પાકિસ્તાનના 'રફાલ તોડી પાડ્યા'ના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?

રવિવારે સાંજે ભારતીય સેના તરફથી કરાયેલી પત્રકારપરિષદમાં રફાલ સંબંધિત એક સવાલ પર ઍૅરફોર્સ તરફથી ઍર માર્શલ એ.કે. ભારતીએ જવાબ આપ્યો હતો.

લાઇવ કવરેજ

અર્જુન પરમાર, જય શુક્લ

  1. પાકિસ્તાનના 'રફાલ તોડી પાડ્યા'ના દાવા પર ભારતીય સેનાએ શું કહ્યું?

    ઍર માર્શલ એ.કે. ભારતી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઍર માર્શલ એ.કે. ભારતી

    રવિવારે સાંજે ભારતીય સેના તરફથી કરાયેલી પત્રકારપરિષદમાં રફાલ સંબંધિત એક સવાલ પર ઍૅરફોર્સ તરફથી ઍર માર્શલ એ.કે. ભારતીએ જવાબ આપ્યો હતો.

    પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે ભારતના હુમલાનો બદલો લેતા ભારતનાં બે રફાલ વિમાન તોડી પાડ્યાં છે.

    તેના જવાબમાં ભારતીએ કહ્યું, "આપણે કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને નુકસાન તેનો એક ભાગ છે. તમારે એ સવાલ પૂછવો જોઈએ કે શું અમે અમારો હેતુ હાંસલ કરી લીધો છે? શું અમે આતંકવાદીઓની શિબિરોને નષ્ટ કરવાનો પોતાનો ઉદ્દેશ પાર પાડી લીધો છે? અને તેનો જવાબ છે હા.

    ઍર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું, "તેનું પરિણામ આખી દુનિયાએ જોવું જોઈએ. જ્યાં સુધી વિગતોની વાત છે કે શું થઈ શકતું હતું, કેટલી સંખ્યા, અમે કયું પ્લૅટફૉર્મ ગુમાવ્યું. આ સમયે હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી, કેમ કે આપણે હજુ પણ કૉમ્બૅટની સ્થિતિમાં છીએ અને જો કોઈ બાબત પર ટિપ્પણી કરીએ તો આ માત્ર વિરોધીઓ માટે ફાયદાકારક ગણાશે."

    તેમણે કહ્યું, "આથી અમે આ સમયે તેને કોઈ ફાયદા આપવા માગતા નથી. હું માત્ર એટલું કહી શકું કે અમે અમારો પસંદ કરેલો ઉદ્દેશ હાંસલ કરી લીધો છે અને અમારા બધા પાઇલટ પાછા ઘરે આવી ગયા છે."

    ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ અંગે સહમતિ સધાયા પછી ભારતીય સશસ્ત્ર દળોના ડીજીએમઓએ રવિવારે સાંજે પત્રકારપરિષદ સંબોધી હતી.

    પત્રકારપરિષદ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર'માં 100થી વધુ 'આતંકવાદી' માર્યા ગયા છે.

  2. ભારત-પાકિસ્તાનના લોકો સીઝફાયર અંગે શું કહે છે?

    વીડિયો કૅપ્શન, શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા કરવામાં આવી હતી.

    ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારની સાંજે સંઘર્ષવિરામની જાહેરાત થઈ હતી.

    ભારતનું કહેવું છે કે બંને વચ્ચે તમામ પ્રકારના હુમલાને અટકાવવા માટે સહમતિ સધાઈ છે, તો પાકિસ્તાનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સીઝફાયર થયું છે.

    પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સંઘર્ષ વધી ગયો હતો અને સામસામે હુમલા પણ થયા હતા.

    જોકે હવે સીઝફાયર બાદ લોકોનું કહેવું છે કે તેમને હવે રાહત પણ થઈ છે. દરમિયાન બંને દેશના લોકો સંઘર્ષવિરામ અંગે શું કહી રહ્યા છે?

  3. ઑપરેશન સિંદૂરમાં '100 આતંકવાદી' માર્યા ગયા- ભારતીય સેના

    ઑપરેશન સિંદૂરમાં કેટલા ઉગ્રવાદી મૃત્યુ પામ્યા, ભારતીય સેના, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, લેફ. જનરલ રાજીવ ઘાઈ

    ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ અંગે સહમતિ સધાયા પછી ભારતીય સશસ્ત્ર દળોના ડીજીએમઓએ રવિવારે સાંજે પત્રકારપરિષદ સંબોધી હતી.

    જેમાં ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ઍરફોર્સના ઍર માર્શલ એ.કે. ભારતી, નૌકાદળના વાઇસ ઍડ્મિરલ એ.એન. પ્રમોદ તથા મેજર જનરલ એસ.એસ. શારદા સામેલ થયા હતા, જેમણે ઑપરેશન સિંદૂર અંગે માહિતી આપી હતી.

    પત્રકારપરિષદ દરમિયાન ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું હતું કે 'ઑપરેશન સિંદૂર'માં 100થી વધુ 'આતંકવાદી' માર્યા ગયા છે.

