રાહુલ ગાંધી લાલ કિલ્લા પરથી બોલ્યા, 'આ મોદી નહીં, અદાણી-અંબાણીની સરકાર'

લાલ કિલ્લા પરથી લોકોને સંબોધતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કઠેડામાં મૂકી અને આકરા પ્રહારો કર્યા. તેમણ 'નફરતના રાજકારણ' અને ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો.

લાઇવ કવરેજ

  1. ટીવી અભિનેત્રી તુનિષા શર્માનો આપઘાત, શૂટિંગ સ્પૉટ પર ગળે ફાંસો ખાધો

    તુનિષા શર્મા

    ઇમેજ સ્રોત, Instagram/Tunisha Sharma

    ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ એક ટીવી સિરિયલના સેટ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયાં, જોકે ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

    હૉસ્પિટલમાં ડૉક્ટરોએ અભિનેત્રીને મૃત જાહેર કરી હતી.

    થાણા જિલ્લાના વાલીવ પોલીસના સિનિયર ઇન્સપેક્ટરકૈલાસ બાર્વેએ બીબીસીને જણાવ્યું કે તુનિષા શર્માના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે.

    ઇન્સપેક્ટરે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગ્યે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં 4:20એ એમને મૃત જાહેર કરવામાં આવ્યાં.

    તેમના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન વિરામ વખતે તુનિષા પોતાના મેકઅપ રૂમમાં જતા રહ્યાં હતાં અને નક્કી કરાયેલા સમય બાદ પણ શૂટિંગ પર પહોંચ્યાં નહોતાં.

    તેમણે કહ્યું, "એ બાદ કેટલાક લોકો જ્યારે તેમને જોવા ગયા તો અવાજ કરવા છતાં તેમણે દરવાજો નહોતો ખોલ્યો. એ બાદ જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તેઓ ફાંસી ખાધેલા જોવા મળ્યાં. એ બાદ લોકો તેમને તત્કાલ હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં."

    તુનિષાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2015માં ટીવી સિરિયલ'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ'થી કરી હતી.

    એ બાદ તેમણે 'ચક્રવર્તી અશોક સમ્રાટ' સિરિયલમાં પણ કામ કર્યું, 'ઇશ્ક સુભાનઅલ્લાહ', 'ઇન્ટરનેટવાલા લવ' જેવાં સિરિયલોમાં પણ કામ કર્યું.

    2016માં તેમણે ફિલ્મ 'ફિતૂર'થી બોલિવૂડ કૅરિયરની શરૂઆત કરી હતી.

  2. રાહુલ ગાંધી લાલ કિલ્લા પરથી બોલ્યા, 'આ મોદી નહીં, અદાણી-અંબાણીની સરકાર'

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    શનિવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પર 'ભારત જોડો યાત્રા' પહોંચી તો રાહુલ ગાંધી સાથે મંચ પર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા કલાકાર અને નેતા કમલ હાસન અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા.

    લાલ કિલ્લા પરથી લોકોને સંબોધતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કઠેડામાં મૂકી અને આકરા પ્રહારો કર્યા. તેમણ 'નફરતના રાજકારણ' અને ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો.

