You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ટ્રૅક્ટર રેલી : હિંસા કરનારા સામે કાર્યવાહીનું પોલીસનું એલાન, ખેડૂત સંગઠનોએ કહ્યું- આંદોલન ચાલુ રહેશે

દિલ્હીમાં આયોજિત ખેડૂતોની 'ટ્રૅક્ટર પરેડ'માં ઠેરઠેર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

લાઇવ કવરેજ

  1. ખેડૂતો નિર્ધારિત રૂટથી જુદા રસ્તે કેમ ગયા? દિલ્હીમાં આજે શું-શું બન્યું?

    દિલ્હીમાં આજે ખેડૂતોએ ટ્રૅક્ટર પરેડ યોજી હતી, પણ તેમાં કેટલાંક સ્થળોએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.

    સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને દિલ્હીમાં આયોજિત ટ્રૅક્ટર પરેડ તાત્કાલિક ખતમ કરવાનું એલાન કર્યું છે.

  2. બ્રેકિંગ, હિંસામાં 83 પોલીસકર્મી ઘાયલ : દિલ્હી પોલીસ

    દિલ્હી પોલીસ અનુસાર ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિસામાં 83 પોલીસકર્મી ઘાયલ થયા છે.

    પોલીસનો દાવો છે કે ઘાયલ થયેલા પોલીસકર્મીઓ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો.

    સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલના હવાલાથી કહ્યું, "કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ હિંસક થઈ ગયા હતા. હિંસામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા અને જાહેર સંપત્તિને પણ નુકસાન થયું."

    એએનઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દિલ્હીના લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે.

    દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે "ખેડૂત રેલી દરમિયાન પોલીસકર્મીઓ સાથે મારઝૂડ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે."

    તો સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો છે કે કેટલાક 'અસામાજિક તત્ત્વો' તેમના આંદોલનમાં ઘૂસી ગયા હતા.

    સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને દિલ્હીમાં આયોજિત ટ્રૅક્ટર પરેડ તાત્કાલિક ખતમ કરવાનું એલાન કર્યું છે.

    તો પરેડ પૂરી થવાના એલાન બાદ પણ કેટલાક ખેડૂતો ટ્રૅક્ટરોમાં સવાર થઈને દિલ્હીના લાલ કિલ્લા તરફ જતા જોવા મળ્યા હતા.

  3. દિલ્હી : ટ્રૅક્ટર પરેડમાં હિંસા અંગે પોલીસ અને સંયુક્ત કિસાન મોરચાએ શું કહ્યું?

  4. 'પોલીસ સાથે મારઝૂડ કરનારાઓ સામે કાર્યવાહી થશે'

    દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે "આજે ખેડૂત રેલી દરમિયાન પોલીસકર્મીઓ સાથે મારઝૂડ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે."

    તો સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પ્રજાસત્તાકદિવસે દિલ્હીમાં આયોજિત "ખેડૂત ટ્રૅક્ટર માર્ચ" દરમિયાન ઘણા વિસ્તારોમાં હિંસક ઘટનાઓને કારણે હરિયાણાના પોલીસ મહાનિદેશક મનોજ યાદવે 'હાઈઍલર્ટ' જાહેર કરીને બધા જિલ્લા પોલીસ પ્રમુખોને વધુ સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે.

  5. ખેડૂતોએ હવે શાંતિથી ગામ પાછા જવું જોઈએ- શરદ પવાર

    એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે "જે રીતે આજે આંદોલનને હૅન્ડલ કરવામાં આવ્યું એ અફસોસજનક છે."

    "અમે બધા વિપક્ષમાં બેસેલા લોકો ખેડૂતનું સમર્થન કરીએ છીએ અને હું અપીલ કરું છું કે હવે તમારે (ખેડૂતો) શાંતિથી પોતપોતાનાં ગામડે પાછા જવું જોઈએ અને સરકારને તમને દોષ આપવાની કોઈ તક ન આપવી જોઈએ."

    શરદ પવારે કહ્યું કે "આજે જે કંઈ પણ થયું એનું કોઈ સમર્થન નહીં કરે, પણ તેની પાછળના કારણને પણ નજરઅંદાજ ન શકાય. જે લોકો શાંતિથી બેઠા હતા તેમનામાં ગુસ્સો પેદા થયો, કેન્દ્રે પોતાની જવાબદારી નિભાવી નથી. સરકારે પરિપક્વતાથી યોગ્ય નિર્ણય લેવો જોઈએ."