    લેફ. જનરલ ઘાઈએ કહ્યું,"નવ ઠેકાણે હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા છે, જેમાં યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદ્દસ્સિર અહમદ જેવા હાઈ વૅલ્યૂ આતંકવાદી પણ સામેલ છે."

    લેફ. જનરલ રાજીવ ઘાઈના કહેવા પ્રમાણે, આ ત્રણેય આતંકવાદી ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન આઈસી 814ના (1999) હાઇજેકિંગ અને પુલવામા હુમલામાં સામેલ હતા.

    લેફ. જનરલ ઘાઈના કહેવા પ્રમાણે, ભારતની કાર્યવાહી પછી તરત જ પાકિસ્તાન દ્વારા નિયંત્રણરેખા પર પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એ દુશ્મનની અનિશ્ચિત તથા ગભરાટમાં પ્રતિક્રિયા હતી, જેમાં કમનસીબે મોટી સંખ્યામાં નાગરિકો, ગામ અને ગુરુદ્વારા જેવાં સ્થાનોને નિશાને લેવામાં આવ્યાં. તેમાં કેટલાક નાગરિકોનાં મૃત્યુ થયાં."

  4. ભારતીય સેનાએ કહ્યું, ઉલ્લંઘનનો જવાબ આપવા સૈન્ય કમાન્ડરોને પૂરો અધિકાર

    ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ,

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ભારતીય સેનાના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ચીફ ઑફ આર્મી સ્ટાફે ઉલ્લંઘનની જવાબી કાર્યવાહી કરવા માટે સૈન્ય કમાન્ડરોને પૂર્ણ અધિકાર આપ્યા છે.

    એડજીપી પીઆઈએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "10-11 મે 2025ની રાત્રે સીઝફાયર અને હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘન પછી ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદે તહેનાત સૈન્ય કમાન્ડરોની સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી."

    નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીફ ઑફ આર્મી સ્ટાફે 10મી મે 2025ના ડીજીએમઓ સાથે સંવાદ દ્વારા સહમતિ સધાઈ હતી કે કોઈ પણ પ્રકારનો ભંગ થશે તો જવાબી કાર્યવાહી કરવા માટે સૈન્ય કમાન્ડરોને પૂર્ણ અધિકાર આપવામાં આવ્યા છે.

    આ પહેલાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે મોડી રાત્રે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું, "અમારી વચ્ચે જે સમજ સધાઈ છે, તેનો સતત ભંગ થઈ રહ્યો છે."

  5. ઇસ્લામિક દેશોના સંગઠને ભારત-પાકિસ્તાન સીઝફાયર અંગે શું કહ્યું?

    ભારત પાકિસ્તાન સીઝફાયર, ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન, ઓસીઆઈ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઓસીઆઇના મહાસચિવ હિસેન બ્રાહીમ તાહાની ફાઇલ તસવીર

    ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશને (ઓઆઇસી) ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાતને આવકારી છે.

    એક નિવેદન બહાર પાડીને ઓઆઇસીએ કહ્યું, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન તથા રિપબ્લિક ઑફ ભારત વચ્ચે સીઝફાયરની જાહેરાતને મહાસચિવ આવકારે છે તથા આ સમાધાન સુધી પહોંચવા માટે જે કોઈ દેશોએ મધ્યસ્થતા કરી અને બંને પક્ષકારોને એકસાથે લાવવા માટે ઇમાનદારીપૂર્વક પ્રયાસ કર્યા, તેમની પણ પ્રશંસા કરે છે."

    નિવેદન મુજબ, "મહાસચિવે આંતરરાષ્ટ્રીય સમુદાયોને પોતાના પ્રયાસોને બમણા કરવા અપીલ કરી છે. બીજી બાજુ, પાકિસ્તાન અને ભારતને અપીલ કરી છે કે તે જમ્મુ-કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓને શાંતિપૂર્વક રીતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ ઉકેલવા માટે વાટાઘાટ કરે."

    ઓસીઆઇએ તેના નિવેદનમાં બંને પક્ષકારોને મહત્તમ સંયમ જાળવવા તથા 'આ ભૂભાગની સ્થિરતાને જોખમમાં મૂકે' એવાં કોઈ પગલાં ન લેવા અપીલ કરી હતી.

    ઓસીઆઇનાં નિવેદન અંગે ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

  6. રક્ષામંત્રી રાજનાથસિંહે 'ઑપરેશન સિંદૂર' અને બ્રહ્મોસ અંગે શું કહ્યું?

    રાજનાથસિંહ , બ્રહ્યોસ, ઓપરેશન સિંદૂર

    ઇમેજ સ્રોત, @rajnathsingh/X

    ઇમેજ કૅપ્શન, રાજનાથસિંહ

    ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે રવિવારે ઉત્તર પ્રદેશના લખનૌસ્થિત 'બ્રહ્મોસ ઍરોસ્પેસ ઇન્ટિગ્રૅશન ઍન્ડ ટેસ્ટિંગ ફૅસિલિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે 'ઑપરેશન સિંદૂર, બ્રહ્મોસ તથા આતંકવાદ' અંગે વાત કરી હતી.

