You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Budget 2022 : 'બજેટ ખેડૂતોની આવક બમણી કરશે, નોકરી-રોકાણની સંભાવનાઓ વધુ' - નરેન્દ્ર મોદી
RBI લૉન્ચ કરશે ડિજિટલ રૂપિયો, બજેટમાં ડિજિટલ રૂપિયા અંગે નાણામંત્રીએ શું જાહેરાત કરી?
લાઇવ કવરેજ
નાણામંત્રીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતને શું આપ્યું?
બજેટમાં જાહેરાત કરાઈ એ ડિજિટલ કરન્સી શું છે? કેમ છે ખાસ?
ડિજિટલ ઇકૉનૉમી અને કરન્સી મૅનેજમેન્ટને સુધારવાર માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી લઈને આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી.
આ ડિજિટલ કરન્સીને નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે શરૂ કરવાનો પ્રસ્તાવ છે.
પોતાના ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે રિઝર્વ બૅન્કની તરફથી ડિજિટલ કરન્સી આવવાથી ડિજિટલ અર્થતંત્ર મજબૂત થશે.
તેમણે કહ્યું કે બ્લૉકચેઇન ટેકનૉલૉજી અને બીજી ટેકનૉલૉજીની મદદથી ડિજિટલ કરન્સી લાવવામાં આવશે.
એક્સપર્ટ શું માને છે?
બૅન્ક બજાર ડૉટકૉમના સીઈઓ આદિલ શેટ્ટીએ ડિજિટલ કરન્સીની જાહેરાત પર બીબીસી સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે આરબીઆઈ ભારતની પોતાના બ્લકૉચેઇન ડિજિટલ રૂપિયા( ડિજિટલ કરન્સી) લાવશે. આનાથી ભારતના અર્થતંત્રને મોટું પ્રોત્સાહન મળશે અને ડિજિટલ નાણાકીય સ્પેસમાં સ્થિતિ મજબૂત બનશે."
તેમણે કહ્યું કે "અત્યાર સુધી અમેરિકાએ પણ પોતાની સીબીસી લૉન્ચ નથી કરી. સીબીસી લૉન્ચનો અર્થ છે ભારત બ્લૉકચેઇન અને ઓછી ઑપરેશનલ કૉસ્ટનો લાભ લઈને સેટલમેન્ટમાં તેજી લાવવા માગે છે. આને સારી રીતે સમજવા માટે આપણે વધારે માહિતીની રાહ જોવી પડે."
ડિજિટલ કરન્સી લાવવાના પ્રસ્તાવની સાથે બજેટમાં ક્રિપ્ટોકરન્સીની કમાણી પર 30 ટકાની જાહેરાત કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પ્રાઇમસ પાર્ટનર્સ-ડિજિટલ કરેન્સીના મૅનેજિંગ ડાયરેક્ટર શ્રવણ શેટ્ટીનું કહેવું હતું કે બ્લૉકચેઇન-બેઝ્ડ ડિજિટલ કરન્સી લાવવા અને વર્ચુઅલ ડિજિટલ ઍસેટને ટૅક્સ નેટ હેઠળ 30 ટકાના દર પર લાવવાથી ક્રિપ્ટોકરન્સી સેક્ટરમાં સટ્ટાબાજી ઘટશે. આનાથી અર્થતંત્રને ડિજિટલ કરન્સીનો લાભ એક સંરચનાત્મક માળખામાં મળશે.
'બજેટ ખેડૂતોની આવક બમણી કરશે, એમએસપી માટે 2.25 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022-23ના બજેટ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમનાં વખાણ કર્યાં અને બજેટને ફ્રેન્ડલી અને પ્રગતિશીલ બજેટ ગણાવ્યું.
