You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું - તેઓ કહે છે કે મોદી તારી કબર ખોદાશે પણ દેશ કહે છે...
પીએમ મોદીએ પોતાની રેલીમાં કૉંગ્રેસના નેતાઓના નારાનો ઉપયોગ કર્યો હતો.
લાઇવ કવરેજ
ગુજરાત બજેટ પર જિજ્ઞેશ મેવાણી અને જિતુ વાઘાણી શું બોલ્યા?
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું - તેઓ કહે છે કે મોદી તારી કબર ખોદાશે પણ દેશ કહે છે...
મેઘાલયમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
તેમણે શિલોંગમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, "કેટલાક લોકો જેમને દેશે નકારી કાઢ્યા છે, તેઓ નિરાશાની ગર્તામાં ડૂબી ગયા છે, તેઓ આજકાલ માળા જપી રહ્યા છે અને કહી રહ્યા છે કે મોદી તારી કબર ખોદાશે. પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો દરેક ખૂણે-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે."
પીએમ મોદીએ પોતાની રેલીમાં કૉંગ્રેસના નેતાઓના નારાનો ઉપયોગ કર્યો હતો.
દિલ્હી ઍરપૉર્ટ પરથી કૉંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડ બાદ કૉંગ્રેસના નેતાઓએ પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સૂત્રોચ્ચાર કરતા વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, "તાનાશાહી નહીં ચાલે, મોદી તારી કબર ખોદાશે."
પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે હું તમારો આ પ્રેમ વ્યર્થ નહીં જવા દઉં. આ રોડ શોની તસવીરોએ તમારો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી દીધો છે. મેઘાલયમાં દરેક જગ્યાએ ભાજપ જ દેખાય છે.
તેમણે કહ્યું, "મેઘાલય આજે ફેમિલી ફર્સ્ટને બદલે પીપલ ફર્સ્ટવાળી સરકાર ઈચ્છે છે, તેથી આજે 'કમળનું ફૂલ' મેઘાલયની મજબૂતિ, શાંતિ અને સ્થિરતાનો પર્યાય બની ગયું છે."
"મેઘાલયનાં હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમારા નાના મુદ્દાઓને વહેંચી નાખવામાં આવ્યા. આ રાજનીતિએ તમારું ઘણું નુકસાન કર્યું છે. અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.”
પીએમ મોદીએ શુક્રવારે મેઘાલયના તુરામાં પણ રેલી કરી હતી. અહીં પણ તેમણે જૂની સરકાર પર નિશાન સાધ્યું અને ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવ્યા.
તેમણે કહ્યું, “મેઘાલયમાં ભાજપની સરકાર હોવાનો મતલબ છે મેઘાલયનો ઝડપી વિકાસ, મેઘાલયના દરેક ક્ષેત્રનો ભેદભાવ વિના વિકાસ. મેઘાલયમાં ભાજપ સરકારનો અર્થ છે બૉમ્બ અને નાકાબંધી અને હિંસાથી આઝાદી. દરેક પ્રાદેશિક અને ધર્મને સમર્થન આપતી સરકાર.”
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
બ્રેકિંગ, ચીન અને નેપાળ વચ્ચે પહેલી વાર શરૂ થઈ રેલસેવા
ચીન અને નેપાળ વચ્ચે રેલસેવા આજથી શરૂ થઈ ગઈ છે.
ચીની વિદેશ મંત્રાલયના અધિકારી જી રોંગે જણાવ્યું કે ચીનના ગાંસુ પ્રાંતના લાંઝુ શહેરથી દક્ષિણ એશિયા માટે ફ્રેટ ટ્રેન (માલગાડી) આજે રવાના થઈ છે.
આ ટ્રેન કાઠમાંડુ શહેર 9થી 10 દિવસમાં પહોંચશે.
જી રોંગનું કહેવું છે કે સાગરના રસ્તેથી નેપાળ સામાન પહોંચવામાં લાગતા સમયમાં 15 દિવસ ઓછા થશે.
