You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અરુણાચલ પ્રદેશ : તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના અહેવાલો

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, ભારત-ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશમાં LAC ખાતે ઘર્ષણ

    અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે 9 ડિસેમ્બરે આ ઘટના ઘટી હતી.તવાંગ વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) સુધી પહોંચી ગઈ હતી.

    આ ઘર્ષણમાં બન્ને તરફ સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, બન્ને પક્ષો તુરંત જ પાછા હઠી ગયા હોવાનું પણ સમાચાર સંસ્થા જણાવી રહી છે.

    ભારતના એક પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ભારતીય સંરક્ષણ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સૈનિકોની સરખામણીએ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.

    લદ્દાખની ગણવાન ખીણમાં 15 જૂન 2020ના રોજ બન્ને દેશોના સૈનિકોએ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે. એ વખતે ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાયને ઈજા પહોંચી હતી.

    'ધ ટ્રિબ્યૂન' અખબાર લખે છે કે આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો પહેલાંથી જ આમને-સામને થતા રહે છે.

    જોકે, હજુ સુધી ભારત સરકાર તરફથી આ મામલે કોઈ આધિકારિક ટિપ્પણી નથી આવી. પૂર્વ લદ્દાખમાં ઑગષ્ટ 2020 બાદ બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણનો આ પ્રથમ મામલો છે.

    ચીન તરફથી પણ આ મામલે કોઈ આધિકારિક નિવેદન જાહેર કરાયું નથી.

  2. કાબુલના ગેસ્ટ હાઉસમાં ગોળીબાર અને બ્લાસ્ટ

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગેસ્ટ હાઉસ નજીક ગોળીબાર અને વિસ્ફોટના સમાચાર આવ્યા છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર આ હોટલમાં વધુ પડતા ચીની કારોબારી રોકાતા હતા.

    આ હુમલો મધ્ય કાબુલના શહેર-એ-નૌ માં થયો છે.

    ચીની સમાચાર એજન્સી શિન્હુઆએ ઘટના સમયે હાજર લોકોને ટાંકીને કહ્યું હતું કે, આ ઘટના એક ગેસ્ટ હાઉસ નજીક થઈ હતી અને આ ગેસ્ટ હાઉસમાં ચીની નાગરિક રહેતા હતા.

    શિન્હુઆએ કાબુલસ્થિત ચીની દૂતાવાસને ટાંકીને કહ્યું હતું કે, ચીન સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે અને સાથે જ મદદ માટે જરૂરી પગલાં પણ લઈ રહ્યું છે.

    હજુ એ સ્પષ્ટ થયું નથી કે, વિસ્ફોટના કારણે કેટલું નુકસાન થયું છે. ચીની સરકાર અથવા તાલિબાન પ્રશાસને આ વિષયે હજુ કોઈ જાણકારી આપી નથી.

    અફઘાનિસ્તાનમાં ઑગસ્ટ 2021માં તાલિબાનના પુનરાગમન બાદ ઇસ્લામિક રાજ્યના લડવૈયાઓ ઉગ્રવાદી હુમલા કરી રહ્યા છે. આ પહેલા દેશમાં વિદેશી નાગરિકો પર પણ હુમલા થયા હતા.

    આ હુમલાનું લક્ષ્ય ચીનના નાગરિકો હતા કે કોઈ પણ વિદેશી નાગરિકને નુકસાન પહોંચાડવાનો તેમનો હેતુ હતો, હાલ એ સ્પષ્ટ થયું નથી.

    એક પ્રત્યક્ષદર્શીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે, “ધડાકો ખુબ જોરદાર થયો હતો અને ત્યારબાદ આડેધડ ગોળીબારનો અવાજ સંભળાયો હતો.”

    હજુ સુધી સુરક્ષા અધિકારીઓ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

    સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, હજુ સુધી આ હુમલામાં કોઈને જાનહાનિ થઈ હોવાની સ્પષ્ટ જાણકારી મળી નથી.

    જોકે, સ્થાનિક લોકોએ રૉયટર્સને જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાદ સતત ગોળીબાર થતો રહ્યો હતો.

  3. બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી હઠાવી લેવાય : સુશીલકુમાર મોદી

    ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુશીલકુમાર મોદીએ બે હજાર રૂપિયાની નોટને બંદ કરી દેવાની માગ કરી છે.તેમણે કહ્યું છે કે સરકારે આ નોટોને ધીરેધીરે ચલણમાંથી બહાર કાઢી લેવી જોઈએ.

