. ગેવીન થોમસ જણાવે છે, "આધુનિક ડિઑડ્રન્ટ આપણી બગલ માટે એક ન્યૂકિલિઅર બૉમ્બની જેમ વર્તે છે અને તે શરીરની દુર્ગંધ સામે રક્ષણ આપતા કેટલાંક બૅક્ટેરિયાને પણ મારી નાખે છે."
''વાસ્તવમાં આપણી બગલમાં રહેલાં ઘણાં ઓછાં બૅક્ટેરિયા શરીરની દુર્ગંધ માટે જવાબદાર હોય છે.''
આ સ્ટેફિલોકોકસ હોમીની બૅક્ટેરિયા 'ટ્રાન્સપોર્ટ' પ્રોટીનનો ઉપયોગ કરે છે અને પરસેવામાં રહેલા દુર્ગંધ રહિત સંયોજન સાથે જોડાઈ તેને શરીરની દુર્ગંધમાં ફેરવી નાંખે છે.
ડૉ. ગેવીન થોમસ અને તેમના સહયોગી જણાવે છે કે આનો ઉપયોગ વધુ સક્ષમ અને અસરકારક દુર્ગંધ નાશક વિકસાવવા માટે બ્લ્યૂ પ્રિન્ટ તરીકે કરી શકાશે.
જેમાં એવા ઘટક દ્રવ્યનો સમાવેશ કરવામાં આવશે કે જે ટ્રાન્સપોર્ટ પ્રોટીનના ઉત્પાદનને જ અટકાવી દેશે.
આ કામ માટે યુનીલિવર તરફથી ઉદ્યોગ ભંડોળ અને બાયોટેકનૉલૉજી અને બાયોલૉજીકલ સાયન્સિસ રિસર્ચ કાઉન્સિલ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

પરસેવો થતો રોકવા માટે

ઇમેજ સ્રોત, Getty Images
- દરરોજ સ્નાન કરો.
- ઍન્ટી બેક્ટેરિયલ સાબુ વાપરો અને તમારી બગલ સાફ રાખો.
- દુર્ગંધ નાશક કે સ્વેદરોધક વાપરો.
- બગલના વાળની સફાઈ રાખો અને પરસેવાને તરત જ સાફ કરો.
- કુદરતી રેશામાંથી બનેલા જેવા કે સુતરાઉ કપડાં વગેરે પહેરો અને તમારી ત્વચાને શ્વાસ લેવા દો.
- સ્વચ્છ કપડાં પહેરો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