  6. બ્રેકિંગ, સંયુક્ત કિસાન મોરચાએ પરેડ ખતમ કરવાનું એલાન કર્યું

    સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને પ્રજાસત્તાકદિવસે દિલ્હીમાં આયોજિત ટ્રૅક્ટર પરેડ તાત્કાલિક ખતમ કરવાનું એલાન કર્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર મોરચાએ પરેડમાં ભાગ લેનારા ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ બધા પરત આવી જાય.

    સંયુક્ત કિસાન મોરચાએ એ પણ કહ્યું કે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે.

    એએનઆઈ અનુસાર મોરચાએ કહ્યું કે આગામી પગલાં અંગે ઝડપથી જાણકારી અપાશે.

  7. દિલ્હી ખેડૂત પરેડ : ખેડૂત આંદોલન અંગે સોશિયલ મીડિયા શું ચર્ચા થઈ રહી છે?

  8. દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં થયેલા ઘર્ષણની એ દસ તસવીરો જેણે લોકોને આંચકો આપ્યો

  9. દિલ્હી : લાલ કિલ્લા પર ત્રિરંગા પાસે લહેરાવાયેલો ઝંડો કોનો છે અને શું છે તેનો ઇતિહાસ?

  10. 'શાંતિ તૂટી તો આંદોલનને નુકસાન'

    સ્વરાજ ઇન્ડિયાના સંસ્થાપક અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલા યોગેન્દ્ર યાદવે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ નક્કી કરેલા રૂટ પર રેલી કરે અને શાંતિપૂર્ણ રીતે કરે.

    શાહજહાંપુરથી તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે ખેડૂતો બૅરિકેટ્સ તોડીને દિલ્હીના અન્ય વિસ્તારોમાં ચાલ્યા ગયા છે.

    તેમણે કહ્યું, "મને સમાચાર મળ્યા છે એ મુજબ અત્યાર સુધી ક્યાંય લાઠીચાર્જ થયો નથી અને ક્યાંય ગોળી ચલી નથી."

    "શાંતિ જ ખેડૂત આંદોલનની તાકાત છે. શાંતિભંગ થશે તો આંદોલનને નુકસાન થશે. ખેડૂત આંદોલનની આબરૂ ખેડૂતોના હાથમાં છે. મારી અપીલ છે કે હવે આગળ એવું કંઈ ન થાય જેનાથી ખેડૂત આંદોલનને નુકસાન પહોંચે."

  11. 'રૂટ અને સમય અંગે ખેડૂતો સાથે અનેક બેઠક યોજી હતી'

    દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે રેલીનો રૂટ અને સમય ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે અનેક બેઠકો યોજ્યા બાદ નિયત કરાઈ હતી.

    તેમનું કહેવું છે કે ખેડૂતો નિયત સમય પહેલાં અને નિયત કરાયેલા રૂટ સિવાયના રસ્તાઓ પર ટ્રૅક્ટર્સ લઈને આવી ગયા હતા અને તોડ-ફોડ કરી હતી, જેમાં અનેક પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા છે.

    તેઓ કહે છે કે પ્રદર્શનકારીઓએ જાહેર સંપત્તિને પણ નુકસાન કર્યું છે.

    શ્રીવાસ્તવે એએનઆઈને કહ્યું, "હું વિરોધ કરનારા ખેડૂતોને અપીલ કરું છું કે હિંસા ન આચરે, શાંતિ જાળવી રાખે અને નિયત કરાયેલા રૂટ પ્રમાણે પાછા જતા રહે."

  12. અફસોસ છે કે કેન્દ્રએ આ હદે સ્થિતિને બગડવા દીધી- આપ

    આમ આદમી પાર્ટીએ પણ ખેડૂત પરેડમાં આજે થયેલી હિંસાની નિંદા કરી છે.

    પાર્ટીએ કહ્યું કે એ અફસોસ છે કે કેન્દ્ર સરકારે આ હદ સુધી સ્થિતિને બગડવા દીધી.

    આપે એક નિવેદનમાં કહ્યું કે "આંદોલન છેલ્લા બે મહિનાથી શાંતિપૂર્ણ ચાલતું હતું. ખેડૂતનેતાઓએ કહ્યું છે કે જે લોકો આજે હિંસામાં સામેલ હતા, તેઓ આંદોલનનો ભાગ નહોતા, તેઓ બહારનાં તત્ત્વો હતાં."

    "એ જે પણ હતા, હિંસાએ ચોક્કસ રીતે આંદોલનને નબળું પાડ્યું છે, જે આટલી શાંતિ અને શિસ્તબદ્ધ રીતે ચાલતું હતું."

