You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભાજપ ભવ્ય જીત તરફ, સુરતમાં ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડું
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સરેરાશ ટકાવારી 41.75 રહી હતી, આજના પરિણામની અસર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પર પડી શકે છે.
લાઇવ કવરેજ
મોહન ડેલકર : સ્વાતંત્ર્યસેનાનીના પુત્રથી સાત વાર સંસદસભ્ય બનનાર 'ફાયરબ્રાન્ડ નેતા' સુધી
મોદી-શાહ વિરુદ્ધ ચુકાદો આપનાર એ જજ, જેમને પ્રમોશન ન મળવાનો આક્ષેપ છે
ગુજરાત ભાજપનો 'એન્ટી ઇન્કમ્બન્સી' પણ ન નડે એવો અભેદ્ય કિલ્લો કેવી રીતે બન્યું છે?
બ્રેકિંગ, ભાજપના ઉમેદવારો જીત અંગે શું કહે છે?
ભાજપના જિતેલા ઉમેદવારો અને કાર્યકરો સાથે ખાનપુર કાર્યાલયથી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાની વાતચીત
બ્રેકિંગ, ભાજપની ભવ્ય જીત બાદ સી. આર. પાટીલે શું કહ્યું?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ સી. આર. પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સી. આર. પાટીલની નો રિપીટ અને સગાઓને ટિકિટ નહીં આપવાની રણનીતિથી વિવાદ પણ થયો હતો. જોકે, ભાજપનો છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય થયોછે અને એ રીતે આ નવા નિમાયેલા ભાજપ અધ્યક્ષનો પણ પ્રથમ મોટો વિજય છે.
સી. આર. પાટીલે ભવ્ય વિજય પછી શું કહ્યું?
બ્રેકિંગ, ભાજપનો ભવ્ય વિજય, કૉંગ્રેસ કાઉન્સિલરોની સંખ્યા એમએલએ જેટલી પણ નહીં
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી ભાજપને 151, કૉંગ્રેસને 16 જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને સાત બેઠક મળી છે.
સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો પૈકી ભાજપને 93, કૉંગ્રેસને શૂન્ય જ્યારે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે.
રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકો પૈકી ભાજપના ખાતામાં 68 જ્યારે કૉંગ્રેસને માત્ર 4 સીટો મળી જીત છે.
વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો પૈકી ભાજપને 69 જ્યારે કૉંગ્રેસને 7 બેઠકો મળી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 64 બેઠકો પૈકી 50 પર ભાજપ,11 પર કૉંગ્રેસ જ્યારે બીએસપીને 3 બેઠક મળી છે.
ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો પૈકી 44 પર ભાજપનો જ્યારે 8 બેઠકો પર કૉંગ્રેસનો વિજય.
અમદાવાદ, સુરત અને જામનગરમાં અનુક્રમે AIMIM, આપ અને BSPનું ખાતું ખુલ્યું.
બ્રેકિંગ, છ મહાનગરપાલિકા ચૂંટણીના વલણ/પરિણામનું અવલોકન નિષ્ણાતો સાથે
Fb Live : છ મહાનગરપાલિકા ચૂંટણીના વલણ/પરિણામ વિશે કૉંગ્રેસના હિમાંશુ પટેલ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પરિમલ ત્રિવેદી સાથે સંવાદદાતા તેજસ વૈદ્યની વાતચીત.
બ્રેકિંગ, ભાજપના ભવ્ય વિજય પર નરેન્દ્ર મોદીએ કહ્યું, થેંક્યુ ગુજરાત!
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય પર ટ્વિટર પર પ્રતિક્રિયા આપીને કહ્યું કે થેંક્યુ ગુજરાત!
એમણે લખ્યું કે, રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે લોકોએ વિકાસની રાજનીતિ અને સારા શાસનને મત આપ્યો છે. ગુજરાતની સેવા કરવાનો કાયમ ગર્વ છે. આજની જીત ખૂબ મહત્ત્વની છે.
મોદીએ પાર્ટીના કાર્યકરોને પણ બિરદાવ્યા હતા.