    રાહુલ ગાંધીએ શું કહ્યું? ભાષણના અંશો

    • મીડિયામાં હવે હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ બતાવાઈ રહ્યું છે. એના થકી નફરત ફેલાવાઇ રહી છે. જોકે, આમાં વાંક મીડિયાવાળાઓનો નહીં પણ એમની પાછળ એમના જે માલિક છે, એમની તાકાત છે.
    • હું 2800 કિલોમીટરના પ્રવાસ દરમિયાન લાખો લોકોને મળ્યો છું. લોકો એકબીજાને પ્રેમ કરે છે, નફરત નથી કરતા પણ મીડિયાવાળા એ બતાવતા નથી.
    • હકીકત એ છે કે 24 કલાક મીડિયામાં નફરતના સમાચારો બતાવાય છે અને લોકોનું ધ્યાન ભટકાવીને જનતાના પૈસાથી એમના માલિકોનાં ખિસ્સા ભરાય છે. એ સૌ જાણે છે કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી, અદાણી-અંબાણીની સરકાર છે.
    • જીએસટી એક પૉલિસી નથી પણ નાના વેપારીઓને મારવાનું હથિયાર છે. આવું કરવાથી થયું એવું કે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. રમત સમજો. જીએસટી રોજગાર આપનારાઓ પર લગાવ્યો અને એમની કમર તોડી નાખી. હવે તેઓ કઈ રીતે યુવાનોને રોજગાર આપી શકે?
    • ભાજપે ધર્મની વાત કરી છે તો હું હિંદુ ધર્મની વાત કરું છું. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે ગરીબ લોકોને કચડી નાખવા જોઈએ, કમજોરોને મારવા જોઈએ? મેં ગીતા વાંચી છે અને ઉપનિષદો પણ વાંચ્યા છે પણ આવું તો મેં ક્યાંય વાંચ્યું નથી.
    • અદાણી-અંબાણી તરફ ઇશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન પર પણ લગામ લાગેલી છે.એ સમજવું જરૂરી છે કે બંદરો તેમનાં (અદાણી-અંબાણી), કંપનીઓ એમની, ફોન એમના પણ આપણી પાસે સચ્ચાઈ છે.
    • ભાજપે મારી છબી ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કર્યો. હું રાજકારણમાં આવ્યો હતો ત્યારે મીડિયાવાળા મારી પ્રશંસા કરતા હતા. પછી હું ભટ્ટા પરસોલ ગયો અને મેં ખેડૂતોની જમીનોનો મામલ ઉઠાવ્યો. એ બાદ તેઓ મારી પાછળ પડી ગયા
    • વડા પ્રધાન અને ભાજપે હજારો-કરોડો રૂપિયા લગાવી દીધા મારી છબી બગાડવા માટે.
    • હું શાંત રહ્યો. મેં કહ્યું કે જોઉં છું કેટલો દમ છે. એ પછી એક મહિનામાં સચ્ચાઈ બતાવી દીધી.
  3. યુપીની મથુરા કોર્ટનો કૃષ્ણ જન્મભૂમિની શાહી ઈદગાહ સાઈટના સર્વેનો આદેશ

    કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ

    ઇમેજ સ્રોત, ROB ELLIOTT/AFP VIA GETTY IMAGES

    ઇમેજ કૅપ્શન, કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ

    બીબીસી સંવાદદાતા સુચિત્ર મોહંતી અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના મામલામાં મથુરાની જિલ્લા અદાલતે અરજદારો પૈકી ‘હિન્દુ સેના’ની માંગણી મુજબ વિવાદિત સ્થળના સર્વેનો આદેશ આપ્યો છે.

    મથુરા કોર્ટે તેમના આદેશમાં (બીબીસી પાસે આદેશની નકલ છે), હિંદુ સેના દ્વારા દાખલ કરાયેલા દાવામાં વિવાદિત જમીનનું સર્વેક્ષણ કરવા કોર્ટ ઑથોરિટીને નિર્દેશ આપ્યો હતો.

    કોર્ટે નકશા સહિતનો રિપોર્ટ 20 જાન્યુઆરી, 2023 સુધીમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ આદેશ 'હિંદુ સેના' દ્વારા દાખલ કરાયેલા દાવા પર આપવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે વારાણસીમાં જ્ઞાનવાપી કેસમાં પણ આવો જ આદેશ આપ્યો હતો અને ઉત્તર પ્રદેશની મથુરા કોર્ટનો આ આદેશ એ જ તર્જ પર છે.

    મથુરાનાં સિવિલ જજ સોનિકા વર્માએ વચગાળાનો આદેશ પસાર કર્યો અને અરજદારોમાંના એક હિંદુ સેનાની માગણી મુજબ વિવાદિત સ્થળના સર્વેનો નિર્દેશ આપ્યો.

    મથુરા સિવિલ જજ હિંદુ સેના દ્વારા શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહ્યાં હતાં,અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદને 13.37 એકરની જમીનમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી.

    હિંદુ પક્ષે વિવાદિત સ્થળના સર્વેક્ષણની માંગણી કરી હતી અને દાવો કર્યો હતો કે મસ્જિદમાં મંદિરનાં ચિહ્નો વિકૃત અથવા દૂર કરવામાં આવ્યાં છે.

