You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું 68 બેઠક માટેનું મતદાન પૂર્ણ

હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે આજે થયેલું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી 55.65 ટકા મતદાન થયું હતું.

લાઇવ કવરેજ

  1. હિમાચલ પ્રદેશમાં 5 વાગ્યા સુધી 65.92 ટકા મતદાન

    હિમાચલ પ્રદેશની ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું છે. ભારતના ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર, દિવસના અંતે સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 65.92 ટકા મતદાન નોંધાયું છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, આ પહાડી રાજ્યના 68 વિધાનસભા મતવિસ્તારોમાં શિલ્લાઇમાં સૌથી વધુ 77 ટકા, જ્યારે સરકાઘાટમાં સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું છે.

    મતદાનની શરૂઆત સાવ ધીમી રહી હતી, પ્રથમ કલાકમાં માત્ર પાંચ ટકા મતદાન નોંધાયું હતું.

  2. દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા

    દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અંદાજે 50 સેકન્ડ સુધી આ આંચકા અનુભવાયા હતા.

    દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં પણ આંચકાનો અનુભવ થયો હતો.

    એક અઠવાડિયામાં આ બીજી વાર ભૂકંપ આવ્યો છે.

    ઑલ ઇન્ડિયા રેડિયોએ નેશનલ સેન્ટર ઑફ સિસ્મોલૉજીને ટાંકીને જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના જોશીમઠથી 212 કિલોમીટર દૂર ધરતી અંદર 10 કિલોમીટર હતું. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી.

  3. જેતપુર વિધાનસભા પર કૉંગ્રેસના ઉમેદવારનો વિરોધ

    રાજકોટની જેતપુર વિધાનસભા પર કૉંગ્રેસના ઉમેદવારનો વિરોધ શરૂ થયો છે અને ઉમેદવારને બદલવાની માગ સાથે બેઠક થઈ હતી.

    રાજકોટ જિલ્લાની જેતપુર-જામકંડોરણા વિધાનસભા પર કૉંગ્રેસના દીપક વેકરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, તો આ ઉમેદવારના વિરોધમાં તાલુકા કૉંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી અને ઉમેદવારને બદલવાની માગ કરવામાં આવી છે.

    કૉંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરતા કૉંગ્રેસના આગેવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને લોકો હજી પૂર્ણ રીતે ઓળખતા નથી, તેમજ તેઓ આર્થિક રીતે પણ સક્ષમ ન હોવાનું જણાવ્યું હતું.

    આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "જો પાર્ટી પોતાનો નિર્ણય નહીં બદલે કે બીજો ઉમેદવાર જાહેર નહીં કરે તો રાજીનામાની ચીમકી પણ આપી છે.

  4. 'ભારતીય ટીમના હાલ વેસ્ટ ઇન્ડીઝ જેવા નથી થવા દેવા', કોચ દ્રવિડે આવું કેમ કહ્યું?

  5. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું 68 બેઠક માટેનું મતદાન પૂર્ણ

    હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે આજે થયેલું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર બપોરે 3 વાગ્યા સુધી 55.65 ટકા મતદાન થયું હતું.

    આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કુલ 412 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 55 લાખથી વધુ મતદારો છે.

    આજે 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું. સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું.

    11 વાગ્યા સુધી રાજ્યમાં 17.98 ટકા મતદાન નોંધાયું હતું. બપોરે એક વાગ્યા સુધીમાં 37.19 ટકા મતદાન નોંધાયું હતું.

    મતદાન માટે ચૂંટણીપંચે 7,881 પૉલિંગ બૂથ ગોઠવ્યાં હતાં. વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવી જશે.

    90ના દાયકાથી અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં સરકાર ચલાવી રહેલા પક્ષો દર પાંચ વર્ષે બદલાતા રહ્યા છે.

    રાજ્યમાં ભાજપ સત્તા જાળવી રાખશે તેવો દાવો કરી રહ્યો છે, તો કૉંગ્રેસ સત્તા પરિવર્તનનો દાવો કરી રહી છે.

    હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી કૉંગ્રેસ અને ભાજપ પાંચ-પાંચ વર્ષમાં સત્તા પર રહ્યા છે. પરંતુ આ વખતે પ્રથમ વખત રાજ્યના મતદારો પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં ત્રીજો વિકલ્પ છે.

    આમ આદમી પાર્ટીના આગમનને કારણે રાજ્યમાં મતોના વિભાજનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    વિધાનસભા ચૂંટણીમાં કુલ 412 ઉમેદવારમાંથી 24 મહિલા અને 388 પુરુષો છે.

    શનિવારે મતદાન પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે મંડીમાં મંદિર જઈને પૂજા કરી.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જયરામ ઠાકુરનાં દીકરી ચંદ્રિકા ઠાકુરે કહ્યું, “લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે ખુશ છીએ અને બેફિકર પણ. મંડીએ હંમેશાં (જયરામ ઠાકુરનું) સમર્થન કર્યું છે. લોકોએ ભાજપના શાસનકાળમાં થયેલો વિકાસ જરૂર જોયો હશે.”

    બીજી તરફ કૉંગ્રેસનાં પ્રદેશાધ્યક્ષ પ્રતિભાસિંહે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે જનતા જાણે છે કે કોણે વિકાસ માટે કેટલું કામ કર્યું છે અને કોને સત્તામાં લાવવા છે.

  6. આમ આદમી પાર્ટીએ વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ વધુ ત્રણ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

    આપે જાહેર કરેલી આ 15મી યાદી છે, જેમાં સિદ્ધપુર, માતર અને ઉધના બેઠકનો સમાવેશ થાય છે.

    આમ આદમી પાર્ટીએ સિદ્ધપુર બેઠક પરથી મહેન્દ્ર રાજપૂત, માતર પરથી લાલજી પરમાર અને ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલને ટિકિટ આપી છે.

  7. ભાજપના પૂર્વ ધારાસભ્યો અપક્ષમાંથી ચૂંટણી લડશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ અને ઉમેદવારો પણ જાહેર થવા લાગ્યા છે, એવા હવે પક્ષમાં આંતરિક અસંતોષ પણ બહાર આવી રહ્યો છે.

    જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી પહેલાં મોટું ભંગાણ પડ્યું છે.

    ભાજપે કેશોદ વિધાનસભા પરથી દેવાભાઈ માલમને ટિકિટ આપતા વિવાદ થયો છે.

    પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

    અને હવે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અપક્ષ ઉમેદવાર નોંધાવશે એવી વાત જાણવા મળી છે.

    તો માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

    આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે માતર વિધાનસભા પરથી કલ્પેશ પરમારને ટિકિટ આપી છે.

    તો નાંદોદના ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

    સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ ન મળતાં ભૂતકાળમાં બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ભૂતપૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

    નોંધનીય છે કે વર્ષ 2017માં હર્ષદ વસાવાને બદલે શબ્દશરણ તડવીને નાંદોદ બેઠક ફાળવી હતી, જોકે તેઓ જીતી શક્યા નહોતા.

    અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, પરંતુ તેમનું મન ‘ભગવા’ સાથે છે.

    આ સિવાય તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે પોતાની બેઠક જીત બાદ પણ ‘કમલમ્’માં આપવાની વાત કરી છે.

  8. રાજનાથસિંહનો દાવો : સુભાષચંદ્ર બોઝ અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન હતા

    સંરક્ષણમંત્રી રાજનાથસિંહે દાવો કર્યો છે કે સુભાષચંદ્ર બોઝ અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.

    શુક્રવારે ગ્રેટર નોઇડામાં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું કે આઝાદી મળ્યા બાદ સુભાષચંદ્ર બોઝના યોગદાનની ક્યાંક તો ઉપેક્ષા કરાઈ ક્યાંક તેને ઓછું આંકવામાં આવ્યું.

    સમાચાર એજન્સી અનુસાર તેમણે કહ્યું, “નેતાજી બોઝની ભૂમિકા અને તેમના વિઝનનું ફરી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે. હું તેને 'કોર્સ કરેક્શન' કહું છું. આઝાદ હિંદ સરકાર ભારતની પ્રથમ ‘સ્વદેશી’ સરકાર હતી. તેને પ્રથમ ‘સ્વદેશી’ સરકાર કહેવામાં મને કોઈ સંકોચ નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાની સરકાર બનાવી હતી અને 21 ઑક્ટોબર 1943ના રોજ વડા પ્રધાનપદના શપથ લીધા હતા.”

    ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ નેતાજીને મહત્ત્વ અને સન્માન આપવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે.

    રાજનાથસિંહે કહ્યું, “એવો સમય હતો, જ્યારે આઝાદ ભારતમાં નેતાજીના યોગદાનની ક્યાંક ઉપેક્ષા કરાઈ તો ક્યાંક તેને ઓછું આંકવામાં આવ્યું. હદ તો એ છે કે તેમની સાથે જોડાયેલા દસ્તાવેજોને પણ સાર્વજનિક નહોતા કરાયા.”

    “2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝને સન્માન આપવાનું શરૂ કર્યું, જેમના તેઓ હકદાર હતા.”

    રાજનાથસિંહે કહ્યું કે જ્યારે તેઓ ગૃહમંત્રી હતા ત્યારે નેતાજીના પરિવારને મળ્યા હતા જે બાદ નેતાજીના લગભગ 300 દસ્તાવેજ સાર્વજનિક કરાયા હતા.

    રાજનાથસિંહે કહ્યું કે આઝાદિ હિંદ ફોજ કોઈ પ્રતીકાત્મક સરકાર નહોતી બલકે એ સરકારે માનવજીવન સાથે સંબંધિત ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દે પોતાનાં વિચાર અને નીતિઓ સામે રાખ્યાં હતાં. આ સરકારનાં પોતાનાં પોસ્ટલ સ્ટેમ્પ, કરન્સી અને ગુપ્તચર સર્વિસ પણ હતાં.

  9. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો જાહેર

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે.

    ગુજરાત ચૂંટણી માટેના રાજ્યના સિનિયર પ્રભારી અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત, રાજ્યના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પક્ષના સિનિયર આગેવાનોની હાજરીમાં ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

    આ ઢંઢેરાને કૉંગ્રેસ જનઘોષણાપત્ર નામ આપ્યું છે. આ ચૂંટણીનું ઘોષણાપત્ર બનાવવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવ્યો હતો.

    ચૂંટણીઢંઢેરા વિશે વાત કરતા અશોક ગહેલોતે કહ્યું, "અમે જ્યારે 1998 રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા ત્યારે પક્ષના ચૂંટણીઢંઢેરાને રાજ્ય સરકારની પ્રથમ કૅબિનેટ મિટિંગમાં એજન્ડા તરીકે મૂક્યો અને તેને પસાર કરીને સરકારી તંત્રનું લક્ષ્ય બનાવી દીધું હતું. આ ઢંઢેરો 6 લાખ લોકો સુધી ઑનલાઇન અને ઑફલાઇન મોડથી પહોંચીને તેમનાં સૂચનો લઈને તૈયાર કરવામાં આવ્યો હતો."

    કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનઃ

    • રૂ. 10 લાખ સુધીનો ઈલાજ અને દવાઓ નિ:શુલ્ક કરવામાં આવશે
    • ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું દેવુ માફ, વીજળીનું બિલ માફ કરવામાં આવશે અને સામાન્ય ગ્રાહકોને 300 યૂનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે.
    • ગુજરાતમાં 10 લાખ નોકરીઓમાં ભરતી કરવામાં આવશે, જેમાં 50 ટકા નોકરીઓ મહિલાઓ માટે અનામત રહેશે.
    • સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે. બેરોજગાર યુવાનોને મહિને ત્રણ હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
  10. વિશ્વની વસતિ આઠ અબજ થવાની છે, કઈ મુશ્કેલીઓ વધશે?

    સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે વિશ્વની વસતિ નવેમ્બરના મધ્ય ભાગ સુધી આઠ અબજ પાર થઈ જશે.

    તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સફળતાઓ અને પોષણ, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારા માટે કારણ છે. જોકે તેમણે એ પણ કહ્યું કે જેમ-જેમ માનવપરિવાર મોટો થઈ રહ્યો છે, તે હજુ વધુ વિભાજિત થતો જઈ રહ્યો છે.