    રાજનાથસિંહે કહ્યું, "ઑપરેશન સિંદૂર ભારતની સૈન્યકાર્યવાહી માત્ર નથી. તે ભારતની રાજકીય, સામાજિક તથા સામરિક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઑપરેશન આતંકવાદ વિરુદ્ધ ભારતની દૃઢ ઇચ્છાશક્તિ અને સૈન્યશક્તિની ક્ષમતા તથા તેની સંકલ્પશક્તિનું પણ નિદર્શન કરે છે."

    રાજનાથસિંહે કહ્યું, "આપણે દેખાડી દીધું છે કે ભારત જ્યારે ક્યારેય આતંકવાદ સામે કાર્યવાહી કરશે, ત્યારે આતંકવાદીઓ અને તેમના આકા સરહદપારની જમીન પર પણ સલામત નહીં રહે."

    રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાના હેન્ડલ પર બ્રહ્યોસ મિસાઇલનો એક વીડિયો પણ મૂક્યો હતો અને લખ્યું, "બ્રહ્મોસ પોતે જ એક સંદેશ છે."

    સાથે જ તેમણે કહ્યું, "બ્રહ્મોસ આપણી સેનાની શક્તિ તથા સરહદની સુરક્ષા પ્રત્યે આપણા સંકલ્પનું પ્રતીક છે."

  7. સીઝફાયર અને 'ઑપરેશન સિંદૂર' પર રાહુલ ગાંધીએ વડા પ્રધાન પાસે શું માગ કરી?

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે

    કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.

    શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર થયેલી સહમતિ બાદ રવિવારે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.

    આ પત્રમાં તેમણે લખ્યું કે "હું વિપક્ષની સર્વસંમતિથી ફરી એક વાર અપીલ કરું છું કે સંસદનું વિશેષ તરત બોલાવવામાં આવે."

    રાહુલ ગાંધીએ લખ્યું કે "પહલગામ આતંકવાદી હુમલો, ઑપરેશન સિંદૂર અને સીઝફાયર અંગે ચર્ચા કરવી લોકો અને તેમના પ્રતિનિધિઓ માટે ખાસ જરૂરી છે, જેની સૌથી પહેલા જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી."

    "આ આપણી સામે આવનારા પડકારોને સાથે મળીને સામનો કરવાના સંકલ્પને દર્શાવવાનો એક મોકો પણ હશે."

    રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યું કે "મને વિશ્વાસ છે કે તમે આ માગ પર ગંભીરતાથી વિચાર કરશો અને જલદી તેના પર પહેલ કરશો."

  8. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર વિશે ટ્રમ્પે કરેલા ઍલાન પર કૉંગ્રેસે શું કહ્યું?

    રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્ય મંત્રી તથા કૉંગ્રેસના મહાસચિવ સચીન પાઇલટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર પર ઍલાન કરવાને લઈને પ્રતિક્રિયા આપી છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા સચીન પાઇલટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે.

    રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્ય મંત્રી તથા કૉંગ્રેસના મહાસચિવ સચીન પાઇલટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર પર ઍલાન કરવાને લઈને પ્રતિક્રિયા આપી છે.

    તેમણે પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “હું ભારતીય સેના, વાયુસેના, હમારા સૈનિકોનાં પરાક્રમ અને શૌર્યને સલામ કરવા માગું છું. ભારતીય સેનાએ એક વખત ફરી દેખાડી દીધું છે કે તે દુનિયાની સર્વોત્તમ સેનાઓ પૈકીની એક છે.”

    પાઇલટે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ઘટનાક્રમ બહુ જલદીથી બદલાયો અને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા સીઝફાયરની ઘોષણા કરવી એ હેરાન કરનારી બાબત હતી.

    તેમણે કહ્યું, “અમને સૌને આશ્ચર્ય થયું જ્યારે સીઝફાયરની ઘોષણા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. કદાચ આ પહેલી વખત છે કે આ પ્રકારની ઘોષણા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિએ કરી હોય.”

    સચીન પાઇલટે ટ્રમ્પના સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાર દઈને કહ્યું કે તેમાં જે વાતો કહેવામાં આવી છે તે ભારત અને પાકિસ્તાનના મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાનો સંકેત આપે છે.

    તેમણે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ પણ કરી.

  9. ‘ઑપરેશન સિંદૂર’ હજુ ચાલુ જ છે- ભારતીય વાયુસેનાએ તેના વિશે શું કહ્યું?

    ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમનું અભિયાન યથાવત્ છે. સમય આવ્યે તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમનું અભિયાન યથાવત્ છે. સમય આવ્યે તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે.

    ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમનું અભિયાન યથાવત્ છે. સમય આવ્યે તેના વિશે વધુ જાણકારી આપવામાં આવશે.