    શનિવારે, મથુરા કોર્ટે વિવાદિત સ્થળના સર્વેક્ષણ અને નકશા સાથે સર્વે રિપોર્ટ કોર્ટમાં 20 જાન્યુઆરી, 2023 સુધીમાં દાખલ કરવાનો આદેશ પસાર કર્યો હતો.

    વિવાદ શું છે?

    9 મેના રોજ, મથુરા કોર્ટમાં શાહી ઈદગાહ મસ્જિદમાં સર્વે કરવા માટે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જે કથિત રીતે 1669-70માં મોઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પાસે આવેલા કટરા કેશવદેવ મંદિરના 13.37 એકરના પરિસરમાં બનાવવામાં આવી હતી.

    અરજદાર કોર્ટ કમિશનર તરીકે વરિષ્ઠ વકીલની નિયુક્તિની માંગ કરી રહ્યા હતા, જે જઈને જમીનનો સ્ટોક લઈ શકે અને વિવાદિત સ્થળ પર હાજર હિંદુ પ્રતીકોની તપાસ કરી શકે.

  4. ભારત જોડો યાત્રા દિલ્હીમાં, રાહુલે કહ્યું, 'આ સાચું હિંદુસ્તાન'

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    રાહુલ ગાંધીની આગેવાનીમાં કૉંગ્રેસની 'ભારત જોડો યાત્રા' શનિવારે વહેલી સવારે દિલ્હી પહોંચી અને વિરામ બાદ બપોરે આશ્રમથી ફરી શરૂ થઈ.જાણીતા અભિનેતા-નેતા કમલ હાસન પણ આ યાત્રામાં જોડાયા.આ ઉપરાંત કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ યાત્રામાં જોડાયાં.

    દિલ્હીમાં યાત્રાના પ્રવેશ વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની યાત્રા 'સાચા હિંદુસ્તાન'ના દર્શન કરાવી રહી છે.

    તેમણે કહ્યું, "આ યાત્રામાં નફરત નથી. કોઈ પડી જાય તો સૌકોઈ એની મદદ કરે છે. સાચું હિંદુસ્તાન આ છે, ભાજપ અને આરએસએસનું નફરતથી ભરેલું હિંદુસ્તાન નહીં." તેમણે યાત્રામાં જોડાવા બદલ 'લાખો લોકોનો' આભાર પણ વ્યક્ત કર્યો.

    જોકે, આ યાત્રાને પગલે દક્ષિણપૂર્વ દિલ્હીમાં ટ્રાફિક જામ પણ સર્જાયો. જોકે, ટ્રાફિક પોલીસે દિલ્હીવાસીઓને યાત્રાને પગલે જામના અંદેશાવાળા માર્ગોની પહેલાં જાણ કરી દીધી હતી.

    ભારત જોડો યાત્રા દિલ્હીમાં 23 કિલોમીટરનું અંતર કાપશે.

  5. ગુજરાતના યુવાનનું 'ગેરકાયદે' અમેરિકા જતી વખતે મૃત્યુ, ગુજરાતીઓને કઈ રીતે અમેરિકામાં ઘુસાડાય છે?

  6. રાજસ્થાન : શિક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક, બસમાં પેપર સૉલ્વ કરતાં 40 કરતાં વધુ ઉમેદવાર પોલીસ કસ્ટડીમાં,

    પરીક્ષામાં ચોરી

    ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

    રાજસ્થાન લોક સેવા પંચ (આરપીએસસી)ની સેકન્ડ ગ્રેડ શિક્ષક ભરતી પરીક્ષાનું સામાન્ય જ્ઞાન અને શિક્ષણ મનોવિજ્ઞાનનું પેપર લીક થયું છે.

    પોલીસના ઇનપુટ આધારે એક બસમાંથી 40 કરતાં વધુ લોકોને પેપર સૉલ્વ કરતા પકડ્યા છે.