    તેમણે કહ્યું કે અબજો લોકો સંઘર્ષ કરી રહ્યા છે, કરોડો ભૂખમરા અને દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો નવી તકોની શોધમાં છે, તેઓ દેવામાંથી મુક્તિ ઇચ્છે છે અને યુદ્ધ અને વાતાવરણીય આપત્તિઓથી દૂર ભાગવા માગે છે.

    સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું, “જ્યાં સુધી આપણે વૈશ્વિક ધનિકો અને વંચિતો વચ્ચેના અંતરને ઓછું નથી કરતા, ત્યાં સુધી આપણે તાણ અને અવિશ્વાસ, સંકટ અને સંઘર્ષભરી આઠ અબજની આબાદીવાળી દુનિયા માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા છીએ.”

    “આંકડા આ વાતના પુરાવા છે. અમુક અબજપતિઓ પાસે વિશ્વની સૌથી ગરીબ અડધી વસતિ જેટલી સંપત્તિ છે.”

    એન્ટોનિયો ગુટેરેસ કહે છે કે વિશ્વસ્તરે શીર્ષ એક ટકા લોકોને વિશ્વની આવકનો પાંચમો ભાગ મળે છે, જ્યારે સૌથી ધનિક દેશોના લોકો સૌથી ગરીબ લોકોની સરખામણીએ 30 વર્ષ વધુ જીવવાની આશા રાખી શકે છે.

    હાલના દાયકામાં જેમ-જેમ દુનિયા સમૃદ્ધ અને સ્વસ્થ થઈ છે, આ અસમાનતાઓ વધી છે.

    ગુટેરેસ કહે છે કે, “ઘણા સમય સુધી ચાલનારા ટ્રેન્ડ સાથે પર્યાવરણ સંકટ અને કોરોના મહામારીમાંથી બહાર આવવામાં સમય લાગવા જેવા ગંભીર મુદ્દા પણ આપણી સામે છે. આપણે ધીમે ધીમે વાતાવરણીય આપત્તિ, ઉત્સર્જન અને વધતા તાપમાન તરફ આગળ વધી રહ્યા છીએ. પૂર, વાવાઝોડાં અને દુષ્કાળ, એ દેશો પર પણ નકારાત્મક અસર કરી રહ્યાં છે જેમનો વૈશ્વિક તાપમાનમાં વધારામાં બિલકુલ ફાળો નથી.”

    તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધે પહેલાંથી જ ખાદ્ય, ઊર્જા અને આર્થિક સંકટ ઊભો કર્યો છે, જેની સૌથી ખરાબ અસર વિકાસશીલ દેશો પર થઈ છે. આ અસમાનતાઓ સૌથી વધુ મહિલાઓ, છોકરીઓ અને કમજોર વર્ગ પર અસર કરે છે, જેઓ પહેલાંથી ભેદભાવના શિકાર છે.

    ગુટેરેસ કહે છે કે, “ઘણા દેશો ભીષણ દેવા તળે દબાયેલા છે, ગરીબી અને ભૂખ વધતી જઈ રહી છે અને તેની અસર પર્યાવરણ પર પણ પડી રહી છે.”

  11. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 11 વાગ્યા સુધી લગભગ 18 ટકા મતદાન

    હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે.

    11 વાગ્યા સુધી રાજ્યમાં 17.98 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.

    આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 412 ઉમેદવારો મેદાને છે. પ્રદેશમાં 55 લાખ કરતાં વધુ મતદારો છે.

    મતદાન માટે ચૂંટણીપંચે 7,881 પૉલિંગ બૂથ ગોઠવ્યા છે.

    શનિવારે મતદાન પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે મંડીમાં મંદિર જઈને પૂજા કરી.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જયરામ ઠાકુરનાં દીકરી ચંદ્રિકા ઠાકુરે કહ્યું, “લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે ખુશ છીએ અને બેફિકર પણ. મંડીએ હંમેશાં (જયરામ ઠાકુરનું) સમર્થન કર્યું છે. લોકોએ ભાજપના શાસનકાળમાં થયેલ વિકાસ જરૂર જોયો હશે.”