    વાયુસેનાએ રવિવારે ઍક્સ પર લખ્યું, “ભારતીય વાયુસેનાના ઑપરેશન સિંદૂરમાં સફળતાપૂર્વક પોતાનાં નિર્ધારિત કામોને સટીકતા અને પ્રોફેશનલ અંદાજમાં કર્યાં. આ અભિયાનોને રાષ્ટ્રીય ઉદ્દેશો માટે સમજી-વિચારીને અને વિવેકપૂર્ણ રીતે સંચાલિત કરવામાં આવ્યાં.”

    “ઑપરેશન હજુ ચાલુ છે. તેથી આવનારા સમયમાં તેની વધુ જાણકારી આપવામાં આવશે. ભારતીય વાયુસેના અટકળો ન લગાવવા અને અસત્યાપિત જાણકારીના પ્રસારથી બચવાનો અનુરોધ કરે છે.”

    પહલગામમાં હુમલો થયા બાદ ભારતે 6-7 મેની રાત્રીએ પાકિસ્તાન તથા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઍરસ્ટ્રાઇક કરી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો.

    બંને દેશોએ એકબીજા પર સૈન્ય ઠેકાણાંઓ પર હુમલો કર્યાની વાત કરી હતી. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સમજૂતી થઈ હોવાની ઘોષણા કરવામાં આવી હતી.

  10. સીઝફાયર બાદ જમ્મુ અને નિયંત્રણ રેખા પાસે કેવી સ્થિતિ છે?

    જમ્મુમાં રવિવારે સવારે સ્થિતિ સામાન્ય છે. લોકો ઘરોની બહાર નીકળ્યા અને કેટલીક દુકાનો પણ ખુલી તથા રસ્તા પર અવરજવર શરૂ થઈ ગઈ છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ બાદ જમ્મુમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

    બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યએ જણાવ્યું છે કે જમ્મુમાં રવિવારે સવારે સ્થિતિ સામાન્ય છે. લોકો ઘરોની બહાર નીકળ્યા અને કેટલીક દુકાનો પણ ખુલી તથા રસ્તા પર અવરજવર શરૂ થઈ ગઈ છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની ઘોષણા બાદ રાત્રે જમ્મુના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમણે ડ્રૉન જોયાં.

    જમ્મુના સરહદ પાસેના વિસ્તારોમાં ઘણા સ્થાનિકોએ પોતાના વિસ્તારમાં ડ્રૉન જોયાં હોવાની માહિતી આપી.

    પાકિસ્તાન સાથે લાગેલી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે વસેલાં ગામોમાં લોકોએ ફોન કરીને જણાવ્યું કે સંઘર્ષવિરામ બાદ કેટલોક સમય તેમનાં ઘરોની પાસે ગોળીબારનો અવાજ સંભળાયો.

    તેમનું કહેવું હતું કે તેમના વિસ્તારોની આસપાસ ડ્રૉન દેખાતાં રહ્યાં. જોકે, થોડીવાર બાદ સ્થિતિ શાંત થઈ ગઈ.

    રવિવારે સવારે જ્યારે ફરી સ્થાનિકો સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે રાત્રે શાંતિ હતી.

    સરહદ પાસે કેટલાક ગોળીબાર થયાની ઘટના બાદ કોઈ જાનમાલની હાનિના સમાચાર નથી.

    હાલ, જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય છે અને લોકો રોજીંદુ જીવન જીવવા લાગ્યા છે.

  11. ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિનાશનું કારણ બન્યો હોત- ટ્રમ્પે સંઘર્ષવિરામ બાદ શું કહ્યું?

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર બનેલી સહમતિની ઘોષણા કરી હતી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર બનેલી સહમતિની ઘોષણા કરી હતી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ભારત અને પાકિસ્તાનના નેતૃત્વના સંઘર્ષવિરામ આગળ ધપાવવાની કોશિશના વખાણ કર્યા.

    રવિવારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “હું ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ગર્વ અનુભવું છું.”

    “તેમણે યોગ્ય સમયે સમજદારી અને હિમ્મત દેખાડીને આ સંઘર્ષને રોકવાનો નિર્ણય લીધો, કારણકે આ સંઘર્ષથી લાખો નિર્દોષ લોકોના જીવ ગયા હોત અને ભારે નુકસાન થઈ શક્યું હોત.”

    ટ્રમ્પે એમ પણ કહ્યું કે મને ગર્વ છે કે અમેરિકા આ ઐતિહાસિક નિર્ણય લેવા સુધી પહોંચવામાં મદદ કરી શક્યું.

    તેમણે આ પોસ્ટ દ્વારા ભારત અને પાકિસ્તાન સાથે ટ્રેડ વધારવાની વાત પણ કરી. સાથે ટ્રમ્પે કાશ્મીરના મુદ્દા પર ભારત અને પાકિસ્તાન સાથે મળીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો ઉલ્લેખ પણ કર્યો.

  12. પુતિને યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે સીધી અને તાત્કાલિક વાતચીત શરૂ કરવા માગે છે. તેમણે આ વાતચીત 15મી મેના રોજ શરૂ કરવાની વાત પણ કરી છે.