  13. બ્રેકિંગ, દિલ્હીના ITOથી પ્રદર્શનકારીઓ ખસ્યા

    દિલ્હીના આઈટીઓ પર છેલ્લા કેટલાક કલાકોથી જામ લગાવીને બેસેલા પ્રદર્શનકારીઓ ખસી ગયા છે.

    બીબીસી સંવાદદાતા વિકાસ ત્રિવેદી અનુસાર, ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન આજે એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રદર્શનકારીઓ તેમનો મૃતદેહ લઈને આઈટીઓ ચાર રસ્તા પર જમા થયા હતા અને વિરોધપ્રદર્શન કરતા હતા.

    પણ હવે પ્રદર્શનકારીઓ મૃતદેહને લઈને ગાઝીપુર બૉર્ડર તરફ રવાના થઈ ગયા છે.

    આઈટીઓ પર હાલમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે.

  14. દિલ્હીમાં જ્યારે ખેડૂતે ઉગ્ર ભીડના સકંજામાંથી પોલીસકર્મીને બચાવ્યા

  15. નાંગલોઈમાં અફરાતફરીની સ્થિતિ, નાંગલોઈથી બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા, 4.55 વાગ્યે

    બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા જણાવે છે કે અહીં નાંગલોઈમાં ટ્રૅક્ટર પરેડ જ્યાંથી નઝફગઢ તરફ જવાની હતી ત્યાં એક કલાક પહેલાં મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત હતું.

    હવે કોઈ પોલીસકર્મી જોવા મળતા નથી. ઘણાં પોલીસવાહનો તૂટેલાં જોવાં મળે છે.

    ખેડૂતોએ બેરિકેટને ટ્રૅક્ટરોથી સાંકળોથી ખેંચીને રસ્તો બનાવ્યો છે. પોલીસે જે ટિયરગૅસના સેલ છોડ્યા છે, તેનાથી તેમની આંખોમાં હજુ પણ બળતરા થઈ રહી છે.

    લાઠીચાર્જ પણ કરાયો હતો, જેમાં અનેક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

    અફરાતફરીનો માહોલ છે, ખેડૂતોનાં કેટલાંક જૂથો દિલ્હી તરફ જતા જોઈ શકાય છે.

  16. શાંતિમય આંદોલનમાં કેટલાક અરાજક લોકો ઘૂસી ગયા- સંયુક્ત કિસાન મોરચો

    સંયુક્ત કિસાન મોરચાએ ટ્રૅક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી છે.

    સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું, "આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી તમામ કોશિશો છતાં કેટલાંક સંગઠનો અને કેટલાક અસામાજિક તત્ત્વોએ અત્યાર સુધી શાંતિપૂર્ણ રહેલા અમારા આંદોલનમાં ઘૂસણખોરી કરી, રૂટ અને અનુશાસનનું ઉલ્લંઘન કરીને નિંદનીય કાર્ય કર્યું છે."

    "અમારું હંમેશાં માનવું રહ્યું છે કે શાંતિ અમારી સૌથી મોટી તાકાત છે. આવી હરકતોથી આંદોલનને નુકસાન પહોંચે છે."

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સંયુક્ત કિસાન મોરચાએ આજે આખા ઘટનાક્રમ પર દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે જે લોકોએ નક્કી કરેલા રસ્તાથી બહાર જવાનું કામ કર્યું છે, તેને સંયુક્ત કિસાન મોરચો પોતાનાથી અલગ કરે છે.

  17. ખેડૂતો સિંઘુ બૉર્ડરથી ટ્રૅક્ટરો અને ઘોડાઓ સાથે દિલ્હીમાં પ્રવેશતા અફરાતફરી

  18. મધ્ય દિલ્હીના ITOમાં સ્થિતિ તનાવપૂર્ણ

    મધ્ય દિલ્હીના આઈટીઓથી બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે જણાવે છે કે ત્યાં સ્થિતિ તનાવપૂર્ણ છે, પ્રદર્શનકારીઓ એક મૃતદેહ સાથે ધરણાં પર બેસી ગયા છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે.

    પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એ વ્યક્તિનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે, જ્યારે પોલીસે આ અંગે કોઈ માહિતી આપી નથી.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના જે વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટની સુવિધા બંધ કરી દેવાઈ છે, તેમાં આઈટીઓનો વિસ્તાર પણ સામેલ છે.