    સુશીલકુમાર મોદીએ સોમવારે રાજ્યસભામાં કહ્યું કે જે લોકો પાસે આ નોટ હોય, એમને જમા કરાવવા માટે બે વર્ષનો સમય આપવો જોઈએ.

    તેમણે શૂન્યકાળમાં આ મામલો ઉઠાવતાં કહ્યું કે એટીએમમાં બે હજાર રૂપિયાની નોટ ગાયબ થઈ ગઈ છે અને એવી અફવા પણ છે કે ટૂંક સમયમાં આ નોટ વૈધ નહીં રહે.

    તેમણે એવું પણ કહ્યું કે "સરકારે આ મામલે સ્પષ્ટીકરણ આપવું જોઈએ."

    નોંધનીય છે કે વર્ષ 2016માં સરકારે જ્યારે નોટબંધી કરી ત્યારે પાંચસો અને એક હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. એ વખતે પાંચસો અને બે હજાર રૂપિયાની નવી નોટો જાહેર કરાઈ હતી.

    તેમણે કહ્યું, "જ્યારે એક હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હોય ત્યારે બે હજાર રૂપિયાની નોટલાવવા પાછળ કોઈ તર્ક નથી."

  4. ભૂપેન્દ્ર પટેલ સાથે આ મંત્રીઓએ લીધા શપથ

    ભૂપેન્દ્ર પટેલ બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા છે, તેમણે રાજ્યના 18મા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને મુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા છે.

    તેમની સાથે આ મંત્રીઓએ શપથ લીધા છે

    ઋષિકેશ પટેલ

    રાઘવજી પટેલ

    બલવંતસિંહ પટેલ

    કુંવરજી બાવળિયા

    મૂળુ બેરા

    કુબેર ડીંડોર

    ભાનુબહેન બાબરિયા

    પરસોત્તમ સોલંકી

  5. વિરાટ કોહલીએ ભાવુક થઈને રોનાલ્ડો માટે શું કહ્યું?

    ફૂટબૉલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું 2022નું વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું નથી થઈ શક્યું. ક્વાર્ટર ફાઇનલની મૅચમાં મોરક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

    મૅચ હાર્યા બાદ રોનાલ્ડો રડતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ રોનાલ્ડો માટે એક ભાવુક પોસ્ટ લખી છે.

    કોહલીએ પોસ્ટમાં લખ્યું, "તમે આ રમત અને વિશ્વભરના ખેલપ્રશંસકો માટે જે પ્રશંસકો માટે જે કંઈ પણ કર્યું છે એને કોઈ ટ્રૉફી કે ખિતાબ ઓછું ના કરી શકે. કોઈ પણ ટાઇટલ એ ના જણાવી શકે કે તમે લોકોને કેવા પ્રભાવિત કર્યા. જ્યારે અમે તમને રમતાં જોઈએ ત્યારે હું અને વિશ્વભરના લોકો જે અનુભવે છે એ ભગવાની ભેટ છે."

  6. ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ શરૂ થવા જઈ રહી છે. તેમનો પરિવાર ગાંધીનગરમાં સમારોહસ્થળ પહોંચ્યો છે.

  7. વિજય રૂપાણીએ કહ્યું, '156- ઑલ આર ઇક્વલ'

    ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્ય મંત્રીપદના શપથ લઈ રહ્યા છે અને એમની સાથે નવું મંત્રીમંડળ પણ શપથ લેશે તેવી ચર્ચા છે.

    આ ચર્ચા દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નવી સરકારનું મંત્રીમંડળ 'બૅલેન્સિંગ' હશે એવી વાત કરી હતી.

    પત્રકારોને રૂપાણીએ કહ્યું હતું કે સૌ પ્રદેશના "પ્રતિનિધિઓને સાથે રાખતાં નવું મંત્રીમંડળ બૅલેન્સિંગ હશે. " તેમણે એવું પણ કહ્યું આ મંત્રીમંડળ ભાગ-1 છે અને એમાં આગામી સમયમાં ભાગ-2 તરીકે ઉમેરો કરાશે.

    કયા સમુદાયમાંથી કેટલા મંત્રીઓ બનશે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું,"156- ઑલ આર ઇક્વલ (156- બધા સમાન છે)"

    નોંધનીય છે કે ગત વર્ષે 11 સપ્ટેમ્બરે રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીમંડળ સાથે મુખ્ય મંત્રીપદના શપથ લીધા હતા.

    2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનના રાજકીય પડઘાના ભાગરૂપે એક વર્ષ બાદ ઑગસ્ટ 2016માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપી દીધું હતું અને વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.