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ફાઇલ ફોટો

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે સીધી અને તાત્કાલિક વાતચીત શરૂ કરવા માગે છે. તેમણે આ વાતચીત 15મી મેના રોજ શરૂ કરવાની વાત પણ કરી છે.

    શનિવારે રાત્રે ટીવીના મારફતે જનતાને સંબોધિત કરતા પુતિને કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે વાતચીત ગંભીર હોય જેથી આ યુદ્ધની જડ સુધી પહોંચી શકાય અને એક મજબૂત અને સ્થાયી શાંતિ કાયમ રહે.”

    તેમનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ શનિવારે યુક્રેનનો પ્રવાસ કર્યો.

    આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓએ રશિયાથી 30 દિવસના વગર શરતે સીઝફાયરની માગ કરી.

    રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે મૉસ્કો તેના પર વિચાર કરશે પરંતુ તેમણે ચેતવણી આપી કે ‘દબાણ કરવું નકામું’ છે.

    પોતાના નિવેદનમાં પુતિને કહ્યું છે કે તેઓ આ સંભાવનાથી ઇન્કાર નથી કરી રહ્યા કે તેઓ વાતચીત કે જે તેઓ તુર્કીના શહેર ઇસ્તંબુલમાં કરાવવા ઇચ્છે છે, તે એક નવી સીઝફાયરની સમજૂતી હોય.”

    તેમણે કહ્યું કે રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆનથી આ વિષય પર વિસ્તારથી વાત કરશે. યુક્રેને પુતિનના આ પ્રસ્તાવનો કોઈ જવાબ નથી આપ્યો.

  13. હાલમાં થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને 1971 યુદ્ધની તુલના પર શશિ થરુરે શું કહ્યું?

    કેરળના તિરુવનંતપુરથી કૉંગ્રેસના સાંસદ શશિ થરુરે ભારત-પાકિસ્તાન 1971 યુદ્ધ પર સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીત કરી હતી.

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર શશિ થરુરે કહ્યું કે શાંતિ આપણા માટે જરૂરી છે.

    કેરળના તિરુવનંતપુરથી કૉંગ્રેસના સાંસદ શશિ થરુરે ભારત-પાકિસ્તાન 1971 યુદ્ધ પર સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીત કરી હતી.

    તેમણે કહ્યું, “મને લાગે છે કે 1971નું યુદ્ધ અમારા ઇતિહાસની એક મહાન ઉપલબ્ધિ હતી અને એક ભારતીય તરીકે મને તેના પર ગર્વ છે. ઇંદિરા ગાંધીએ ઉપમહાદ્વીપનો નકશો બદલી નાખ્યો હતો. પરંતુ તે સમયે પરિસ્થિતિઓ અલગ હતી.”

    “આજે પાકિસ્તાનની સ્થિતિ અલગ છે. તેની પાસે સૈન્ય હથિયાર, જે નુકસાન પહોંચાડી શકે છે, ઘણું અલગ છે.”

    શશિ થરુરે કહ્યું કે 1971માં યુદ્ધ લડવાનો ઉદ્દેશ બાંગ્લાદેશને આઝાદી અપાવવાનો હતો.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે સંઘર્ષવિરામ પર સહમતિ બની હોવાની ઘોષણા કરવામાં આવી.

    આ ઘોષણા બાદ કૉંગ્રેસના અધિકારિક ઍક્સ એકાઉન્ટ પરથી ઇંદિરા ગાંધી અને પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની તસવીરો શૅર કરવામાં આવી.

    આ તસવીર સાથે કૉંગ્રેસે લખ્યું, “ઇંદિરા ગાંધીએ નિક્સનને કહ્યું હતું- અમારી કરોડરજ્જુ સીધી છે. અમારી પાસે ઇચ્છાશક્તિ અને સંસાધન છે કે અમે તમામ અત્યાચારોનો સામનો કરી શકીએ છીએ. એ સમય જતો રહ્યો જ્યારે કોઈ દેશ ત્રણ-ચાર હજાર માઇલ દૂર બેસીને આદેશ આપે કે ભારતીય તેમની મરજી પ્રમાણે ચાલે.”

    કૉંગ્રેસે પોસ્ટમાં લખ્યું, “આ હતી હિમ્મત, આમ જ ભારત માટે અડીખમ રહેવું અને દેશની ગરિમા સાથે કોઈ સમજૂતી ન કરવી.”

    કૉંગ્રેસની આ પોસ્ટ બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામની તુલના ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ સાથે થવા લાગી.

  14. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર મામલે ટ્રમ્પની ભૂમિકા પર અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

    ઓવૈસીએ ભારતીય સશસ્ત્ર સેનાઓના પરાક્રમના પણ વખાણ કર્યા. તેમણે આ સંઘર્ષમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે એકતા પર ભાર આપ્યો. સાથે તેમણે સીઝફાયરનું ઍલાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કેમ થયું તે અંગે સવાલ પણ કર્યો.