તેમણે કહ્યું કે, " આ બજેટ 100 વર્ષની ભયંકર આપદા વચ્ચે, વિકાસનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. બજેટ અર્થતંત્રને મજબૂતી આપવાની સાથે સામાન્ય માણસ માટે, અનેક અવસર લઈને આવ્યું છે. આ બજેટ મોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોર ઇન્વેસ્ટમેન્ટસ, મોર ગ્રોથ અને મોર જૉબ્સની સંભાવનાઓથી ભરેલું છે. આનાથી જૉબ્સનું ક્ષેત્ર પણ ખૂલશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ વિશે કહ્યું કે, "એમએસપી માટે 2.25 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે જે સીધા ખેડૂતોના ખાતામાં જશે, બજેટ ખેડૂતોની આવકને બમણી કરી દેશે. એમએસએમઈ (મધ્યમ અને લઘુ તથા માઇક્રો ઉદ્યમો), ક્રેટિડ ગૅરન્ટી અને ઘણી નવી સ્કીમોની જાહેરાત કરવામાં આવી."
"બજેટ લોકો માટે નવી આશાઓ અને અવસરો લઈને આવ્યું છે. આનાથી અર્થતંત્ર મજબૂત બનશે. આમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધારે રોકાણ અને વધુ વિકાસ તથા વધારે નોકરીઓ છે. બજેટમાં ગ્રીન જૉબ્સની જોગવાઈથી યુવાનો માટે સારા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકાશે. "
તેમણે કહ્યું કે, "આ બજેટમાં મહત્ત્વનો વિષય છે– ગરીબોનું કલ્યાણ. દર ગરીબ વ્યક્તિ પાસે પાક્કું ઘર હોય, નળથી પાણી આવતું હોય, શૌચાલય હોય, ગૅસની સુવિધા હોય, આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે."
"હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, નૉર્થ ઈસ્ટ જેવા વિસ્તારો માટે પ્રથમ વખત દેશમાં પર્વતમાળા યોજના શરૂ કરાશે. આ યોજના હેઠળ ટ્રાન્સપોર્ટેશનની આધુનિક વ્યવસ્થાનું નિર્માણ થશે."
"ભારતના લાખો લોકોની આસ્થા, મા ગંગાની સફાઈની સાથે-સાથે ખેડૂતોના કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આ પાંચ રાજ્યોમાં ગંગા કિનારે, નૅચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે"
"આ બજેટમાં ક્રેડિટ ગૅરન્ટીમાં રેકૉર્ડ વૃદ્ધિની સાથે કેટલીક અન્ય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.ડિફેન્સ કૅપિટલ બજેટના 68 ટકા ઘરેલુ ઉદ્યોગોને અનામત કરવાનો મોટો લાભ ભારતના MSME સેક્ટરને મળશે."
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,"ભાજપે મને બજેટ અને આત્મનિર્ભર ભારત પર સંબોધન માટે આમંત્રિત કર્યો છે. હું બજેટ પર વિસ્તારથી કાલે (બુધવારે) વાત કરીશ."
બજેટમાં તમારા ફાયદાનું શું? નાણામંત્રીએ કઈ-કઈ જાહેરાતો કરી?
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2022-2023 રજૂ કર્યું. તેમનું ભાષણ લગભગ બે કલાક ચાલ્યું.
બજેટની મુખ્ય વાતો પર નજર કરીએ તો બજેટમાં વ્યક્તિગત કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો તથા ડિજિટલ રૂપિયા અંગે જાહેરાત કરવામાં આવી હતી. વાંચો બજેટની મુખ્ય જાહેરાતો વિશે
જીએસટીનું રેકૉર્ડ કલેક્શન સંકેત આપે છે કે 'અર્થતંત્ર સારું ચાલી રહ્યું છે'
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ બજેટની વાત કરતા કહ્યું કે બજેટ સંકેત આપે છે કે અર્થતંત્ર સારું ચાલી રહ્યું છે.
તેમણે બજેટ પર પ્રતિક્રિયા આપતાં સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, "નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે ગયા મહિને જીએસટીનું કલેક્શન રેકૉર્ડ 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આનો અર્થ કે અર્થતંત્ર સારું ચાલી રહ્યું છે. મને લાગે છે કે ગ્રોથ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ફોકસ છે. હું આ જાહેરાતોથી ઘણો પ્રોત્સાહિત છું."