    રાજ્યમાં શનિવારે 1,193 પરીક્ષા કેન્દ્રોમાં સવારે નવ વાગ્યાથી 11 વાગ્યા સુધી પરીક્ષા થવાની હતી. પરંતુ પેપર લીક થવાના કારણે આરપીએસસીએ પરીક્ષા રદ કરી કરી દીધી છે.

    રાજસ્થાનમાં પરીક્ષામાં ગેરરીતિ

    ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

    પેપર લીક થયા બાદ સમગ્ર રાજ્યમાંથી પરીક્ષાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.

    ઉદયપુર જિલ્લા પોલીસ અધીક્ષક (એસપી) વિકાસ શર્માએ બીબીસીને ફોન પર કહ્યું, “ઉદયપુરના બેકરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે એક બસમાંથી પેપર સૉલ્વ કરતા પરીક્ષાર્થીઓને પકડ્યા છે. 40 કરતાં વધુ લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા છે.”

    એસપીએ કહ્યું, “અમને આ અંગે રાત્રે જ ઇનપુટ મળી ગયા હતા. આ આધારે નાકાબંધી કરીને બસમાંથી આ પરીક્ષાર્થીઓને પકડાયા છે. તેમની પૂછપરછ કરાઈ રહી છે. આગામી સમયમાં વધુ લોકોને કસ્ટડીમાં લેવાશે.”

    રાજસ્થાનમાં પરીક્ષામાં ગેરરીતિ

    ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

    પરીક્ષાનું પેપર લીક થયા બાદ ભાજપે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.

    વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ પેપર લીક પ્રકરણને સરકાર પર કલંક ગણાવ્યું.

    તેમજ ભાજપના પ્રદેશાધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયાએ આ મામલે સરકારને ઘેરી છે.

    રાજસ્થાનમાં પરીક્ષામાં ગેરરીતિ

    ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

    ડૉ. સતીશ પૂનિયાએ કહ્યું, “સંગઠિત કૉપી માફિયા ગૅંગ અને જેટલા લોકો દોષિત છે, તે તમામને કડક સજા મળવી જોઈએ. પ્રદેશના યુવાનોને ન્યાય મળવો જોઈએ.”

    આ મામલે મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું છે કે, “દુર્ભાગ્યે સમગ્ર દેશમાં પેપર લીક કરનાર ગૅગ ચાલી રહી છે. આના કારણે ઘણાં રાજ્યોમાં તેમજ ન્યાયતંત્ર અને મિલિટરીમાં પણ પેપર લીક થવાની ઘટના બને છે. સરકાર કોઈ પણ યુવાન સાથે અન્યાય નહીં થવા દે અને દોષીઓને કઠોર સજા કરાશે.”

    રાજસ્થાનમાં પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો

    ઇમેજ સ્રોત, Twitter@ashokgehlot51

  7. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 201 કેસ નોંધાયા

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા ત્રણ કેસ નોંધાયા છે.

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર, રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.13 ટકા છે.

    રાજ્યમાં હાલમાં કુલ 27 કેસ સક્રિય છે.

    દેશની વાત કરીએ તો ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 201 કેસ નોંધાયા છે.

    આ સાથે જ ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3397 થઈ ગઈ છે.

    દેશમાં કોવિડથી સાજા થવાનો દર 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 183 લોકો સાજા થયા છે.

    કોરોના

    ઇમેજ સ્રોત, ANI

  8. મ્યાનમારઃ ‘મને ગોળી મારવાની તક પહેલાં મળશે તો હું તારી હત્યા જરૂર કરીશ, દીકરા’

  9. ઇમરાન ખાનનાં પૂર્વ પત્ની રેહામ ખાને કર્યાં ત્રીજાં લગ્ન, શૅર કરી તસવીરો

    રેહામ ખાન

    ઇમેજ સ્રોત, REHAM KHAN

    પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનનાં પૂર્વ પત્નીએ ફરી લગ્ન કરી લીધાં છે.

    રેહામ ખાને મૉડલ મિર્ઝા બિલાલ સાથે લગ્ન કર્યાં છે જે તેમના કરતાં 13 વર્ષ નાના છે. મિર્ઝા બિલાલનાં પણ આ ત્રીજાં લગ્ન છે.