  8. ભૂપેન્દ્ર પટેલની કૅબિનેટને ફાળવાયાં ખાતાં, કોને સોંપાયું કયું ખાતું?

  9. ઇટાલીના કાફેમાં ગોળીબાર, વડાં પ્રધાનનાં મિત્ર સહિત ત્રણનાં મૃત્યુ

    ઇટાલીમાં રોમમાં એક કાફેમાં થયેલા ગોળીબારમાં ત્રણ મહિલાઓનાં મૃત્યુ થયાં છે. આમાંથી એક મહિલા ઇટાલીનાં નવાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીની મિત્ર પણ હતી. ગોળીબારમાં ચાર લોકોને ઈજા પહોંચી છે.

    રોમના મેયર રૉબર્તો ગલટેયરીએ આ ગોળીબારને 'હિંસાની ગંભીર ઘટના' ગણાવી છે અને આ મામલે સોમવારે યોજાઈ રહેલી ઇમર્જન્સી બેઠકમાં પણ તેઓ સામેલ થશે.

    આ મામલે 57 વર્ષના એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરવામાં આવી છે.

    ઇટાલીના 'લ રિપબ્લિકા' અખબારના રિપોર્ટ અનુસાર લુસિયાના સિઓરબા રોમના ફિદેનેસ્થિત કાફેમાં હાજર હતાં.

    તેમણે અખબારને જણાવ્યું કે રવિવારે બંદૂકધારી બારમાં દાખલ થયો અને ગોળીઓ ચલાવતાં પહેલાં એણે બુમ પાડી,"હું તમને સૌને મારી નાખીશ." જોકે, થોડા સમયમાં જ લોકોએ એને કાબૂમાં કરી લીધો હતો.

    ઇટાલીનાં વડાં પ્રધાને આ ગોળીબારમાં માર્યાં ગયેલાં નિકોલેટા ગોલિસાનોને પોતાનાં મિત્ર ગણાવ્યાં છે. અન્ય બે મહિલાઓનાં નામ એલિઝાબેટા સિલેન્ઝી અને સબીના સ્પરન્ડિયો છે.

  10. 'કર્ણાટકમાં ગુજરાતનાં ચૂંટણી પરિણામનું પુનરાવર્તન થશે' - સીએમ બોમ્મઈ

    ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચેલા કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, "કર્ણાટકમાં ગુજરાતનાં ચૂંટણી પરિણામનું પુનરાવર્તન થશે. ગુજરાતની જીતથી રાજ્ય સરકારોને સંદેશ પહોંચ્યો છે કે જો તમે વિકાસનાં કાર્યો કરો તો પ્રો-ઇન્કમ્બન્સી પણ કામ કરી શકે છે."

    સોમવારના બપોર બે વાગ્યે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્ય મંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

  11. 'ગુજરાતમાં કૉંગ્રેસની હારમાંથી પાઠ શીખવો જરૂરી' - પી ચિદંબરમ

    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે કહ્યું છે કે "2024ની લોકસભા ચૂંટણીમાં બિનભાજપ મોરચાની ધરી બનવા માટે સૌથી ઉપયુક્ત છે." તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનું દિલ્હી હરિયાણા અને પંજાબની બહાર લોકોમાં આકર્ષણ નથી.

    ચિદંબરમે કહ્યું કે "ગુજરાતમાં કૉંગ્રેસમાંથી પાઠ શીખવો જોઈએ." તેમણે કહ્યું કે રસાકસીની ચૂંટણીમાં મૂકપ્રચાર જેવી કોઈ વાત નથી હોતી.

    સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે "આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસનો ખેલ બગાડ્યો. આવું તેણે ગોવા અને ઉત્તરાખંડમાં પણ કર્યું હતું."

    ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીની એમસીડી ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "વડા પ્રધાને વિચારવું જોઈએ કે ત્રણ ચૂંટણી થઈ, ત્યાં તેમાં તેમની સરકાર હતી તેમાંથી બેમાં ભાજપની હાર થઈ છે.

    "આ ભાજપ માટે મોટી હાર છે. ગુજરાતમાં ભાજપની જીત મહત્ત્વપૂર્ણ છે પરંતુ એ પણ છુપાવી ન શકાય કે જ્યાં ભાજપ સરકારમાં હતી તેવી એમસીડી અને હિમાચલ પ્રદેશમાં ભાજપને નિર્ણાયક હાર મળી છે."

    હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ અને એમસીડીની ચૂટંણીમાં આપને નિર્ણાયક માર્જિનથી જીતી હતી.