"જ્યાં સુધી મારા મંત્રાલયનો પ્રશ્ન છે, પીએમ આવાસ યોજના અંગે જાહેરાત કરવામાં આવી કે 80 લાખ આવાસ તૈયાર કરી દેવામાં આવશે અને તેના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે."
બજેટ 2022 : ઇન્કમટૅક્સ બચાવવા માટે શું કરવું જોઈએ?
ઇન્કમટૅક્સનું નામ આવતા જ લોકોના દિમાગમાં વધારેથી વધારે ટૅક્સ કઈ રીતે બચાવી શકાય તેવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે.
બજેટમાં સામાન્ય માણસની નજર બે બાબતો પર હોય છે.
ભાવની વધઘટ અને ટૅક્સ. ટૅક્સ બચાવવાની વાત અગાઉ દેશનું કરમાળખું સમજી લેવું જોઈએ.
બે પ્રકારનો કર હોય છે. એક પ્રત્યક્ષ કર, એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે.
પ્રત્યક્ષ કરમાં ઇન્કમટૅક્સ, વેલ્થ ટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સનો સમાવેશ થાય છે.
પરોક્ષ કરમાં ચુકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર થતો હોય છે.
તેમાં સર્વિસ પ્રોવાઇડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે.
આરોગ્યક્ષેત્રે માનસિક સ્વાસ્થ્ય માટે નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લૉન્ચ કરાશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે "વડા પ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ લૉન્ચ કરવાની જાહેરાત કરવા માટે આભાર. નિમહન્સ હેઠળ 23 ટી-મેન્ટલ હેલ્થ સેન્ટર્સ ઑફ એક્સિલન્સના નેટવર્કથી બધા માટે સારી ગુણવત્તાનું કાઉન્સલિંગ ઉપલબ્ધ થશે."
"નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ મારફતે બધા માટે 24x7 (અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક) માટે સારી ગુણવત્તા, સ્ટૅન્ડર્ડાઇઝ્ડ અને મફત મેન્ટલ હેલ્થ સર્વિસ ઉપલબ્ધ થશે અને આનાથી દેશમાં માનસિક સ્વાસ્થ્યની સારવારમાં રહેલી ઊણપને દૂર કરી શકાશે."
આરોગ્યક્ષેત્ર માટે બજેટમાં શું છે?
મેદાંતા હૉસ્પિટલ્સના ચૅરમૅન-એમડી ડૉ નરેશ ત્રેહને બજેટ પર પ્રતિક્રિયા આપતા સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે "બજેટમાં આરોગ્યક્ષેત્રનો બહુ આછો ઉલ્લેખ છે. બે-ત્રણ વસ્તુઓ કામની છે, જેમકે સ્કિલિંગના કાર્યક્રમને વધુ સઘન બનાવવામાં આવ્યો છે. એ સારી બાબત છે. આરોગ્યક્ષેત્રમાં સ્કિલ્ડ માનવસંસાધનની જરૂર છે."
તેમણે ઉમેર્યું કે, "બીજું નેશનલ હેલ્થ રજિસ્ટ્રી જે દેશમાં આરોગ્યક્ષેત્રના માળખા વિશે બધા માટે માહિતી મેળવવાનું એક પ્લૅટફૉર્મ છે. ત્રીજું મેન્ટલ હેલ્થ પોર્ટલ પણ મદદરૂપ થઈ રહેશે."
ડૉ ત્રેહને કહ્યું કે, "બજેટમાં આ વિષયો સિવાય બીજું કંઈ નથી. (આરોગ્યક્ષેત્રમાં) ત્રણ-ચાર મૂળભૂત વિષયો પર આગળ વધવાની જરૂર છે. આપણે કોવિડ જેવી ઘટનાઓ માટે બહુ સારી તૈયારીઓ રાખવી પડશે. ખૂબ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ટરની જરૂર છે."