    મિર્ઝા બિલાલ એક અભિનેતા અને મૉડલ છે. તેઓ પાકિસ્તાની ટીવી ચેનલ પર રાજકીય કૉમેડી શોમાં પણ કામ કરી ચૂક્યા છે.

    રેહામ અને મિર્ઝાએ અમેરિકાના સીએટલમાં લગ્ન કર્યાં અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો નાખવાની સાથે જાણકારી આપી છે.

    રેહામે ટ્વીટ પર લખ્યું, “જિંદગી પ્યાર અને સમજણનું નામ છે. ઘણા સમય સુધી એકલી ઝઝૂમ્યાં બાદ હું એક એવા શખ્સને મળી જેણે મને પોતાની બુદ્ધિ અને પ્રામાણિકતાથી પ્રભાવિત કરી. એ વ્યક્તિ પર હું વિશ્વાસ કરી શકું છું. એ વ્યક્તિ મારા મુશ્કેલ સમયમાં મારી સાથે રહી.”

    તેમણે જણાવ્યું કે તેમના દીકરા જ આ લગ્નમાં વકીલ બન્યા હતા. મિર્ઝાનાં માતાપિતા પણ લગ્નમાં હાજર રહ્યાં હતાં.

    જોકે, તેમનાં લગ્ન પર મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. અમુક લોકો તેમને શુભકામના આપી રહ્યા છે, તો અમુક લોકો કટાક્ષ પણ કરી રહ્યા છે.

    રેહામ ખાને ઇમરાન ખાનથી સાત વર્ષ પહેલાં તલાક લીધા હતા. તેઓ ઇમરાન ખાનનાં ટીકાકાર પણ રહ્યાં છે.

    તેમનાં પ્રથમ લગ્ન એજાઝ રહમાન સાથે થયાં હતાં અને રેહામને ત્રણ બાળકો પણ છે.

  10. અમેરિકામાં ભીષણ હિમવર્ષા, 20 કરોડો લોકોને અસર

    અમેરિકામાં બરફવર્ષા

    ઇમેજ સ્રોત, ANNA HALVERSON

    બીબીસી ન્યૂઝના જ્યૂડ શીરિન અને મૅક્સ માર્ટાના અહેવાલ અનુસાર ક્રિસમસની રજાઓ શરૂ થાય તે અગાઉ અમેરિકામાં ભીષણ ઠંડીના કારણે 20 કરોડ લોકોનાં જીવન પર માઠી અસર પડી છે.

    ભીષણ ઠંડીને ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ સાથે પણ જોડવામાં આવી રહી છે.

    શુક્રવારે ખરાબ વાતાવરણને કારણે દેશમાં 15 લાખ લોકોએ વીજળી ગુમાવી હતી અને હજારો ફ્લાઇટો રદ કરાઈ છે.

    ગાય

    ઇમેજ સ્રોત, REUTERS

    ઠંડીનો પ્રકોપ એટલો બધો વધ્યો છે કે દક્ષિણ ડેકોટામાં કેટલાક મૂળ અમેરિકનો માટે ઈંધણ ખાલી થઈ જતાં ગરમી માટે કપડાં બાળવાનો વારો આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

    આ સિવાય કૅનેડાના ઓન્ટારિયો અને ક્યુબેકમાં પણ બરફના તોફાનની અસર જોવા મળી હતી.

    તેના કારણે વાતાવરણીય દબાણ ઘટતાં ગ્રેટ લેક્સ અને અમેરિકા-કૅનેડાની સરહદે પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની હતી.

  11. કેન્દ્ર સરકારે મફત રૅશન પૂરું પાડવાની યોજના ડિસેમ્બર 2023 સુધી લંબાવી

    મફત રૅશન યોજના

    ઇમેજ સ્રોત, Getty Images

    એનડીટીવીડોટ કૉમના એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે આગામી વર્ષના ડિસેમ્બર માસ સુધી મફત રૅશન પૂરું પાડવાની યોજના લંબાવવાની જાહેરાત કરી છે.

    આ જાહેરાત અનુસાર નેશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટમાં સમાવિષ્ટ લોકોને રાહત દરે નહીં પરંતુ મફત અનાજ મળવાનું ચાલુ રહેશે.