    બીજી તરફ કૉંરેસનાં પ્રદેશાધ્યક્ષ પ્રતિભાસિંહે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે જનતા જાણે છે કે કોણે વિકાસ માટે કેટલું કામ કર્યું છે અને કોને સત્તામાં લાવવા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લોકોને રેકર્ડ પ્રમાણમાં મતદાન કરવાની અપીલ કરી છે.

  12. અદાણી સમૂહ એનડીટીવી માટે લાવશે ઓપન ઑફર, સામે આવી તારીખ

    જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નિયંત્રણવાળા અદાણી સમૂહે મીડિયા કંપની એનડીટીવીમાં વધુ 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઑફરની નવી તારીખ નક્કી કરી છે.

    અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે અદાણીની ઓપન ઑફર હાલ 22 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને પાંચ ડિસેમ્બરના રોજ બંધ થશે. આ પહેલાં અદાણી સમૂહે ઓપન ઑફર માટે 17 ઑક્ટોબરથી એક નવેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.

    વિશ્વપ્રધાન કૉમર્શિયલ લિમિટેડ (વીસીપીએલ)એ એએમજી મીડિયા નેટવર્ક્સ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સાથે એનડીટીવી 26 ટકા એટલે કે 1.67 કરોડ ઇક્વિટી શૅર ખરીદવાનો પ્રસ્તાવ આપ્યો છે.

    આ ઓપન ઑફર 294 રૂપિયા પ્રતિ શૅરના ભાવે હશે.

    અદાણી સમૂહે ઑગસ્ટમાં એનડીટીવીની અપ્રત્યક્ષપણે 29.18 ટકા ભાગીદારી ખરીદી લીધી હતી. આ બાદ ઓપન ઑફરનો રસ્તો ખૂલી ગયો હતો.

    બીએસઈના આંકડા અનુસાર સાર્વજનિક શૅરધારકો પાસે સપ્ટેમ્બર 2022 સુધી કંપનીના 38.55 ટકા શૅર હતા.

    જો અદાણી સમૂહની ઓપન ઑફર સફળ રહે તો એનડીટીવીમાં તેની કુલ ભાગીદારી 55 ટકા કરતાં વધુ થઈ જશે.

    કેવી રીતે ખરીદ્યું એનડીટીવી?

    પ્રણૉય રૉય અને તેમનાં પત્ની રાધિકા રૉય એનડીટીવીનાં સંસ્થાપક અને પ્રમોટરો છે.

    પ્રણૉય રૉય પાસે કંપનીની 15.94 ટકા ભાગીદારી છે. જ્યારે તેમનાં પત્ની રાધિકા રૉયની કંપનીમાં 16.32 ટકા ભાગીદારી છે. પ્રણૉય રૉય અને રાધિકા આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડનાં પ્રમોટરો હતાં, આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શૅર હતા.

    વર્ષ 2008-09માં તેમણે આરઆરપીઆર મારફતે વીસીપીએલ પાસેથી લગભગ ચાર અબજ રૂપિયાની લૉન લીધી હતી.

    આ લૉન બદલે વીસીપીએલ પાસે 29.18 ટકા હિસ્સો ગીરો મુકાયો હતો. સાથે જ એવો પણ વિકલ્પ અપાયો હતો કે દેવું ન ચૂકતે કરી શકાય તેવી સ્થિતિમાં તેઓ વાઉચરોના 99.5 ટકા ભાગ ઇક્વિટીમાં બદલી શકશે.

    આ દેવું દસ વર્ષ માટે લેવાયું હતું અને તેનો સમયગાળો 2019માં પૂરો થઈ ગયો હતો. પરંતુ આરઆરપીઆ દેવું ચૂકતે નહોતું કર્યું. આ બાદ અદાણી સમૂહે વીસીપીએલ ખરીદી લીધું. જેના કારણે આરઆરપીએલના એનડીટીવીના શૅર અદાણી સમૂહ પાસે આવી ગયા.