"આવી મહામારીઓ વખતે ખૂબ ઉચ્ચ સ્તરની ત્રીજી હરોડની સાર-સંભાળ રાખી શકે તેવી હૉસ્પિટલોની જરૂર છે. સ્વનિર્ભર બનવા માટે આપણી સેવાઓને અપગ્રેડ કરવાની જરૂર છે, નવી ટેકનૉલૉજીનો વિસ્તાર અને સંશોધનની જરૂર છે, તેથી તેના માટે ભંડોળ ફાળવવું આપણા માટે રાષ્ટ્રીય સ્તરની પ્રાથમિકતા હોવી જરૂરી છે."
બજેટથી સેન્સેક્સ ખુશ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ 2022-2023 રજૂ કર્યું. તેમનું ભાષણ લગભગ બે કલાક ચાલ્યું.
બજેટની અસર શેર માર્કેટ પર પણ દેખાઈ. સેન્સેક્સ 879.62 અંક વધીને 58,893.79 પર છે.
નિફ્ટી 234.70 અંક વધીને 17,574.55 પર પહોંચી ગયું છે.
જે સમયે નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
એક સમયે તો એવું પણ થયું કે સેન્સેક્સમાં 900 અંકનો ઉછાળો આવ્યો પરંતુ હાલ તે 879.63 અંક વધીને 58,893.79 પર છે.
રક્ષા ક્ષેત્રમાં ઘરેલુ સ્રોતોથી ખરીદવા પર ભાર
સંરક્ષણમંત્રાલય માટે બજેટમાં 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ સેનાના આધુનિકીકરણ માટે કૅપિટલ એક્વિઝિશન માટે કરવામાં આવશે. આમાંથી 68 ટકા ભંડોળ ઘરેલુ સ્રોતોથી ખરીદી કરવા માટે રાખવામાં આવ્યા છે. ગત વર્ષે સંરક્ષણ ક્ષેત્ર માટે 1.35 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
આ વર્ષે આમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રક્ષામંત્રાલય માટે આ વર્ષે 2.39 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, આ રકમ ગત વર્ષે 2.33 લાખ કરોડ રૂપિયા હતી. ડિફેન્સ પેન્શનબજેટ માટે 1.19 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
"'અચ્છે દિન' માટે હજી 25 વર્ષ રાહ જોવી પડશે"-કૉંગ્રેસ નેતા શશિ થરૂરે બજેટને હતાશાજનક ગણાવ્યું
કૉંગ્રેસના નેતા શશિ થરૂરે બજેટ વિશે ટિપ્પણી કરતાં કહ્યું કે, ''મોંઘવારી ચરમ પર છે અને મધ્યમ વર્ગને ટૅક્સમાં કોઈ રાહત નથી મળી. આ બજેટ 'અચ્છે દિન'ના મૃગજળને હજી દૂર ઠેલવી રહ્યું છે. હવે ઇન્ડિયા એટ 100ની વાત થઈ રહી છે, આપણે 'અચ્છે દિન' માટે હજી 25 વર્ષ રાહ જોવી પડશે.''
તેમણે વધુમાં કહ્યું કે, "આ હતાશાજનક છે. આ બજેટમાં કંઈ જ નથી. આ ચોંકાવનારી રીતે હતાશ કરનારું બજેટ છે. જ્યારે તમે ભાષણ સાંભળો તો તેમાં મનરેગા, રક્ષાક્ષેત્ર, જનતાને લગતી કોઈ તાત્કાલિક પ્રાથમિકતાઓનો ઉલ્લેખ જ નથી."
મહિલાઓ માટે બજેટમાં શું છે ખાસ?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મહિલાઓના હિત અંગે કહ્યું કે અમારી સરકારે મહિલાઓના લાભ માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગનવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓને વ્યાપક રીતે નવું સ્વરૂપ આપ્યું છે.
Live : બજેટમાં સામાન્ય વ્યક્તિ માટે શું ખાસ છે?
ટૅક્સ ઍક્સપર્ટ ડી.કે. મિશ્રા સાથે બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાનની વાતચીત
વ્યક્તિગત કરના દરમાં કોઈ ફેરફાર નહીં, કૉંગ્રેસે પ્રવક્તાએ કહ્યું 'ભારતના પગારદાર તથા મધ્યમવર્ગ સાથે દગો'
નાણામંત્રી દ્વારા વ્યક્તિગત કરના દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. કોઈ નવો કોઈ કર લાગુ નથી કરવામાં આવ્યો કે કોઈ નવી રાહત નથી આપવામાં આવી.
કૉંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ટ્વિટર ઉપર લખ્યું, "મહામારીના સમયમાં પગારમાં ઘટાડા તથા મોંઘવારીને કારણે પીડાતો પગારદાર વર્ગ તથા મધ્યમવર્ગની રાહતની અપેક્ષા રાખવામાં આવતી હતી. પરંતુ નાણામંત્રી તથા વડા પ્રધાને સીધા કરવેરાની બાબતમાં નિરાશ કર્યા છે. આ ભારતના પગારદાર તથા મધ્યમવર્ગ સાથે દગો છે."
જીએસટી લાગુ થયા પછી સૌથી મોટી આવક થઈ- નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, "જાન્યુઆરી-2022 દરમિયાન રૂ. એક લાખ 40 હજાર 986 કરોડની જીએસટી આવક થઈ. જે જીએસટી લાગુ થયા પછી આ સૌથી મોટી આવક છે."
જોકે તેમણે હજુ અમુક સમસ્યા હોવાનો સ્વીકાર. જેને આગામી સમય દરમિયાન ઉકેલી લેવાશે, તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
કરદાતાઓ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શું જાહેરાત કરી?
બજેટમાં 'ડિજિટલ રૂપિયા' અંગે નાણામંત્રીએ શું જાહેરાત કરી?
બજેટમાં ક્રિપ્ટોકરન્સી માટે કેન્દ્ર સરકારની નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી, ત્યારે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ રૂપિયા અંગે જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ચાલુ નાણાકીય વર્ષથી દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બ્લૉક-ચેઇન તથા અન્ય ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો બહાર પાડવામાં આવશે."
"જેનાથી દેશના અર્થતંત્રને બળ મળશે."
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચીન પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂક્યું છે.
તેમણે વધુમાં કહ્યું,"વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટના (બિટકૉઇન તથા અન્ય કરન્સી) વેચાણ ઉપરથી થતી આવક ઉપર 30 ટકા કર લાગશે."
"તેને ભેટ આપવા ઉપર પણ ટૅકસ લાગશે. ડિજિટલ ઍસેટના વેચાણમાંથી થતાં નુકાસનને માત્ર વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટથી થયેલા નુકસાન સામે ઍડજસ્ટ કરી શકાશે."
નિર્મલા સીતારમણે ખેડૂતો અને ઉદ્યોગો માટે શું જાહેરાત કરી?
નાણામંત્રીએ કહ્યું કે, "ખેડૂતોને વધારાની આવક થાય તથા પરાળ બાળવાને કારણે થતાં પ્રદૂષણમાંથી મુક્તિ મળે તે માટે તાપવિદ્યુત મથકોમાં પરાળના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે."
"સશસ્ત્ર બળોની 68 ટકા સાધનખરીદી ભારતમાંથી કરવામાં આવશે. ડીઆરડીઓ તથા અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને ખાનગી કંપનીઓ અલગ-અલગ પ્લૅટફૉર્મ વિકસાવી શકશે."
તેમણે કહ્યું કે, "કેન-બેતવા નદીઓના જોડાણ માટે રૂ. 44 હજાર 605 કરોડની ફાળવણી. પંજાલ-દમણગંગા, અને પાર-તાપી સહિત નદીઓના જોડાણના પાંચ ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટને સરકારની મંજૂરી. લાભાર્થીઓ વચ્ચે સહમતિ થયે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે."
"સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનના સ્થાને નવો કાયદો લાવવામાં આવશે. જે ઉદ્યોગો તથા ઉદ્યોગ હબને વિકસાવવામાં મદદ કરશે. વર્તમાન ઉદ્યોગો તથા એસઈઝેડને પણ આવરી લેવામાં આવશે. નિકાસને વધારવા માટે આમ કરવામાં આવશે."
Budget 2022 : નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે બજેટ