મોરબી દુર્ઘટનામાં અનેકના જીવ બચાવનાર હુસૈન પઠાણે મતદાન કરી શું કહ્યું?
મોરબી પુલ દુર્ઘટનામાં લોકોને બચાવવા માટે નદીમાં કૂદી પડેલા હુસૈને આજે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે બીબીસી સાથે વાત કરી હતી.
આ મતદાન કરતી વખતે ક્યા મુદ્દા ધ્યાનમાં હતા? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "મુદ્દો માત્ર એક જ છે કે વિકાસ થવો જોઈએ. લોકોનાં કામ થવા જોઈએ અને જો કામ કરાવવા હોય તો મતદાન અવશ્ય કરવું જોઈએ."
મોરબી દુર્ઘટનાની યાદો વાગોળતા તેમણે કહ્યું, "હું જ્યારે લોકોને બચાવી રહ્યો હતો. ત્યારે એક નાનકડી બાળકી મારા હાથમાં આવી ગઈ હતી. એને બહાર કાઢ્યા પછી હું હેબતાઈ ગયો હતો અને થોડી વાર બેસી ગયો હતો."
મોરબી દુર્ઘટના બાદ મોરબીમાં શું ફેરફાર ઇચ્છશો?
જવાબમાં તેમણે કહ્યું, "મારી એકમાત્ર માગ છે કે મોરબીમાં તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવા મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવે."
તેમણે આગળ કહ્યું, "જો એ દિવસ પુલ પર હાજર પચાસેક લોકોને પણ તરતા આવડતું હોત તો આજે મૃત્યુઆંક ઘણો ઓછો હોત અને એ કારણથી જ તમામ લોકોને નિશુલ્ક તરવાનું શીખવાડવામાં આવે તેવી મારી માગ છે."
ઉલ્લેખનીય છે કે મોરબી પુલ દુર્ઘટનામાં સરકારી આંકડા અનુસાર, 135 લોકોનાં મોત થયાં હતાં.