    અદાણી સમૂહે એ જ સમયે એવું પણ જણાવ્યું હતું કે તેઓ 26 ટકા વધુ ભાગીદારી ઓપન ઑફર અંતર્ગત ખરીદશે. આ ઓપન ઑફર 294 રૂપિયા પ્રતિ શૅર ભાવે હશે, જે શૅરની હાલની કિંમત કરતાં 20 ટકા ઓછી છે.

    શૅરબજારની નિયામક સંસ્થા સેબીના નિયમો પ્રમાણે, દેશમાં લિસ્ટેડ કોઈ પણ કંપની જેની પાસે 25 ટકા કે તેનાથી વધુ શૅર છે તેને વધુ ભાગીદારી ખરીદવા માટે ઓપન ઑફર અનિવાર્યપણે લાવવાની રહે છે જેનાથી કંપનીના માઇનૉરિટી શૅરહોલ્ડર પહેલાંથી નક્કી કિંમતે શૅર પોતાની મરજીથી નવા રોકાણકારોને વેચી શકે.

    એનડીટીવીએ સ્ટૉક ઍક્સચેન્જને જણાવ્યું છે કે આ સંબંધમાં તેઓ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે અને તે અનુસાર આગળની કાર્યવાહી કરશે.

  13. ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર, છ નામો પર મરાઈ મહોર

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે 160 ઉમેદવારો જાહેર કર્યા બાદ શનિવારે ગુજરાત ભાજપે ચૂંટણી માટેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

    નોંધનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.

    ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતના પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મોટા ભાગે જાહેર કરી દીધા છે.

    બીજી યાદીમાં નીચે દર્શાવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

    • ધોરાજી - મહેન્દ્રભાઈ પાડલિયા,
    • ખંભાળિયા - મૂળુભાઈ બેરા,
    • કુતિયાણા- ઢેલિબહેન માલદેભાઈ ઓડેદરા,
    • ભાવનગર પૂર્વ - સેજલ રાજીવકુમાર પંડ્યા,
    • દેડિયાપાડા (એસટી) - હિતેશ દેવજી વસાવા
    • ચોર્યાસી - સંદીપ દેસાઈ

    વધુ છ ઉમેદવારો સાથે હવે ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હવે કુલ 166 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી યાદીમાં ભાજપે બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. અત્યાર સુધી જાહેર થયેલાં કુલ 166 ઉમેદવારોમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 16 થઈ છે.

    • ભાજપમાં સામેલ થયેલા કૉંગ્રેસના એ છ નેતા જે એક સમયે સત્તાપક્ષને હંફાવતા હતા
    • ગુજરાત કૉંગ્રેસે વધુ સાત ઉમેદવારો જાહેર કર્યા, ઇન્દ્રનીલ રાજગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ
  14. ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપના કબજાવાળી ત્રણ બેઠક માટે એનસીપી-કૉંગ્રેસનું ગઠબંધન

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ મોટા ભાગની બેઠકો પર પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

    ત્રણેય પાર્ટીઓ એકબીજાની વોટબૅન્ક તોડવા માટે પૂરો જોર લગાવી રહી હોય તેવું દૃશ્ય હાલ સર્જાયું છે.

    ભાજપની પરંપરાગત બેઠકો પર કબજો કરવા માટે હવે કૉંગ્રેસ અને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીએ (એનસીપી) પણ ગઠબંધન કર્યું છે.

    ગઠબંધનની શરતો અનુસાર એનસીપી રાજ્યમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે.

    ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોરે ગઠબંધન અંગે માહિતી આપતાં કહ્યું કે, “એનસીપી ગુજરાતમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. એનસીપી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠક પર ગઠબંધનમાં ચૂંટણી લડશે.”

    નોંધનીય છે કે હાલમાં આ બેઠકો ભાજપ પાસે છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગઠબંધનમાં તિરાડ જાહેરાત વેળાએ જ દેખાઈ આવેલી. તેનું કારણ હતું કાંધલ જાડેજાની એનસીપીની ટિકિટ પર કુતિયાણામાં ઉમેદવારી નોંધાવવાની વાત.