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઓવૈસીએ ભારત સરકારથી પાકિસ્તાનને એએફએટીએફના ગ્રે લિસ્ટમાં બનાવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ચાલુ રાખવાની અપીલ કરી.

    ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારત-પાકિસ્તાનની વચ્ચે સીઝફાયર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

    તેમણે તેમના ઍક્સ એકાઉન્ટ પર લખ્યું, “જ્યાં સુધી પાકિસ્તાન ભારત સામે આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ કરતું રહેશે, ત્યાં સુધી સ્થાયી શાંતિ સંભવ નથી.”

    “સીઝફાયર હોય કે ન હોય, અમે પહલગામ હુમલાના જવાબદાર આતંકવાદીઓનો પીછો નહીં છોડવો જોઈએ. જ્યારે બહારથી આક્રમણ થયું છે હું સરકાર અને સશસ્ત્રદળ સાથે ઊભો રહ્યો છું, આ સમર્થન હંમેશાં રહેશે.”

    ઓવૈસીએ ભારતીય સશસ્ત્ર સેનાઓના પરાક્રમના પણ વખાણ કર્યા. તેમણે આ સંઘર્ષમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે એકતા પર ભાર આપ્યો. સાથે તેમણે સીઝફાયરનું ઍલાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કેમ થયું તે અંગે સવાલ પણ કર્યો.

  15. ચીનના વિદેશ મંત્રીએ ભારતના એનએસએ અજિત ડોભાલને ફોન કરીને શું કહ્યું?

    ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે શનિવારે ફોન પર વાતચીત કરી હતી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ચીનના વિદેશ મંત્રી વાંગ યી (ડાબે) અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (જમણે) (ફાઇલ ફોટો)

    ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે શનિવારે ફોન પર વાતચીત કરી હતી.

    બંને વચ્ચે થયેલી વાતચીતની જાણકારી ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આપી છે.

    આ નિવેદનમાં કહેવામાં આવ્યું, “10મી મે, 2025ના રોજ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના રાજનીતિક બ્યૂરોના સભ્ય અને કેન્દ્રીય વિદેશ મામલાના કાર્યાલયના નિદેશક વાંગ યીએ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી.”

    “ડોભાલે કહ્યું કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય જવાનોને ગંભીર ક્ષતિ પહોંચી છે. જેથી ભારતે કડક આતંકવાદ વિરોધી પગલાં ઉઠાવવાની જરૂર પડી હતી. યુદ્ધ ભારતને પસંદ નથી અને આ કોઈ પણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન સીઝફાયર પ્રત્યે પ્રતિબદ્ધ છે અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને ફરી બહાલ કરવાની દિશામાં પ્રયાસરત છે.”

    વાંગ યીએ ચીન તરફથી પહલગામ હુમલાની નિંદા કરતાં કહ્યું કે ચીન તમામ પ્રકારના ‘આતંકવાદ’નો વિરોધ કરે છે.

    તેમણે કહ્યું કે આજે દુનિયામાં હાલત મુશ્કેલીભર્યા છે. એશિયામાં શાંતિ બનાવી રાખવાની જરૂર છે.

    વાંગ યીએ એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન જેવા પાડોશી દેશ જેમને બદલી નથી શકાતા અને બંને દેશ ચીનના પણ પાડોશી છે. ચીન ભારતના એ વલણની પ્રશંસા કરે છે કે તે યુદ્ધ નથી ઇચ્છતું.

    આ નિવેદન પ્રમાણે ચીન ચાહે છે કે ભારત અને પાકિસ્તાન મળીને વાતચીત મારફતે શાંતિ અને સીઝફાયર તરફ આગળ વધે કારણકે તે જ બંનેના અને દુનિયાના હિતમાં છે.

  16. અમૃતસરમાં વીજળી પૂર્વવત, પરંતુ રેડ ઍલર્ટ યથાવત્

    ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેની સાંજે સંઘર્ષવિરામ પર સહમતિ બની હોવાની ઘોષણા કરવામાં આવી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેની સાંજે સંઘર્ષવિરામ પર સહમતિ બની હોવાની ઘોષણા કરવામાં આવી.

    અમૃતસરમાં વીતી રાત્રે સાયરનનો અવાજ સંભળાયો હતો. ત્યાર પછી ડેપ્યુટી કમિશનર સાક્ષી સહાનીએ રવિવારની સવારે એક ઍડવાઇઝરી જાહેર કરી હતી.

    બીબીસીના સહયોગી પત્રકાર રવિંદરસિંહ રૉબિનના જણાવ્યા પ્રમાણે, હાલમાં અમૃતસરમાં વીજળી તો બહાલ કરી દેવામાં આવી છે, પરંતુ જિલ્લામાં રેડ ઍલર્ટ જારી છે.

    ડેપ્યુટી કમિશનરે લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને પોતાનાં ઘરોમાં જ રહે તથા બારી-બારણાંથી દૂર રહે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું, “જ્યારે હાલત સુધરશે, ત્યારે પ્રશાસન તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવશે, કૃપા કરીને ગભરાશો નહીં, શાંતિ જાળવજો અને પ્રશાસનના તમામ નિર્દેશોનું પાલન કરો.”