બ્રેકિંગ, સુરતમાં આમ આદમી પાર્ટીની ઉજવણી, કેજરીવાલ 26મીએ સુરત આવશે
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસને શૂન્ય પર રાખી વિપક્ષ બનનાર આમ આદમી પાર્ટીના કાર્યાલયે ઉજવણી થઈ રહી છે.
આ સભા આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં હોવા છતાં તમામ વચનો પૂરા કરવાની ખાતરી આપી તો 2022માં વિધાનસભા કબજે કરવાનો નિર્ધાર કર્યો.
આગામી 26 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત લેશે એવી જાહેરાત પણ થઈ છે.
જુઓ એ કાર્યક્રમમાં શું થઈ રહ્યું છે.
બ્રેકિંગ, સુરતમાં આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોએ શું કહ્યું?
સુરત મહાનગરપાલિકામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે અને વિપક્ષમાં બેસવા જઈ રહી છે. કૉંગ્રેસનો સુરતમાં રકાસ થયો છે. પુણા-પૂર્વ, પુણા-પશ્ચિમ, કાપોદ્રા, ફુલપાડા-અશ્વિનીકુમારમાં આપ જીતી ચૂકી છે. જ્યારે કોસાડ, અમરોલી અને વરાછા જેવા વિસ્તારમાં નોંધપાત્ર સરસાઈથી આગળ છે.
આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોએ શું કહ્યું?
નેપાળની સુપ્રીમ કોર્ટે પીએમ ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો
અમદાવાદમાં ઔવેસીની પાર્ટીના વિજેતા ઉમેદવારોએ શું કહ્યું?
અમદાવાદમાં જમાલપુરમાં ઔવેસીની પાર્ટીની પેનલની જીત
અમદાવાદમાં જમાલપુરમાં ઔવેસીની પાર્ટીની પેનલનો જમાલપુરમાં વિજય થયો છે. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં AIMIMનાં વિજેતા ઉમેદવારો સાથે સંવાદદાતા તેજસ વૈદ્યની વાતચીત
અરવિંદ કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ગઢ ગણાતા સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી મોટો આંચકો આપ્યો છે અને મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી ગઈ છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી વધામણી.
AIMIMને ખાસ સફળતા નહીં
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસીની AIMIMને ઘણા લોકો ત્રીજા મોરચા તરીકે જોતા હતા. જોકે, સાંજે પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં ક્યાંય AIMIMને ખાસ સફળતા મળતી જણાઈ નથી. પાર્ટીના નેતાઓનું કહેવું હતું કે AIMIMને કાર્યકર્તાઓ અને ઉમેદવાર શોધવામાં કોઈ તકલીફ પડી નથી, કારણ કે ઘણા લોકો આ માટે પહેલાંથી જ તૈયાર હતા. જોકે, કાર્યકરોની આ તૈયારી લોકોને મતદાન કરવા તૈયાર કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું જણાઈ રહ્યું છે. AIMIMએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી 21, ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં 20, ગોધરામાં 22, અને મોડાસા નગરપાલિકામાં આશરે 18 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. AIMIMએ મુસલમાન ઉપરાંત દલિતોને પણ ઉમેદવારી આપી હતી, જોકે, આમાંથી હજુ સુધી કોઈ જીતી શક્યું નથી.
નીતિન પટેલે કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન આવે તેવા સંકેત દેખાતાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ભાજપના કાર્યકરો અને ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપનો વડોદરામાં વિજય, જામનગરમાં જીત ભણી
વડોદરામાં જાહેર થયેલાં 52 પરિણામમાંથી 45 ઉપર ભાજપનો અને સાત ઉપર કૉંગ્રેસનો વિજય થયો છે. ભાજપે જીત માટે જરૂરી 39 બેઠક મેળવી લીધી છે. હજુ 24 બેઠક ઉપર પરિણામ જાહેર થવાનાં બાકી છે.