    "હિમાચલ પ્રદેશમાં મતોનું મર્જિન નાનું હોય પરંતુ તે રાજ્યમાં પ્રેસિડેન્શિયલ પ્રકારની ચૂંટણી નહોતી. આ વિધાનસભા ક્ષેત્રમાં થયેલી ચૂંટણી હતી જેમાં દરેક બેઠકનું માર્જિન જોવું પડે."

    "કૉંગ્રેસ જે 40 બેઠકો જીતી તેમાં કેટલીક બેઠકોમાં સારું માર્જિન હતું. વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું માર્જિન જોવું ન જોઈએ."

    ઉલ્લેખનીય છે કે કે ગુજરાતમાં કૉંગ્રેસની હાર અને રાજ્યમાં મંદ પ્રચાર કહ્યું કે મને લાગે છે કે કૉંગ્રેસને ગુજરાતમાં બહુ આશા નહોતી. સામાન્ય રીતે, મને લાગે છે કે દરેક ચૂંટણીમાં પાર્ટી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવા જોઈએ અને માનવ, ડિજિટલ અને અન્ય સંસાધનો ઝોંકવા જોઈએ."

    તેમણે કહ્યું કે "હું નથી માનતો કે એક રસાકસી ભરેલી ચૂંટણીમાં મૂકપ્રચાર જેવી કોઈ વસ્તુ નથી હોતી.ગુજરાતમાં કૉંગ્રેસની હારમાંથી કેટલાક પાઠ શીખવાની જરૂર છે."

  12. શપથગ્રહણ સમારોહ પહેલાં હાર્દિક પટેલે શું કહ્યું?

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રીપદના શપથ લેશે. તેમની સાથે તેમનું મંત્રીમંડળ આજે શપથ લે એવી ચર્ચા છે.

    આ દરમિયાન હાર્દિક પટેલે નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે એની વાત પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કરી હતી.

    સમાચાર સંસ્થા એએનઆઈને હાર્દિકે જણાવ્યું, "હું ઘણો યુવા ધારાસભ્ય છું. હું માત્ર પક્ષ માટે કામ કરવામાં વિશ્વાસ રાખું છું. કૅબિનેટમાં કોને સ્થાન આપવું એનો નિર્ણય ભાજપ કરશે. પક્ષ મને જે પણ જવાબદારી આપશે, એનો હું ખુશીથી સ્વીકાર કરીશ. "

  13. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણની કેવી તૈયારીઓ કરાઈ છે?

  14. ગુજરાતનાં પરિણામો : નરેન્દ્ર મોદી કઈ રીતે ભારતના સૌથી લોકપ્રિય રાજનેતા બની રહ્યા છે?

  15. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુપર ઓવરમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

    મહિલા ક્રિકેટ ટી-20 ટુર્નામેન્ટ માટે ઑસ્ટ્રેલિયન ટીમ ભારતના પ્રવાસે છે. બંને વચ્ચે પાંચ મૅચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મૅતમાં ભારતીય ટીમે સુપર ઓવરમાં બહેતરીન જીત મેળવી છે.

    મૅચમાં ભારતીય સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ એક કીર્તિમાન સ્થાપ્યો છે. સ્મૃતિએ 49 બૉલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 79 રન કર્યા હતા.

    મૅચ બાદ સ્મૃતિએ પ્રોત્સાહન માટે ચાહકોને આભાર માનતા કહ્યું, "અહીં આવવા માટે તમારા બધાનો આભાર, બહેતરીન માહોલ હતો. સપોર્ટ માટે તમારો આભાર. આ એક અસાધારણ રમત હતી. અમને આશા નહોતી, પણ અમે કરી બતાવ્યું, કેમ કે તમે અમારો ઉત્સાહ વધાર્યો. અમે તમને ગૌરવાન્વિત કરતાં રહીશું."

    મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    સ્મૃતિ મંધાનાએ 79 રનની ઇનિંગ ખેલી હતી. આ ઇનિંગ સાથે સ્મૃતિ ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં સૌથી વધુ વાર 50 રન બનાવનારાં ખેલાડી બન્યાં છે.

    તો શેફાલી વર્માએ પણ 23 બૉલમાં 34 રન કર્યા હતા.

    અંતિમ ઓવરમાં ભારતને 14 રનની જરૂર હતી અને દેવિકા વૈદ્યે બે ચોગ્ગા ફટકારીને ભારતને જીત અપાવી હતી.