    10મી મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર સહમતિ બની હતી.

    બંને દેશો વચ્ચે કેટલાક દિવસોથી સંઘર્ષ ચાલતો હતો, ભારત અને પાકિસ્તાનની સેના એકબીજા પર હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કરતી હતી.

  17. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું- ‘આ પાકિસ્તાનની ઐતિહાસિક જીત’

    ભારત-પાકિસ્તાન તણાવ અને સંઘર્ષવિરામ, પહલગામ હુમલો, ટ્રમ્પ શહબાઝ શરીફ

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષવિરામ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ પર સહમતિ બન્યા બાદ તેમણે શનિવારે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કર્યું.

    શહબાઝ શરીફે પાકિસ્તાની સેના, નૌકાદળ તથા સશસ્ત્રદળના અધિકારીઓનું નામ લઈને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, "આ ઐતિહાસિક જીત છે."

    તેમણે કહ્યું, "જો કોઈ અમારી સ્વતંત્રતાને પડકારે છે, તો અમે પોતાના રક્ષણ માટે કંઈ પણ કરીશું."

    તેમણે દાવો કર્યો હતો કે તેમના દેશની સામે જે આરોપો લગાવાઈ રહ્યા છે તે 'નિરાધાર' છે. તેઓ તેમની તપાસ કરવા ઇચ્છે છે. જોકે, ભારતે શહબાઝ શરીફના આ નિવેદન પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ તેમના સંબોધન પહેલાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસલીએ એક પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાન પર 'સંઘર્ષવિરામના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો હતો.

    શહબાઝ શરીફે એ પણ દાવો કર્યો કે "છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન પર ડ્રૉન હુમલાઓ થયા જેમાં મસ્જિદોને નષ્ટ કરવામાં આવી અને નિર્દોષોને મારવામાં આવ્યા."

    તેમણે કહ્યું, "પાકિસ્તાનના સુરક્ષાદળોએ આ સ્થિતિમાં ભારતીય સેનાને યોગ્ય જવાબ આપ્યો. અમે પોતાના સિદ્ધાંતોનું પાલન કરવામાં સફળ થયા છીએ."

    તેમણે ચીનનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે "તેઓ ઘણા પ્યારા, ઘણા ભરોસાપાત્ર અને ઘણા પ્રિય મિત્ર ચીનનો પણ આભાર પ્રગટ કરે છે."

    અગાઉ શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું હતું, "આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે નેતૃત્વ લેવા અને સક્રિય ભૂમિકા ભજવવા બદલ અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનીએ છીએ."

    "આ પરિણામ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ પાકિસ્તાન અમેરિકાની પ્રશંસા કરે છે, પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે અમે આનો (સંઘર્ષવિરામ) સ્વીકાર કર્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તથા માર્કો રૂબિયોએ પણ દક્ષિણ એશિયામાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે જે ભૂમિકા ભજવી, તેના માટે આભાર માનીએ છીએ."

    શહબાઝ શરીફે લખ્યું, "પાકિસ્તાનનું માનવું છે કે આ એ મુદ્દે સમાધાનની દિશામાં આગળ વધવાની નવી શરૂઆત છે, જેના કારણે આ વિસ્તાર હંમેશા ત્રસ્ત રહે છે અને તેના કારણે આ પ્રદેશની શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના રસ્તામાં અવરોધ ઊભો થયો છે."

    આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ અને પૂર્ણ સંઘર્ષવિરામ અંગે સહમતિ સધાઈ હોવાની માહિતી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર આપી હતી.

  18. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું- 'સીઝફાયરનું ઉલ્લંઘન થયું'

    ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ ભંગ

    ઇમેજ સ્રોત, MEA/YT

    ઇમેજ કૅપ્શન, વિક્રમ મિસરી

    સંઘર્ષવિરામની જાહેરાતના ગણતરીના કલાકો બાદ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પત્રકારપરિષદ સંબોધી હતી.

    ખૂબ જ ટૂંકા સંબોધનમાં તેમણે કહ્યું : "ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સૈન્યકાર્યવાહીને અટકાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સ) વચ્ચે વાટાઘાટ ચાલી રહી હતી."

    "આજે (શનિવારે) સાંજે સૈન્યકાર્યવાહીને અટકાવવા માટે સમજૂતી થઈ હતી. છેલ્લી કેટલીક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ સમજૂતીનો ભંગ થઈ રહ્યો છે. ભારતીય સેના સીમાના અતિક્રમણ સામે વળતી કાર્યવાહી કરી રહી છે."

    ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું- 'સીઝફાયરનું ઉલ્લંઘન થયું'

    ઇમેજ સ્રોત, ani

    "આ અતિક્રમણ ખૂબ જ નિંદનીય છે અને તેના માટે પાકિસ્તાન જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાન આ પરિસ્થિતિને સારી રીતે સમજે અને આ અતિક્રમણને અટકાવવા માટે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરે."