નવા કોઈ કરવેરા વગરનું બજેટ
- PNG-CNG પરના વેટને 15 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો
- રૂ. 917 કરોડ જેટલી પુરાંત રહેવાનું અનુમાન
- રૂ. 1391 કરોડની જોગવાઈ મનરેગા માટે
- રૂ. 932 કરોડની જોગવાઈ વડા પ્રધાન આવાસ યોજના માટે
- સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતા બગોદરા હાઈવેને ચારમાંથી છ લેન કરવામાં આવશે
- પાંચ આઈટીઆઈને મેગા આઈટીઆઈ બનાવવામાં આવશે
- સુરત મેટ્રોના ફેઝની એક અને બે માટે રૂ. 900 કરોડ જેટલી જોગવાઈ
- દ્વારકામાં નવું ઍરપૉર્ટ આકાર લેશે, જ્યારે કેશોદ ખાતેના ઍરપૉર્ટને વિકસાવાશે
- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ઇક્વિટી ફાળા માટે રૂ. 200 કરોડની જોગવાઈ
- વટામણ-પીપડી, અમદાવાદ-ડાકોર, સુરત-સચીન-નવસારી ભુજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર સહિત પાંચ રસ્તા પર ટ્રાફિકને ઘટાડવા અને ગતિ વધારવા માટે પહોળા કરાશે
- ભરૂચ-દહેજ રસ્તાને એક્સેસ કંટ્રોલ સાથે એક્સપ્રેસ-વે બનાવાશે
- ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટ માટે રૂ. 150 કરોડની જોગવાઈ
- દરેક મહાનગરપાલિકામાં આઇકૉનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે
- ભાડભૂત બૅરેજ માટે રૂ. 1,400 કરોડની ફાળવણી, કુલ કદ રૂ. પાંચ હજાર 400 કરોડનો અંદાજ
બજેટમાં શું જાહેરાત કરાઈ?
- આસપાસના ઉદ્યોગોમાં રોજગારની જરૂરિયાતના આધારે આઈટીઆઈ અને બીજા કૌશલ્યવર્ધન દ્વારા રોજગારની તકોની ઊભી કરવામાં આવશે
- મુંબઈના સ્થાને ગિફ્ટ સિટી ભારતનું આર્થિક પાટનગર બનવા જઈ રહ્યું છે, જેનો યશ ગુજરાતના તત્કાલીન મુખ્ય અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે
- સરકારી કામકાજમાં કાગળનો ઉપયોગ ઘટાડીને 'ઈ-સરકાર' દ્વારા કાગળનો વપરાશ 25 ટકા જેટલો ઘટાડવાનો નિર્ધાર
- આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું જીએસડીપી રૂ. 42 લાખ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક
- ત્રણ લાખ એક હજાર 22 કરોડનું કુલ અંદાજપત્રીય કદ
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ
- 11 લાખ વૃદ્ધો માટે રૂ. 1,300 કરોડની જોગવાઈ
- 43 હજાર 651 કરોડની માનવસંસાધન વિકાસ માટે જોગવાઈ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂ. 85 કરોડની જોગવાઈ, જેમાં રૂ. પાંચમાં ભોજન આપવામાં આવશે
- શ્રમિક બસેરા માટે રૂ. 500 કરોડની જોગવાઈ, જેથી શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેણાક મળી રહે
- ગરીબ સવર્ણો માટે રૂ. 500 કરોડની જોગવાઈ
- 3410 કરોડની આદિજાતિ વિકાસ યોજના માટે જોગવાઈ
- ફોરેસ્ટ રાઇટ્સ ઍક્ટ હેઠળ એક લાખ આદિવાસી પરિવારોને જમીનની ફાળવણી થઈ હોવાનો દાવો
- આરટીઈ હેઠળ ધો. આઠ સુધી અભ્યાસ મેળવનારા વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ ખાનગી શાળામાં કરી શકે તે માટે રૂ. 20 હજારના શાળા વાઉચર આપવામાં આવશે
- નેશનલ હેલ્થ મિશન હેઠળ રૂ. એક હજાર 745 કરોડની જોગવાઈ
- શહેરી માળખાકીય વિકાસ માટે રૂ. આઠ હજાર 86 કરોડની જોગવાઈ