  16. આ ધારાસભ્યોને મળી શકે મંત્રીમંડળમાં સ્થાન

    ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 18માં મુખ્ય મંત્રી તરીકે શપથ લેવાના છે.

    ગાંધીનગરમાં શપથવિધિ માટે ભવ્ય સમારોહની તૈયારીઓ કરવામાં આવી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, મનીષા વકીલ અને રમણ પાટકરને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યા છે.

    પીટીઆઈ અનુસાર ભાજપ મંત્રીઓની પસંદગીમાં જ્ઞાતિ અને ક્ષેત્રીય સમીકરણોનું ધ્યાન રાખે તેવી શક્યતા છે.

    શનિવારે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. કનુભાઈ દેસાઈએ તેમના નામનો પ્રસ્તાવ આપ્યો હતો, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી, મનીષા વકીલ, રમણ પાટકર અને પંકજ દેસાઈએ તેમના નામનું સમર્થન કર્યું હતું.

    સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, બી.એસ યેદીયુરપ્પા, અર્જુન મુંડા જેવા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ શપથગ્રહણમાં સામેલ થશે.

  17. શપથગ્રહણમાં સામેલ થશે દેશભરથી આવેલા નેતાઓ

    ગુજરાતમાં મુખ્ય મંત્રીના શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

    ભાજપ મહિલા મોરચાનાં સભ્યો અમદાવાદમાં ઍરપોર્ટ પર દેશભરમાંથી આવતા નેતાઓના સ્વાગત માટે પહોંચ્યાં હતાં.

    દેશમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ શપથગ્રહણ સમારોહમાં સામેલ થઈ રહ્યા છે.

    કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે અમદાવાદ પહોંચ્યા બાદ કહ્યું કે, "ભાજપનો સાથ આપવા માટે ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ગુજરાતે ઇતિહાસ રચ્યો છે. હું ભાજપના દરેક કાર્યકરનો આભાર વ્યક્ત કરું છું."

  18. જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કૉંગ્રેસની બેઠક

    આજે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કૉંગ્રેસની બેઠક મળશે.

    આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો અને હારેલા ઉમેદવારો જાહેર રહેશે.

    ચૂંટણી થયેલી હાર પર કૉંગ્રેસના નેતાઓ મંથન કરશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને કૉંગ્રેસને માત્ર 17 બેઠક મળી છે.

    ગત 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને તેને 77 સીટ મળી હતી.

    જોકે આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસને ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી હારનો સામનો કરવો પડ્યો છે.

  19. આપના ધારાસભ્યો ભાજપમાં જોડાશે? શું સ્પષ્ટતા કરી?

    આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની પણ ચર્ચા થઈ રહી છે.

    પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તે વાતો વહેતી થઈ છે, જોકે આપે તેને રદિયો આપ્યો છે.

    આમ આદમી પાર્ટીની ટિકિટ પર વીસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીની ગાંધીનગર મુલાકાત બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી.

    જોકે તેમણે આ વાતને માત્ર અફવા ગણાવી છે.

    ભાયાણીએ સ્થાનિક પત્રકારો સાથેની વાતચીતમાં તેમના ભાજપમાં સામેલ થવાની વાતોને ‘અફવા’ ગણાવી હતી.

    પરંતુ આ વાતચીતમાં તેમણે પોતે ‘ભાજપના પરિવારના સભ્ય’ હોવાનું, ‘વડા પ્રધાન મોદી માટે ગૌરવ અનુભવતા’ હોવાનું જણાવ્યું હતું.

    એવી અટકળો છે કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલી પાંચેય ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.

    જોકે આપના ધારાસભ્યોએ તેને માત્ર અફવા ગણાવી હતી અને ભાજપમાં ક્યારેય નહીં જોડાય તેવું જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે, જેમાં જામજોધપુર, વીસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડાનો સમાવેશ થાય છે.

    ભૂપેન્દ્ર ભાયાણી (વીસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત આહીર (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચૈતર વસાવા આપના પાંચ ધારાસભ્યો છે.

  20. ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વાર મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે.

    આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપવા માટે ગઈ કાલે જ ગુજરાતમાં આવી ગયા છે.

    ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે અને આ માટે કેટલાક ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરાઈ હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

    ગાંધીનગરમાં બપોરે બે વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીતના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને 182માંથી 156 સીટ મેળવી છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કૉંગ્રેસને 17 અને આપને પાંચ બેઠકો મળી છે.

    ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સહિત શુક્રવારે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું જેથી નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ શકે.