    નોંધનીય છે કે કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા વર્ષ 2020માં કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલ કૅબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ નિર્ણયની જાહેરાત કરી હતી.

    નોંધનીય છે કે આ યોજના ડિસેમ્બરમાં સમાપ્ત થવાની હતી. પરંતુ હવે આ નિર્ણય બાદ તેને આગામી વર્ષના અંત સુધી લંબાવી દેવાઈ છે.

    આ જાહેરાતથી સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.

  12. ભારત જોડો યાત્રા દિલ્હીમાં પ્રવેશી, કૉંગ્રેસના મોટા નેતાઓના સામેલ થવાની સંભાવના

    રાહુલ ગાંધી - ભારત જોડો યાત્રા

    ઇમેજ સ્રોત, Bharat Jodo/Twitter

    રાહુલ ગાંધીની આગેવાનીમાં હાલ કૉંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. શનિવારે વહેલી સવારે યાત્રા હરિયાણાથી દિલ્હી પહોંચી હતી.

    આ યાત્રામાં દિલ્હીની બદરપુર બૉર્ડરથી શહેરમાં 23 કિલોમીટરનો વિસ્તાર કવર કરાશે.

    ભારત જોડો યાત્રા દિલ્હીના લાલ કિલ્લા, આશ્રમ, નિઝામુદ્દીન, ઇન્ડિયા ગેટ, આઇટીઓ, દિલ્હી ગેટ અને દરિયાગંજથી પસાર થશે.

    યાત્રામાં અભિનયક્ષેત્રેથી રાજકારણમાં ઝંપલાવનાર કમલ હાસન, સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારજનો અને કૉંગ્રેસના મોટા નેતાઓના સામેલ થવાની સંભાવના છે.

    રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રવેશતાં પહેલાં કહ્યું, “અમુક લોકો નફરત ફેલાવી રહ્યા છે પરંતુ દેશના સામાન્ય માણસો પ્રેમની વાત કરી રહ્યા છે. દરેક રાજ્યમાં લાખો લોકો યાત્રા સાથે જોડાયા. મેં આરએસએસ-ભાજપના લોકોને કહ્યું કે અમે તમારા નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યા છીએ.”

    કૉંગ્રેસે ટ્વીટ કર્યું છે, “કરોડો આશા માટે કન્યાકુમારીથી થયેલ યાત્રા સેંકડો માઇલની સફર પૂરી કરીને દેશના પાટનગર દિલ્હી આવી રહી છે. તાનાશાહોને પ્રશ્ન પૂછવા અને જનતાનાં આંસુનો હિસાબ માગવા. આજે ભારત જોડો યાત્રા એનએચપીસી મેટ્રો સ્ટેશનથી શરૂ થઈને લાલ કિલ્લા સુધી જશે. આવો આ સફરમાં કદમતાલ મિલાવીએ.”

    નોંધનીય છે કે તાજેતરમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને ‘દેશહિતમાં યાત્રા સ્થગિત કરવાની’ ભલામણ કરી હતી.

    જે બાદ કૉંગ્રેસના નેતાઓએ ‘ગુજરાતની ચૂંટણી’ અને અન્ય મેળાવડા પર ધ્યાન દોરી આરોગ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

  13. ગુજરાતની ડિસ્ટ્રિક્ટ કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ટૂંક સમયમાં શરૂ કરાશે

    ડિસ્ટ્રિક્ટ કોર્ટ

    ઇમેજ સ્રોત, Getty Images

    લાઇવલો ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું ટૂંક સમયમાં જ શરૂ કરાશે.

    આ અંગેની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને મંજૂરી આપી દીધી છે.

    ગુરુવારે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ અંગેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

    આ નોટિફિકેશન રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટોના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજોને મોકલી દેવાયું છે.

    નોંધનીય છે કે આ કાર્યવાહી માટે જરૂરી સાધનસામગ્રી કોર્ટોને પહેલાંથી પૂરી પાડી દેવાઈ છે. આ પ્રોજેક્ટ માટે નિષ્ણાત ટીમો દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે.

  14. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    23 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.