- મિશન સ્કૂલ ઑફ ઍક્સલન્સ માટે રૂ ત્રણ હજાર 109 કરોડની જોગવાઈ
- 50 હજાર નવા વર્ગખંડ તથા 20 હજાર નવા કમ્પ્યુટર લૅબ ઊભી કરવામાં આવશે
- ગરીબોના કલ્યાણ માટે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. બે લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે
- રાજ્યભરના ગરીબોને પ્રોટીન મળી રહે તે માટે એક કિલોગ્રામ ચણા રાહતદરે આપવામાં આવશે
- 'શ્રીઅન્ન'ને જાહેરવિતરણ વ્યવસ્થામાં સમાવિષ્ટ કરવામાં આવશે
બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન
સ્ટેચ્યૂ ઑફ યુનિટી, શિવરાજપુર, અંબાજી, ધોલેરા અને ગીરમાં પર્યટનના વિકાસ માટે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. આઠ હજાર કરોડનો ખર્ચ કરાશે.
ઇકૉ ટૂરિઝમના વિકાસ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે. દ્વારકામાં યાત્રાધામ કૉરિડૉર વિકસાવવામાં આવશે..
કનુભાઈના 'પૉર્ટફોલિયોની ઉપર' એક નજર
શુક્રવારે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના 'પૉર્ટફોલિયોમાં અંદર' શું રહેલું છે, તેના ઉપર આર્થિક નિષ્ણાતો અને સામાન્ય ગુજરાતીઓની નજર રહેશે જ, પરંતુ તેમના 'પૉર્ટફોલિયોની બહાર' શું રહેલું છે, તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.
ગત વર્ષે તેઓ લાલ રંગનો પૉર્ટફોલિયો લઈને ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા અને પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.
એ સમયે તેમના પૉર્ટફોલિયો પર દેશનું રાષ્ટ્રીય ચિહ્ન તથા વારલી આર્ટની છાપણી હતી, જે ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં પ્રચલિત કળા છે.
જેમાં રૈખિક અને ત્રિકોણાકારનો વ્યાપક ઉપયોગ થાય છે, જેના દ્વારા દેવી-દેવતા કે મિથકીય ચરિત્રોને દોરવાના બદલે સામાન્ય વ્યક્તિના જીવન તથા તેના જીવનચક્રને નિરૂપવામાં આવે છે.
આ વિશેની બીબીસીની વિશેષ રજૂઆત અહીં જુઓ.
ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન બિલ : પેપર લીકની ઘટનાને રોકતાં બિલમાં કેવી જોગવાઈ કરાઈ?
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે સરકારી નોકરીઓની પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાને રોકવા માટેનું 'ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મિન્સ) બિલ, 2023' પાસ કરાયું છે.
આ બિલમાં દોષિતને એક કરોડના દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુનાને રોકવા માટે આ બિલમાં જે જોગવાઈ કરાઈ છે એ અનુસાર દોષિત પરીક્ષાર્થી એક ટર્મ માટે પરીક્ષા નહીં આપી શકે.
આ સમયગાળો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાશે. આ ઉપરાંત એક લાખનો દંડ પણ વસૂલવામાં આવશે. દંડ ના ભરાતાં જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલની જે સૌથી મહત્ત્વની જોગવાઈ માનવામાં આવી રહી છે એ સંગઠિત ગુના સંબંધિત છે. પેપર લીકના મામલે સંગઠિત ગુના કે ષડ્યંત્રમાં લિપ્ત દોષિતને એક કરોડ રૂપિયા સુધીનો દંડ તથા સાતથી દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરાઈ છે.