    ઠાકોરે કહ્યું હતું કે એનસીપી વધુ બેઠકોની માગ કરે તેવું બની શકે, પરંતુ કરાર અનુસાર હાલ તેઓ ત્રણ બેઠકો પર જ ઊતરશે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારે આ અંગે એનસીપીના હાલના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા સાથે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે કે તેમણે પાર્ટીના નેતા પ્રફુલ પટેલ સાથે વાત કરીને કુતિયાણાથી ઉમેદવારી નોંધાવી છે.

    • પોરબંદર : 'ગૉડમધર' સંતોકબહેનના દબંગ દીકરા અને ધારાસભ્ય કાંધલ જાડેજાની કહાણી
    • હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા એ પહેલાં કેવું-કેવું બોલતા હતા?
  15. નાંદોદ : ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે, ભાજપ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારો પણ મોટા ભાગે જાહેર કરી દીધા છે. પક્ષોમાં ટિકિટ ફાળવણીને કારણે સર્જાયેલ અસંતોષ પણ હવે ખૂલીને સામે આવવા લાગ્યા છે.

    કંઈક આવું જ નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપમાં પણ જોવા મળ્યું છે.

    સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ ન મળતાં ભૂતકાળમાં બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને ભૂતપૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

    નોંધનીય છે કે વર્ષ 2017માં હર્ષદ વસાવાને બદલે શબ્દશરણ તડવીને નાંદોદ બેઠક ફાળવી હતી, જોકે તેઓ જીતી શક્યા નહોતા.

    અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, પરંતુ તેમનું મન ‘ભગવા’ સાથે છે. આ સિવાય તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે પોતાની બેઠક જીત બાદ પણ ‘કમલમ્’માં આપવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ અત્યારે પણ ભાજપ સાથે છે અને વર્ષ 2024માં પણ ભાજપ સાથે જ રહેશે.

    • 'હું ચૂંટણી નહીં લડું', વિજય રૂપાણી, નીતિન પટેલની જાહેરાત
    • ભાજપમાં સામેલ થયેલા કૉંગ્રેસના એ છ નેતા જે એક સમયે સત્તાપક્ષને હંફાવતા હતા
  16. ગુજરાત ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, PM મોદી સહિત રૂપાણી અને નીતિન પટેલ સામેલ, ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર, એમ બે તબક્કામાં મતદાન યોજાશે, જેનાં પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરાશે

    ગુજરાતની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે.

    રાજ્યના સત્તાપક્ષ ભાજપે આગામી ચૂંટણીને જોતાં પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે.

    આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો સમાવેશ કરાયો છે.

    ભાજપના રાષ્ટ્રીય વડા જે. પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરીને પણ આવતા મહિને યોજાનાર ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતારવામાં આવશે.

    ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને સ્મૃતિ ઈરાનીને પણ સ્ટાર પ્રચારક તરીકે આગામી પ્રચાર અભિયાન માટે ઉતારાશે.

    • કનુ કળસરિયા : 'ભાજપ'ના એ નેતા, જે મોદી સામે પડ્યા અને મોદી સરકારને 'હરાવી' દીધી
    • ગુજરાત વિધાનસભા ચૂંટણી : મોરબી પુલ દુર્ઘટનાની ચૂંટણી પર શું અસર પડશે?
  17. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન શરૂ, કુલ 68 બેઠકો માટે 412 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની 68 બેઠકો પર શનિવારે સવારે આઠ વાગ્યે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્ય વિધાનસભાની આ ચૂંટણીમાં કૉંગ્રેસ, ભાજપ અન આમ આદમી પાર્ટી સહિત કુલ 412 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

    રાજ્યના 55 લાખ મતદારો આ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.

    નોંધનીય છે કે વર્ષ 2017ની હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો મળી હતી.

    જ્યારે કૉંગ્રેસને માત્ર 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. નોંધનીય છે કે વર્ષ 1982થી રાજ્યમાં દર વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ સિવાયના રાજકીય પક્ષ પર મતદારો વિશ્વાસ વ્યક્ત કરે છે.

    આ વલણને ભાજપ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  18. નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    અહીં આપને ગુજરાત ચૂંટણી, દેશ-વિદેશના મહત્ત્વપૂર્ણ સમાચાર દિવસભર મળતા રહેશે. આપ અમારી સાથે જોડાયેલા રહો.

    11 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.