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ માટે સહમતિ સધાઈ હોવાની જાહેરાત કરી હતી.

    એ પછી ભારતના વિદેશ સચિવ મિસરીએ ટૂંકા મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે બંને દેશોના સૈન્ય ડીજીએમઓ વચ્ચેની વાતચીત બાદ સાંજે પાંચ વાગ્યાથી તાત્કાલિક અસરથી પૂર્ણ સંઘર્ષવિરામ માટે સહમતિ સધાઈ છે. બંને સોમવારે બપોરે બાર વાગ્યે મળશે.

  19. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનું ઉલ્લંઘન થયું?

    કચ્છ ડ્રોન, ભારત પાકિસ્તાન સંઘર્ષવિરામ

    ઇમેજ સ્રોત, Getty Images

    શનિવારે સાંજે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત થઈ હતી, જેના પગલે સ્થિતિ સામાન્ય બનશે એવી આશા સેવાઈ રહી હતી.

    જોકે, ગણતરીના કલાકોમાં સંઘર્ષવિરામનો ભંગ થયો હોવાના અહેવાલ આવ્યા હતા. આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. આમ છતાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું :

    "સિઝફાયરને શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે."

    ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "કચ્છ જિલ્લામાં અનેક ડ્રૉન જોવાં મળ્યાં છે. તાત્કાલિક અસરથી બ્લૅકઆઉટ લાગુ કરવામાં આવે છે. કૃપા કરીને સલામત રહો અને ગભરાશો નહીં."

    તેમણે કચ્છ કલેક્ટરની ઍક્સ પોસ્ટને રીટ્વિટ કરી હતી, જેમાં બ્લૅકઆઉટનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

    કચ્છ માટે બીબીસીના સહયોગી નારણ મહેશ્વરી જણાવે છે કે કચ્છમાં તાત્કાલિક બ્લૅકઆઉટ જાહેર થયું છે અને લોકોને બિનજરૂરીને બહાર ન નીકળવા માટે સૂચવા આપવામાં આવે છે.

    બનાસકાંઠાસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે કલેક્ટર મિહિર પટેલના આદેશને ગલે જિલ્લાનાં સરહદવર્તી 24 ગામોમાં બ્લૅકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોમાં આ અંગે ભારે અવઢવ હોવાથી લોકોને અફવાઓથી દોરાઈ ન જવા તથા બ્લૅકઆઉટનો અમલ કરવા તાકીદ કરી છે.

    જમ્મુ-કાશ્મીરમાં બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરે આર.એસ.પુરા સેક્ટરમાં રહેતા સ્થાનિકોની સાથે વાત કરી હતી, જેમણે સાંજેકના સમયે ગોળીબારીની પુષ્ટિ કરી હતી.

    સ્વર્ણલાલ નામના અન્ય એક સ્થાનિકે કહ્યું હતું કે સંઘર્ષવિરામની જાહેરાત પછી એકાદ કલાક સુધી ગોળીબાર બંધ રહ્યો હતો, એ પછી તરત જ ફાયરિંગના અવાજ સંભળાવા લાગ્યા હતા.

  20. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ ભારતીય સેનાએ કહ્યું- સતર્ક રહીશું

    વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કર્નલ સોફિયા કુરૈશી, પહલગામ હુમલો, ભારત પાકિસ્તાન તણાવ અને સંઘર્ષવિરામ

    ઇમેજ સ્રોત, Reuters

    ઇમેજ કૅપ્શન, વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ

    ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત બાદ ભારતીય સશસ્ત્રબળોએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

    પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતીય નૌકાદળના કમોડોર આર. રઘુ નાયરે કહ્યું, "સીઝફાયર અંગે જે સહમતિ સધાઈ છે, તેનું સેના પાલન કરશે, પરંતુ ભારતની સંપ્રભુતા જળવાઈ રહે તે માટે સશસ્ત્રબળો સતર્ક રહેશે."

    પત્રકારપરિષદ દરમિયાન વાયુદળનાં વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે કહ્યું કે પાકિસ્તાને "ભ્રામક પ્રચાર અભિયાન" ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

    પાકિસ્તાને કહ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાની મસ્જિદોને ટાર્ગેટ કરવામાં આવી હતી, આ વાતને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે નકારી હતી.

    વ્યોમિકાસિંહે કહ્યું હતું, "ભારતીય સશસ્ત્રબળો તમામ ધર્મનાં ધાર્મિકસ્થળોનું સન્માન કરે છે."

    તેમણે કહ્યું, "ભારતીય સેનાએ એવાં સ્થળોને નિશાને લીધાં હતાં કે જ્યાં આતંકવાદી કૅમ્પ હતા તથા જેનો ઉપયોગ ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થતો હતો. હું કહેવા ચાહીશ કે ભારતીય સશસ્ત્રબળોએ કોઈ ધાર્મિકસ્થળને ટાર્ગેટ નથી કર્યું."