સરકારને આ બિલ દોષિતે ગેરકાયદે મેળવેલા લાભની સામે સંપત્તિ જપ્ત કરવાનો હક પણ આપે છે.
ઉપરાંત મૅનેજમૅન્ટ કે સંસ્થાની કોઈ વ્યક્તિ દોષિત ઠરશે તો જાહેર પરીક્ષાનો તમામ ખર્ચ મૅનેજમૅન્ટ કે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. મૅનેજમૅન્ટ કે સંસ્થા જો પોતે જ દોષિત ઠરશે તો એના પર કાયમી પ્રતિબંધ પણ મૂકી શકાશે.
નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી નોકરીઓની પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ છાશવારે ઘટતી રહી છે.
ગત જાન્યુઆરી માસમાં જ ગુજરાત પંચાયત સેવાની જુનિયર ક્લાર્કની પરીક્ષાને રદ કરવી પડી હતી. આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું.
ગુજરાત વિધાનસભામાં : આજે રજૂ કરાશે ભૂપેન્દ્ર પટેલની સરકારનું બજેટ
15 ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરુવારથી પ્રારંભ થયો છે અને શુક્રવારે (આજે) નાણાકીય વર્ષ 2023-24નું સ્ટેટ બજેટ રજૂ કરવામાં આવશે.
નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. જ્યારે વિરોધપક્ષ પેપરલીક, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ જાહેર કરશે.
સત્રના વિસ્તૃત ઍજન્ડા અનુસાર આ સત્ર 29મી માર્ચ સુધી ચાલશે. જેમાં સરકારે કેટલાંય બિલ લાવવાની ઇચ્છા ધરાવે છે.જેમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે ગુરુવારે પાસ કરાયેલું'ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મિન્સ) બિલ, 2023'મહત્ત્વનું છે.
આ પહેલાં ગુરુવારે સત્રની શરૂઆત થઈ ત્યારે ગૃહે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીના નિધન પર શોકસંદેશ જાહેર કર્યો હતો.
આ પહેલાં સંબંધિત સત્રના વિસ્તૃત કાર્યક્રમની ચર્ચા બુધવારે બિઝનેસ ઍડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં કરાઈ હતી.
આ બેઠક વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીની આગેવાનીમાં મળી હતી.આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત ચાવડા સહિત વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.
આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાએ ભારતને સેમિફાઇનલમાં હરાવ્યું
ટી-20 વર્લ્ડકપમાં પહેલી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને પાંચ રનથી હરાવી દીધું છે. 173 રનનો પીછો કરતી ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 167 રન બનાવી શકી હતી.
સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 4 વિકેટે 172 ફટકાર્યા હતા.
આ મૅચ કેપ ટાઉનના ન્યૂલૅન્ડ્ઝના સ્ટેડિયમમાં રમાઈ હતી, આગામી તમામ મૅચ પણ આ મેદાનમાં જ રમાશે.
ટી-20 વર્લ્ડકપની આ પહેલી સેમિફાઇનલ મૅચ હતી.
ભારતની ઈનિંગની શરૂઆત જ ઘણી ખરાબ રહી હતી અને એક તબક્કે માત્ર 28 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ઑપનર શફાલી વર્મા 6 બૉલમાં 9 રન બનાવીને આઉટ થયાં હતાં જ્યારે સ્મૃતિ મંધાના 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થયાં હતાં.
ત્રીજા ક્રમે આવેલા યસ્તિકા ભાટિયા 4 રન પર રન-આઉટ થયાં હતાં.
બીજી સેમિફાઇનલ ઈંગ્લૅન્ડ અને યજમાન દેશ દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રમાશે.
જ્યારે ફાઇનલ મૅચ 26 ફેબ્રુઆરીએ રમાશે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
23 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.