જામનગરમાં ભાજપ વિજય ભણી અગ્રેસર છે. કુલ 64માંથી 41 બેઠકના ચૂંટણીપરિણામ જાહેર થયાં છે, જેમાંથી ભાજપને 32 બેઠક મળી છે. કૉંગ્રેસને છ અને બસપાને ત્રણ બેઠક મળી છે. હજુ 23 બેઠક ઉપર ચૂંટણીનાં પરિણામ આવવાનાં બાકી છે.
સુરતમાં આમ આદમી પાર્ટીની પૅનલને બે વૉર્ડમાં આઠ બેઠક મળી છે, જ્યારે કૉંગ્રેસ પાર્ટી ખાતું ખોલાવવા માટે સંઘર્ષરત છે. 120 બેઠકમાંથી ભાજપને 40 બેઠક મળી છે.
રાજકોટમાં જાહેર થયેલાં તમામ 24 પરિણામ ભાજપની તરફેણમાં ગયાં છે, 72 બેઠકવાળી કૉર્પોરેશનમાં બહુમતી માટે 37 બેઠકની જરૂર રહે.
અમદાવાદમાં ભાજપને કુલ 37 અને કૉંગ્રેસને ચાર બેઠક મળી છે. ભાવનગરમાં ભાજપને 15 અને કૉંગ્રેસને પાંચ બેઠક મળી છે. 52 બેઠકવાળી કૉર્પોરેશનમાં બહુમતી માટે 27 બેઠકની જરૂર રહે.
બ્રેકિંગ, કૉંગ્રેસના કાર્યકરોને નિરાશ કરનારાં પરિણામો
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન નબળું જણાઈ રહ્યું છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પરિણામોને મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસના કાર્યકરોને નિરાશ કરનારા ગણાવ્યા છે. મોઢવાડિયાએ ટ્વિટર પર લખ્યું, “ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો નિરાશ કરનારાં છે. અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. દરેક ગાઢ રાત બાદ સવાર ચોક્કસથી આવે છે.” “મહાનગરોની જનતાનો વિશ્વાસ ફરીથી પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરીશું.”
બ્રેકિંગ, ચૂંટણીપંચની વેબસાઇટ ખોટકાઈ
ગુજરાતમાં છ મહાનગરપાલિકાના પરિણામોની મતગણતરી થઈ રહી છે ત્યારે બપોરે પોણા ચાર વાગે ચૂંટણીપરિણામો દર્શાવતી વેબસાઇટમાં રિઝલ્ટ પર ક્લિક કરતાં સતત એરર આવી. https://sec-poll.guj.nic.in/Result.aspx ખોટકાઈ હતી. ગુગલ ક્રોમ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપર પણ તેમાં સર્વર એરર લખેલું આવી રહ્યું છે.
બ્રેકિંગ, અમદાવાદ : ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
હાલ રવિવારે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીઓની મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાની જાણકારી મળી રહી છે.
બીબીસીના સહયોગી પત્રકાર કલ્પિત ભચેચ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગુજરાત કૉલેજ ખાતે ગુસ્સે ભરાયેલા કૉંગ્રેસી કાર્યકરોએ પોલીસ સિક્યૉરિટી પૉઇન્ટને નુકસાન પહોંચાડ્યું છે.
નોંધનીય છે કે સિક્યૉરિટી પૉઇન્ટ પર તહેનાત પોલીસકર્મીઓએ ભાજપના કાર્યકરોને મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોન સાથે જવાની પરવાનગી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે કૉંગ્રેસના કાર્યકરોને મતગણતરી કેન્દ્રમાં જતા અટકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. આમ, સિક્યૉરિટી પૉઇન્ટ પર તહેનાત પોલીસકર્મીઓના કથિત પક્ષપાતને લઈને મતગણતરી કેન્દ્ર પર હાજર કૉંગ્રેસ કાર્યકરો રોષે ભરાયા હતા જેના કારણે કૉંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
નોંધનીય છે કે હાલ તમામ મહાનગરપાલિકાનાં અત્યાર સુધી આવેલાં પરિણામોમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. જ્યારે કૉંગ્રેસનું પ્રદર્શન ઘણાં સ્થળોએ અપેક્ષા મુજબ રહ્યું ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.